Friday 14 June 2013

વોયેજર-૧: એક વિશ્વવિક્રમ

માનવસર્જિત 'યાન' સૂર્યમાળાની સીમારેખા પાસે પહોંચી ગયું!

માની લો કે હજારો વર્ષની મુસાફરી કર્યા બાદ, વોયેજર યાન કોઈ આપણા કરતાં વધારે બુદ્ધિશાળી પ્રજા ધરાવતાં ગ્રહ પર જઈ શકશે તો, પૃથ્વીવાસીનાં વિઝીટીંગ કાર્ડ જેવી 'ગોલ્ડન રેકોર્ડ' વૈજ્ઞાનિકોએ બંને યાનમાં મૂકી છે



માનવ ઇતિહાસ કહો કે, અંતરિક્ષ યુગની તવારીખ કે... પછી સૂર્યમાળાની સિદ્ધિ. પાત્રીસ વર્ષ પહેલાં અંતરીક્ષમાં પહોંચનાર માનવસર્જીત સ્પેસક્રાફટ સૂર્યની સીમારેખા જેવાં વિસ્તારમાં પહોંચી ગયું છે. સૂર્યથી આટલે દૂર જનાર, વિશ્વનો આ માનવસર્જિત પ્રથમ 'ઓબજેક્ટ' છે. સૂર્ય અને અન્ય તારા વચ્ચેનાં બે તારા વચ્ચે આવેલ અંતરીક્ષ એટલે કે ઈન્ટરસ્ટીલર સ્પેસમાં પહોચતાં વોયેજર-૧ને હજી બીજા બે-ચાર વર્ષ લાગે તેમ છે. વોયેજર-૧ સૂર્યમાળાને પસાર કરી ચૂક્યું છે કે નહીં તેનો અંદાજ બાંધવો વૈજ્ઞાનિકો માટે પણ થોડો મુશ્કેલ છે. હાલનાં તબક્કે...
વોયેજર-૧ ઉપર નાસાનું એક નવું મોડયુલ નજર રાખી રહ્યું છે. જે દર ૬ કલાકે રિઅલ ટાઈમ ડેટા અપડેટ કરી રહ્યું છે. મોડયુલ ત્રણ ચીજ ઉપર નજર નાખી રહ્યું છે. એક, અત્યંત ઝડપે ભાગતા કણોની માહીતી. બે, અત્યંત ધીમેથી પસાર થઈ રહેલા કણોની માહીતી. ત્રણ, ચુંબકીય ક્ષેત્રની દીશા અને તિવ્રતા અત્યંત ઝડપે ભાગતાં કણોમાં એવાં કોસ્મીક રેનો સમાવેશ થાય છે જે સૂર્યમાળાનાં બાહ્ય આવરણ જેવા 'હેલીઓસ્ફીઅર'ની બહારથી આવી રહ્યા છે. ધીમે ગતી કરનારાં કણોમાં પણ હેલીઓસ્ફીઅરમાં કેદ થયેલ કોસ્મીક રે છે. જે સૂર્યમાળાનાં વિવિધ અવરોધ, ચુંબકીય ક્ષેત્ર અને ગુરુત્વાકર્ષણનાં કારણે પોતાની ઝડપ ઘટાડી ચૂક્યાં છે. ફાસ્ટ અને સ્લો મુંવીંગ બંને પ્રકારના કણોમાં મુખ્યત્વે 'પ્રોટોન'નો સમાવેશ થઈ રહ્યો છે. વૈજ્ઞાનિકો માને છે કે વોયેજર-૧, સૂર્યમાળાનાં છેલ્લા ક્ષેત્ર જેને 'મેગ્નેટીક હાઈવે' કહે છે ત્યાં પહોંચ્યું છે. આ ક્ષેત્રમાં સૂર્યમાળાની બહારનાં કણો ખૂબ જ ઝડપે અંદર આવી રહ્યાં છે. જ્યારે સૂર્યમાળાનાં હેલીઓસ્ફીઅરનાં કણો ધીમે ધીમે સૂર્યમાળા બહાર છાટકી રહ્યાં છે.
માર્ચ ૨૦૧૩માં બિલવેબર નામનાં એસ્ટ્રોનોમીનાં પ્રોફેસરે કહ્યું કે, અમારું નવું મોડયુલ વોયેજર-૧નો ડેટા વાંચી બતાવી રહ્યું છે કે હવે સૂર્યમાળામાં રહેલ કોસ્મીક રેની તીવ્રતા એકદમ ઘટી રહી છે જ્યારે સૂર્યમાળાની બહારથી આવતી કોસ્મીક રેની તીવ્રતામાં અચાનક ઉછાળ આવેલ જોવા મળેલ છે. ચુંબકીયક્ષેત્રમાં નજીવો ફેરફાર નોંધાયો છે.
સૂર્યમાળાની બાહ્ય દિશામાં ચાર્જ પાર્ટીકલ્સ અને મેગ્નેટીક ફિલ્ડનો એક મોટો ફુગ્ગો રચાયેલો છે જેને હેલીઓસ્ફીઅર કહે છે. નાસાનાં ડિરેક્ટર દ્વારા ચુંબકીય ક્ષેત્રમાં કોઈ મોટો ફેરફાર કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ફેરફાર થયેલ જોવા મળેલ નથી. જેનો સીધો સાદો અર્થ એ થાય કે 'વોયેજર-૧ હજી સૂર્યમાળાની આખરી સીમા રેખાની બહાર નિકળી ગયું નથી. સૂર્યમાળામાં ચુંબકીય ક્ષેત્રની દીશા પૂર્વ-પશ્ચિમ તરફની છે. જેવું આ ઓરીએન્ટેશન બદલાઈને ઉત્તર-દક્ષિણ બતાવા માંડે તો માની લેવાનું કે 'વોયેજર સૂર્યની અસરથી સંપૂર્ણ મુક્ત થઈને, ઈન્ટરસ્ટીલર સ્પેસમાં પહોંચી ગયું છે. વૈજ્ઞાનિકો આંકડાકીય રીતે જાણી શકતાં નથી કે...'હેલીઓસ્ફીઅર'નો વ્યાપ કેટલો ફેલાયેલો છે. સૂર્યમાળામાં પૃથ્વીનાં ભૌગોલીક ફેરફારો જેવી કોઈ રચના નથી કે જમીન અને મહાસાગરને અલગ પાડતી સીમારેખ દોરીએ છીએ, તેવી સીમારેખા દોરી શકાય. આ કારણે જ વોયેજર-૧ ખરેખર ક્યારે સૂર્યમાળાની બહાર નિકળી જશે, તેની કોઈ ચોક્કસ તારીખ કે સમય આપી શકાતો નથી.

આ લેખ લખાઈ રહ્યો છે ત્યારે, વોયેજર-૧ પૃથ્વીથી ૧૨૩.૫૨૫૫ એસ્ટ્રોનોમીકલ યુનીટ (૧૮,૪૭૯,૧૫૨,૨૯૫ કિ.મી.) દૂર પહોંચી ગયું છે. વોયેજર-૨ પૃથ્વીથી ૧૦૧.૧૭૯૮૭૮ એસ્ટ્રોનીમીકલ યુનીટ (૧૫,૧૩૬,૨૯૪,૪૨૩ કિ.મી.) દૂર સુધી જઈ શક્યું છે. પૃથ્વી પરથી મોકલેલ સંદેશો વોયેજરથી પાછો ફરે તેમાં ૩૪ કલાક લાગે છે. વોયેજર-૧ દ્વારા મોકલેલ ડેટા પૃથ્વી પર ઝલાય છે ત્યાં સુધી ૧૭ કલાક વિતી ચૂક્યાં હોય છે. વોયેજર-૧ને લગતો લેખ ડો. વેબર અને ડો. મેક્કોનાલ્ડે ધ અમેરિકન જીઓ-ફીજીકલ યુનીયનનાં મુખપત્રમાં લખ્યો હતો જેમાં બાહ્યાવકાશનાં કોસ્મીક રેમાં વધારો બમણો થયેલ અને સૂર્યમાળાનાં આંતરિક કોસ્મીક રેની તિવ્રતામાં ૯૦% ઘટાડો થયેલ નોંધ્યો હતો. આ પરીણામો ગયા વર્ષનાં ૨૫ ઓગસ્ટનાં હતા. ડો. મેક્ડોનાલ્ડે કોસ્મીક રેમાં જે ફેરફાર જોયો હતો. તેનાં છ દીવસ બાદ તેમનું અવસાન થયું હતું. સૂર્યમાળાથી દૂર અને ઈન્ટરસ્ટીલર સ્પેસ વચ્ચેનાં વિસ્તારને તેમણે 'હેલીયોકલીફ' તરીકે ઓળખાવ્યો હતો. વોયેજર-૧નો આ વર્લ્ડ રેકોર્ડ છે. માનવસર્જીત સ્પેસક્રાફટ હજી સુધી સૂર્યથી આટલે દૂર ગયું નથી. આ પહેલાં પાયોનિઅર-૧ અને પાયોનિઅર-૨ સૂર્યથી દૂર ગયા છે, પરંતુ વોયેજરની સાથે તેની સરખામણી કરી શકાય નહીં.
જ્યારે વોયેજર પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો ત્યારે જીમી કાટર્રે કહ્યું હતું કે 'આપણી આ દૂરની દુનિયા માટે નાની ભેટ છે. આપણો ધ્વની, આપણું વિજ્ઞાન, આપણા દૃશ્યો, આપણું સંગીત, આપણાં વિચારો અને આપણી લાગણીઓ (અન્ય ગ્રહ ઉપર સજીવો હોય તો તેમનાં માટે એક શુભ સંદેશો છે. અમે અમારાં સમયમાં ટકી જવા માંગીએ છીએ. જેથી અમે તમારાં યુગમાં પણ જીવી શકીએ.' અમેરિકન પ્રમુખનો આ આશાવાદ સાવ નિષ્ફળ ગયો નથી. હજી ઘણા વૈજ્ઞાનિકો માને છે કે સૂર્યમાળા બહાર આપણા કરતાં વધારે એડવાન્સ સજીવ સૃષ્ટિ હશે. શક્ય છે કે સૂર્યમાળા બહાર, ઈન્ટરસ્ટીલર સ્પેસમાં અન્યત્ર એડવાન્સ્ડ સીવીલાઈઝેશન હોય તો, તેમના માટે પૃથ્વીવાસીઓએ ગોલ્ડન રેકોર્ડ ઉપર સંદેશો ચીતરીને મુક્યો. ઉપરાંત ગોલ્ડન ડિસ્કમાં વિવિધ ડેટા પણ રેકોર્ડ કરેલો છે.


નાસાનાં વોયેજર સીરીઝનાં સ્પેસક્રાફટનો સાચો મકસદ ગુરુ, શની, યુરેનસ અને નેપ્ચ્યુન જેવાં દુરનાં ગ્રહોનો સર્વે કરવાનો હતો. તેમણે પોતાનું આ કામ ૧૯૮૯ સુધીમાં પૂરુ કરી નાખ્યું હતું. હવે બંને વોયેજર યાન એકબીજાથી અલગ દિશામાં એકબીજાથી દૂર જઈ રહ્યા છે. બંનેની દીશા એકબીજાથી સંદતર વિરુદ્ધ રહ્યાં છે. વોયેજર-૧નાં કેટલાંક ઈન્સ્ટ્રુમેન્ટ જેવાં કે લો ચાર્જડ પાર્ટીકલ ઈન્સ્ટ્રુમેન્ટ હજી ચાલું છે. તે સૂર્યનાં સોલાર વિન્ડ એટલે કે સૌર પવનોનો વેગ માપતું રહે છે. સૌર પવનો એ સૂર્યમાંથી નિકળેલ વિજભારીત કણોનો સમુહ છે. જે સુપર સોનીક સ્પીડથી બાહ્યાવકાશ તરફ ગતી કરતાં હોય છે.
૧૪ ફેબુ્રઆરી ૧૯૯૦નો દિવસ વોયેજર-૧ માટે ઐતિહાસીક દિવસ હતો. આ દિવસે વોયેજરે સમગ્ર સૂર્યમાળાનાં બધા જ ગ્રહ અને સૂર્ય દેખાય તેવો ફેમીલી ફોટોગ્રાફ લીધો હતો. જ્યાંથી પૃથ્વી ઝાંખા વાદળી રંગના ટપકા જેવી દેખાતી હતી. કાર્લ સગાને 'પાલ બ્લ્યુ ડોટ' નામે સુંદર વિજ્ઞાન પુસ્તક પણ લખ્યુ છે. ૧૭ નવેમ્બર ૧૯૯૮નાં રોજ વોયેજર-૧એ પાયોનિયર-૧૦ નામનાં સ્પેસક્રાફટને ઓવરટેક કરીને નવો રેકોર્ડ કર્યો હતો. વોયેજર-૧એ હવે પૃથ્વી-સૂર્યથી સૌથી દૂર પહોંચવાનું, માનવસર્જિત યાન હોવાનું બહુમાન મેળવ્યું હતું. હાલમાં વોયેજર કરતાં વધારે ઝડપી સ્પેસક્રાફટ ન્યુ હોરાઈજન અંતરિક્ષમાં ગયું છે. પરંતુ તે ક્યારેય વોયેજરને ઓવરટેક કરી શકશે નહીં. અત્યારે જ્યાં વોયેજર પહોંચ્યું છે ત્યાં તેની ઝડપ પ્રતિ સેંકન્ડે ૧૭ કિ.મી. જેટલી છે. આ સ્થાને વોયેજર પહોંચશે ત્યારે તેની ઝડપ માત્ર ૧૩ કિ.મી. પ્રતિ સેકન્ડ જેટલી હશે. સારાંશ એજ કે 'પૃથ્વીવાસી સર્જિત સ્પેસ યાનનો સૂર્યમાળાથી સૌથી દૂર જવાનો રેકોર્ડ વોયેજર-૧નાં નામે કાયમ રહેવાનો છે.'
ફેબુ્રઆરી ૨૦૦૩માં વોયેજર સૂર્યનાં 'ટર્મીનેશન શોક' નામનાં વિસ્તારમાં પ્રવેશ્યું હતું. ટર્મીનેશન શોક એવો વિસ્તાર છે, જ્યાં સૌર પવનોની ઝડપ સુપર સોનીક કરતાં સબસોનીક થઈ જાય છે. અવાજ કરતાં ઓછી ઝડપને સબસોનીક સ્પીડ કહે છે. માર્ચ ૨૦૦૩માં વોયેજર પૃથ્વીથી માત્ર ૧૧૫.૨૫૧ એસ્ટ્રોનોમીકલ યુનીટ દૂર હતું. એક એસ્ટ્રોનોમીકલ યુનીટ એટલે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર. જે લગભગ ૧૪.૯૫ કિ.મી. જેટલું થાય. આ અંતરને પ્રકાશવર્ષ તરીકે ગણતરીમાં લઈએ તો, ખૂબ જ નાનું માપ એટલે કે ૦.૦૦૨ પ્રકાશવર્ષ થાય. સૂર્યનો પ્રકાશ એક સેંકન્ડમાં લગભગ ત્રણ લાખ કિ.મી. અંતર કાપે છે. આ ઝડપે એક વર્ષમાં સૂર્ય પ્રકાશ જે અંતર કાપે તેને એક પ્રકાશ વર્ષ કહેવાય. સૂર્યથી સૌથી નજીકનો તારો પ્રોક્સીમા સેન્ટોરી સૂર્યથી ૪.૨૦ પ્રકાશવર્ષ દૂર છે. જે ૨૬૫૦૦ AU જેટલું થાય. નાસાની ગણતરી મુજબ નવેમ્બર ૧૯, ૨૦૧૪નાં રોજ વોયેજર સૂર્યથી ૧૩૩.૧૫ AU દૂર હશે. અત્યારે વોયેજર જે દીક્ષામાં જઈ રહ્યું છે. તે માર્ગમાં નજીકનાં ભવિષ્યમાં કોઈ સ્ટાર એટલે કે તારો આવવાનો નથી. જો વોયેજર હેમખેમ રહી પોતાની મુસાફરી ચાલું જ રાખશે તો, ૪૦ હજાર વર્ષ બાદ cametopargalis તારા મંડળમાં આવેલ તારા ક્રમાંક  AC+793888 ની નજીકથી પસાર થશે. જોકે આ 'નજદીકીયા' પણ ૧.૬૦ પ્રકાશ વર્ષ જેટલી દૂર હશે.
૩૧ માર્ચ ૨૦૦૬નાં રોજ જર્મનીનાં રેડિયો શોખીનોએ ૨૦ મીટરની ડીશ વાપરીને વોયેજર-૧નાં સિગ્નલ ઝડપ્યા હતાં. ૫ સપ્ટેમ્બર ૨૦૦૭માં વોયેજરે ૩૦ વર્ષ પુરા કર્યા ત્યારે, વોયેજર-૧ સૂર્યથી ૧૨.૫૦ અબજ કિ.મી. દૂર હતું. વોયેજર સીરીઝનાં બંને યાન આપણી મંદાકીની 'દૂધ ગંગા' મિલ્કીવે તરફ જઈ રહ્યાં છે. વોયેજર મિશનનાં મેનેજરની ધારણાં છે કે વોયેજરમાં રહેલ નાભીકીય ઊર્જા પેદા કરવામાં વપરાતું રેડિયો એક્ટીવ ફ્યુઅલ યાનને વીજળી પુરું પાડતું રહેશે. જો કોઈ અકસ્માત નડશે નહીં તો, વોયેજર-૧ની સિસ્ટમ ૨૦૨૦ સુધી ટ્વેન્ટી ટ્વેન્ટી માફક વર્કીંગ કન્ડીશનમાં ચાલું રહેશે. હાલમાં વોયેજર જ્યાંથી પસાર થઈ રહ્યું છે કે ભવિષ્યમાં પસાર થવાનું છે. ત્યાં માર્ગમાં કોઈ ગ્રહ કે તારાં આવવાનાં નથી. જેના વિશે તે માહિતી મોકલી શકે. હાલમાં આ પાન સૂર્યમાળાની સીમારેખા જયા શરૃ થાય છે તે 'હેલીયોપોઝ' અને હેલીઓસ્ફીઅરની માહિતી આપી રહ્યુ છે.
વૈજ્ઞાનિક સંશોધનની વાત કરીએ તો, વોયેજર-૧નાં જોડીયા ભાઈ જેવું વોયેજર-૨ વધારે નસીબદાર ગણાય. ૧૯૭૯માં તેણે ગુરુ, ૧૯૮૦માં શની, ૧૯૮૬માં યુરેનસ અને ૧૯૮૯  નેપ્ચ્યુનની મુલાકાત લઈ પુષ્કળ માહિતી મોકલી હતી. વોયેજર-૨ દ્વારા યુરેનસનાં ન ઓળખાયેલાં ૧૦ ચંદ્રની શોધ કરી હતી. યુરેનસ કદની દૃષ્ટિએ સૂર્યમાળાનો ત્રીજા નંબરનો વિશાળ ગ્રહ છે. વોયેજરે શની ગ્રહની માફક યુરેનસ ગ્રહનો પણ રેડિયેશન બેલ્ટ શોધી કાઢ્યો હતો.
અત્યારે વોયેજર-૨ પૃથ્વીથી ૧૫.૧૪ અબજ કી.મી. દૂર છે. તેણે સેડેના નામનાં લઘુગ્રહની સીમા વટાવી નાખી. ડવાર્ફ પ્લેનેટ 'એરીસ'ની ભ્રમણકક્ષા પણ વટાવી ચૂક્યું છે. ડવાર્ફ પ્લેનેટ 'એરીસ'ની શોધ ૨૦૦૫માં માઈક બ્રાઉન, ચેડ ટ્રજીલો અને ડેવીડ રોબીનોવિટ્ઝે કરી હતી. આ ટીમે શોધેલા પ્લુટો કરતાં મોટા ગ્રહના કારણે, આંતરરાષ્ટ્રીય સંગઠને પ્લુટોને પણ લઘુગ્રહની વ્યાખ્યામાં સમાવી લઈને સૂર્યમાળાનાં ગ્રહોની સંખ્યામાંથી આઠ કરી નાખી હતી. પાછા મૂળ વાત ઉપર આવીએ તો...
વોયેજર-૨ સૌ પ્રથમ અંતરીક્ષમાં ગયું હતું. ત્યારબાદ વોયેજર-૧નો નંબર આવ્યો હતો. આમ છતાં, વોયેજર-૨ કરતાં વોયેજર-૧ અત્યારે વધારે આગળ પહોંચી ગયું છે. વોયેજર-૧ કરતાં વોયેજર-૨ની ઝડપ ઓછી છે. યાન પોતાની ધરી ઉપર એક વર્ષમાં છ વાર ગોળ ફરે છે. બંને યાનનાં ગાયરો ઓપરેશન બરાબર ચાલી રહ્યાં છે. યાન પોતાની ધરી ઉપર ફરે છે. તેનાં કારણે સ્પેસક્રાફટ જે વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે ત્યાંના ચુંબકીય ક્ષેત્રની માહિતી એક્ઠી કરીને મોકલે છે. મેગ્નેટો મીટરે મેળવેલાં ડેટાની સરખામણી કરતાં ચુંબકીય ક્ષેત્રની દિક્ષા અને તિવ્રતા નક્કી થઈ શકે છે. વોયેજર-૨, ૨૦૧પ ને વોયેજર-૧નું ગાયરો ઓપરેશન ૨૦૧૬માં બંધ કરવામાં આવશે.
બંને યાન પાસે પુરતો વિજપ્રવાહ ઉપલબ્ધ છે. ૨૦૨૫ સુધી બંને યાનનાં કાર્યરત ઉપકરણો વીજળી પુરવઠો મેળવતા રહેશે. ૨૦૨૫ પછી ઉપલબ્ધ વીજ ઊર્જી પર્યાપ્ત ન હોવાનાં કારણે તેવાં વીજાણું સાધનો કામ કરતાં અન ે પૃથ્વી તરફ ડેટા મોકલતાં અટકી જશે તેવો વૈજ્ઞાાનિકોનો અંદાજ છે. ૨૦૨૫ પછી કોઈ વૈજ્ઞાાનિક ચમત્કાર થાય તો કાંઈ જ કહી શકાય નહીં. હાલનાં તબક્કે બંને યાન ૨૦૨૫ સુધી પૃથ્વીવાસીઓનાં સંપર્કમાં રહી શકશે ત્યારબાદ પૃથ્વી સાથેનો સંપર્ક કપાઈ જતાં તેમનું ભવિષ્ય શું છે? તે આપણે જાણી શકીશું નહીં.
માની લો કે હજારો વર્ષની મુસાફરી કર્યા બાદ, વોયેજર યાન કોઈ આપણા કરતાં વધારે બુદ્ધિશાળી પ્રજા ધરાવતાં ગ્રહ પર જઈ શકશે તો, પૃથ્વીવાસીનાં વિઝીટીંગ કાર્ડ જેવી 'ગોલ્ડન રેકોર્ડ' વૈજ્ઞાનિકોએ બંને યાનમાં મૂકી છે. થોડા સમય પહેલાં Gliese 445 ગ્રહ શોધી કાઢ્યો હતો, જે પૃથ્વી જેવો સજીવ સૃષ્ટિ માટે વસવાટ યોગ્ય માનવામાં આવે છે. આ ગ્રહ પાસેથી વોયેજર-૧ ૧.૬ પ્રકાશવર્ષ દૂરથી પસાર થશે. જો કોઈ પરગ્રહવાસીને આપણી ગોલ્ડન રેકોર્ડ મળશે તો, તેના ઉપર સૂર્યમાળા અને પૃથ્વીનું સરનામું ચિત્રલીપીથી મુક્યું છે તે ઉપરથી આપણો સંપર્ક કરી શકે પરંતુ તે સમયે પૃથ્વી પર હજારો મનુષ્ય પેઢીઓ પસાર થઈ ચૂકી હશે. અસંખ્ય પ્રકાશવર્ષ દૂરથી આપણા સુધી સંદેશો આવે, અને ભવિષ્યની પેઢી તે ઉકેલે તે પછી શું થઈ શકશે? એક સાયન્સ ફિક્શન જેવી કલ્પના કથા વિચારવી પડે !
Publication 09.06.2013

Thursday 6 June 2013

એન્જેલિના જોલી : સુંદર સ્તનો જ્યારે સમસ્યા બનેછે.

અનેક મેગેજીનોએ જેને ''વર્લ્ડઝ બ્યુટીફુલ વુમન'', ''વર્લ્ડઝ સેક્સીએસ્ટ વુમન'' તરીકે વખાણી હોય તેવી સૌંદર્ય સામ્રાજ્ઞાી, અચાનક જાહેર કરે કે ''સ્તન કેન્સરના ડરના કારણે તેણે પોતાનાં બંને સ્તનોને દૂર કરાવી નાખ્યા છે ત્યારે તેનાં ચાહકો ઉપર કેવી વિજળી ત્રાટકી હશે ?!!

'ઓસ્કાર વિનર એકટ્રેસનાં જીનેટીક મેકઅપનો વિલન 'BRCA-1 જનીન'

 
૧૯ મે ૨૦૦૩ નાં રોજ હોલીવુડની વર્લ્ડ ફેમસ હિરોઇન, ધ ન્યુયોર્ક ટાઇમ્સમાં ''માય મેડિકલ ચોઇસ'' નામનો પત્ર પ્રકાશીત કરે છે અને રાતોરાત તેનાં ચાહકોમાં આશ્ચર્યજનક સોપો પડી જાય છે. કાયમ સનસનીખેજ સમાચાર છાપનારાં ''ધ સન'' ટેબ્લોઇડ મીઠી મૂંઝવણમાં મુકાઈ ગયું હશે. હંમેશા જે ગ્લેમરને પેજ-૩ પર ચમકાવ્યું હોય તેને પેજ-૧૧ની સીરીયસ ન્યુઝ આઇટમ કઈ રીતે બનાવવી. પીપલ, એફએચએમ, એક્સવાયર, જેવા અનેક મેગેજીનોએ જેને ''વર્લ્ડઝ બ્યુટીફુલ વુમન'', ''વર્લ્ડઝ સેક્સીએસ્ટ વુમન'' તરીકે વખાણી હોય તેવી સૌંદર્ય સામ્રાજ્ઞી, અચાનક જાહેર કરે કે ''સ્તન કેન્સરના ડરના કારણે તેણે પોતાનાં બંને સ્તનોને ''ડબલ માસ્ટેકટોમી'' જેવી સર્જીકલ પ્રોસીજર વડે દૂર કરાવી નાખ્યા છે ત્યારે તેનાં ચાહકો ઉપર કેવી વિજળી ત્રાટકી હશે ?!! આખરે એન્જેલીના જોલીએ પોતાનાં સ્તન દૂર કરાવ્યાની જાહેરાત ન્યૂયોર્ક ટાઇમ્સમાં કરવાની શું જરૃર પડી ?''
સામાન્ય રીતે હોલીવૂડ સેલીબ્રીટી તેમને થયેલ રોગ અને સારવારને પબ્લીક નજરથી બચાવીને રાખે છે. ખણખોદણીમાં પત્રકારો અને પાપારાઝી ફોટોગ્રાફરો તેમનો પીછો કરીને, ખાનગી વાતો છાપતા હોય છે. ''ધ સન'' જેવા ટેબ્લોઇડ સેલીબ્રીટીઝની ખાનગી વાતો અને તસ્વીરો છાપવા માટે મોટી રકમ ચૂકવે છે. એટલું જ નહીં હંમેશા આવા ન્યૂઝ માટે તલપાપડ રહે છે. એન્જેલીના જોલીએ જો ચાહ્યું હોત તો 'પીપલ' કે 'સન'ને પોતાની સ્ટોરી વેચીને રોકડી કરી લીધી હોત. પોતાની આ કમાણી ત્યારબાદ જોલી-પીટ ફાઉન્ડેશનને ડોનેશનમાં આપી દીધી હોત. આખરે આવું વિચારવાનું કારણ ભૂતકાળમાં એન્જેલીના જોલીએ પોતાનાં સંતાનનો જન્મ થતાં જ તેની તસ્વીર કોઈ પાપારાઝી ચોરીછૂપીથી ખેંચી, ખાસ્સા નાણાં કમાય તે પહેલાં પોતાના પ્રથમ સંતાનની તસ્વીર મીડીયાને વેચવાનો નિર્ણય લીધો હતો. ૨૦૦૬માં તેમણે પુત્ર ''સિલોહ''ની તસ્વીર ''ગેટ્ટી ઇમેજ''ને વેચી હતી. ''પિપલ'' દ્વારા નોર્થ અમેરીકન રાઈટ માટે ચાર કરોડ ડોલર ચુકવ્યા હતા. ''હેલો'' એ બ્રિટીશ રાઈટ્સ માટે સાડા ત્રણ કરોડ ડોલર ચુકવ્યા હતાં. એન્જેલીનાએ તસ્વીરનો નફો આફ્રીકન બાળકો માટે ડોનેશનમાં આપી દીધો. એન્જેલીના બીજીવાર ગર્ભવતી બની અને જોડીયા બાળકોને જન્મ આપ્યો ત્યારે પણ આવું બન્યું. પુત્ર લિઓન અને પુત્રી વિવિએન માર્સેલીનની તસ્વીરો ફરીવાર ''પિપલ'' અને ''હેલો''ને વેચવામાં આવી. અને એક તસ્વીરને અધધ...ધ કિંમતે વેચવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો. ૧૪ કરોડ ડોલર ચૂકવીને લેવાયેલી આ સૌથી મોંઘી ''સેલીબ્રીટી'' તસ્વીર હતી.


એન્જેલીનાની બ્રેસ્ટ કેન્સરની સ્ટોરી પણ કરોડોમાં વેચી શકાઈ હોત. પણ આવ્યુ બન્યું નહીં તેનાં બે કારણ છે. એક સમાચાર સુખદ નહીં, ઝોરકા ઝટકા ધીરે સે લગે તેવાં દુઃખદ હતાં. બીજું: આંતરરાષ્ટ્રીય લેવલે એન્જેલીનાની તસ્વીર હવે એક મસીહા તરીકે ઉભરેલી છે. યુદ્ધ દરમિયાન થતાં સ્ત્રીઓ ઉપરનાં અત્યાચાર અને, યુદ્ધનાં કારણે નિશ્ચિત બનેલ ''રેફયુજીઓની'' હાલત સુધારવા એન્જેલીનાએ આંતરરાષ્ટ્રીય ધોરણે અનેક પ્રયાસ કર્યા છે. યુનાઈટેડ નેશન્સે તેને 'ગુડવીલ એમ્બેસેડર' તરીકે નિમણૂંક કરી છે. ન્યૂયોર્ક ટાઇમ્સમાં તેણે બ્રેસ્ટ કેન્સરની શક્યતામાંથી ઉગરી જવાં, પોતાનાં બંને સ્તનો કાઢી નંખાવ્યા હતાં તે સ્ટોરી પ્રકાશીત થતાં, લોકો તેને વધારે માનની નજરે જોવા લાગ્યા છે. (બાય ધ વે એન્જેલીના એ રિકન્ટ્રક્ટીવ સર્જરી દ્વારાં, કુદરતી દેખાય તેવાં સ્તનો પ્લાસ્ટીક સર્જરીથી ઉભારી નાખ્યા છે. એન્જેલીનાનાં ચાહકોને કદાચ આ સમાચારથી થોડી રાહત થાય.) હવે એમ ન પૂછતા કે ફયુચર સાયન્સમાં એન્જેલીનાનાં ફયુચરની વાત ક્યાંથી આવી.' કમિંગ ટુ ધ પોઇન્ટ. એન્જેલીનાએ જાહેર કર્યું છે કે ''ઓપરેશન પછી તે પોતાની જાતને ''શારીરિક રીતે'' એક સ્ત્રીથી ઓછી ગણતી નથી.'' આંતરરાષ્ટ્રીય ધોરણે સ્ત્રીઓને થતાં બ્રેસ્ટ કેન્સરનાં રોગો માટે આપણે ''ગુલાબી રીબન'' ખીસ્સા પાસે લગાડીને સહાનુભૂતી બતાવીએ તેનાં કરતાં, એન્જેલીના જોલીએ પોતાની વાત કોઈ ખણખોદીયો પત્રકાર કે પાપારાઝી પ્રકાશીત કરે તે પહેલાં પ્રકાશીત કરી નાખી છે. સ્તન કેન્સર પ્રત્યે જાગ્રતી લાવવાનું અને સ્ત્રીઓનું શરીર માત્ર સેક્સનું રમકડું નથી. તેને લાગણીભીનો સથવારો પણ જોઈએ છે એ વાતનું સુંદર ઉદાહરણ એન્જેલીનાએ પૂરૃં પાડયું છે. આ પહેલાં સમાચાર નથી કે કોઈ સેલીબ્રીટીને સ્તનનું કેન્સર થયું હોય. સમાચારની ગંભીરતા એ છે કે ''એન્જેલીના જોલીએ પોતાને સ્તન કેન્સર થાય તે પહેલાં જ પોતાનાં કુદરતી સ્તનો સર્જરીથી કઢાવી નાખ્યાં છે. આવનારાં સમયમાં તે પોતાની બંને 'ઓવરી' એટલે કે અંડાશય પણ કઢાવી નાખવાની છે. હોલીવુડ જેવાં સૌંદર્ય પુજનારાં શહેરમાં, વર્લ્ડઝ મોસ્ટ બ્યુટીફુલ વુમને, પોતાનાં ફિગર અને ફોરચ્યુન વચ્ચેથી 'નિપલ ડીલે' અને ડબલ માસ્ટેકટોમી ઉપર પસંદગી શા માટે ઉતારી ?''
એન્જેલીના જોલીનાં માતૃપક્ષનાં 'નાનીમાં' ૪૫ વર્ષની ઉંમરે ''અંડાશય'' ઓવરીયન કેન્સરનાં કારણે મૃત્યુ પામ્યા હતાં. એન્જેલીના જોલીની માતા, માર્સેલીન બર્ટાન્ડ, ૫૬ વર્ષની ઉંમરે ૨૦૦૭માં અવસાન પામ્યા હતાં. ટૂંકમાં એન્જેલીનાનો ફેમિલી હીસ્ટ્રી બતાવે છે કે તેમનાં કુટુંબની છેલ્લી બે મૃત પેઢી, સ્તન અને અંડાશયનાં કેન્સરનાં કારણે મૃત્યુ પામી હતી. જીનેટીક્સની ભાષામાં વાત કરીએ તો, માતૃ તરફી વારસાગત લક્ષણોને કારણે એન્જેલીનાં જોલીને પણ સ્તન કેન્સર અથવા અંડાશયનું કેન્સર થવાની શક્યતાઓ નકારી ન શકાય ! એન્જેલીનાની આ 'ફયુચર પોસીબીલીટી'ને સાયન્સે જીનેટીક ટેસ્ટ વડે ચકાસવાનું નક્કી કર્યું અને...પરિણામ?


એન્જેલીનાની જાહેરાતે, જીનેટીક ટેસ્ટીંગને સ્પોટ લાઇટમાં લાવી દીધું છે. પ્રખ્યાત 'ટાઇમ' મેગેજીન તેને કવર સ્ટોરી ઉપર ''ધ એન્જેલીના ઇફેક્ટ'' કહે છે. હવે બ્રેસ્ટ કેન્સર અને ઓવરીઅન કેન્સરનો ફેમિલી હીસ્ટ્રી ધરાવનારી સ્ત્રીઓ, જાગરૃક બની જીનેટીક ટેસ્ટીંગ કરાવશે. એન્જેલીના જોલીનાં જીનેટીક ટેસ્ટમાં પરીણામ એ આવ્યું કે ''જોલીનાં જેનોમમાં બ્રેસ્ટ અને ઓવરી કેન્સર પેદા કરનાર બ્રેસ્ટ કેન્સર ટાઇપ વન પ્રોટીન પેદા કરનારાં "BRCA1" નુકસાનકારી વિકૃત જનીનની હાજરી હતી.'' આ મ્યુટેશન પામેલ જનીન તેને માતૃ પક્ષ તરફથી મળ્યાં હતાં. એન્જેલીનાની સ્ટોરીએ BRCA-1 જીન્સને પણ સ્પોટ લાઇટમાં લાવી દીધાં છે. આ એક કુદરતી વિટંબણા છે કે BRCA જનીન સામાન્ય રીતે, કેન્સર સામે રક્ષણ આપે છે. કેન્સર પેદા કરનારાં તથા અન્ય જનીનોને રીપેરીંગ કરવાનું કામ કરે છે. આ જનીનમાં વિકૃતિ કે પરીવર્તન (મ્યુટેશન) આવે છે ત્યારે BRCA1 અને BRCA-2 નામનાં જનીનો ખુદ કેન્સર પેદા કરવા માટે કારણભૂત બની જાય છે. બ્રેસ્ટ કેન્સર અને ઓવરી કેન્સરનાં જન્મદાતા  BRCA-1 જનીનોની સાયન્ટીફીક કુંડળી ચકાસીએ તે પહેલાં થોડો ઐતિહાસિક દ્રષ્ટિપાત....
સ્તનનાં આકારમાં જોવા મળતાં ફેરફારોનાં કારણે પ્રાચીન સાહીત્યમાં પણ સ્તનનાં કેન્સરનો ઉલ્લેખ જોવા મળે છે. ઈ.સ. પૂર્વે ૧૬૦૦નાં ઈજીપ્તનાં લખાણોમાં સ્તન કેન્સરનું વર્ણન નોંધાએલું છે. ઈ.સ. ૫૪૮માં એટીયોસ ઓફ એમીડાએ સંપૂર્ણ સ્તન દૂર કરવાનું ઓપરેશન ''માસ્ટેકટોમી'' કર્યાનાં રેકોર્ડ છે. ફ્રેન્ચ સર્જન જીન લુઇસ પેટીટ અને સ્કોટીશ સર્જન બેન્જામીન બેલે સ્તન પાસે રહેલ લીમ્ફોટીક ગાંઠ, સ્તનની કોષીકાઓ અને સ્નાયુઓ દૂર કરવાનું આધુનિક ઓપરેશન કર્યું હતું. વિશ્વમાં સ્ત્રીઓને થતાં બધા પ્રકારનાં કેન્સરમાંથી સ્તનનાં કેન્સરનો હિસ્સો ૩૦ ટકા જેટલો મોટો છે. એક અંદાજ પ્રમાણે દર વર્ષે લગભગ પાંચ લાખ સ્ત્રીઓ કેન્સરનાં કારણે મૃત્યુ પામે છે. પશ્ચિમનાં દેશોમાં સ્તનનું કેન્સર થવાનાં કેસો સૌથી વધારે હોય છે. જેની સરખામણીમાં ભારત જેવાં અને એશીયાનાં અન્ય દેશોમાં (પશ્ચિમની સરખામણીમાં) સ્તન કેન્સરનાં કેસ ઓછાં છે. એન્જેલીના જોલીનાં દેશ અમેરીકામાં દર વર્ષે ૨,૩૨,૦૦૦ જેટલાં કેસ સ્તન કેન્સરનાં નોંધાય છે. જેમાંથી દર વર્ષે ૪૦,૦૦૦ સ્ત્રીઓ મૃત્યુ પામે છે. સ્તન કેન્સરની શરૃઆત થયા પછી દર્દી લગભગ પાંચ વર્ષ જેટલો સમય કેન્સર સામે ઝઝૂમતો રહે છે. સ્તનનું કેન્સર માત્ર સ્ત્રીઓને જ થાય છે એવું નથી. પુરુષોમાં પણ સ્તન કેન્સર જોવા મળે છે. પરંતુ આવા કેસ જવલ્લે જ જોવા મળે છે.
રોગ થતા પહેલાં જ તેની આગાહી કરવાની અને રોગની સારવાર કરવાની વાતો પહેલાં માત્ર સાયન્સ ફિકશનમાં જ આવતી હતી. એન્જેલીના જોલીએ પોતાને સ્તન કેન્સર થવાનાં ચાન્સ ૮૭ ટકા જેટલાં અને ઓવરીઅન કેન્સર થવાનાં ચાન્સ ૫૪ ટકા જેટલાં છે, એ વાત જીનેટીક ટેસ્ટીંગ અને વૈજ્ઞાનિક સંશોધન ઉપરથી જાણી હતી. સામાન્ય રીતે કુટુંબમાં જે સ્ત્રીને બ્રેસ્ટ કે ઓવરીનું કેન્સર થયું હોય તેની ઉંમર કરતાં દસ વર્ષ પહેલાં તેની આવનારી પેઢીને આ પ્રકારનું કેન્સર થવાનાં ચાન્સ રહે છે. આ હિસાબે એન્જેલીના જોલીએ યોગ્ય સમયે જીનેટીક ટેસ્ટ કરાવીને, યોગ્ય સમયે 'પ્રિવેન્ટીવ ટ્રીટમેન્ટ' રોગ અટકાવનારી સારવાર લઈને બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ માત્ર ૫ ટકાએ લાવી દીધું છે. સવાલ એ છે કે ''માત્ર જીનેટીક ટેસ્ટ''નાં આધારે રોગ થયા પહેલાં જ તેની પ્રિવેન્ટીવ ટ્રીટમેન્ટ લેવી કેટલી હિતાવહ છે ?
હકીકત એ છે કે વ્યક્તિનો વિકાસ માત્ર જનીનોના પ્રભાવથી જ થતો નથી. એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ પણ એક ફેકટર તરીકે કામ કરે છે. માનવ શરીરમાં મ્યુટેશનવાળા જનીન ક્યારે અને કેવી પર્યાવરણની અસર નીચે 'ઓન' થશે એ સમજવાનું વૈજ્ઞાનિકોએ પણ બાકી છે. કોઈ એક રોગ પેદા કરવા માટે જનીનો વચ્ચે થતી આંતરક્રીયા અને જૈવિક પ્રક્રીયા ખરેખર જટીલ છે. આ માહોલમાં એન્જેલીના જોલીનાં જીનેટીક ટેસ્ટમાં જે જનીન BRCA1 ને વિલન ચીતરવામાં આવ્યો છે તેનો આછો પાતળો પ્રોફાઇલ જોઇએ તો.....
માનવીનાં જેનોમમાં BRCA1 ક્રોમોસોમ-૧૭ (રંગસૂત્ર ૧૭)નાં લાંબા બાહુ ઉપર રીજીઅન (ક્ષેત્ર) ૨ અને બેન્ડ (પટ્ટી)૧ની બેઝ પેર 41196312 થી શરૃ થાય છે અને 41277500 વચ્ચે પૂરૃ થાય છે. સામાન્ય સ્વસ્થ માનવીમાં BRCA-1 જનીન સ્તનોની કોષીકાઓ અને અન્ય કોષોમાં DNA ને નુકસાન પહોંચે છે ત્યારે તેની જાણ BRCA-1 ને થાય છે અને તે DNA ને થયેલ નુકસાનનું ત્વરિત સમારકામ કરી નાખે છે. પરંતુ જ્યારે BRCA-1 માં નુકસાન થાય અને જનીનમાં ફેરફાર/વિકૃતિ એટલે કે મ્યુટેશન પેદા થાય ત્યારે, BRCA-1 ડેમેજ/નુકસાન પામેલ DNA ને રિપેર કરી શકતું નથી. જેના કારણે કેન્સરનું જોખમ વધી જાય છે. BRCA પ્રકારનું કોઈ જનીન હોય છે. તેનો પ્રથમ પુરાવો યુસી બર્કેલેની કિગ્સ લેબોરેટરીએ ૧૯૯૦માં આપ્યો હતો. સતત ચાર વર્ષ સુધી આ જનીનને શોધી અલગ તારવવાની કોશીશ વૈજ્ઞાનિકો કરતાં રહ્યા હતાં. ૧૯૯૪માં યુનિ.ઓફ યુટાહ, નેશનલ ઈન્સ્ટીટયૂટ ઓફ એન્યાપરમેટલ હેલ્થ સાયન્સ અને મિરીયાડ જીનેટીક્સે, BRCA-1 જનીનની કલોન કોપી મેળવવામાં સફળતા મેળવી હતી. મિરિયડ જીનેટીક્સ પાસે  BRCA-1 ને લગતી પેટન્ટ છે. આ કારણે BRCA-1 ને લગતો જીનેટીકો ટેસ્ટ કરાવવો મોંઘો પડે છે. BRCA-1 નાં મ્યુટેશન પામેલ જનીન માટે ટેસ્ટ કરાવવાનો ખર્ચ ૩૦૦૦ થી ૪૦૦૦ અમેરિકન ડોલર આવે છે.
જ્યોર્જ યઉન લોમ્બાર્ડી કેન્સર સેન્ટરનાં વૈજ્ઞાનિકોને એક નવી વાત જાણવા મળી છે. ગર્ભાવસ્થા દરમિયાન સગર્ભા સ્ત્રીનાં શરીરમાં ઇસ્ટ્રોજેન હોમોન્સનું લેવલ એક મર્યાદા કરતાં વધી જાય છે ત્યારે તેની અસર જો સ્ત્રીનાં પેટમાં માદાનો ગર્ભ હોય તો તેને થાય છે. મિથાઇલેશન પ્રક્રીયા વડે તદુરસ્ત BRCA-1 માં મોલેક્યુલર લેવલ વિકૃતિ પેદા થાય છે જે જન્મ લેનાર બાળકીને ભવિષ્યમાં સ્તન કેન્સર થવા માટે જવાબદાર બને છે. અહીં ખાસ યાદ રાખવા જેવી બાબત એ છે કે....
પ્રો. ગિલ્બર્ટ વેલ્ચ કહે છે કે, ''એન્જેલીના જોલીની સ્ટોરી વાંચી સ્તન કેન્સર પીડિત સ્ત્રી પોતાની જાતમાં એન્જેલીના જોવા માંડી છે. આ સ્ટોરીને કારણે સ્તન કેન્સરની દર્દીઓને ખોટો મેસેજ પહોંચે છે.'' કારણ ? "BRCA-1 નું મ્યુરેશન બહુ દુર્લભ 'રેર' ચીજ છે. ૯૯% કેસમાં આ પ્રકારનું મ્યુરેશન જોવા મળતું નથી. એક આંકડાકીય માહીતીમાં જણાવાય છે કે દર વર્ષે પાંચ લાખ જેટલી સ્ત્રીઓ સ્તન કેન્સરનાં કારણે મૃત્યુ પામે છે. સાચી હકીકત એ છે કે તેમાંથી ૯૦ ટકા સ્ત્રીઓને BRCA-1 મ્યુટેશન સાથે કોઈ લેવા દેવા હોતી નથી. તેમનાં કેન્સરનું કારણ અલગ હોય છે. ફેમીલી હિસ્ટ્રી સિવાય  BRCA-1 નું મ્યુરેશન મળી આવે તો, સંભવીત કેન્સરની સ્ત્રી દર્દીએ, કેન્સરથી બચવા માટે પ્રિવેન્ટીવ માસ્ટેકટોમી (સ્તન કઢાવી નાંખવાની) સર્જરી કરાવવી જરૃરી હોતી નથી. ખેર....એન્જેલીના જોલીનાં ફેમિલીમાં તેની માતા અને નાનીમાં કેન્સરમાં અવસાન પામ્યા હોવાથી, એન્જેલીના જોલી એ જે નિર્ણય લીધો હતો એ વ્યાજબી અને ઉચીત હતો. આ નિર્ણય પછી એન્જેલીના જોલીનાં ડૉક્ટરોએ તેનાં ઉપર સર્જરી કરવાનું નક્કી કર્યું હતું.



૨ ફેબુ્રઆરી ૨૦૧૩નાં રોજ એન્જેલીના ઉપર ''નિપલ ડિલે'' નામની સર્જરી કરવામાં આવી હતી. આ પ્રક્રીયામાં સ્તનની ડિંટડીઓ નીચેથી કોષીકાઓ કાઢી, પહેલાં તપાસવામાં આવે છે કે ત્યાં કેન્સરની અસર નથી ને ! જો ત્યાંનાં કોષો તંદુરસ્ત હોય તો સ્તનની ડિટડીઓને બચાવી લેવા તેને સ્તનકોષો સિવાય અન્ય રક્તવાહીનીઓ દ્વારા લોહી પહોંચાડવામાં આવે છે. ટૂંકમાં સ્ત્રીનાં સ્તનનાં બધા કોષો કાઢી નાખવામાં આવે છે પરંતુ નિપલ એટલે કે ડીંટડીઓ બચાવી લેવામાં આવે છે. નિપલ ડિલે બાદ બે દિવસે જાણવા મળ્યું કે એન્જેલીના જોલીનાં સ્તનની ડિંટડીઓ 'નોર્મલ' છે., હવે ૧૬ ફ્રેબુઆરીએ મુખ્ય સર્જરી ડબલ માસ્ટેકટોમી કરવામાં આવી, જે આઠ કલાક ચાલી હતી. ત્યારબાદ પ્લાસ્ટીક સર્જન ડૉ. જય ઓરીન્જરે બ્રેસ્ટ રિકન્સ્ટ્રકશન એટલે કે સ્તન પુનઃનિર્માણની પ્રથમ તબક્કાની સર્જરી કરી હતી. સામાન્ય રીતે પેટ ઉપરથી ચામડી, જાંઘ અથવા સ્ત્રીના પાછળના ભાગમાંથી ચામડી લઈ તેને સ્તનનાં આકારમાં ગોઠવવામાં આવે છે. એપ્રીલ ૨૭નાં રોજ સ્તન પુનઃનિર્માણ માટેનું અંતિમ ઓપરેશન કરવામાં આવ્યું જેને બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ પણ કહે છે. જેમાં મોટા ભાગે સિન્થેટીક સીલીકોન મટીરીઅલ ભરીને સ્તનને સુંદર આકાર આપવામાં આવે છે. બીજા પ્રકારનાં ઇમ્પ્લાંટમાં દર્દીનાં શરીરની ચામડી વાપરીને કુદરતી દેખાય તેવાં સ્તનોનું નિર્માણ કરવામાં આવે છે. એન્જેલીનાં જોલીએ બ્રેસ્ટ ઇમ્પ્લાંન્ટ માટે પોતાના શરીરમાં કુદરતી કોષો વાપર્યાં છે, જે બીજો વિકલ્પ હતો. જ્યારે તમારી પાસે ભરાવદાર શરીર હોય, અને તમારો દેખાવ તમારી આવક ''ગ્લેમર''નું મુખ્ય હથિયાર હોય તેવાં સંજોગોમાં સ્તનોને દૂર કરાવવા ૩૬ ની છાતી (સ્તન નહીં) જોઈએ.

Monday 27 May 2013

બિજીંગ જેનોમિક્સ ઈન્સ્ટીટયુટ:અમેરિકન સરહદમાં ચીનની ઘુસણખોરી???

થોડા સમય પહેલાં ચીને ભારતની સીમારેખામાં ધુસણખોરી કરી હતી. ઉચ્ચસ્તરીય મંત્રણાઓ બાદ બંને દેશોએ સરહદ પર ગોઠવેલા સૈનિકોને પાછા પોતાનાં સ્થાને બોલાવી લીધા હતાં. બે દેશની સરહદે પેદા થયેલ ગરમાવો આમ ઓછો થયો હતો. ભૌગોલીક સરહદો પરની ધુસણખોરી નરી આંખે દેખી શકાય છે. પરંતુ, સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે તેનો વિકાસ, વિજ્ઞાન જગત બહાર કોઈ જાણતું નથી. 'મેડ ઈન ચાઈના' નામની ચીજ વસ્તુઓને આપણી હલકી ગુણવત્તાવાળી અને સસ્તી ગણીએ છીએ. ચીનની વૈજ્ઞાનિક સંસ્થાઓની 'મેડ ઈન ચાઈના' થિયરી સો ટચનું સોનું સાબીત થાય તેમ છે. ચીને એક રાષ્ટ્રીય પોલીસી હેઠળ, ચીન બહાર વસતું તેનું બૌદ્ધિક ધન ચીન પાછું બોલાવી રહ્યું છે.
ચીનનાં પાટનગર બીજીંગની નામાંકીત હાઈસ્કુલમાંથી ઘણીવાર વિદ્યાર્થી અભ્યાસ છોડી દે છે. અભ્યાસ છોડવાનાં અનેક કારણો હોય છે. ૧૭ વર્ષના ઝાઓ બોવેને પણ પોતાનો હાઈસ્કુલ અભ્યાસ છોડીને, દક્ષિણમાં આવેલ શેનઝેન તરફ પ્રયાણ કર્યું હતું. શેનઝેન ચીનની મોટી ફેક્ટરીઓની રાજધાની ગણાય છે. શેનઝેન તરફ યુવાનો ભાગે છે તેનો એક માત્ર મકસદ હોય છે 'નોકરી'. મોટા ભાગનાં યુવાનો ફેક્ટરીની એસેમ્બલી લાઈનમાં ગોઠવાઈ જાય છે. ઝાઓ બોવેનનું નસીબ અલગ દિશામાં દોડી રહ્યું હતું. ભૂતકાળમાં ઝાઓ હાઈસ્કૂલમાં 'વિજ્ઞાન' વિષયમાં જન્મજાત 'જીનીયસનેસ' લઈને પેદા થયો હતો. એ વાત તે સાબીત કરી ચુક્યો હતો.
શેનઝેન પહોંચતાં જ ઝાઓ બોવેન, વિશ્વનાં DNA ડેટાબેઝના વિશાળ પ્રોડશન સેન્ટરમાં પહોંચી જાય છે. ૨૧ વર્ષનો ઝાઓ બોવેન હવે ૨૦૦૦ લોકોનો જીનેટીક મેકઅપ ઉકેલવાનું કામ કરી રહ્યો છે. થોડા વર્ષો પહેલાં જ્યાં જુતાંની ફેક્ટરી હતી. તેનું રિફીટીંગ થઈ વિશ્વનું નામાંકીત ઈન્સ્ટીટયુટ આકાર લઈ ચૂક્યું છે. આ ઈન્સ્ટીટયૂટ BGI શેનઝેનનું હેડ ક્વાર્ટર છે. બીજીઆઈ એટલે 'બીજીંગ જેનોમીક્સ ઈન્સ્ટીટયુટ.'
વિશ્વનાં વૈજ્ઞાનિકોએ આંતરરાષ્ટ્રીય સહયોગમાં મનુષ્યનો જેનોમ ઉકેલવા 'હ્યુમન જેનોમ પ્રોજેક્ટ' શરૃ કર્યો હતો. આ પ્રોજેક્ટમાં ચીને પણ પોતાનો સહયોગ આપ્યો હતો. હ્યુમન જેનોમ પ્રોજેક્ટમાં કામ કરવા માટે ચીને ઘર આંગણે બીજીંગ જેનોમીક્સ ઈન્સ્ટીટયુટની સ્થાપના કરી હતી, જેને લોકલ ગવર્નમેન્ટ નાણાં પુરાં પાડતી હતી. હ્યુમન જેનોમ પ્રોજેક્ટ પુરો થતાં જ બીજીંગ જેનોમીક્સ ઈન્સ્ટીટયુટ હેંગઝોયું પ્રાંતમાં ખસેડવામાં આવ્યું. ૨૦૦૭માં બીજીંગ જેનોમીક્સ ઈન્સ્ટીટયુટ  (BGI) શેનઝેનમાં નવા હેડક્વાર્ટર તરીકે ઉભું થયું છે. સરકારી નાણાની જગ્યાએ હવે પ્રાઈવેટ નાગરિકો દ્વારા નફો નહીં રળવાની નેમ સાથે જીવવિજ્ઞાન ક્ષેત્રનું મોટું સંશોધન કેન્દ્ર ઉભું થયું છે. ૨૦૦૮થી BGI શેનઝેનને સરકારી એજન્સી તરીકે ઓળખાવી રહ્યું છે.
૨૦૦૩માં બીજીઆઈની શેનઝેન શાખા અને ઝેજીંઆંગ યુનિવર્સિટીએ ભેગા મળીને એક નવું સંશોધન કેન્દ્ર શરૃ કર્યું, જે જેમ્સ ડી વોટસન ઈન્સ્ટીટયુટ ઓફ જેનોમ સાયન્સ તરીકે ઓળખાય છે. જેનું મોડેલ 'કોલ્ડ સ્પ્રીન્ગ હાર્બર લેબોરેટરી' ઉપરથી વિકસાવવામાં આવ્યું છે. ઈન્સ્ટીટયુટમાં ચાર હજાર વૈજ્ઞાનિકો અને ટેકનિશીઅનો કામ કરી રહ્યાં છે. ઈન્સ્ટીટયુટનો દાવો છે કે 'વિશ્વની ટોપ ૨૦ ગ્લોબલ ફાર્માસ્યુટીક્લ કંપનીમાંથી પંદર સાથે સંશોધન અને વ્યાપારી ધોરણે કોલાબ્રેશન સ્થાપ્યું છે. ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સની લેબોરેટરી, બાયો ઈન્ફરમેટીક્સ સેન્ટર તરીકે કામ કરે છે જે બીજીઆઈની જ એક શાખા છે.'
બીજીઆઈને ૨૦૧૦માં ચીનની 'ચીન ડેવલપમેન્ટ બેંક' દ્વારા ૧.૫૮ અબજ ડોલર જેટલી જંગી રકમ પુરી પાડી હતી. જેના પ્રતાપે અમેરિકાનાં બોસ્ટનમાં બીજીઆઈએ અમેરિકાની મુખ્ય ઓફિસ ખોલી છે. બીજીઆઈ યુરોપની મુખ્ય શાખા કોપેનહેગનમાં ખોલવામાં આવી છે. BGIએ ૫ લાખ ડોલરની કિમતનાં એવા ૧૨૮ આધુનિક ડિએનએ સિક્વન્સીંગ મશીનો ખરીદ્યા છે. અત્યારે ઈન્સ્ટીટયુટ પાસે ૧૫૬ જેટલાં સિક્વન્સીંગ મશીનો છે. દુનિયાનાં ડેટા બેઝનો ૧૦થી ૨૦ ટકા હિસ્સો ચીનની 'બીજીઆઈ' ઉકેલી રહી છે. ઈન્સ્ટીટયુટમાં આંતરીક અહેવાલ પ્રમાણે તેણે ૫૦ હજાર જેટલાં માનવીનો જેનોમ ઉકેલ્યો છે. જેનોમ એટલે મનુષ્યનાં શરીરમાં રહેલાં બધા જ જનીનો ડેટાબેઝ. વિશ્વકક્ષાએ મોટો ડેટાબેઝ ઉકેલતી બીજીઆઈનાં કારણે ચીન આજે વિશ્વનાં નકશા ઉપર અલગ ઉભરી આવ્યું છે. મનુષ્યનાં કેટલાંક જનીનોની વિગતવાર માહિતીનાં આધારે કંપનીઓ પોતાની દવાઓ વિકસાવી રહી છે.
ઈન્સ્ટીટયુટ દ્વારા વિશાળ કદનાં જેનોમ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યા છે. સાથે સાથે વ્યાપારી ધોરણે બીઝનેશ મોડેલને અનુરૃપ યોગ્ય જાતીના લોકોનો સંપૂર્ણ જેનોમ પણ ઉકેલી આપે છે. ૩૨ વર્ષનો ઝાંગ યોંગ નામનો સીનીયર રિસર્ચર કહે છે કે આવનારાં એક દાયકામાં માનવીનો જેનોમ માત્ર ૨૦૦થી ૩૦૦ ડોલરમાં ઉકેલી શકાશે. 'બાયો-ગુગલ દ્વારા DNA ડેટાબેઝ બધાને ઈન્ટરનેટ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.' બીજીઆઈની ભૂતકાળની વિકાસ અને વિક્રમગાથાની શરૃઆત કરીએ તો...
૨૦૦૨માં ચીને ચોખાનો જેનોમ ઉકેલ્યો હતો. જે 'સાયન્સ' મેગેજીનની કવર સ્ટોરી બન્યો હતો. ૨૦૦૩માં 'સાર્સ' વાયરસનો વૈશ્વીક પ્રકોપ ફેલાયો ત્યારે, ફટાફટ 'સાર્સ' વાયરસનો જેનોમ ઉકેલી નાખ્યો અને મનુષ્યનાં શરીરમાં 'સાર્સ'નો ચેપ લાગ્યો છે કે નહીં તે ચકાસવાની 'ડિરેક્શન ટુલકીટ' તાબડતોબ  ધોરણે વિકસાવી હતી. આ પછી પ્રથમ એશિયન માનવીનો જેનોમ પણ ઈન્સ્ટીટયુટે ઉકેલ્યો હતો. સિલ્ક ઉદ્યોગ માટે જે સિલ્ક વોર્મ ઉછેરે છે તેની ૪૦ પાલતુ અને જંગલી જાતોનો જેનોમ પણ ઉકેલ્યો છે. માનવીનાં જેનોમ જેટલો જ વિશાળ જેનોમ ધરાવતાં ચીનનાં વિશાળ પંડાનો જેનોમ માત્ર ૮ મહીનામાં ઉકેલી બતાવ્યો હતો. અત્યાર સુધી બીજીઆઈ ચોખા, કાકડી, સોયાબીન અને શોરગમ જેવી વનસ્પતિનો જેનોમ ઉકેલ્યો છે. મધમાખી, જળમાખી, ગરોળી વગેરેનો જેનોમ પણ ઉકેલ્યો છે. ૨૦૧૦માં 'નેચર' મેગેજીન દ્વારા બીજીઆઈને ચીનની ટોપ ૧૦ ઈન્સ્ટીટયુટમાં ચોથા સ્થાને મુક્યું હતું. આ રેન્કીંગ 'નેચર' મેગેજીનમાં પ્રકાશીત થયેલ સંશોધન પેપરનાં આંક ઉપરથી નક્કી કરવામાં આવ્યો હતો.
બીજીઆઈએ ચીની પ્રજાનાં પ્રાચીન વંશજોનાં ડિએનએ ધરાવતાં, ૧૦૦૦ અલગ અલગ વંશનાં ચીની નાગરીકોનો જેનોમ ઉકેલવાનો યાન-હુઆંગ પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે. ચીની પ્રજા વચ્ચે થયેલ જીનેટીક પોલી મોર્ફીઝમનો હાઈ-રિઝોલ્યુશન મેપ આ માહિતી પરથી તૈયાર કરવામાં આવશે. ચીનનાં અજનબી અબજોપતીએ એક કરોડ ડોલરનું દાન આપેલ છે. ડેનમાર્કનાં નવ જેટલાં સંશોધન કેન્દ્રોએ બીજીઆઈ સાથે મળીને, ડાયાબીટીસ અને કેન્સરને લગતી માહિતી મેળવવા દર્દીઓનો જેનોમ ઉકેલવા સહયોગ કર્યો છે.
બીજીઆઈની બાગડોર હાલમાં ડો. યાંગ હ્યુઆનમીંગ (જે ડોક્ટર હેનરી યાંગ નામે વિશ્વ પ્રસિદ્ધ છે.) જીનેટીક્સનાં વૈજ્ઞાનિક છે. હ્યુમન જેનોમ પ્રોજેક્ટમાં ચીનનું નેતૃત્વ ડો. યાંગે કર્યું હતું. ચીન દ્વારા જે ચાઈનીઝ હ્યુમન જેનોમ પ્રોજેક્ટ અમલમાં મુકેલ છે તેનાં તે સેક્રેટરી જનરલ છે. ડેનમાર્કનાં કોપેનહેગેનમાંથી તેમણે ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે. તેમનું મુખ્ય સંશોધન હ્યુમન જીન્સનાં મેપીંગ અને ક્લોનીંગને લગતું છે. ચોખાનો જેનોમ ઉકેલી તેમણે ૨૦૦૨નાં ૫ એપ્રિલનાં 'સાયન્સ' મેગેજીનનાં કવર પેજ પર જેનોમને ચમકાવ્યો હતો. ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સનાં સભ્ય છે. ચીનની ફિલ્ડ ઓફ લાઈફ સાયન્સનાં 'હાઈટેક' પ્રોગ્રામની એક્સપર્ટ કમીટીનાં સભ્ય છે. ૧૯૯૯માં બિજીંગ જેનોમીક્સનાં પ્રમુખ વાંગ જીઆન સાથે મળીને 'બીજીઆઈ'ની સ્થાપના કરી હતી.
કંપનીનાં પ્રમુખ વાંગ જીઆને એવરેસ્ટ ચઢાણ જેવું ભગીરથ કામ પણ કર્યું છે. ટિબેટમાં વસતાં લોકો ખૂબ જ ઉંચાઈ ઉપર કઈ રીતે ટકી શકે છે તે માટે જવાબદાર જનીનની પણ શોધ કરી છે. અને ૨૦૧૦માં તેમણે ખરેખર એવરેસ્ટ શીખર પર પવર્તારોહણ કરી, એવરેસ્ટ શીખર સર કર્યું છે. બીજીંગ જેનોમીક્સ ઈન્સ્ટીટયુટ બહારનાં લોકોને કંપનીનું લોજીક સમજાતું નથી. ડેપ્યુટી ડાયરેક્ટર ઝુ ઝુન ૧૦૦૦ જેટલાં બાયો-ઈન્ફરમેટીક્સ ગ્રુપનું સંચાલન કરી રહ્યાં છે. ૨૦૧૦માં 'નેચર'નાં તંત્રીલેખમાં જણાવાયું હતું કે શું ખરેખર પીએચડી અભ્યાસની જરૃર છે ખરી? બાય ધ વે, ઝુ પોતાનો પીએચડી અભ્યાસ છોડીને, 'બીજીઆઈ'માં જોડાઈ ગયા હતા. કંપનીનાં લોકો તેને 'લીવર' જેવાં માનવાચક નામે બોલાવે છે. જે શાખાનાં અભ્યાસ દરમ્યાન ખૂબ જ અધીર અને જીજ્ઞાસુ હતાં અને રિઅલ વર્લ્ડનાં અનુભવોમાં અતિ આતુર. ઝુની ઓફિસની દિવાલ ઉપર માઈકોસોફટનાં બિલ ગેટે લખેલ પત્ર છે જેમાં 'ગેટ ફાઉન્ડેશન' બીજીઆઈ સાથે એઝીકલ્ચરલ જેનોમીક્સ માટે ભાગીદારી દર્શાવે છે.
બીજીઆઈનાં યાંગ જીઆન કહે છે કે અમને વિજ્ઞાનનું આકર્ષણ છે. મારો ડાબો હાથ બિઝનેશ કરીને નાણા બટોરે છે તો જમણો હાથ બેઝીક રિસર્ચ કરીને નામના અને પ્રગતી મેળવે છે. તાજેતરની હોનઝોનની બાયો-ટેકનોલોજીની કોન્ફરન્સમાં 'સ્વાગત' પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેની પ્રથમ સ્લાઈડ ઉપર લખ્યું હતું કે 'વર્લ્ડ કલાસ સાયન્સ વર્લ્ડ કલાસ બિઝનેસ.'
તારીફોનાં તોરણો બાધ્યા પછી ચીનનાં બીજીંગ જેનોમીક્સ ઈન્સ્ટીટયુટનાં દિમાગ અને પ્રયોગશાળામાં શું ચાલી રહ્યું છે તેનો ગ્રાફ મેળવીએ તો જેમ ચીન અન્ય કંપનીનાં ઉત્પાદનોને રિવર્સ એન્જીયરીંગનાં કમાન્ડ વડે ઓરીજીનલ કરતાં વધારે આકર્ષક ડુપ્લીકેટ ઉત્પાદનો પેદા કરે છે બસ... આ રીતે અન્ય લોકોનાં વિચારબીજ ઉપર પણ તે અમલ કરે છે. મિશીગન સ્ટેટ યુનિવર્સિટીનાં ઉપ-પ્રમુખ સ્ટીવ સું એ વિચાર્યું હતું કે મનુષ્યની બુદ્ધિ શક્તિ અને તેજસ્વીતા પાછળ ક્યું જનીન કામ કરે છે તે શોધી કાઢવું જોઈએ. ઝાઓ બોવેનનાં માર્ગદર્શન હેઠળ બીજીઆઈ ૨૦૦૦ જેટલાં અમેરિકનોનો જેનોમ ચકાસશે. આ અમેરિકનોનો આઈક્યુ ૧૬૦ કરતાં વધારે હશે.
લંડનની કિગ્સ કોલેજનાં સાયકોલોજીસ્ટ રોબર્ટ પ્લોમીન અનેક લોકોનાં બ્લડ સેમ્પલ એકઠા કરી રહ્યાં છે. જેમાંથી ડિએનએ મેળવીને, બીજીઆઈ અતિ બુદ્ધિશાળી અને સામાન્ય માનવીનાં જનીનોમાં રહેલ તફાવત શોધશે. આ કામ થોડું જોખમી ખરું! અને થોડું વિવાદાસ્પદ પણ ખરું! એવું બને કે અતિશય મેઘાવી માનવીનું મગજ સર્જવા પાછળ હજારો જનીનો પણ કામ કરતાં હોય. જેની પાછળ દોઢથી બે કરોડ ડોલરનો ખર્ચ આવે તેવો પ્રોજેક્ટ બીજીઆઈ સંશોધન અર્થે 'મફત'માં કરી રહી છે. ઓટીઝમથી પીડાતા બાળકોનાં દસ હજાર કુટુંબોનો ફેમીલી હિસ્ટ્રી તપાસી તેમની ડિએનએ સિકવન્સ પણ તૈયાર કરવામાં આવશે. ડેનમાર્કમાં બીજીઆઈની શાખા ૩૦૦૦ પાતળા માનવી અને ૩૦૦૦ સ્થુળકાય (મેદસ્વી) લોકોનો જેનોમ ઉકેલી કુદરતનો કરિશ્મા શોધવાની કોશિશ કરી રહ્યું છે.
માત્ર સંશોધન ક્ષેત્રે જ નહીં, મેડીકલ જગત માટે બીજીઆઈ સુવિધા પુરી પાડશે. ફિલાડેલ્ફીયાની વિશ્વપ્રસિદ્ધ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ડિએનએ એનાલીસીસ સેન્ટર ખોલશે. શેનઝેનનાં બાયો ઈન્ફરમેટિક્સનાં નિષ્ણાતો હંગામી વિઝા મેળવી ત્યાં, પાંચ સિકવન્સીંગ મશીન બેસાડવા જઈ રહ્યાં છે. માતાપિતાનાં યુવાન સંતાનો જેમને વણઓળખાયેલાં રોગ થઈ રહ્યાં છે તેમનો જેનોમ પણ બીજીઆઈ ઉકલશે. બીજીઆઈ મેડિકલ વર્લ્ડ માટે નવાં પ્રકારના જીનેટિક ટેસ્ટમાં આવિષ્કાર કરી રહી છે. જેમાં ચાઈનીઝ વૈજ્ઞાાનિકોને વધારે શીખવા અને વધારે જાણવા મળશે. ચીનમાં પણ બીજીઆઈ જીનેટીક ટેસ્ટીંગ સેન્ટરો ચલાવે છે. પરંતુ અમેરિકામાં આવા સેન્ટરો ઉપર કડક નિયંત્રણો છે.
અમેરિકામાં બિઝનેસ વધારવાની પણ ચીનની આંતરીક મનીષા છે. કેલિફોર્નિયાની ફડચામાં જઈ રહેલ કંપનીને બીજીંગ જેનોમીક્સ ઈન્સ્ટીટયુટે ખરીદવા ભાવ ભર્યા છે. કંપ્લીટ જેનોમીક્સ ઓફ માઉન્ટેન વ્યુ ખરીદવા બાર કરોડ ડોલર જેવી મોટી રકમ ચુકવવા તૈયાર છે. મનુષ્યનાં જેનોમને ઉકેલવા માટે આ કંપની ખૂબ જ જટીલ ટેકનોલોજી વાપરી રહી છે. ૨૦૧૨માં કંમ્પ્લીટ જેનોમિક્સે, વિશ્વમાં ઉકેલાયેલા કુલ ડિએનએ ડેટાનો ૧૦ ટકા હિસ્સો ઉકેલ્યો હતો પરંતુ, તે ધંધામાં ખોટ કરી રહી છે.
બીજીઆઈએ કંમ્પ્લીટ જેનોમીક્સ માટે જે ભાવ ઓફર કર્યા છે તેનાથી અમેરિકન કંપનીઓનાં પેટમાં તેલ રેડાયું છે. અમેરિકન કંપનીઓ જેનોમીક્સનાં ટ્રેડ સિક્રેટ 'ચીન'નાં હાથમાં જવા દેવા માંગતી નથી. કંમ્પ્લીટ જેનોમિક્સને ડિએનએ સિકવન્સીંગ મશીન પુરા પાડનાર અમેરિકન કંપની 'લ્યુમિના' કંપની સાથેનાં કરારનો ભંગ કરીને તેને મશીનો આપવા માંગતી નથી. તેણે વોશિંગ્ટન સરકારને અપીલ કરી છે કે ચીનની બીજીઆઈ દ્વારા કંમ્પ્લીટ જેનોમીક્સનું ટેક ઓવર રોકવું જોઈએ. લ્યુમિનાનાં સીઈઓ જય ફલેટલી કહે છે કે 'કોકોકોલા'ની ફોર્મ્યુલા ચીનને વેચવા જેવી આ બાબત છે. અત્યાર સુધી ચીન અમેરિકાની મશીનરી ઉપર આધાર રાખતું હતું. અમેરિકાની સરહદોમાં ધુસીને ચીન ત્યાર બાદ, પોતાની નેકસ્ટ જનરેશન ટેકનોલોજી અમેરિકન ઈજનેરોની મદદથી જ વિકસાવી લેશે. અમેરિકન ડીએનએ ડેટાબેઝ ચાઈનીઝ સર્વરોમાંથી 'ટેરાબાઈટ'નાં પોટલાઓમાં પસાર થતો જશે.
અમેરિકન સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને આગળ ધરીને હાલ પુરતો, આ સોદો પેન્ડીંગ કરી દીધો છે. ભવિષ્યમાં શું થશે? ખબર નથી. બીજીંગ જેનોમીક્સ ઈન્સ્ટીટયુટ નહીં પરંતુ, બીજીંગ સરકાર પણ જાણે છે કે બીજીઆઈનાં રસ્તામાં રૃકાવટ તો અનેક આવવાની જ છે. બીજીઆઈનાં યાંગ કહે છે કે, કંપનીનું ધ્યેય સારું અને સાચું છે. અમેરિકામાં હજારો ભટકતાં માઈગ્રન્ટ કામદારો છે. તેમને એક પ્રકારનાં 'કોર મિશન'માં ધંધે લગાડતાં, વિજ્ઞાન સાથે સામાજીક સેવા પણ થઈ જશે. અમારો મકસદ કંઈક 'સારું' કરવાનો છે. અમેરિકા જાણે છે કે ચાઈનીઝ ડ્રેગનને સરહદો ઓળગીને અમેરિકાની ભૂમિ પર લાવવોનો પ્રયત્ન એટલે અમેરિકન સાયન્સ ઉપર 'મેડ ઈન ચાઈના'નો સીક્કો મારવો સાબીત થશે

Friday 24 May 2013

પિગ- ૨૬:કલોનિંગ ટેકનોલોજી વડે ''ડોલી''ઘેટું પેદા કરનાર રોઝલીન ઇન્સ્ટીટયુટનું નવું સાહસ.

રોઝલીન ઇન્સ્ટીટયૂટ ફરીવાર સમાચારોમાં ચમકી રહ્યું છે. આજથી ૧૬ વર્ષ પહેલા તેણે 'ડોલી' નામની ઘેટીનું ક્લોનીંગ કરીને વિશ્વવિખ્યાત બનાવી દીધી હતી. ન્યુક્લીયર ટ્રાન્સફર દ્વારા ડોલી નામની ઘેટીને ક્લોનીંગ કરી પેદા કરી હતી. ક્લોનીંગ દ્વારા ડોલી જેટલી પ્રખ્યાત બની ગઇ હતી તેની સાથે તેના સર્જક ઇઆન વિલ્મુટ, કેથ કેમ્વબેલ અને સાથીએ પણ વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. ડોલી જેટલી જાણીતી બની તેટલી, તેનાં ક્લોનીંગ માટે જવાબદાર રોઝલીન ઇન્સ્ટીટયુટ જાણીતી બની ન હતી. બીબીસી સમાચાર સંસ્થા અને સાયન્ટીફીક અમેરીકને 'ડોલીને' વિશ્વનું સૌથી જાણીતું ''ઘેટું'' જાહેર કર્યુ હતું. હવે રોઝલીન ઇન્સ્ટીટયૂટ એક નવા સંશોધનમાં ''ભુંડ''ને ખ્યાતી અપાવી રહ્યું છે. સારું છે, ભૂંડના બચ્ચાને કોઇ માનવીય નામ મળ્યુ નથી. રોઝલીન ઇન્સ્ટીટયુટે તેણે પેદા કરેલ ''જીનેટીકલી એડીટેડ ''ભૂંડ"ને નામને બદલે નંબર આપ્યો છે. અને તેની ઓળખ એટલે પિગ- ૨૬. પિગ- ૨૬ની ઓળખ પાકી કરતાં પહેલા રોસઝલીન ઇન્સ્ટીટયુટને ઓળખી લઇએ.
સ્કોટલેન્ડનાં મિડલોથીઅન ખાતે રોઝલીન ઇન્સ્ટીટયુટ આવેલુ છે. જ્યાં પ્રાણીઓ ઉપર વૈજ્ઞાનિક પ્રયોગો, નવા સંશોધનો અને અખતરાઓ થાય છે. ૧૯૯૬માં ૫ જુલાઇના રોજ ઇઆન વિલ્મુટ અને સાથીઓએ 'ડોલી' નામની તંદૂરસ્ત ઘેટીનો જન્મ કરાવ્યો હતો. આમ તો વિશ્વમાં અનેક ઘેટાઓ જન્મે છે અને ગુમનામીમાં જ ગુજરી જાય છે. 'ડોલી' અલગ નસીબ લઇને આવી હતી.તેનો જન્મ વૈજ્ઞાનિકોએ નર-માદાના સંવનન વગર કરાવ્યો હતો. ડોલી માત્ર 'માદા'ના કોષ માંથી પેદા કરવામાં આવી હતી. ડોલીની માની દુગ્ધવાહીની ગ્રંથીઓમાંથી એક 'સેલ' લેવામાં આવ્યો હતો, જેનાં નાભીકેન્દ્રને અલગ તારવવામાં આવ્યું હતું. અન્ય ઘેટીનાં અંડકોષમાંથી નાભીકેન્દ્ર દૂર કરીને ડોલીની 'મા'ના કોષમાંથી મેળવેલ નાભીકેન્દ્રને તેમાં ગોઠવવામાં આવ્યું હતું. જીનેટીક એન્જીનીયરીંગમાં તેને ન્યુકલીઅર ટ્રાન્સફર કહે છે. ત્યાર બાદ આ નવા સર્જેલ અંડકોષને પ્રયોગશાળામાં સક્રીય રીતે વિકસાવવામાં આવ્યો હતો. કોષ વિભાજનની પ્રક્રિયા એક નિશ્ચિત તબક્કે પહોચ્યા બાદ તેનું આરોપણ ઘેટીના ગર્ભમાં કરવામાં આવ્યું હતું. ગર્ભાવસ્થા પૂર્ણ થતા 'ડોલી' નામની ઘેટીનો જન્મ થયો હતો. વિજ્ઞાન ક્ષેત્રે 'ક્લોનીંગ' શબ્દ વપરાતો જ હતો. ડોલીના જન્મે 'ક્લોનીંગ' શબ્દને સામાન્ય માણસ સુધી પહોચાડી દીધો. સામાન્ય માણસ પણ હવે એક્ષ્પર્ટ માફક "ક્લોનિગ" શબ્દ વાપરવા લાગ્યા છે.
ક્લોનીંગ ટેકનીકની સફળતાથી અંજાઇ ગયેલા લોકોનું મગજ વધારે સક્રીય બની ગયું. હવે 'ક્લોનીંગ'નામે વિવાદ પણ શરૃ થયો. સામાન્ય માણસોની ભાષામાં 'ક્લોનીંગ'એ પ્રાણીની ઝેરોક્ષ કોપી જેવો સજીવ પેદા કરવાની એક વૈજ્ઞાનિક ટેકનીક હતી. નવા સજીવ પેદા કરવા હવે નર અને માદાનાં પ્રજનન કોષોનો મેળાપ આવશ્યક ન હતો. હવે એવી હવા પેદા કરવામાં આવી કે સ્ત્રી કે પુરૃષ પોતાના કોષમાંથી પોતાનું સંતાન પેદા કરી શકે છે. એક ગુજરાતી મેગેઝિનમાં ક્લોનિગનાં લેખમાં આલેખવામાં આવ્યું કે હવે : "સેંક્ડો સચિન, હજારો હિટ્લર અને લાખો લતા મંગેશકર પેદા થશે." ક્લોનિગ વિશે આ અતિશયોક્તિ ભરેલ આગાહી હતી. વૈજ્ઞાનિકો હવે મનુષ્યનું 'ક્લોનીંગ' કરશે એવો ડર માત્ર વૈજ્ઞાનિકોને જ નહી, વિશ્વના વિચારક સમુદાયને પણ લાગવા લાગ્યો હતો. વિશ્વના ઘણા દેશોએ મનુષ્ય ક્લોનીંગ ઉપર પ્રતિબંધ મૂકી દીધો. પ્રયોગશાળામાં આ ટેકનિક 'સ્ટેમ સેલ' મેળવવા માટે વાપરવામાં આવતી હતી તેના ઉપર પણ, કડક બંધનો લાદવામાં આવ્યા છે. આજે આપણે જાણીએ છીએ કે ''વૈજ્ઞાનિકોએ ઘેટા પછી ગોવાળીયાને પેદા કર્યો નથી.'' છતાં રોઝલીન ઇન્સ્ટીટયુટ એક ડગલું આગળ વધી...
રોઝલીન ઇન્સ્ટીટયુટે 'ડોલી' પછી 'પોલી'અને 'મોલી'નામની ઘેટીનું ક્લોનીંગ કરી બતાવ્યું. આ ક્લોનીંગની ખાસ વાત એ હતી કે ક્લોનીંગ વખતે ઘેટાનાં જેનામમાં મનુષ્યના સારાં જનીનો પણ ઉમેરવામાં આવ્યા હતા. ડોલી એ પુખ્ત પ્રાણી કોષમાંથી પેદા કરવામાં આવેલ વિશ્વની પ્રથમ ઘેટી હતી તો...પોલી અને મોલી મનુષ્યના જનીનો ધરાવતી વિશ્વની પ્રથમ ઘેટીઓ હતી, રોઝલીન ઇન્સ્ટીટયુટ જનીનોના બદલાવ કરી જે પ્રાણીઓ પેદા કરી રહી હતી. તેને વિજ્ઞાન જગત જીનેટીકલી મોડીફાઇડ ઓર્ગેનીઝમ GMO તરીકે ઓળખે છે. હવે જીનેટીકલી મોડીફાઇડ GM  સજીવોમાં બેકટેરીયા, વનસ્પતી, પ્રાણીઓ, માછલી વગેરેનો સમાવેશ થવા લાગ્યો છે. ' GM' શબ્દ વિવાદો સર્જે છે. ભારતમાં BT કપાસ અને રીંગનો વિવાદ પણ ભૂતકાળમાં વકર્યો હતો. વિવાદોને બાજુમાં રાખી વૈજ્ઞાનિકો તેમને યોગ્ય લાગે તેવા અખતરાઓ કરતા જ રહે છે. રોઝલીન ઇન્સ્ટીટયુટે ૨૦૦૭માં જીનેટીકલી મોડીફાઇડ ખાસ પ્રકારની મરઘીઓ પેદા કરી હતી. આ મરઘીઓ જે ઇંડા મુકતી હતી તેમાં કેન્સર સામે રક્ષણ આપે તેવી દવા બનાવવા માટે,ખાસ પ્રકારના પ્રોટીન રહેલા હતા. ઇંડામાં ખાસ પ્રકારના પ્રોટીન મેળવવા માટે મરઘીઓને ખાસ પ્રકારના જનીનો ઉમેરીને પેદા કરવામાં આવી હતી. રોઝલીન ઇન્સ્ટીટયુટ હવે પોતાના ભૂતકાળના ઇતિહાસને આગળ વધારીને નવું સોપાન સર કરી રહી છે. ભુંડ એટલે કે પિગના જનીનોને ખાસ પ્રકારની ટેકનીકથી એડીટ કરીને, રોઝલીન ઇન્સ્ટીટયુટનાં વૈજ્ઞાનિકોએ ''પિગ- ૨૬''પેદા કર્યુ છે. જેની ખાસીયત એ છે કે ભૂંડને લાગતા કેટલાક રોગો સામે તેમાં શરૃઆતથી જ રક્ષા કવચ પેદા થયું છે. કેટલાક જનીન ઉમેરતા, ભૂંડને લાગતાં કેટલાક રોગો સામે તેને રક્ષણ મળી ગયું છે.
પિગ- ૨૬નાં શરીરમાં જનીનોની જે હેરાફેરી કરવામાં આવી છે તે ટેકનીક ને જીન્સ એડીટીંગ કહે છે. પિગ- ૨૬ આવું જ એક જીનેટીકલી એડીટેડ પ્રાણી છે. જેનો જન્મ ઓગસ્ટ- ૨૦૧૨માં થયો હતો. પિગ- ૨૬ને પેદા કરવામાં વાપરવામાં આવેલ ટેકનિક ''ક્લોનીંગ''કરતાં પણ વધારે સરળ હોવાનો દાવો ઇન્સ્ટીટયુટના વૈજ્ઞાનિકોએ કર્યો છે. રોઝલીન ઇન્સ્ટીટયુટના સંશોધક પ્રો. વ્હાઇટ લોના શબ્દોમાં આ નવતર પ્રયોગોની માહીતી મેળવીએ તો...
જીનેટીકલી મોડીફાઇડ ટેકનોલોજી કરતાં જીન એડીટીંગ ટેકનિક ૧૦૦ ગણી વધારે પ્રભાવશાળી અને ચોક્કસ છે. આ પ્રકારના સજીવ મેળવવા માટે પ્રાણીના શરીરમાં એન્ટીબાયોટીક (રોગપ્રતિકારક) જનીનો ઉમેરવા પડતા નથી, જેનો લોકો વિવાદ અને વિરોધ કરે છે. ભૂંડની ૩ અબજ બેઝ પેરમાંથી, જ્યાં અમારે જરૃર હતી ત્યાંથી જનીન દૂર કરવામાં આવ્યું છે. અમે કોઇ પણ પ્રકારનો બાયોલોજીકલ માર્કર કે ટ્રેસ વાપર્યા વગર આવું (જીન એડિટીંગનું) કામ કરી શક્યા છીએ. પ્રકૃતિમાં આવું સામાન્ય રીતે બનતું રહે છે. જેતે 'મ્યુટેશન'( જનિનિક બદલાવ / ફેરફાર) થતો રહે છે. વૈજ્ઞાનિકોએ આ કામ જીન એડીટર દ્વારા કર્યુ છે. પિગ- ૨૬ પેદા કરવામાં એન્ટી બાયોટીક રેઝીસ્ટન્સ માર્કર વાપરવામાં આવ્યા નથી. વૈજ્ઞાનિકોનાં દાવા પ્રમાણે જનીનોનો બદલાવ કે એડિટીંગ કરવા 'ક્લોનીંગ' જેવી વિસ્તૃત પ્રક્રિયામાંથી પસાર થવું પડતું નથી. સામાન્ય કોષોના સ્થાને અહી ફલનીતીકરણ પામેલ ઇંડા '(ફર્ટીલાઇઝડ એગ') ઉપર જીન એડીંટીંગ પ્રક્રિયા વાપરવામાં આવી છે. સામાન્ય રીતે જીનેટીક એન્જીનીયરીંગમાં જે સ્ટાન્ડર્ડ મોડેલ દ્વારા જીનેટીકલી મોડીફાઇડ પ્રાણી પેદા કરવામાં આવે છે. તેની સફળતા અને કાર્યદક્ષતા માત્ર એક ટકા જેટલી જ છે. જીન એડીટીંગમાં કાર્યદક્ષતાને ૧૦થી ૧૫ % સુધી પહોચાડી શકાય છે. ડોલી નામની ઘેટી પેદા કરવા પહેલા વૈજ્ઞાનિકોને ક્લોનીંગ ટેકનીક વાપરવામાં ૨૭૭ વાર નિષ્ફળતા મળી હતી.
નવી ટેકનીક પ્રાણીના જેનોમ ઉપર કોઇ પ્રતિકુળ પ્રભાવ છોડતું નથી. ઉત્ક્રાંતિ દરમ્યાન લાખો/ હજારો વર્ષ પછી જે જીનેટીક મ્યુટેશન થાય છે, તેને જીન એડિટીંગ ટેકનિક વડે માત્ર ગણતરીની સેકંડોમાં પૂરું કરવામાં આવે છે. રોઝલીન ઇન્સ્ટીટયુટના જીનેટીકલી મોડીફાઇડ પીગ પ્રોગામ હેઠળ પિગ- ૨૬ પેદા કરવામાં આવ્યું છે. આ ભૂંડ આફ્રિકન સ્વાઇન ફીવર નામના વાયરસથી સંપૂર્ણ રક્ષિત કરવામાં આવ્યું છે. જો આ પ્રકારનાં વાયરસનો ચેપ ભૂંડને લાગે તો માત્ર ૨૪ કલાકનાં ગાળામાં ભૂંડનું મૃત્યુ થઇ જાય છે. અહી એક વાત સમજાતી નથી કે બ્રિટનમાં આ વાયરસનાં કારણે ભૂંડમાં મોટો રોગચાળો ફાટી નિકળ્યો હોય તેવી ઘટનાઓ ભૂતકાળમાં બની નથી. આફ્રિકા અને રશિયાના ભૂંડને આ વાયરસ વધારે રોગગ્રસ્ત બનાવે છે. બ્રિટનના ભૂંડમાં આવી રોગપ્રતિકારક ક્ષમતા વિકસાવવાનું કારણ શું ?
કદાચ વૈજ્ઞાનિકો ઘર આંગણે ડિએનએ મ્યુટેશન કરી, રોગ સામે રક્ષાત્મક કવચ લઇને જન્મતાં ભૂંડ પેદા કરવા માંગે છે. છેવટે આ ટેકનિક આફ્રિકાના ભૂંડ ઉપર વાપરવામાં આવશે. સામાન્ય રીતે વૈજ્ઞાનિકો પ્રાણીની રોગપ્રતિકારક પ્રણાલી મજબૂત કરવા 'બબુન' નામના વાંદરાનાં જનીનો, જીનેટીકલી મોડીફાઇડ એનીમલ્સમાં ઉમેરતાં હોય છે. આપણને એક સવાલ જરૃર થાય કે કોઇ સ્તન્યવંશી અન્ય પ્રાણીની જગ્યાએ ''ભુંડ''ઉપર રોઝલીન ઇન્સ્ટીટયુટે શા માટે પસંદગી ઉતારી છે.
ભારતમાં ભલે આપણે ભૂંડ/ ડુક્કરને ગંધાતા જીગુપ્ષાપ્રેરક પ્રાણી ગણીને ધિક્કારતા હોઇએ. યુરોપ, અમેરિકામાં ભૂંડ/ ડુક્કરનું માંસ ''પોર્ક'' લોકો મજાથી આરોગે છે. માંસ માટે ખાસ સ્વચ્છ ફાર્મમાં ભૂંડને હાઈજિનીકલી  સેફ કન્ડીશનમાં ઉછેરવામાં આવે છે. માંસાહારી લોકો માટે ખાસ જીનેટીકલી મોડાફાઇડ પ્રાણીઓ, વ્યાવસાયિક ધોરણે નવું માર્કેટ પેદા કરવામાં આવી રહ્યા છે. શાકાહારીઓ માટે પણ આ પ્રકારનું કામ ભૂતકાળમાં થઇ જ ચુક્યું છે. યુરોપ- અમેરિકાનાં સુપર બઝાર અને મોલ માલીકોએ સામુહીક નિર્ણય લીધો હતો કે 'જીનેટીકલી મોડીફાઇડ માંસ કે તેના ઉત્પાદનો તેઓ વેચશે નહી.' આ તબક્કે પિગ- ૨૬ જેવી બઝારને ધ્યાનમાં રાખીને પેદા કરેલ GM ઉત્પાદન કેટલી સફળતા મેળવે છે એ જોવું રહ્યું. અમેરિકા ટૂંક સમયમાં GM પ્રોડકટને મંજુરી આપવા જઇ રહ્યું છે.
અમેરિકાનું ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)  એકવાબાઉન્ટી 'સામન' માછલીને બજારમાં વેચવા માટે મંજુરી આપવા જઇ રહ્યું છે. એકવા બાઉન્ટીના સંશોધકોએ સામન માછલીમાં ખાસ પ્રકારના જનીન ઉમેર્યા છે.જેનાં કારણે સામન માછલી ખાસ પ્રકારના ગ્રોથ હોર્મોન્સ પેદા કરે છે. ત્રણ વર્ષમાં ફુલ સાઇઝમાં વિકસીત સામાન્ય માછલીના સ્થાને, જીનેટીકલી મોડીફાઇડ માછલી માત્ર અડધા સમયમાં એટલે કે ૧૮ મહિનામાં વિકાસ પામી વિશાળ કદ મેળવી લે છે. સામન માછલીમાં દરિયામાં રહેતી 'ઇલેક્ટ્રીક એલ' માછલી જેવી દેખાતી 'સી પોઉટ' માછલીના જનીન ઉમેરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં અમેરિકાનાં બજારમાં જીનેટિકલી મોડીફાઇડ સામન માછલી વેચવાની પરવાનગી FDA આપી દેશે એવું હાલનાં તબક્કે લાગી રહ્યું છે.
રોઝલીન ઇન્સ્ટીટયુટના પ્રો. હેલેન સાંગ કહે છે કે ''ડોલીનાં ક્લોનીંગ સમયે જ 'ફ્રેન્કેસ્ટાઇન ફીઅર' પેદા થયો હતો તેને જીનેટીકલી મોડીફાઇડ ફુડ દ્વારા દૂર કરી શકાય તેમ છે. રોઝલીન ઇન્સ્ટીટયુટને બ્રિટનની બાયોટેકનોલોજી એન્ડ બાયોલોજીકલ સાયન્સ રિસર્ચ કાઉન્સીલ ગ્રાન્ટ આપી રહી છે. મેડ કા ઉરોગની બાયોલોજી ઉકેલવામાં સફળતા મેળવનાર ન્યુરો-પેથો જીનેસીસ યુનીટ ફોર એનીમલ હેલ્થ અને યુનિવર્સીટી ઓફ એડિનબર્ગનો સ્કૂલ ઓફ વેટેનરી સ્ટડીઝ સાથે પણ સંશોધન માટે કરાર કરેલો છે. રોઝલીન ઇન્સ્ટીટયુટે સરકારને અપીલ કરી છે કે સરકારે ફાર્મ એનીમલમાં જીનેટીકલી મોડીફાઇડની સંખ્યા વધે અને GM પ્રાણીજ ઉત્પાદનો લોકોમાં સ્વીકાર્ય બને તે માટે પ્રયત્નો કરવા જોઇએ. સામાન્ય માણસ GMને "મમ્બો જમ્બો મેજીક" ગણે છે. તેઓ જાણતા નથી કે સામાન્ય પ્રાણીના બ્રીડિંગ વડે જે ક્વોલીટી મેળવી શકતી નથી, તેને જીનેટીકલી મોડીફાઇડ એનીમલ પેદા કરીને દૂર કરવામાં આવે છે. પ્રો.હેલેન સાંગ ઉમેરે છે કે 'પ્રાણીજ ફુડ પ્રોડકટ એક આંતરરાષ્ટ્રીય બજાર છે. ગ્રાહકોને સારી ગુણવત્તાવાળી ચીજ મળતી હોય તો, સુપર માર્કેટ વાળાએ GM ફુડ વેચવા વિશે જરૃર વિચારવું જોઇએ.
ભારતમાં અને અન્ય ગરીબ દેશોમાં સસ્તા ભાવે હલકી ગુણવતાવાળું માંસ વેચાય છે. તેના સ્થાને, ફાર્મ હાઉસમાં ઉછેરેલા પ્રાણીઓનું માંસ વેચાય તે આવકારદાયક વાત કહેવાય.
ક્લોનીંગ અને જીનેટીકલી મોડીફાઇડ પ્રાણી અને વનસ્પતિ ઉત્પાદનોને ડો.ફ્રેન્કેસ્ટાઇનનો રાક્ષસ ગણવામાં આવે છે. છતાં, વૈજ્ઞાનિકોનાં ફ્રેન્કેસ્ટાઇન એનીમલ ફાર્મમાં ખાસ પ્રકારનાં પ્રાણીઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. વિશાળ કદનાં ભૂંડ/ ડુક્કર પેદા થાય, વધારે માંસ અને ચરબી ઓછી હોય તેવા પ્રાણીઓ વિકસાવવામાં આવી રહ્યા છે. મરઘી બર્ડ ફલ્યુ અને ડુક્કર સ્વાઇન ફલ્યુ સામે રક્ષણાત્મક ગુણધર્મો મેળવે તેવા પ્રયોગો થઇ રહ્યા છે. મરઘીના ઇંડા માંથી માત્ર માદા (મરઘી જ) પેદા થાય અને મોટા ઇંડા મૂકે તેવા સંશોધનો થઇ રહ્યા છે. આફ્રીકાનાં પ્રાણીઓમાં 'બબુન'ના જનીનો ને કારણે એન્ટીબાયોટીક ગુણધર્મો વિકસાવી શકાયા છે. ગાયને માથે ટુંકા શિગડા અથવા શીંગડા વગરની ગાય પેદા કરવામાં આવશે, જેથી ઝગડો થાય ત્યારે ગાયો એકબીજાને જીવલેણ રીતે ઘાયલ કરી શકે નહી. ગાયના દુધમાં મનુષ્યની માદા જેવું દુધ પેદા કરી શકાશે, જેથી નવજાત શિશુને એલર્જીક રિએકશનથી બચાવી શકાય. કાર્બન કરતાં વજનમાં હલકું અને સ્ટીલ કરતાં વધારે મજબુત મટીરીઅલ્સ બનાવવાના માટે, બકરી ખાસ પ્રકારનો પ્રોટીન પેદા કરે તે માટે તેમનું જીનેટીક મોડીફીકેશન થઇ રહ્યું છે.
આખરે ક્લોનીંગ અને જીનેટીક મોડીફીકેશન વચ્ચે મોટો તફાવત છે. દરેક GM પ્રોડકટ નુકસાનકારી છે,  એ પ્રકારની માનસીક ગ્રંથી મીડીયા દ્વારા વિકસાવવા આવી રહી છે. તે વૈજ્ઞાનિક સંશોધન માટે પ્રતિકુળ સંજોગો પેદા કરશે. GM પ્રોડકટને તાત્કાલિક ધોરણે બજારમાં મુકતા પહેલા, તેના ઉપર મનુષ્ય શરીર ઉપર GM  ઉત્પાદન દ્વારા થતી લાંબા ગાળાની અસરો ઉપર ખાસ અભ્યાસ થવો જોઇએ. પિગ- ૨૬ને યુરોપ- અમેરિકા કઇ રીતે મુલવી રહ્યું છે તેનો પ્રભાવ પ્રાણીજ માંસના આંતરરાષ્ટ્રીય બજાર ઉપર અવશ્ય પડશે. ડોલી માફક "પિગ- ૨૬"નાં વંશજો મ્યુઝીઅમમાં ગોઠવાશે કે પછી ફાઇવ સ્ટાર હોટેલના ટેબલ ઉપર ?? તમે શાકાહારી હો તો આ સવાલ તમને સતાવવાનો નથી.

સ્પેસશીપ-૨: સ્પેસ ટ્રાવેલ શક્ય બનાવશે ?

"મનુષ્યને સ્પેસ ફલાઇટમાંથી મળતા આનંદની સરખામણી અન્ય સાથે કરી શકાય તેમ નથી. આ સ્પેસટુરમાં માનવીને વજનવિહીન સ્થિતિનો અનુભવ તો થાય જ છે. સાથે સાથે પૃથ્વીના ગોળાના અનેરા વળાંકના અદ્ભૂત દર્શન પણ થાય છે"


આમ તો રોકેટ પાવર સંચાલિત સ્પેશશીપ ટુ નું ઉડ્ડયન માત્ર ગણતરીની સેકન્ડ એટલે કે માત્ર ૧૬-૨૦ સેકન્ડ પુરતું જ મર્યાદિત રહ્યું પરંતુ તેને અંતરીક્ષના આ મુકામે પહોચાડવા માટે હજારો કલાકની મહેનત કરવી પડી હતી. સ્પેસશીપ ટુની રચના પાછળ ખાસ મકસદ રહેલો છે. તેના પૂર્વજ ગણાતાં સ્પેસશીપ વન દ્વારા એક ઇતિહાસ રચાયો હતો. સ્પેસશીપ ટુની નજર હવે ભવિષ્ય ઉપર રહેલી છે. ૨૧ એપ્રિલના રોજ સ્પેસશીપ- ટુ એ તેના ભવિષ્યને ઉજ્જવળ બનાવે તેવો એક ટેસ્ટ પાસ કર્યો હતો. સ્પેસશીપ ટુના આ સાહસે અંતરીક્ષમાં જવા માગતા માનવી (હાલ પુરતાં કરોડોપતિ)ની આકાંક્ષા માર્ગે એક પગલું આગળ ભર્યું છે.
કેલિફોર્નિયાના મોજાવે ડેઝર્ટના રનવે પરથી ૭.૦૨ કલાકે (સવારે) વ્હાઇટ નાઇટ- ટુ (WK 2) એ ઉડ્ડાન ભરી હતી. તેનાં પેટના ભાગે સ્પેસશીપ- ૨ (SS-2) બાંધેલું હતું. SS-2 નું હુલામણ નામ ''એન્ટરપ્રાઇઝ''રાખવામાં આવ્યું છે. સ્ટ્રારટ્રેક જેવી લોકપ્રીય ટી.વી.શ્રેણી અને ફિલ્મોમાં દર્શાવેલ સ્પેસશીપનું નામ પણ 'એન્ટરપ્રાઇઝ'છે. જેવું મધરશીપ WK-2  ૧૪ કિ.મી.ની ઉંચાઇ પહોચ્યું કે તરત જ એન્ટરપ્રાઇઝને તેના બંધનમાંથી મુકત કરવામાં આવ્યું. પાયલોટો એ SS-2 ના રોકેટ એન્જીનની સ્વીચ દબાવી અને રોકેટ એન્જીન ચાલુ થયું ત્યારે SS-2 સત્તર કિ.મી.ની ઉંચાઇએ પહોચી ગયુ હતું. SS-2 ના રોકેટ એન્જીનનું બાંધકામ સીએરા નેવાડા કોર્પોરેશનનાં ઇજનેરોએ કર્યું છે. નાસા માટે સીએરા નેવાડા કોર્પોરેશન 'ડ્રિમ ચેઝર મીની શટલ'નામની સ્પેસ ટેકસીનું બાંધકામ પણ કરી રહી છે. ડ્રિમ ચેઝરનો મકસદ, અમેરિકન અંતરીક્ષયાત્રીઓને અમેરિકાની ભૂમી ઉપરથી પૃથ્વીની લો અર્થ ઓરબીટ અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી પહોચાડવાની છે. યાદ રહે કે નાસાના બધા જ સ્પેસ શટલ હવે રિટાયર્ડ થઇ ચૂક્યા છે અને અમેરિકા રશિયાની મદદથી તેના અંતરીક્ષયાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) સુધી પહોચાડી રહ્યુ છે.
SS-2 નું રોકેટ એન્જીન માત્ર ૧૬ સેકન્ડ ચાલુ રહ્યું હતું. આ દરમ્યાન તેણે અવાજનો પડદો (સાઉન્ડ બેરીઅર) રોકેટ એન્જીન શરૃ થયાની આઠમી સેકન્ડે ચીરી નાખ્યો હતો. એક માત્ર હાઇબ્રીડ રોકેટ મોટરના સહારે SS-2 ૪૨૦૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપ મેળવી શકે છે. જેની સરખામણીમાં અવાજની ઝડપ ૧૨૩૦ કિ.મી. પ્રતિ કલાકની હોય છે. અવાજની ઝડપનો આધાર માધ્યમનાં તાપમાન ઉપર રહેલો હોય છે. સ્પેસશીપ ટુની મુખ્ય ખાસીયત અંતરીક્ષની બાઉન્ડરીથી પૃથ્વીની વાતાવરણમાં પાછા પ્રવેશવામાં રહેલી છે. નાસાના સ્પેસશટલ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા હતા ત્યારે તેમની ઝડપ ૨૫ હજાર કિ.મી. પ્રતિ કલાકની રહેતી હતી. આ ઝડપે સ્પેસ શટલ પ્રવેશે ત્યારે તેનો આગળનો ભાગ ઘસાઇને પુષ્કળ ગરમી પેદા કરે છે. આ ગરમીથી શટલને બચાવવા માટે ખાસ પ્રકારના 'હિટ શીલ્ડ'સ્પેશ શટલમાં લગાડવા પડતા હતા. ભૂતકાળમા આવા શીલ્ડની એક ટાઇલ્સ ઉખડી જતાં, સ્પેશ શટલને અકસ્માત નડયો હતો.
સ્પેશશીપ ટુ ની રિ-એન્ટ્રી સીસ્ટમ ''ફીધર સીસ્ટમ''છે. ખુબ જ ઓછી ઓરબીટલ સ્પીડે SS-2 વાતાવરણમાં ગમે તે એંગલે (ખુણે) પ્રવેશ મેળવી શકે છે. પતંગ માપક ગ્લાઇડીંગ કરી તે પોતાની ઝડપ ઘટાડતું રહે છે. ઝડપ ઘટાડતા ઘટાડતા તે ૨૪ કી.મી.ની ઉંચાઇ એ આવી પહોચે છે. અહીથી ફરીવાર ગ્લાઇડીંગ કરી સ્પેસપોર્ટ પર લેન્ડીંગ કરવામાં તેને ૨૫ મીનિટ લાગે છે. ટૂંકમાં અંતરીક્ષમાં જવા કરતાં, પાછા ફરવામાં તે સૌથી વધારે સમય લે છે. SS-2 ની બધી જ શીટ, ગ્રેવીટેશનલ ફોર્સના કારણે લેન્ડીંગ સમયે જ જે અકળામણ થાય છે તેને દૂર કરી શકે તે માટે અલગ અલગ ખુણે એડજસ્ટ કરી શકાય છે. SS-2 ની બીજી ખાસીયત એ છે કે ઉડાન દરમ્યાન કોઇ દુર્ઘટના બને તો મધરશીપથી તે અલગ થઇ આરામથી લેન્ડીંગ કરી શકે છે.
સ્પેસશીપ ટુ નો પ્રોજેક્ટ, વર્જીન ગેલેકટીક કંપનીનું સાહસ છે. વર્જીન કંપનીએ વ્યાપારી ધોરણે અંતરીક્ષ મુસાફરી સ્પેસ ટ્રાવેલ કરાવવાની ડેડ લાઇન ૨૦૦૭ની આપી હતી. જો કે એન્જીન પ્રપલ્ઝન ટેસ્ટ દરમ્યાન વિસ્ફોટ થતાં ૩ વર્કર માર્યા ગયા હતા. જેની અસર અને યોગ્ય ટેકનોલોજીના વિકાસ માટે વધારે સમય જતાં તેમનું ટાઇમ ટેબલ પાંચ વર્ષ પાછળ ચાલી રહ્યુ છે. સ્પેસ ટ્રાવેલ કરવા માટે ૫૬૦ લોકોએ ટીકીટ બુક કરાવી દીધી છે. શમણા સમી સ્પેશ ટ્રાવેલ પાછળ તેઓ બે લાખ ડોલર જેવી તગડી રકમ ચુકવશે. આ વર્ષના અંત ભાગમાં અથવા ૨૦૧૪ની શરૃઆતમાં હવે સામાન્ય માનવી (સરકારી મદદ વિના) નાણા ચુકવીને અંતરીક્ષ સફરની મજા માણી શકશે. એક સમય એવો હતો કે માત્ર અમેરિકા અને રશિયા પાસે જ એવી ટેકનોલોજી હતી જે તેના વૈજ્ઞાનિકો/ ઇજનેરોની સરકારી નાણા વડે અંતરીક્ષ માં વૈજ્ઞાનિક ઉદેશ્યની પૂર્તિ માટે મોકલતા હતા. આવા સમયે પીટર ડાયમંડીસ જેવા 'સ્પેસ લવરે' સામાન્ય માનવી પૈસા ચૂકવી ''સ્પેસ ટ્રાવેલ''કરી શકે તેવા સ્વપ્નાને પંખાં આપવાનું કામ કર્યું હતું.
પિટર ડાયમંડીસે એક્સ ફાઉન્ડેશનની સ્થાપના કરી. આ ફાઉન્ડેશને 'એક્સ'પ્રાઇઝ આપવાની જાહેરાત કરી હતી. સામાન્ય માનવી અંતરીક્ષમાં જઇ શકે તેવી ટેકનોલોજી જે વ્યક્તિ કે કંપની વિકસાવી શકે તેને 'એક્સ પ્રાઇઝ'આપવાની શરૃઆત કરવી તે તેમનો એક માત્ર ઉદેશ્ય હતો. એક્સ પ્રાઇઝની મુખ્ય શરત હતી કે ''વારંવાર વાપરી શકાય તેવાં સ્પેરાશીપની મદદથી માત્ર બે અઠવાડીયાનાં સમય ગાળામાં આ સ્પેશશીપ બે વાર અંતરીક્ષ જ્યાંથી શરૃ થાય છે ત્યાં ૧૦૦ કિ.મી.ની ઉચાઇ સુધી પહોચવું જોઇએ.''સરકારી મદદથી બનનાર સ્પેસશીપને આ ચેલેન્જ માટે ''નો-એન્ટ્રી''હતી. ટુંકમાં ખાનગી કંપનીએ ''સ્વયં''નવી ટેકનોલોજી વિકસાવીને આ સાહસ ખેડવાનું હતું. પ્રાઇઝ પાછળનો છુપો ઉદ્દેશ્ય પૃથ્વીવાસીઓ માટે 'સ્પેસ ટેકનોલોજી ઇન્ડસ્ટ્રી''સ્થાપવાનો છે. હવે ટેકનોલોજીના વિકાસ માટે સરકારી સંસાધનો ઉપર આધાર રાખવાની જરૃર નથી. ખાનગી ક્ષેત્રના પગપેસારાના કારણે ''સ્પેસ ટ્રાવેલ''એક ઉદ્યોગ તરીકે વિકસવવાનાં ચાન્સીઝ વધી રહ્યા છે. સ્પેસશીપ ટું એ આવી તક ઝડપી લીધી છે.
વિસમી સદીમાં ૨૫ હજાર ડોલરનું ઉરટેગ પ્રાઇઝની જાહેરાત થઇ હતી. ચાર્લ્સ લીન્ડબર્ગે એકલે હાથે તેના એરક્રાફટ 'સ્પીરીટ ઓફ સેન્ટ લુઇસ'ને ન્યુયોર્કથી પેરીસ અને પેરીસથી ન્યુયોર્ક ઉડાડયું હતું. તેણે આંટલાન્ટીંક મહાસાગર ઓળંગ્યો હતો. આ પ્રાઇઝ ઉપરથી પ્રેરણા લઇને ઉદ્યોગપતિ પિટર ડાયમંડીસે ૧૯૯૫માં અંતરીક્ષમાં ખાનગી ઉડયન માટે એક્સ પ્રાઇઝની જાહેરાત કરી હતી. ૬ મે, ૨૦૦૪ના રોજ જન્મે ઇરાની અને અમેરિકન નાગરીકત્વ ધરાવતાં આમીર અન્સારી અને અનુશેર અન્સારીએ લાખો ડોલરનું એક્સ પ્રાઇઝ માટે દાન કર્યું અને એક્સ પ્રાઇઝનું નામ બદલાઇને 'અન્સારી એક્સ પ્રાઇઝ'થઇ ગયું. માત્ર એક્સ પ્રાઇઝને દાન આપીને નહી, પરંતુ બીજી રીતે પણ અનુશેર અન્સારી (એક મહીલા)મીડીયા માટે 'હોટ સ્પોટ'બની ચુકી હતી.
અનુશેર અન્સારીએ સામાન્ય માનવી અંતરીક્ષમાં સફર ખેડી શકે તેવું પ્રથમ પગલુ ભર્યું હતું. પોતાની ચાલીસમી વર્ષગાંઠના થોડા દિવસો બાદ, તેણે રશિયન કંપનીને નાણા ચૂકવીને વિશ્વની પ્રથમ મહિતાપ સ્પેસ ટુરીસ્ટ બનવાનો વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. આ ઉપરાંત વ્યાવસાયિક ધોરણે નાણાં ચૂકવીને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાત લેનાર વિશ્વની પ્રથમ મહિલા તરીકે પણ તેણે નામના મેળવી છે. અંતરીક્ષમાં જનાર પ્રથમ ઇરાની નાગરીક તરીકે પણ ''અનુશેર અન્સારી''નું નામ વિશ્વમાં ઇતિહાસમાં નોંધાઇ ચુક્યું છે. યુરોપીયન એજન્સી વતી તેણે ISS માં વૈજ્ઞાનિક પ્રયોગો પણ કર્યા હતા. અનુશેહ પહેલા ત્રણ અન્ય વ્યક્તિ પૈસા ચુકવીને અંતરીક્ષ સફર ખેડી મૂકી હતી. એક મહિલા તરીકે તેનું સ્થાન પ્રથમ છે. પોતાની અંતરીક્ષ સફરનું વર્ણન તેણે ''માય ડ્રિમ ઓફ સ્ટાર''માં કર્યુ છે. રશિયાની સોયુઝ TMA-9 મિશનમાં. કમાંન્ડર મિખાઇલ ત્યુરીન અને માયકલ લોપેઝ એલેગ્રીઆ સાથે, ૨૦ સપ્ટેમ્બર ૨૦૦૬ના રોજ તે ISS ઉપર પહોચી હતી. અંતરીક્ષમાં લગભગ ૧૧ દિવસ વીતાવીને તે પૃથ્વી પર પાછી ફરી હતી. ઇસનના ટી.વી. માધ્યમોએ અનુશેરને સેલીબ્રીટી બનાવી દીધી હતી. પોતાની અંતરીક્ષયાત્રીની સફળતા બાદ એક મુલાકાતમાં અનુશેર અન્સારીએ પ્રતિભાવ આપ્યો હતો કે...
'હું વિશ્વની દરેક વ્યક્તિ ખાસ કરીને જુવાનીયાઓ, સ્ત્રીઓ અને યુવા સ્ત્રીઓ જેઓ મધ્યપૂર્વના દેશોમાં વસે છે, જેમને પુરૃષ માફક અંતરીક્ષમાં જવાની તક મળતી નથી, તેમને તેમના શમણાંને તિલાંજલી નહી આપવાની સલાહ આપું છું. આ તબક્કે તમારા ''ડ્રીમ'' જીવંત રાખો, તેનો ઉછેર કરો, અવસરની શોધમાં રહો અને તેને સાકાર કરો.''લાગે છે કે માત્ર બે-ત્રણ વર્ષમાં અનુશેરના શબ્દો સાચા પડશે. તેણે આપેલ લાખો ડોલરનાં દાનનાં નાણાને 'અન્સારી એક્સ પ્રાઇઝ'માં રૃપાંતર કરવામાં આવ્યા હતા. અને ૪ ઓક્ટોબર ૨૦૦૪ના રોડ, ટાયર વન પ્રોજેક્ટ હેઠળ સ્પેશશીપ- વનની ટીમને 'અન્સારી એક્સ પ્રાઇઝ'ની વિજેતા જાહેર કરવામાં આવી. ૪થી ઓકટોબર ૨૦૦૪ના રોજ, રશિયા એ સ્યુટનીક-૧ નામનો વિશ્વનો પ્રથમ ઉપગ્રહ અંતરીક્ષમાં તરતો મૂકયો તેની ૪૭મી વર્ષગાંઠ હતી. અન્સારી એક્સ પ્રાઇઝ જીતવા માટે વિશ્વની ૨૬ ટીમોએ ભાગ લીધો હતો. ટાયર વન ટીમ સિવાય અન્ય પાંચ ટીમોએ અંતરીક્ષ ઉડ્ડયનાં નિષ્ફળ પ્રયત્નો પણ કર્યા હતા.
એક્સ પ્રાઇઝમાંથી પ્રેરણા લઇને વિજ્ઞાન ક્ષેત્ર માટે અન્ય પ્રાઇઝની પણ જાહેરાતો થઇ છે. જેમાંનું એક છે મેથ્યુસેલાર માઉસ પ્રાઇઝ જેને ટુંકમાં 'એમ'પ્રાઇઝ કહે છે. જે વૈજ્ઞાનિક ઉંદરનું આયુષ્ય વધારી શકે અથવા વૃધ્ધત્વની પ્રક્રિયાને રિવર્સ ગીઅરમાં ચલાવી શકે તેને આ પ્રાઇઝ મળશે. નાસાએ 'સેન્ટીનીઅલ ચેલેન્જ મૂકી છે. એનો મકસદ સ્પેસ એલીવેટર માટે દોરડા જેવા સુપર સ્ટ્રોંગ ટિથર કંમ્પોનેન્ટ વિકસાવવાનો છે. બીજા પાવર ચેલેન્જમાં શક્તિ/ ઉર્જા એનર્જીને દોરડા વાયર વગર ટ્રાન્સમીશન કરનાર વ્યક્તિને ઇનામ મળશે. લો અર્થ ઓરબીટમાં જૈવિક સંશોધન કરી શકાય તેવા લો-કાસ્ટ ઓરબીટલ લોંચ કરનારને 'એન પ્રાઇઝ'' આપવાની દરખાસ્ત કેમ્બ્રીજના માઇક્રોબાયોલોજીસ્ટ પોલ એમ.ડીઅરે કરી છે. ખાનગી પ્રયત્નોથી જે ચંદ્ર ઉપર રોબોટ ઉતારી બતાવે તેને માટે ગુગલ લ્યુનાર એક્સપ્રાઇઝ રાહ જોઇ રહ્યું છે. એક્સ ફાઉન્ડેશન દ્વારા ખાસ પ્રકારની કાર, અને જેનોમિક્સ માટે પણ એકસ પ્રાઇઝની જાહેરાત કરેલી જ છે. એની વે, કમ ટુ અન્સારી એક્સ પ્રાઇઝ..
સ્કેલ્ડ કોમ્પોઝીટ કંપની દ્વારા 'ટાયર વન' પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો હતો. જે કાર્યક્રમ મુજબ માનવીને ''સબ ઓરબીટલ સ્પેસ ફલાઇટ''ની સુવિધા પૂરી પાડવાની વ્યવસ્થા કરવાની હતી. ખાનગી ભંડોળ દ્વારા ઓછા ખર્ચે, વારંવાર વાપરી શકાય તેવા એરક્રાફ્ટની ડિઝાઇન, આ પ્રોગ્રામની પ્રથમ જરૃરિયાત હતી. માઇક્રોસોફ્ટના સ્થાપકમાંના એક વ્યક્તિ પોલ એલને આ ટાયર વન પ્રોજેક્ટ માટે બે કરોડ અમેરિકન ડોલરની આર્થિક સહાય પુરી પાડી હતી. હવે અંતરિક્ષ યાત્રા માટે અનુકુળ સ્પેસ ક્રાફટ ડિઝાઇન કરવાની જવાબદારી ''સ્કેલ કોમ્પોઝીટ''ના બર્ટ રૃટાનના માથે હતી. બર્ટ રૃટાન ખાસ પ્રકારના એરક્રાફ્ટ ડિઝાઇન કરવા માટે ''ભડવીર''સાબિત થયા હતા.
એલ્બર્ટ લેન્ડર 'બર્ટ' રૃટાને, ભુતકાળમાં પોતાના કારનામાં દ્વારા નામના મેળવી હતી. આ અમેરિકન એરોસ્પેસ એન્જીનીયર એરક્રાફ્ટની લાઇટ સ્ટ્રોંગ, લો કોસ્ટ, એનર્જી એફીસીઅન્ટ ડિઝાઇન માટે જાણીતા છે. તેમણે બનાવેલ વોયેજર એરક્રાફ્ટે વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. પોતાના ભાઇ ડિક રૃટાન માટે એવા એરપ્લેન બનાવવાની ચેલેન્ઝ ઉપાડી હતી, જે અટકયા વગર, ફ્યુઅલ પુરાવ્યા વગર, પૃથ્વીની ગોળ પ્રદક્ષીણા કરે. વિશ્વમાં આવો ચમત્કાર કોઇ બતાવી શક્યુ ન હતું. લશ્કરી એર-ક્રાફ્ટે નોન-સ્ટોપ પૃથ્વીની પ્રદશીણા કરી છે ખરી પરંતુ માર્ગમાં અન્ય કાર્ગો પ્લેન વડે તેની બળતણ ટાંકીમાં જરૃરિયાતના સમયે ફ્યુઅલને ભરવામાં આવ્યું હતું. ચેલેન્જ ઉપાડીને બર્ટ રૃટાને 'વોયેઝર'ક્રાફ્ટ બનાવ્યું. ડિસે. ૧૯૮૬માં ડિક અને તેના જોડીદાર જેના યેગરે કેલીફોર્નિયાથી ટેક ઓફ કરીને, પશ્ચિમની દિશા પકડીને નવ દિવસમાં પૃથ્વીને ફરતી મુસાફરી પુરી કરી હતી.
વોયેઝર જેવું બીજુ એર-ક્રાફટ, ગ્લોબલ ફલાયર તેમણે બનાવ્યું. જેણે ફરીવાર બળતણ પુરાવ્યા વગર નોન-સ્ટોપ પૃથ્વીના ગોળાની ફરતે સફર ખેડવાનો નવો કિર્તિમાન રચ્યો. તેણે ઉડાનનાં ઇતિહાસમાં ૪૧૪૬૭ કિ.મી.ની નોન સ્ટોપ ફલાઇટનો રેકોર્ડ પણ સ્થાપ્યો. હવાઇ ઉડ્ડયન ક્ષેત્રે ઇતિહાસ સર્જનાર એરક્રાફટને તેની નિવૃતિ બાદ, નેશનલ એર એન્ડ સ્પેસ મ્યુઝીઅમમાં રાખવામાં આવે છે. સ્મિથસોનીઅન ઇન્સ્ટીટયુટ દ્વારા વોશીગટનમાં આ મ્યુઝીયમની સ્થાપના ૧૯૪૬માં કરવામાં આવી છે. અહી રાઇટ બ્રધર્સ, ચાલ્સ લીન્ડબર્ગના વિમાનો સહીત નાસાના 'ડિસ્કવરી'જેવા સ્પેશ શટલ રાખવામાં આવ્યા છે. આ મ્યુઝીયમમાં બર્ટ રૃટાને ડિઝાઇન કરેલ છે, એરક્રાફટનો સમાવેશ થયો છે. જે બર્ટ રૃટાનની જીનીઅસનેસનો જીવતો જાગતો દાખલો છે.
બર્ટ રૃટાને છેવટે એક્સ પ્રાઇઝની સ્પર્ધામાં ઝુકાવીને સ્પેસશીપ વન અને મધરશીપ 'વ્હાઇટ નાઇટ'નું ડિઝાઇન અને બાધંકામ પુરું કર્યુ હતું. સ્પેસક્રાફટ ડિઝાઇનમાં સ્પેશશીપ વન અને મધરશીપ વ્હાઇટ નાઇટ- વન એ એક નવો કોન્સેપ્ટ હતો. બર્ટ રૃટાન પોતાની કારકીર્દી શરૃ કરી ત્યારથી માંડીને આજસુધી ૩૬૭ જેટલી અલગ અલગ એરક્રાફ્ટ સ્પેસ ક્રાફ્ટની ડિઝાઇન કોન્સેપ્ટ રજુ કરી ચુક્યા છે. જેમાંથી ૪૫ ડિઝાઇન આકાર ધારણ કરીને આકાશમાં ઉડી ચૂકી છે.
બર્ટ રૃટાનની બંને સ્પેસ ક્રાફ્ટની ડીઝાઇન સફળ નીવડી અને ૪થી ઓક્ટોબર ૨૦૦૪ના રોજ અન્સારી એક્સ પ્રાઇઝ જીતી લીધુ હતું. આ પૂર્ણ વિરામ ન હતું. હવે બર્ટ રૃટાન પાસે વર્જીન ગેલેકટીક દ્વારા ઓર્ડર અપાયેલ સ્પેશશીપ-ટુનો પ્રોજેક્ટ અમલમાં મુકાયેલ છે. બે પાયલોટ સહીત છ પેસેનજરને અંતરીક્ષ મુસાફરી કરાવવા માટે સ્પેશશીપ- ટુ નું બાંધકામ થઇ રહ્યું છે.
તાજેતરમાં સ્પેસશીપ- ટુ (SS-2) નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે જેમાં ઉડ્ડયન દરમ્યાન તેણે ૧.૨ મેંક એટલે કે અવાજ કરતાં વધારે ઝડપ મેળવી બતાવી છે. આ ખુશીના પ્રસંગે વર્જીન ગેલેકટીકના સ્થાપક અને માલીક સર રિચાર્ડ બ્રાનસન કહે છે કે ..
'મનુષ્યને સ્પેસ ફલાઇટમાંથી મળતા આનંદની સરખામણી અન્ય સાથે કરી શકાય તેમ નથી. આ સ્પેસટુરમાં માનવીને વજનવિહીન સ્થિતિનો અનુભવ તો થાય જ છે. સાથે સાથે પૃથ્વીના ગોળાના અનેરા વળાંકના અદ્ભૂત દર્શન પણ થાય છે. હવે લાગે છે કે ૨૦૦૧- અ સ્પેસ ઓડીસી અને સ્ટારટ્રેક જેવી સાયન્સ ફિકશન ફેન્ટસી રીઆલીટી બની જશે.' સ્પેસશીપ- ૨ની સફળતાના કારણે માનવી 'સ્પેસ ટ્રાવેલ'ની દિશામાં એક ડગલું આગળ વધ્યો છે. ત્યાં સ્પેસ ટેકનોલોજીએ એક લાંબી હરણફાળ ભરી છે. ભૂતકાળનાં પાયા ઉપર ભવિષ્યની 'સ્પેસ ટ્રાવેલ'ની ઇમારત ખડી થવાની છે. ન્યુ મેક્સીકોના 'સ્પેસપોર્ટ અમેરિકા'ના રન વે પરથી સામાન્ય માનવી અંતરીક્ષ તરફ સફર શરૃ કરશે એ દ્રશ્ય કેટલું આહ્લાદક હશે !!

સિગ્યુલારીટી : ભવિષ્યનો સ્પર્શ માત્ર એક વેંત જેટલો છેટો છે !!

- માત્ર ત્રણેક દાયકા બાદ એટલે કે ૨૦૪૫ની આસપાસ મશીન / રોબોટ માનવી માફક વિચારતા થઇ જશે. ટેકનોલોજીની આ 'ઓલ્ટરનેટ હિસ્ટ્રી'ની ઘટના એટલે જ સિગ્યુલારીટી

સ્થળ - મોફેટ ફેડરલ એરફીલ્ડ, કેલીફોર્નીયા.

સભાગૃહમાં લગભગ ૮૦ જેટલી વ્યક્તિઓ હાજર છે. દરેક વ્યક્તિએ આ સીટ ઉપર બેસવા માટે લગભગ બાર હજાર ડોલર ચુકવ્યા છે. અહીં એક અનોખું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. બે ફુટનો બટકો મનુષ્યાકૃતિ ધરાવતો ''હ્યુમનોઈડ રોબોટ'' આવનારાં મુલાકાતીઓને સંબોધી રહ્યો છે. ''આઈ એમ સો એક્સાઈટેડ ટુ સી યુ ઓલ હીઅર.'' અહીં બેઠેલા લોકો અનોખા પ્રકારનાં વિદ્યાર્થીઓ છે. તેઓ બાયોટેક, નેનોટેક, આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્સ, ન્યુરો-સાયન્સ, એનર્જી સીસ્ટમ અને મોડર્ન ટેકનોલોજીમાં શું ભવિષ્ય છુપાયું છે? અથવા ભવિષ્યમાં આ ટેકનોલોજી મનુષ્યને ક્યાં પહોંચાડી શકશે, તેનો જવાબ મેળવવા આવ્યા છે. તેઓ જે યુનિવર્સીટીનાં વિદ્યાર્થી છે તેનું નામ છે. "સિગ્યુલારીટી યુનિવર્સિટી". આમ છતાં આ યુનિવર્સિટી કોઈ ત્રણ-ચાર વર્ષના ડિગ્રી કોર્સ ચલાવતી નથી. પરંપરાગત યુનિવર્સિટી માફક ડિગ્રી પણ આપતી નથી. યુનિવર્સિટીનાં સીઈઓ રોબ નેલ કહે છે કે અહીં આવનારા લોકો ૧૦૯ (દસની નવ ઘાત) એટલે કે ઘાતાંકમાં વિચારે છે. અહીં આવનારાં, પ્રોબ્લેમ સોલ્વીંગ અને ટેકનોલોજી ચેલેન્જને પણ એક્સપોનેન્શીયલ/વૃદ્ધિકારક રસ્તે ઉકેલવા માંગે છે. આ કોર્સમાં વાય-ફાય નેટવર્કનો પાસવર્ડ પણ ‘‘12481632 '' રાખવામાં આવ્યો છે. કારણ કે દરેક અંક પછી આવનારો અંક તેનાથી બમણો છે. આખરે સીગ્યુલારીટી યુનિવર્સિટી બેજોડ શા માટે છે?

* * *

જગત માટે ''સિગ્યુલારીટી'' એ મલ્ટીડાયમેન્શનલ શબ્દ છે. વિજ્ઞાનની દરેક વિશ્વ શાખા તેનો અલગ અર્થ કરે છે. ગણીત માટે આ શબ્દનો અર્થ થાય, કોયડામાં આવતું એવું ''બિદું'' જેને આપેલ મેથેમેટીકસ મોડેલ વડે સમજાવી શકાતું નથી. ભૂમિતિ માટે તે કર્વ ઉપરનું એક બિદું છે જેને આપેલ પેરામીટર વડે લીસ્સું કે ખાડાટેકરા વિનાનું લીસ્સું નથી. પ્રકૃતિ વિજ્ઞાન અને કોસ્મોલોજીમાં તેનો અર્થ થાય છે કે ''અંતરીક્ષ-સમયનાં ક્ષેત્રમાં જ્યાં ગુરૃત્વાકર્ષણ બળનો વ્યાપ એટલો બધો છે કે પદાર્થ સંકોચાઈને એટલો નાનો બની ગયો છે કે તેને કદ જેવી કોઈ ચીજ રહી નથી. વોલ્યુમ ઝીરો થઈ ગયું છે. સ્ટીફન હોકીંગ અને રોજર પેનરોસની સીગ્યુલારીટી થિયરમમાં તેનો અર્થ થાય, પદાર્થ સંકોચાઈને બ્લેકહોલ બની ગયો છે. યંત્ર વિજ્ઞાનમાં સીગ્યુલારીટી એવી ચીજ છે જ્યાં પહોંચ્યા પછી મશીનની વર્તણુક કેવી હશે તેની કલ્પના પણ કરી શકાતી નથી. ટુંકમાં સિગ્યુલારીટી પછીનું ભવિષ્ય શું છે? આગાહી કરવી મુશ્કેલ છે. બસ... આ કારણે જ ''સિગ્યુલારીટી'' શબ્દ ''સાયન્સ ફિકશન'' માટે અનોખા 'અખતરા' કરવા માટેનું મોકળું મેદાન બની ગયો છે. સિગ્યુલારીટી શબ્દ અનેક વાર લોકજીભે ઉચ્ચારાયો છે. છતાં તેને એક નવો 'આયામ' આપ્યો છે, એક મહામાનવે જે આધુનિક ભવિષ્યવેત્તા છે, જેની આગાહીમાં દમ છે, જેને વૈજ્ઞાનિકો પણ માનની નજરે જુએ છે. અનેક લોકોની ભવિષ્ય તરફ જોવાની નજર આ માનવીએ બદલી નાખી છે. તેનો પ્રભાવ એટલો પડયો છે કે વિશ્વની અનોખી યુનિવર્સિટી સીગ્યુલારીટી યુનિવર્સિટી અસ્તિત્વમાં આવી છે? કોણ છે આ વ્યક્તિ ?
* * *
કોમ્પ્યુટર ટેકનોલોજીમાં તેનું પ્રદાન અનોખું અને અમુલ્ય છે.  CCD આધારીત ફલેટ બેડ સ્કેનરની શોધનાં મુખ્ય સૂત્રધાર તે છે. સ્કેન થયેલ ઈમેજ રૃપ ડોક્યુમેન્ટને ટેકક્ષ્ટમાં ફેરવી નાખનાર સોફટવેર જેને ઓપ્ટીકલ કેરેક્ટર રેકોગ્નાઈઝેશન કહે છે. તેની ઓમ્નીફોન્ટ OCR ટેકનોલોજી તેમણે વિકસાવી છે. નેત્રહીન વ્યક્તિને પ્રત્યેક શબ્દો વાંચી સંભળાવે એવું સ્પીચ રીડીંગ મશીન તેમણે વિકસાવ્યું છે. બજારમાં ઉપલબ્ધ ''ટેક્ષ્ટ ટુ સ્પીચ'' સીન્થેસાઈઝર તેમણે વિકસાવ્યું છે. બીજી વાત છોડો, અત્યારે સંગીતમાં વપરાતાં દરેક વાદ્યનો ડિજીટલ અવાજ પેદા કરી આપે તેવું ''મ્યુઝીક સિન્થેસાઈઝર'' પણ તેમણે આપેલ ભેટ છે. કોમ્પ્યુટર ક્ષેત્રે ભવિષ્યને આંગળીનાં ટેરવે લાવી દેનાર આ વ્યક્તિ એટલે રે કુર્ઝવીલ. નામમાં જ આશા અને ભવિષ્યનું કીરણ છુપાએલ છે રે કુર્ઝવીલ, એ આધુનિક સમયનો નોસ્ટ્રોદમસ છે. જેની આગાહીઓની સચ્ચાઈ આવનારી પેઢીઓ જાણી શકશે. અનેક  આવિષ્કાર માટે ''પાયાનો પત્થર''સાબિત થનાર રે કુર્ઝવીલને વિશ્વ એક આદર્શવાદી ભવિષ્યવેતા- ફ્યુચરોલોજીસ્ટ તરીકે ઓળખે છે. તેમની આગાહી અનોખી છે. ટેકનોલોજી તેની પૂર્ણ કક્ષાએ ક્યારે પહોચી ગણાશે ? જ્યારે મનુષ્ય એક કોમ્પ્યુટરની માફક દિલથી નહી દિમાગથી વિચારતો થશે અને મશીન/ રોબોટ/ કોમ્પ્યુટરનાં દીમાગમાં મનુષ્ય માફક 'દિલ'થી હિસાબ-કિતાબ થતો હશે. શું આવી ક્ષણ આવશે ખરી ? રે કુઝવીલ કહે છે કે મશીન મનુષ્યની માફક આર્ટીફીશીઅલ ઇન્ટેલીજન્ટથી વિચારતો થશે એ દિવસો દૂર નથી ! માત્ર ત્રણેક દાયકા બાદ એટલે કે ૨૦૪૫ની આસપાસ મશીન/ રોબોટ માનવી માફક વિચારતા થઇ જશે. ટેકનોલોજીની આ 'ઓલ્ટરનેટ હિસ્ટ્રી'ની ઘટના એટલે જ સિગ્યુલારીટી. સિગ્યુલારીટીને રે કુઝવીલે પોતાના કોપીરાઇટ જેવો ''આઇકોન''બનાવી દીધી છે. રે કુર્ઝવીલની નજરે જોઇએ તો, સિગ્યુલારીટી-ભવિષ્યનો સ્પર્શ માત્ર એક જ વેંત છેટો છે !

***

ટેકનોલોજી રેખીય દિશામાં નહી, એકસપોનેન્ટ માફક બમણી ઝડપે વિકસી રહી છે. કોમ્યુટીગ પાવર માટે ''મુર્સ લો ''દ્વારા આપેલ સમયગાળો પણ સંકોચાતો જાય છે. તમારો સ્માર્ટફોન આજથી બે દાયકા પહેલાનાં સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર કરતાં પણ વધારે 'ફાસ્ટ'છે. એક સમય એવો હતો કે મનુષ્યનો જેનોમ ઉકેલવા માટે આઇપીએલનાં ક્રિકેટરોની એક આખી ટીમ ખરીદવા જેટલો ખર્ચ થતો હતો. જ્યારે હાલમાં, ક્રિકેટ વર્લ્ડ કપની ફાયનલ મેચ જોવા, સારી ટીકીટ બુક કરાવો તેટલી રકમમાં જેનોમ ઉકેલી શકાય છે. હ્યુમન જેનોમ પ્રોજેક્ટમાં મનુષ્યનાં રંગસુત્રોનું ગુચળું ખોલીને તેનાં મુળાક્ષરો વાંચવાની શરૃઆત થઇ તે સમયની 'ડિએનએ'સિકવન્સ ઉકેલવાની ઝડપ જોઇને વૈજ્ઞાાનિકો બોલ્યા હતા કે ''આજે હ્યુમન જેનોમનો માત્ર ૧% જેટલો હિસ્સો ઉકેલતા આટલો સમય ગયો છે તો, આખો જેનોમ ઉકેલતા સાતસો વર્ષ લાગશે ! રે કુર્ઝવીલે ભારે આગાહી કરી હતી કે માત્ર સાત વર્ષના ગાળામાં મનુષ્યનો આખો જેનોમ ઉકેલાઇ જશે ! અને બન્યુ પણ એવું જ. રે કુર્ઝવીલે, ઇન્ટરનેટની જનેતા જેવી આર્યાનેટને દર વર્ષે બમણી ઝડપે ફેલાતી જોઇ હતી. મનુષ્યના ચેતા તંત્રનાં દોરડા માફક ઇન્ટરનેટનો વ્યાપ આખા વિશ્વમાં ફેલાઇ ગયો છે. પુસ્તકોનું ડીજીટલ સ્વરૃપ ''ઇ-બુક'નો પ્રથમ અવતાર રજુ થયો ત્યારે લોકો કહેતા હતા કે મોનીટર/ સ્ક્રીન ઉપર પુસ્તક વાંચવાની મજા આવશે નહી ! આજે લગભગ બધી જ બેસ્ટ સેલર નું ઇ-બુક, ડીઝીટલ વર્ઝન આસાનીથી મળી જાય છે. મોબાઇલનાં નાના સ્ક્રીન ઉપર મોટા મોટા SMS વંચાય છે. ફેસબુકની મજા મોબાઇલના ટચ સ્ક્રીન પર લેવાઇ રહી છે. કદાચ મનુષ્યને ''સ્ક્રીન રીડીંગ'માટે તૈયાર કરનાર આ સૌથી મોટું પરીબળ છે. પરંતુ જો સમગ્ર વિશ્વની મનુષ્યનીજાત માટે રે કુર્ઝવીલ જેવાં મહામાનવે કોમ્પ્યુટર કમ ટેકનોલોજીકલ 'રિવોલ્યુશન'લાવવાનો માનસીક મસાલો પૂરો પાડયો ન હોત તો આજની આ ડીજીટલ અવસ્થા શું શક્ય હતો ?

***

સિગ્યુલારીટી યુનિવસિર્ટીના એક સહ-સ્થાપકનું નામ છે પિટર ડાયમંડીસ. એક્સ પ્રાઇઝ ફાઉન્ડેશનનાં તેઓ મુખ્ય સ્થાપક છે. ચાર્લ્સ લીન્ડબર્ગની ઐતિહાસિક વિમાનયાત્રા ઉપર લખાયેલ તેમના પુસ્તક "ધ સ્પીરીટ ઓફ સેન્ટ લુઇસ" વાંચીને એક્સ પ્રાઇઝ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. જેનો મકસદ હતો નવી પેઢી નવી ટેકનોલોજી વડે પ્રાઇવેટ પેસેન્જરને અંતરીક્ષમાં લઇ જાય તેવુ સ્પેસશીપ/ અંતરીક્ષયાન બનાવે તેને એક કરોડ ડોલરનું ઇનામ આપવું અને, ૪ ઓક્ટોબર ૨૦૦૪નાં રોજ બર્ટરૃટાનની ડિઝાઇનવાળા ''સ્પેસશીપ વન''ને આ ઇનામ મળ્યું. ''સ્પેસશીપ વન''માટે નાણાં ભંડોળ માઇક્રોસોફ્ટનાં પોલ એલને આપ્યું હતું. આજે પિટર ડાયમંડીસનાં એક્સ પ્રાઇઝ ફાઉન્ડેશનમાં લેરી પેજ, એલન મશ્ક, જેમ્સ કેમેરોન, ડિન કામેન, રતન તાતા, રે કુર્ઝવીલ, નવીન જૈન, વિલ રાઇટ અને કુત્રીમ જીવ પેદા કરનાર ક્રેગ વેન્ટરનો સમાવેશ થાય છે. આ એવી વ્યક્તિઓ છે જેની ઓળખ આપવી જરૃરી નથી. જો તમે તેને ન ઓળખતા હો તો માની લેવાનું તમારું જીકે ખરાબ છે. ડાયમંડીસના અંતરીક્ષ પ્રેમના કારણે તેમણે ઇન્ટરનેશનલ સ્પેસ યુનિવસીર્ટીની સ્થાપના પણ કરી છે. ૧૯૮૭માં માસચ્યુસેટ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (MIT) માં તેઓ ગ્રેજ્યુએટ પ્રોગામના વિદ્યાર્થી હતા. તેના છ વર્ષ પહેલા તેઓ ટ્રેકિંગ/ પર્વતારોહણ માટે નીકળ્યા હતા. તેમની પીઠ પર લટકતા બેક પેકમાં પુસ્તક હતું. “ધ સિગ્યુલારીટી ઇસ નિયર”. આ બેસ્ટ સેલર પુસ્તકના લેખક હતા રે કુર્ઝવીલ. પુસ્તક વાંચતા પિટર હાસીયામાં નોંધ ટપકાવતો, તેની ઉમર ત્યારે હતી માત્ર ૨૬ વર્ષ. પિટર ડાયમંડીસ કહે છે કે 'અનેક ક્ષેત્રમાં અભ્યાસ કર્યા વગર પીએચડી કરી શકાય તેવું જ્ઞાન મને આ પુસ્તકે આપ્યું છે. આંતરરાષ્ટ્રીય લેવલે આવી ઇન્ટર- ડિસીપ્લીનરી યુનિવર્સિટીનું માર્કેટ અને માંગ મોટી રહે તેમ છે. માર્જીનમાં લખ્યું ''ઈન્ટરનેશનલ સિગ્યુલારીટી યુનિવર્સિટી-  ISU-2. સિગ્યુલારીટી યુનિવર્સિટીનો જન્મ થયો ત્યારે, બેરી ટોલેમી, રે કર્ઝુવીલ ઉપર ડોક્યુમેન્ટરી ફિલ્મ ''ટ્રાન્સડેન્ટ મેન''નું ફિલ્માંકન કરી રહ્યાં હતાં. સિગ્યુલારીટી યુનિવર્સિટીમાં આખરે શું થઇ રહ્યું છે?

***


વિશ્વમાં જ્યાં મોટી સમસ્યા છે તેનો ઉકેલ એ, નાણા કમાવા માટે મોટું માર્કેટ બની શકે તેમ છે. છતાં નોન-પ્રોફીટ લેવલે કામ કરી, ટેકનોલોજીનો ઉપયોગ માનવ કલ્યાણ માટે કરવાની શીખામણ સિગ્યુલારીટી યુનિવર્સિટી આપે છે. મેટરનેટ પ્રોજેક્ટમાં માનવરહિત ડ્રોન વિમાનોની એક આખી નેટવર્ક ઊભી કરવાનો મકસદ છે. હેતેઇ જેવાં ભૂકંપગ્રસ્ત વિસ્તાર કે આફ્રીકાનાં દૂરનાં ગામડાંમાં આપાતકાલીન પરિસ્થિતિમાં રાહત સામગ્રી, મેડિકલ હેલ્પ, અસરગ્રસ્તોને માટે બચાવ કામગીરી માટે આવી નેટવર્ક 'બેકબોન' બની શકે તેમ છે. મોબાઇલ ટેકનોલોજીનો ઉપયોગ, માસ ડિલીવરી સીસ્ટમ માટે થઇ શકે. બાયો-પ્રિન્ટીંગ ટેકનોલોજી વડે ચામડા અને માંસ ઉપર સીધું જ છાપકામ / પ્રિન્ટીંગ ટેકનોલોજી વિકસાવવાની છે, જેમાં ઓછી જગ્યા, ઓછા પાણી અને રસાયણોની જરૃર પડે તેમ છે. જેનો મુખ્ય મકસદ છે પ્રાણીઓને કોઇ જ પ્રકારનું નુકસાન પહોંચે નહીં. એક નવો પ્રોજેક્ટ પોપ-ક્વેક જેમાં સોલાર પાવર્ડ કોમ્પ્યુટર ચીપ વિકસાવવાનો ધ્યેય છે. ધરતીકંપ પહેલાંની અવસ્થા પારખીને મનુષ્યને આ ચીપ ચેતવણીની સાયરન વગાડી શકે.

***


રે કુર્ઝવીલે 'ધ એ જ ઓફ સ્પીરીચ્યુઅલ મશીન' લખી છે જેનો નવ ભાષામાં અનુવાદ થઇ ચુક્યો છે. ''ધ સિગ્યુલારીટી ઇઝ નીઅર'' બેસ્ટ સેલર સાબીત થઇ છે. મનુષ્યનાં સ્વાસ્થ્યને લગતાં પુસ્તક પણ તેમણે લખ્યા છે. રે કુર્ઝવીલ તેનાં નવાં પુસ્તક ''હાઉ ટુ ક્રિએટ માઇન્ડ'' નામનાં પુસ્તકની ચર્ચા કરવા માટે ગુગલનાં લેરી પેજને મળ્યા હતાં. આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્ટ વિશે ભારે ચર્ચા પણ થઇ. લેરી પેજે રે કૂર્ઝવીલને કરારમાં બાંધી લીધા કે 'કુત્રીમ મગજ'નાં સર્જન માટે જરૃરી બધા જ સ્ત્રોત પૂરા પાડશે. આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્ટ એવી હોવી જોઇએ જે મનુષ્યની પ્રાકૃતિક ભાષા પણ સમજી શકે. વેબ પેજ ઉપરનાં શબ્દો અને જાહેરાત વગેરેને અલગ તારવી શકે. ભવિષ્યનાં સર્ચ એન્જીનમાં લેરી પેજ આ સંભવતઃ આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્સ વાપરશે. ગુગલનાં લેરી પેજે ગયા ડિસેમ્બરમાં રે કુર્ઝવીલેને કંપનીનાં 'ચીફ એન્જીનીયર' તરીકે નિમણુંક આપી છે. પીટર ડાયમંડીસનો સમય ત્રણ ભાગમાં વહેંચાઇ જાય છે. અઠવાડીયામાં તે ૧૦૦ કલાક કામ કરે છે. (તમે?) ૪૦-૫૦ કલાક એક્સ-પ્રાઇઝ પાછળ જાય છે. બાકીનાં સિગ્યુલારીટી યુનિવર્સિટી પ્લેનેટરી રિસોર્સીઝ પાછળ જાય છે. અંતરીક્ષમાં રહેલ લઘુ-ઉલ્કાઓ ઉપર ખાણકામ કરીને પૃથ્વી પર દુર્લભ ખનીજો લાવવાના એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં પિટર ભાગીદાર છે. પ્રાઇસ તેમના માટે એક કઠીન પર્વતારોહણ હતું. શીખર ઉપર પહોંચ્યા પછી લાગ્યું કે આજુબાજુ બીજા ઘણાં જ શીખરો છે. ચઢાણ હજી બાકી છે. પિટર ડાયમંડીસ આરામ કરવામાં માનતાં નથી.

***


સિગ્યુલારીટી યુનિવર્સિટી અમેરિકાની સીલીકોન વેલી તરીકે જાણીતા કેલીફોર્નીયામાં આવેલી છે. અહીં અગીયાર જેટલાં ટેકનોલોજીકલ ક્ષેત્રમાં ખાસ પ્રોગ્રામ દ્વારા શિક્ષણ અપાય છે. તે જ ક્ષેત્રનાં વર્લ્ડ નંબર વન એક્સપર્ટ તેનું શિક્ષણ આપે છે. યુનિવર્સિટીને ખાનગી ભંડોળ ઉપરાંત નાસા, ગુગલ, ઓટોડેસ્ક, એક્સ પ્રાઇઝ, જીનેનટેક વગેરે પાસેથી સ્પોન્સરશીપ સ્વરૃપે આર્થિક મદદ મળે છે. આજની યુનિવર્સિટીની વ્યાખ્યામાં આ યુનિવર્સિટી ફીટ બેસતી નથી. કારણ કે... તેનો કોઇ સુનિશ્ચિત અભ્યાસક્રમ / સિલેબસ નથી. જાણીતી યુનિવર્સિટીનાં વડા કહે છે, અમે આખો અભ્યાસક્રમ ચાર પાંચ વર્ષમાં બદલી નાખીએ છીએ. સિગ્યુલારીટી યુનિવર્સિટીનો સીલેબસ વર્ષમાં ચાર પાંચ વાર બદલાય છે. યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થી ડિગ્રી લઇને બહાર પડે છે. તે ગાળામાં તેમણે શીખેલ ટેકનોલોજી આઉટ ઓફ ડેટ થઇ ચુકી હોય છે. ટૂંકાગાળાનાં પ્રોગ્રામમાં શીખવા મળતા જ્ઞાન કરતાં નવાં વિચારબીજ વધારે ઉત્તેજક અને તરોતાજાં હોય છે. અહીં ગયેલ વ્યક્તિ બહાર આવે ત્યારે, એકાદ નવા કન્સેપ્ટ ઉપર નવી કંપની ચાલુ થઇ જતી હોય છે.

***


સિગ્યુલારીટી યુનિવર્સિટીમાં રે કુર્ઝવીલ સીવાય કોઇ, મનુષ્ય અને મશીનની ક્ષમતા એક લેવલે બરાબર કરવાની વાત કરતું નથી. અહીં માત્ર ભવિષ્યનાં સંદર્ભમાં વૈશ્વિક સમસ્યાનો ઉકેલ મેળવવાની કોશિશ થાય છે. આવનારાં બે-એક દાયકા ટેકનોલોજી ક્ષેત્રે ઈનોવેટીવ હશે. શક્ય છે કે હાલની મોટી કંપનીઓનું ધોવાણ થઇ જશે અને નવી મોટી કંપનીઓ ઊભી થઇ જશે. આ કારણે વિશ્વનાં ''એક્ટીવ બ્રેઇન''ને એક મોટી 'થીંક ટેન્ક'માં ફેરવવાનું છે. આજની ટેકનોલોજીનો પ્રેકટીકલ ઉપયોગ થશે તો તેને માનવ કલ્યાણ માટે અવશ્ય વાપરી શકાશે. સિગ્યુલારીટીનો મતલબ છે કે ''એક એવો સમુદાય, સમાજ અને કુટુંબ પેદા થાય જેની નજર હંમેશા ભવિષ્ય ઉપર જ હોય. રે કુર્ઝવીલ જેવાં સ્વપ્નદ્રષ્ટાઓની એક આખી ફોજ તૈયાર થઇ જશે ત્યારે ભવિષ્યનો સ્પર્શ એકાદ વેંત છેટો હશે

બ્રહ્માંડની શરૃઆત : પ્રો. સ્ટીફન હોકીંગ...



સ્ટીફન હોકીંગ, નોબેલ કેલીબરનો સમકાલીન ભૌતિકશાસ્ત્રી, જેને વિજ્ઞાન જગત બહાર પણ 'ઓળખ' આપવાની જરૃર પડે તેમ નથી. કોમ્પ્યુટરાઈઝ્ડ ચેરમાં એક બાજુ ઢળી ગયેલ, લકવો લાગ્યો હોય તેવો ચહેરો, તેમની ઓળખ માટેનો વિઝ્યુઅલ આઈકોન બની ગયો છે. હાલમાં સ્ટીફન હોકીંગ અમેરિકાની મુલાકાતે ગયેલ છે. અહીં તેમણે પબ્લીક લેકચર, એક પછી એક આપવા માંડયાં છે. ફરીવાર ઈશ્વર એટલે કે ''ગોડ'' તેમનાં લેકચરમાં નેગેટીવ રોલમાં ડોકાઈ રહ્યો છે. ચર્ચ - ફરીવાર તેમનો વિરોધ કરી રહ્યું છે. આ રાબેતા મુજબનો સીલસીલો સ્ટીફન હોકીંગને કોઠે પડી ગયો છે.
તાજેતરમાં તેમનાં એક લેકચરમાં તેમણે સ્વીકાર્યું છે કે બ્લેક હોલને લગતી થિયરીમાં તેમની કેટલીક પૂર્વ ધારણાઓ ખોટી હતી. સ્ટીફન હોકીંગ કહે છે કે ''બ્લેકહોલમાં પ્રવેશેલ બધી જ વસ્તુઓ હંમેશા માટે ગુમાવી દઈએ છીએ. તે મારી વૈજ્ઞાનિક કારકિર્દીનું સૌથી મોટું જુઠાણું હતું.'' સ્ટીફન હોકીંગ કહે છે કે ખરેખર તો, બ્લેક હોલમાં પ્રવેશેલ બધી જ વસ્તુઓમાંથી, એક માત્ર રેડિયેશન એટલે કે ''કિરણોત્સર્ગ'' બ્લેક હોલમાંથી બહાર ફેંકાઈ શકે છે. હોકીંગે વર્ણવેલ આ પ્રકારનાં રેડિયેશનને હોકીંગ રેડિયેશન કહે છે. બ્લેક હોલને લગતાં સંશોધનોમાં ''હોકીંગ રેડિયેશન'' એ સ્ટીફન હોકીંગના સંશોધનોનો સીમાસ્તંભ છે.
અમેરિકાની ખ્યાતનામ કેસ્ટેક (કેલીફોર્નીયા ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી) ખાતે તેમણે આપેલ વ્યાખ્યાન અદ્ભુત છે. આ ઉપરાંત તેમણે લોસ-એજલ્સનાં સેડર-સિતાઈ મેડિકલ સેન્ટરમાં વાર્તાલાપ કર્યો હતો. આ મેડિકલ સેન્ટરની લેબોરેટરીમાં તેમણે સ્ટેમ સેલને લગતું રિસર્ચ નિહાળ્યું હતું. લોસ-એજલ્સની સ્ટેમ સેલ લેબોરેટરીએ, લોઉ ગોરીંગ ડિસીઝ જેનું બીજું નામ મોટર ન્યુરોન ડિસીઝ (MND) છે તેનાં ઉપર સંશોધન ચાલુ રાખ્યું છે. તબીબી ભાષામાં તેને અમીયોટ્રોફીક લેટરલ સ્કલેરોસીસ (ALS) કહે છે. શરીરના હલનચલનને લગતાં ચેતાકોષો (ન્યુરોન્સ)ને અસર કરનારાં રોગોમાં ALS સૌથી વધારે સામાન્ય રોગ છે, જેમાં સ્નાયુઓનું હલનચલન બંધ થઈ જાય છે. સાથે સાથે 'વાચા' પણ જતી રહે છે. છેલ્લા પચાસ કરતાં વધારે વર્ષોથી સ્ટીફન હોકીંગનું ALS સાથેનું મહાયુદ્ધ ચાલુ છે. રોગ લાગુ પડયા પછી તબીબોએ હોકીંગને માત્ર બે વર્ષની જીંદગી બાકી બચી હોવાનું જણાવ્યું હતું. મક્કમ મનોબળનાં કારણે ''હોકીંગ'' ૫૦ વર્ષ કરતાં વધારે જીંદગી આ રોગ સાથે જીવી ગયા છે.
બ્લેક હોલ અને બ્રહ્માંડની શરૃઆતને લગતાં તેમનાં કાર્ય-સંશોધનોથી પ્રો. હોકીંગ વિશ્વવિખ્યાત બની ગયા છે. સામાન્ય લોકોને ભૌતિકશાસ્ત્રનાં સિદ્ધાંતો સરળતાથી સમજાવતા તેમનાં પુસ્તક ''અ બ્રીફ હિસ્ટરી ઓફ ટાઈમ''ની વિશ્વભરમાં દસ કરોડ કરતાં વધારે નકલ વેચાઈ ચુકી છે. તેમનો રોગ સામાન્ય રીતે મગજનાં ચેતાકોષો અને કરોડરજ્જુમાં રહેલ ચેતાવાહીનીઓ ઉપર એટેક કરે છે. મગજનો સ્નાયુઓ ઉપરનો કંટ્રોલ/નિયંત્રણ રહેતો નથી. સામાન્ય રીતે જેમ જેમ સ્નાયુઓ નબળા પડતાં જાય તેમ તેમ હરવા-ફરવા અને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે છે. આ રોગની કોઈ સારવાર નથી અને રોગને રિવર્સ ગીઅરમાં લઈ જઈ, માનવીની સામાન્ય તંદુરસ્ત અવસ્થા સુધી પહોંચવાનો કોઈ શોર્ટકટ કે લોગ કટ નથી. સ્ટેમ સેલ રિસર્ચ, આજની તારીખે આશાનું એક માત્ર કિરણ છે. તેનો સંપુર્ણ સૂર્યોદય ક્યારે થશે? વૈજ્ઞાનિકોને પણ ખબર નથી.
હોકીંગને ત્રણ નર્સ ''શીફ્ટ''માં સેવા આપે છે. પોતાનાં ગાલનાં સ્નાયુ અને આંગળીઓનાં નજીવાં સંવેદનો દ્વારા તેઓ રોબોટીક મોનોટોનમાં પોતાનાં વિચારો કોમ્પ્યુટર દ્વારા વ્યક્ત કરે છે. જબાન-વાચા જતી રહેવા છતાં ભાષા અને શબ્દોએ તેમનો સાથ છોડયો નથી. કોમ્પ્યુટરાઈઝ્ડ સ્પીચ સિન્થેસાઈઝર દ્વારા તેમનો રોબોટીક અવાજ, સભાગૃહમાં ગુંજતો રહે છે. શારીરિક રીતે અશક્ત હોવા છતાં સામાન્ય માનવી કરતાં વધારે એક્ટીવ રહે છે. ૨૦૦૭માં એક એરક્રાફ્ટ (વિમાન)માં તેમણે વજનવિહીન સ્થિતીનો અનુભવ કરીને, પેરાબોલીક ડાઈવ્ઝની મજા માણી હતી.
લોસ એન્જલ્સનાં મેડિકલ સેન્ટરનાં ડૉ. રોબર્ટ બલોહ કહે છે કે ''પ્રો. હોકીંગની ૫૦ વર્ષ કરતાં વધારે લાંબી અવસ્થા શા માટે ? અમારી પાસે તેનો કોઈ ખુલાસો નથી. મેં એવા દર્દીઓની સારવાર કરી છે જે દસ કરતાં થોડા વધારે વર્ષ જીવ્યાં હશે. પરંતુ ૫૦ વર્ષ એ એક અસામાન્ય ઘટના છે.'' કદાચ નવો કિર્તીમાન પણ ખરો! તબીબી સેન્ટરમાં કરેલ વાર્તાલાપમાં પ્રો. સ્ટીફન હોકીંગે એક અનોખી આગાહી કરી છે. પ્રો. હોકીંગ કહે છે કે ''પૃથ્વી પર માનવીનું અસ્તિત્વ ખતરામાં છે. આવનારાં હજાર વર્ષમાં મનુષ્ય પૃથ્વી જેવા 'હેન્ડલ વીથ કેર' ગ્રહ ઉપર અસ્તિત્વ ટકાવી શકશે નહીં. અંતરીક્ષમાં તેનાં વસવાટ યોગ્ય અન્ય સ્થાન શોધવાની તેને ખાસ જરૃર છે.'' પ્રો. હોકીંગનાં વક્તવ્યનાં કેટલાંક અવતરણો ન્યુઝ પેપરોમાં ચમકી ગયા છે. સામાન્ય રીતે દર વર્ષે પ્રો. હોકીંગ એક મહીનો કેલ્ટેક ખાતે વિતાવે છે. કેલ્ટેક ખાતે આપેલ તેમનાં પબ્લીક લેકચરની કેટલીક વાતો માણવા લાયક છે. લેકચર સાંભળતા પહેલાં તેમને રૃબરૃમાં જોવા માટે વિજ્ઞાન ચાહકોએ બાર કલાક પહેલાંથી લાઈન લગાવી દીધી હતી. અને... લાઈનની લંબાઈ અડધો કી.મી. કરતાં વધારે હતી. એક હજાર કરતાં વધારે શ્રોતાની ક્ષમતા ધરાવતાં કેલ્ટેકનું ઓડીટોરીયમ હાઉસફુલ થઈ ગયું હતું. થિયેટર બહાર લોનમાં મોટા સ્ક્રીન અને સાઉન્ડ સીસ્ટમની વ્યવસ્થા કરવી પડી હતી. ઓડીટોરીયમમાં સ્ટીફન હોકીંગનાં કોમ્પ્યુટરાઈઝ્ડ સ્પીચ સિન્થેસાઈઝર દ્વારા તેમનો રોબોટીક અવાજ, સભાગૃહમાં ગુંજતો હતો.
મધ્ય આફ્રિકાનાં બોશોંગો આદિવાસીઓની ધાર્મિક માન્યતા મુજબ બ્રહ્માંડની શરૃઆતમાં માત્ર અંધકાર, પાણી અને મહાન ઈશ્વર (ગોડ) ''બુમ્બા''નું જ અસ્તિત્વ હતું. એકવાર 'બુમ્બા' દેવનાં પેટમાં દુખાવો ઉપડયો અને તેમણે ''ઉલટી'' (વોમીટ) કરી નાખી. બુમ્બાએ જે વોમીટ કરી તેમાં સૌ પ્રથમ સુર્ય બહાર નિકળ્યો. ત્યાર બાદ ચંદ્ર અને તારાંઓ. છેવટે પ્રાણીઓ જેમકે ચિતા, મગર, કાચબા નિકળ્યાં. મનુષ્યનો જન્મ સૌથી છેલ્લે થયો. આવી અનેક દંતકથાઓ આપણા એ સવાલનો ઉત્તર આપવા જન્મી છે કે ''આપણે અહીં (પૃથ્વી પર) શા માટે છીએ ? આપણે ક્યાંથી આવ્યા છીએ? મનુષ્યનું અસ્તીત્વ પૃથ્વી પર અન્ય સજીવોની સરખામણીમાં સૌથી ટૂંકું અને તરોતાંજા છે. મનુષ્ય જાતિ પોતાનાં જ્ઞાન અને ટેકનોલોજીને સુધારતી આવી છે.
ખ્રિસ્તી બિશપ યુશરના મત પ્રમાણે ૨૭ ઓક્ટોબર ઇ.સ.પૂર્વે ૪૦૦૪ની સવારે નવ વાગે દુનિયાનો પ્રારંભ થયો હતો. સજીવોની સામે, ભૌતિક પર્યાવરણ જેમ કે પહાડો, નદીઓ, મેદાનો, મહાસાગર વગેરે મનુષ્યના જીવનકાળ દરમ્યાન બદલાયા વગર રહ્યા છે અથવા નામમાત્રનો ફેરફાર થયો છે. આ બેકગ્રાઉન્ડ હમેશાં 'કોન્સ્ટન્ટ'રહ્યું છે. આમ છતાં, વિશ્વનો દરેક માનવી, ''બ્રહ્માંડની શરૃઆત''ની અવસ્થાના વિચાર બીજથી ખુશ નથી. શબ્દોની  પ્રવાહી શૈલીથી પ્રો.હોકીંગે પોતાના વ્યકતવ્યની આવી જાજરમાન શરૃઆત કરી શ્રોતાઓને જકડી રાખ્યા હતા. તેમના વકવ્યનાં ચમકારા માણીએ તો...
ખ્યાતનામ ગ્રીક ફિલોસોફર માનતો હતો કે બ્રહ્માંડની કોઇ શરૃઆત નથી અને અંત પણ નથી. બ્રહ્માંડનું અસ્તીત્વ હમેશાંથી હમેશા માટે છે. (હિન્દુ ધર્મની વિચાર ધારામાં પણ આવી સમજ ડોકાય છે.) જેનુ સર્જન થયું છે તેનાં કરતાં તેનો સર્જનહાર વધારે સુંદર અને સંપૂર્ણ છે. જેઓ માને છે કે બ્રહ્માંડની શરૃઆત છે એજ રીતે તેનો અંત પણ નિશ્ચિત છે. તેમના માટે ઇશ્વરનું અસ્તિત્વ એ પ્રાથમિક કારણ અથવા દલીલોમાં વ્યક્ત થાય છે.
જેઓ માને છે કે બ્રહ્માંડની શરૃઆત હતી !તો પછી શરૃઆતની અવસ્થા પહેલા શું હતું ! શું મનુષ્ય માટે નર્કાગારની વ્યવસ્થા થઇ રહી હતી ? બ્રહ્માંડની શરૃઆત પહેલા 'ઇશ્વર'શું કરી રહ્યો હતો ? (ઇમાન્યુએલ કાન્ટ જેવાં જર્મન તત્વચિતકોએ આ સવાલોના જવાબ શોધવામાં જીંદગી વિતાવી નાખી છે.)
૧૯૧૫માં આલ્બર્ટ આઇનસ્ટાઇને એક ક્રાંતિકારી વિચાર આપ્યો. ''સામાન્ય સાપેક્ષતાવાદ''. સ્પેસ અને ટાઇમ જેવાં પરિમાણો હવે ઘટનાઓ માટે સ્થિર બેકગ્રાઉન્ડ નથી. બ્રહ્માંડનાં આ પરિમાણ ગતિશીલ-ડાયનેમીક છે. જે બ્રહ્માંડમાં રહેલ મેટર (પદાર્થ) અને ઉર્જા (એનર્જી)ને આકાર આપે છે. બ્રહ્માંડમાં રહીને જ સાપેક્ષતાવાદને વ્યાખ્યાયીત કરી શકાય છે. આ હિસાબે બ્રહ્માંડની શરૃઆત પહેલાં શુ હતું ? એ સવાલ અસ્થાને છે. દક્ષિણ ધુ્રવ ઉપર ઉભા રહીને એવુ તો પુછી ના શકાય કે દક્ષિણ દિશા કઇ બાજુ છે ?
૧૯૨૦ પહેલાં સમયની સાપેક્ષમાં બ્રહ્માંડ 'અચળ'હતું. આ અર્થમાં બ્રહ્માંડની શરૃઆત જેવા શબ્દો અને સંજોગ કુત્રીમ લાગે છે. ૧૯૨૦ના દાયકા બાદ પરિસ્થિતિ બદલાય છે. માઉન્ટ વિલ્સન ખાતે આવેલ ૧૦૦ ઇંચના ટેલિસ્કોપ વડે અવલોકનો લેવાનાં શરૃ કર્યા. એડવિન હબલે અવલોકનોમાં નિહાળ્યું કે ''અંતરિક્ષ/ સ્પેસમાં તારાઓનું વિતરણ એકસમાન થયેલ નથી. તે એક ઝુમખામાં વ્યવસ્થિત ગોઠવાયેલા છે. જેને ગેલેક્સી એટલે કે આકાશગંગા કહે છે. જેમાંની કેટલીક ગેલેક્સી આપણી નજીક આવી રહી હતી. જ્યારે કેટલીક ગેલેક્સી આપણાથી દૂર જઇ રહી હતી. છેવટે હબલના આશ્ચર્ય વચ્ચે છેવટનું તારણ એ નિકળ્યું હતું કે બધી જ ગેલેક્સી આપણાથી દૂર ભાગી રહી છે. મજાની વાત એ હતી કે આપણાંથી ખૂબ જ દુર આવેલા ગેલેક્સીઓ વધારે ઝડપથી દૂર ભાગી રહી હતી. ટૂંકમાં બ્રહ્માંડનું વિસ્તરણ/ ફેલાવો થઇ રહ્યો હતો. હવે સમયની સાપેક્ષમાં બ્રહ્માંડ બદલાયા વગરનું ''અચળ''રહે છે  તેવા વિચારબીજને વૈજ્ઞાનિકોએ ફગાવી દેવામાં જ સમજદારી દાખવી દીધી હતી.
બ્રહ્માંડનું વિસ્તરણ થઇ રહ્યું છે એ વાત વીસમી સદીની સૌથી મહત્વની બૌદ્ધિક શોધોમાંની એક છે. જો બધી ગેલેક્સી એકબીજાથી દૂર ભાગી રહી છે તો તેનો મતલબ થાય કે ભુતકાળમાં તેઓ એકબીજાની ખૂબ જ નજીક હતી. જો તેમની ઝડપ અચળ રહે તો, ૧૫ અબજ વર્ષો પહેલા, તેઓ એકબીજાની ઉપર ગોઠવાયેલી હતી. શું આ અવસ્થા જ બ્રહ્માંડની શરૃઆત હતી ? આ સવાલથી ઘણા બધા ભૌતિકશાસ્ત્રીઓ દુઃખી છે કારણ કે બ્રહ્માંડની શરૃઆતની અવસ્થાએ આપણે પહોચીએ છીએ ત્યારે, આપણું આજનું ભૌતિકશાસ્ત્ર ત્યાં શીર્ણવિશીર્ણ થઇ જાય છે. ભૌતિકશાસ્ત્રનાં સામાન્ય નિયમો ત્યાં તૂટી પડે છે. તો પછી બ્રહ્માંડની શરૃઆતને સમજાવવી કઇ રીતે ? હવે આપણી સુવિધા માટે એક બાહ્ય પરીબળ એક બહારની એજન્સી હાજર જ છે, જેને આપણે 'ગોડ'કરીએ છીએ. જે નક્કી કરે છે કે 'બ્રહ્માંડની શરૃઆત'કઇ રીતે થઇ ? એક અતિ આધુનિક થિયરી પ્રમાણે બ્રહ્માંડનું ભલે વિસ્તરણ થઇ રહ્યું હોય ! પરંતુ તેની શરૃઆત જેવી કોઇ અવસ્થા નથી જેને સ્ટેડી સ્ટેટ થિયરી કહે છે, જેની વિભાવના હરમાન બોન્ડી થોમસ ગોલ્ડ અને ફ્રેડ હોયલે આપી હતી.
આ થિયરીનાં કેન્દ્રમાં વિચારબીજ એવું છે કે ''જેમ જેમ ગેલેક્સીઓ એકબીજાથી દુર જઇ રહી છે, તેમ તેમ સ્પેસમાં નવી ગેલેક્સીની રચના થતી જ જાય છે. ૧૯૬૦નાં દાયકાના અવલોકનોએ સાબિત કર્યું છે કે આ થિયરીમાં ખામીઓ છે. આ અને કેટલાક અન્ય કારણોસર વૈજ્ઞાનિકોએ આ થિયરીને પણ અલવિદા કરી દીધી છે. ડો.સ્ટીફન હોકીંગ અને રોજર પેનરોસે આપેલ સિગ્યુલારીટી થિયરીમાં દર્શાવાયું છે કે યુનિવર્સની શરૃઆત સંભાવના અને આગાહી છે. પરંતુ તેની શરૃઆત કઇ રીતે થઇ હતી તે દર્શાવી શકાયું નથી.''
સ્ટીફન હોકીંગ દ્વારા અપાયેલ ''સિગ્યુલારીન''પોઇન્ટે આવીને આઇનસ્ટાઇનના જનરલ રિલેટીવીટીના સમીકરણો નાકામયાબ બની જાય છે. આલ્બર્ટ આઇનસ્ટાઇનની થિયરી એ વાત બતાવે છે કે બ્રહ્માંડની ઉત્ક્રાંતિ કઇ રીતે થઇ છે. બ્રહ્માંડની શરૃઆત કઇ રીતે થઇ હશે  એ બાબત આલ્બર્ટ આઇનસ્ટાઇનની થિયરી લગભગ ચુપકીદીમાં ફેરવાઇ જાય છે.
આલ્બર્ટ આઇનસ્ટાઇનનો સાપેક્ષતાવાદ, બ્રહ્માંડની શરૃઆતની અવસ્થા સમજાવવામાં ક્યાં કાચો પડે છે ? ઘણાં વૈજ્ઞાનિકો માને છે કે બ્રહ્માંડની શરૃઆતની અવસ્થામાં ગુરૃત્વાકર્ષણ અથવા તેનાં જેવું બળ ખૂબ જ શક્તિશાળી હશે. પદાર્થના કણોને ખુબ જ નાનાખ સ્કેલ મોડેલ ઉપર સાપેક્ષતાવાદ નિષ્ફળ જાય છે. જ્યાં માઇક્રોસ્કોપીક સ્કેલ ઉપર કર્વાન્ટમ થિયરી લાગુ કરવી પડે છે. બ્રહ્માંડનું સર્જન સમજવા માટે સામાન્ય સાપેક્ષતાવાદ અને કવોન્ટમ થિયરીનું કોમ્બીનેશન જરૃરી બની જાય છે. બ્રહ્માંડની શરૃઆતની અવસ્થામાં થતો નજીવો ફેરફાર, આકાશગંગા, તારાઓ અને બ્રહ્માંડનાં અન્ય બંધારણ માટે કારણભૂત બને છે. પ્રો.હોકીંગ કહે છે કે ''વિજ્ઞાન જ્યારે એકબીજાથી દૂર આવેલ સ્પેસ ક્રાફ્ટ વચ્ચેનું અંતર, ગ્રેવીટેશનલ વેવ્સની શોધ કરીને ગણી શકશે, ત્યારે પરિસ્થિતિ કાંઇક અલગ હશે. એવું માનવામાં આવે છે કે બ્રહ્માંડની શરૃઆતનાં સમયે પણ આવા ગુરૃત્વાકર્ષણ બળના તરંગો પેદા થયા હતા જે આજદિન સુધી 'અચળ'બદલાયા વિનાના રહ્યા છે.
બ્રહ્માંડની શરૃઆતની પ્રથમ સેકન્ડમાં શું બન્યુ હશે ? એ સવાલનો જવાબ આપતાં પ્રો.હોકીંગે કહ્યું હતું કે ''ધ બીગ બેંગ વોઝ સ્ટ્રેન્ઝ ! વી સ્ટીલ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ઇટ ! એક વાત નિશ્ચિત છે કે આ ક્ષણોમાં ઇશ્વરની હેલ્પની જરૃર પડી હશે નહી !''આપણાં બ્રહ્માંડના સર્જન માટે, કોઇ બાહ્ય દિવ્ય શક્તિની ડખલબાજીની જરૃર પડે તેમ નથી. મનુષ્યએ પોતાના અસ્તિત્વની ચિંતા કરવાની જરૃર છે. મનુષ્યજાતીના ઉજ્જવળ ભવિષ્ય ખાતર પણ અંતરિક્ષમાં જવાની ખાસ જરૃર છે. આવનારા હજારો વર્ષોમાં મનુષ્યનું અસ્તિત્વ ટકી શકે તેમ લાગતું નથી. આ હિસાબે પૃથ્વી સિવાય બ્રહ્માંડનાં અન્ય સ્થાનને મનુષ્યનાં વસવાટ યોગ્ય બનાવવું જ પડશે.
પ્રો.સ્ટીફન હોકીંગ વિશે અભિપ્રાય આપતાં પ્રો.બ્રાયન કોક્ષ કહે છે કે ''પ્રો.સ્ટીફન હોકીંગની જીનીયસ નોબેલ પ્રાઇઝના કેલીબરની છે. દુનિયાનાં કોઇપણ વૈજ્ઞાનિક કરતાં ભૌતિકશાસ્ત્રને લોકપ્રિય બનાવવાનું કામ પ્રો.હોકીંગ કર્યું છે. જ્યારે હું ૨૦ વર્ષની ઉંમરનો હતો ત્યારે, અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઇમ''પ્રકાશિત થયું હતું. એ સમયે ભૌતિકશાસ્ત્ર પ્રત્યે આકર્ષણ પેદા કરે તેવા ખૂબ જ ઓછા પુસ્તકો હતા.'' દુનિયાના ઘણાં લોકો ઉપર આ પુસ્તકે ભૌતિકશાસ્ત્રનો જાદુ ચલાવ્યો છે. પ્રો. બ્રાયાન કોક્ષ બીબીસી માટે કામ કરે છે. લાર્જ હેડ્રોન કોલાયડર ઉપરનું તેમનું કામ જાણીતુ છે. ''આજના વૈજ્ઞાનિકો પ્રો. હોકીંગ ખરેખર ''નોબેલ પ્રાઇઝ''માટેના હકદાર ગણાય.'પ્રો.બાયન કોક્ષના શબ્દો બ્રહ્મવાક્ય સમાન છે. સમય બતાવી રહ્યો છે કે પ્રો. સ્ટીફન હોકીંગનો ''પબ્લીક ચાર્મ''હજી ખતમ થયો નથી.

Thursday 16 May 2013

ટેસ્ટ ટયુબ બેબી:અંતિમ અધ્યાય

IVF ટેકનિકના પ્રણેતા ડો. રોબર્ટ એડવર્ડનો જીવનદીપ બુઝાયો.


૬ જૂન ૨૦૧૨: ભારતનાં આકાશરસીયા શુક્રનું અતિક્રમણ નિહાળી રહ્યા હતાં. અમેરિકન ફેન્ટસી, સાયન્સ ફિક્શન, હોરર અને રહસ્યમય કલ્પના કથા લખનાર અમેરિકન લેખક રે બ્રેડબી ૯૧ વર્ષની ઉંમરે લાંબી માંદગી બાદ મૃત્યુ પામે છે, જેણે ખ્યાતનામ ફિક્શન 'ફેરનહીટ 41' લખી હતી. જાપાની રાજાશાહીનાં ગાદીવારસનાં લીસ્ટમાં છઠ્ઠા ક્રમે આવનાર રાજકુમાર ટોમોહીટો અનેક અંગોની નિષ્ફળતાનાં કારણે મૃત્યુ પામ્યા હતાં. સોલાર ઇમ્પલ્સ નામનું: સૌરશક્તિથી સંચાલીત પોતાનું પ્રથમ આંતરખંડિય ઉડ્ડયન પુરું કરીને છેવટે મોરોક્કોમાં ઉતરી ચૂક્યું હતું. આ આંતરરાષ્ટ્રીય સમાચારો વચ્ચે એક સામાન્ય મહીલા લેસ્લી બ્રાઉનનાં અવસાનનાં સમાચાર પણ છપાયા. સામાન્ય મહીલા એક અસામાન્ય ઘટના બદલ ઈતિહાસમાં અમર બની ગઈ. ૨૫ જુલાઈ ૧૯૭૮નાં રોજ લેસ્લી બ્રાઉને દુનિયાની પ્રથમ ટેસ્ટ ટયુબ બેબી 'લુઈસ બ્રાઉન'ને પોતાની કુખેથી જન્મ આપ્યો હતો. લેસ્લી બ્રાઉનને ઇતિહાસમાં અમર કરનાર વિરલા વૈજ્ઞાનિક કમ તબીબો હતાં સર રોબર્ટ એડવર્ડ અને ડો. પેટ્રીક સ્ટેપટો.
વિશ્વ ઇતિહાસની 'ટેસ્ટ ટયુબ' ઘટનાનાં સાથે સંકળાયેલા ડો. પેટ્રીક સ્ટેપટો ૧૯૮૮માં અવસાન પામ્યા હતાં. ટેસ્ટ ટયુબ બેબી લુઈસ બ્રાઉનની માતા લેસ્લી બ્રાઉન ૬ જુન ૨૦૧૨નાં રોજ આ દુનિયામાંથી વિદાય લે છે. ઘટનાનાં મુખ્ય સુત્રધાર સમા ડો. રોબર્ટ એડવર્ડનું તાજેતરમાં, એટલે કે ૧૦ જૂન ૨૦૧૨નાં રોજ લાંબી માંદગીબાદ ૮૭ વર્ષની ઉંમરે અવસાન થયું છે.
સ્વર્ગસ્થ ડો. સર રોબર્ટ એડવર્ડે પોતાની વાત વિશ્વ સમક્ષ મુકતાં કહ્યું હતું કે, 'જીવનમાં સૌથી મહત્વની બાબત છે, તમારાં પોતાનાં સંતાન હોવાં.' મતલબ નિઃસંતાન રહેવું એ જિંદગીનો મોટો અભિશાપ છે. બાળકોની ખુશી જિંદગીમાં કેવાં વળાંકો લાવે છે એ વાત બોલીવુડની ફિલ્મ 'વિકી ડોનર' માણતી વખતે કદાચ તમને સમજાઈ હશે. સ્પર્મ ડોનેશન પહેલાં, ઈન વિટ્ટો ફર્ટીલાઈઝેશન જેને તબીબી ભાષામાં 'આઈવીએફ' કહે છે તેનાં મુખ્ય સુત્રધાર વૈજ્ઞાનિકો હતાં ડો. રોબર્ટ એડવર્ડ અને ડો. પેટ્રીક સ્ટેપટો બંને વૈજ્ઞાનિકો આપણા વિશ્વમાંથી વિદાય લઈ ચૂક્યાં છે ત્યારે તેમણે શોધેલ ટેકનીકે આપણું વિશ્વ બદલી નાખ્યું છે.
અત્યાર સુધી વિશ્વમાં ૫૦ લાખ કરતાં વધારે બાળકો 'ટેસ્ટ ટયુબ'મેથડથી જન્મી ચૂક્યાં છે. એકલાં બ્રિટનમાં વર્ષે દહાડે ૧.૮૦ લાખ બાળકો 'ટેસ્ટ ટયુબ'નાં પરીણામે પેદા થાય છે. ટેસ્ટ ટયુબ મેથડનો સૌથી ઉંચો સફળતાંક ઈઝરાએલે મેળવ્યો છે. ટેસ્ટ ટયૂબ બેબી પેદા કરવા માટે વિશ્વની કંટ્રોલીંગ ઓથોરીટીએ ૪૦થી ૫૦ વર્ષની ઉંમરની ભલામણ કરેલ છે. બ્રિટનમાં એન્ડ્રીયા હેવુડ નામની ૨૪ વર્ષની નર્સનો કેસ ચર્ચાસ્પદ બન્યો છે. તેનું એપેન્ડીક્ષ ફાટી જતાં એન્ડ્રીયાની ફેલોપીઅન ટયુબને નુકસાન પહોચ્યું છે. કુદરતી રીતે તે 'મા' બનવા સક્ષમ નથી. તેના પતિ આરોને, લોકલ પ્રાઈમરી કેર ટ્રસ્ટમાં 'ટેસ્ટ ટયુબ બેબી' પ્રોસીજર માટે પોતાનો કેસ રજુ કર્યો છે. ત્રણ વાર તેની અરજી નકારવામાં આવી છે કારણ કે એન્ડ્રીયાની ઉંમર હાલ ૨૪ વર્ષ છે. ૩૦ વર્ષની ઉંમરે તેને 'ટેસ્ટ ટયુબ બેબી' ટ્રીટમેન્ટ મળે તેમ છે. નિઃસંતાન દંપતી માટે 'ઈન વિટ્ટો ફર્ટીલાઈઝેશન' એક માત્ર આશાસ્પદ વિકલ્પ છે. જોકે આ ખર્ચાળ પદ્ધતિનો સફળતાંક ૫૦થી ૫૫ ટકા જેટલો છે. એટલે કે IVF થી બાળક મેળવવા માટે દંપતી ૫૦/૫૦ ચાન્સ છે. રિસ્ક લેવા જેવું ખરું? પરંતુ ૧૯૫૦ દાયકાની વાત જરા અલગ હતી.
બ્રિટીશ વૈજ્ઞાનિક રોબર્ટ એડવર્ડ સમજતા હતાં કે બાળક પેદા કરવાની ક્ષમતા ન ધરાવતા કપલ માટે ઈન વિટ્ટો ફર્ટિલાઈઝેશન કેટલું શક્તિશાળી ઓજાર સાબીત થઈ શકે છે. જોકે અહીં સમસ્યા બીજી હતી. થિયરીમાં ફાંકડો લાગતો આઈડિયા પ્રેક્ટીસમાં મુકવામાં ફિયાસ્કો થઈ જતો હતો. ડો. એડવર્ડ અન્ય વૈજ્ઞાનિકોએ કરેલ સસલાં-ઉંદર ઉપરનાં પ્રયોગોનાં પરિણામ સારી રીતે જાણતાં હતાં. વૈજ્ઞાનિકોએ ઉંદર-સંસલાનાં અંડકોષોને કાઢી લઈને, તેને નર શુકાણુથી, માદાનાં શરીર બહાર એટલે કે ટેસ્ટ ટયુબ કે ગ્લાસની પેટ્રી ડીશમાં ફલીત કરી, ચાર-પાંચ દિવસમાં વિકસીને 'બ્લાસ્ટોસિસ' સ્વરૃપ ધારણ કરે ત્યારે તેને માદાના ગર્ભમાં ગોઠવી બતાવ્યા હતાં. મનુષ્ય ઉપર આ પ્રકારનાં પ્રયોગો થયા ન હતાં. ડો. રોબર્ટ એડવર્ડ અને ડો. પેટ્રીક સ્ટેપટો, આ અશક્ય લાગતી કલ્પનાને હકીકતમાં બદલવા માટે ઝઝુમી રહ્યાં હતાં. તેમણે પોતાના જ્ઞાનનો ઓજાર તરીકે અને અનુભવને 'કલા' તરીકે લઈને ઈનવિટ્રો ફર્ટીલાઈઝેશનનાં પ્રયોગો શરૃ કર્યા હતા.
ડો. એડવર્ડની વૈજ્ઞાનિક વિશ્વમાં એન્ટ્રી, આમ જોવા જઈએ તો વહેલી થઈ હોત. જોકે બીજા વિશ્વયુદ્ધ અને બ્રિટીશ આર્મીમાં તેમણે આપેલ સેવાને કારણે તેઓ મોડા પડયા. ૧૯૫૧માં વેલ્સની યુનિ ઓફ બાંગોરમાંથી તેમણે ડિગ્રી મેળવી. ૧૯૫૫માં યુનિ. ઓફ એડિનબર્ગમાંથી પીએચડીની ડિગ્રી મેળવી અને સાથોસાથ ભવિષ્યમાં તેમની પત્ની બનનાર 'રૃથ'ની મુલાકાત પણ એડિનબર્ગમાં જ થઈ. જ્યારે તેમણે મનુષ્યનાં સ્પર્મ (શુક્રાણુ) અને સ્ત્રીનાં 'ઈંડા' (અંડકોષ)ને ભેગા કરીને નવા જીવનની શરૃઆત કરવાના જે પ્રયોગો શરૃ કર્યા તે વિજ્ઞાન જગત માટે એક 'ક્રિટીકલ મોમેન્ટ' હતી. માસ મીડીયા, સમાજ અને નિતીશાસ્ત્ર પ્રયોગો સામેની એક મોટી દિવાલ બની ગયા હતાં.
જેમની એક માત્ર અનોખી શોધે સામાન્ય માનવીની જિંદગીને સીધો જ સ્પર્શ કર્યો હોય તેવી આ વિરલ ઘટના હતી. દુનિયાને પ્રથમ ટેસ્ટ ટયુબ બેબી 'લુઈસ જ્હોન બ્રાઉનની' ભેટ આપનાર વૈજ્ઞાનિકોને, વિજ્ઞાન જગતે ખાસ્સા ત્રણ દાયકા બાદ 'મેડિસીન ક્ષેત્રનું નોબેલ પ્રાઇઝ આપીને વધાવ્યા હતાં.' ડો. રોબર્ટ એડવર્ડને નવાજવામાં ભલે મોડું થઈ ગયું હતું. પરંતુ તેમનું સંશોધન અને 'આઈવીએફ' ટેકનીક ભવિષ્યમાં ક્યારેય આઉટ ઓફ ડેટ થવાની નથી.તેમા સુધરા વધરા થતા રહેશે.
૨૦૧૦માં ડો. રોબર્ટ એડવર્ડને મેડિસીનનું નોબેલ પ્રાઈઝ અપાઈ રહ્યું હતું. ત્યારે સમારંભમાં તેમની બીજા નંબરની પુત્રી ડો. જેની જોય અને અન્ય ચાર બહેનો પણ હાજર હતી. જ્યારે લુઈસ બ્રાઉનનો જન્મ થયો ત્યારે 'જેની' અઢાર વર્ષની હતી. તેનાં પિતાએ જ્યારે મેડિસીનનું નોબોલ પ્રાઈઝ સ્વીકારીને સુંદર સ્પીચ આપી ત્યારે જેનીની ઉંમર ૫૦ વર્ષની હતી. સમયરેખા ઉપરનાં સીમાચિન્હો, સમય માપવા માટે તો અનોખો ગ્રાફ બતાવે છે. આજે ટેસ્ટ ટયુબ બેબીની ઉંમર ૩૫ વર્ષની છે. તેની માતા લેસ્બીની બંને ફેલોપીઅન ટયુબ બ્લોક થઈ ગયેલ હોવાથી, ડો. એડવર્ડે તેનાં ઉપર IVF અજમાવવાનો નિર્ણય લીધો હતો. તેનાં પિતા ૨૦૦૬માં મૃત્યુ પામ્યાં હતાં. જ્યારે માતાનું અવસાન ૨૦૧૩માં થયું હતું. ૧૦ એપ્રિલે ડો. રોબર્ટ એડવર્ડનું અવસાન થતાં હવે વિશ્વની પ્રથમ 'ટેસ્ટ ટયુબ બેબી'ની સ્ટોરીમાં માત્ર ટેસ્ટ ટયુબ બેબી 'લુઈસ બ્રાઉન' એકમાત્રા હયાત પાત્ર છે. મજાની વાત એ છે કે લુઈસનાં જન્મ બાદ ચાર વર્ષ બાદ તેની નાની બહેન 'નાતાલીએ'નો જન્મ થયો હતો. આ સમયગાળામાં વિશ્વમાં અન્ય ૩૮ બાળકો ટેસ્ટ ટયુબ ટેકનીકથી જન્મી ચૂક્યાં હતાં. નાતાલીએ બ્રાઉનનો ટેસ્ટ ટયુબ બેબીનાં વર્લ્ડ રજીસ્ટરમાં ક્રમાંક હતો ચાલીસમો. IVF થી જન્મ લેનાર લુઈસ બ્રાઉને પોતાનાં પ્રથમ સંતાન 'કેમેરોન'ને કુદરતી રીતે ગર્ભ-ધારણ કરીને જન્મ આપ્યો છે. ૧૯૭૮માં ટેસ્ટ ટયુબ બેબી તરીકે જન્મ લેનાર લુઈસ બ્રાઉનનાં જન્મની ખબર એક આંતરરાષ્ટ્રીય સમાચાર બની ગયા હતાં. લાઈમ લાઈટમાં આવેલ ડો. એડવર્ડ અને ર્ડો પેટ્રીકે દુનિયાની પ્રથમ  IVF ક્લીનીક બોર્નહોલ, કેમ્બ્રીજશાયર ખાતે શરૃ કરી હતી. ૨૦૧૦માં ડો. રોબર્ટ એડવર્ડને નોબેલ પ્રાઈઝ મળ્યા પછી, બ્રિટનનાં રાજવી કુટુંબને અચાનક શાન આવી ગઈ હતી. ૨૦૧૧માં બ્રિટનની મહારાણીનાં જન્મદીનની ઉજવણી વખતે ડો. એડવર્ડને 'સર'નો ખિતાબ આપવામાં આવ્યો હતો. કદાચ મહારાણીને ચર્ચનો ડર સતાવતો હશે.
ડો. એડવર્ડને શ્રદ્ધાંજલી આપતા લેખમાં ન્યુયોર્ક ટાઈમ્સ લખે છે કે 'ડો. એડવર્ડે તેમનાં સહકાર્યકર સાથે મળીને IVF ટેકનિક વિકસાવીને, તબીબી જગતમાં નવા યુગના મંડાણ કર્યા છે. લાખો નિઃસંતાન દંપતી હવે બાળક મેળવી શકે છે. સ્ત્રીઓ હવે રજોનિવૃત્તિકાળમાં (મેનોપોઝ) પ્રવેશી ચૂકી હોય તો પણ હવે 'મા' બની શકે છે.' સ્ત્રીને 'મા'નું બિરુદ મળી જાય તેનાથી મોટી ભેટ કઈ હોઈ શકે.
ડો. એડવર્ડની ભેટને વિજ્ઞાન જગત ન્યુટન, આઈનસ્ટાઈન અને ડાર્વીનનાં સંશોધનની સમકક્ષ મુકે છે. ઈનવિટ્રો ફર્ટીલાઈઝેશન એટલે કે ટેસ્ટ ટયુબ બેબીનાં સંશોધનનાં ઇતિહાસમાં એક ડોકીયું કરીએ તો, ડો. એડવર્ડ અને ડો. પેટ્રીક સ્ટેપટોનાં સઘર્ષની કથા મળી આવે છે.
ફર્ટિલાઈઝડ એટલે કે ફલીત કરેલ અંડકોષમાં સ્પર્મનો પ્રવેશ કરાવીને ફલન કરાવવાની પ્રક્રિયાને અંતે મળતું ઈંડુ એટલે કે 'ફર્ટીલાઈઝડ એગ' પ્રાણીનાં શરીરમાંથી ફલીત થયેલ ઈંડાને હેમખેમ બહાર કાઢવાની ટેકનિક જ્હોન રોક નામના વૈજ્ઞાનિક વિકસાવી હતી. આ અમેરિકી વૈજ્ઞાનિક આજે IVF નાં પ્રણેતા કરતાં, હોર્મોન આધારીત કુટુંબ નિયોજનની ગોળીઓ 'કોન્ટ્રાસેપ્ટીવ પીલ્સ' માટે વધારે જાણીતા છે. ભારતમાં વપરાતી 'માલા-ડી' ગોળી પણ કોન્ટ્રાસેપ્ટીવ પીલ્સ જ છે. ૧૯૫૫માં આવી ગોળીની શોધ થઈ અને ૧૯૫૭માં બ્રાન્ડ નેમ સાથે બજારમાં મળતી થઈ ચુકી હતી.
સ્ત્રીનાં ઈંડાને ઈન વિટ્રો ટેકનીક વડે ફર્ટીલાઈઝડ કરવાનો પ્રથમ કિસ્સો તબીબી જગતનાં શીરમોર જેવા મેગેજીન 'લાન્સેટ'માં ૧૯૭૩માં છપાયો હતો. આ પરાક્રમ યુનીનાં વૈજ્ઞાનિકોએ કર્યું હતું. આ માત્ર શરૃઆત હતી. સંશોધકોએ ફલીત ઈંડાને જાણી જોઈને સ્ત્રીનાં ગર્ભાશયમાં આરોપ્યુ ન હતું. અથવા તેઓ આમ કરવામાં નિષ્ફળ ગયા હતાં. ટેસ્ટ ટયુબમાં શરૃ થયેલ પ્રથમ પ્રેગનન્સી ગણતરીનાં દિવસો ચાલી હતી. તબીબી ઇતિહાસ તેને બાયો-કેમિકલ પ્રેગનન્સી તરીકે યાદ કરે છે. વિટ્રો શબ્દ લેટીન ભાષાનો છે, જેનો અર્થ થાય 'કાચ'. વિટ્રીફાઈક ટાઈલ્સમા જે 'વિટ્ટી' શબ્દ છે તેનું મૂળ પણ આ 'વિટ્રો' જ છે.
૧૯૬૯માં રોબર્ટ એડવેર્ડે IVF નાં પ્રયોગો શરૃ કર્યા હતાં. તેમને ઈંડાને ફલીત કરવામાં સફળતા મળી હતી. પરંતુ, એક મોટી સમસ્યા મો ફાડીને સામે ઉભી હતી. ફલીત કરેલ અંડકોષ 'સીંગલ સેલ' ડિવીઝન (વિભાજન) પામીને અટકી જતાં હતાં. ડો. એડવર્ડને લાગ્યું કે અંડાશયમાંથી અલગ તારવેલ 'ઈંડુ' જો શરૃઆતથી જ વધારે પરીપકવ (પાકેલું) હોય તો વધારે સારું પરિણામ મળશે. હવે મેચ્યોર એગ કઈ રીતે મેળવવા એ દિશામાં તેમણે સંશોધન શરૃ કર્યું. આ ઉપરાંત આ કાર્યમાં તેમણે ડો. પેટ્રીક સ્ટેપટોની મદદ લેવાનું પણ શરૃ કર્યું. ૧૯૭૧માં તેમણે બ્રિટીશ સરકાર પાસે સંશોધન માટે નાણા ફાળવવા માટે અરજી કરી. જેને સરકારે ફગાવી દીધી. બે બંને વૈજ્ઞાનિકો એ 'પ્રાઈવેટ ડોનેશન'નો માર્ગ અપનાવ્યો. એક સમસ્યાનો ઉકેલ મળ્યો ત્યારે IVF સામે સમાજની નારાજગી અને નૈતિક્તાનો પ્રશ્ન નડવા લાગ્યો. શરમાળ પ્રકૃતિનાં ડો. એડવેર્ડ આ સમસ્યાનો સામનો કરવાની જવાબદારી ડો. પેટ્રીકને સોપીને નિશ્ચિંત થઈ ગયા.
ડો. એડવર્ડ અને ડો. સ્ટેપ રો એ ૧૯૭૦ની શરૃઆત સુધીમાં લગભગ ૧૦૦ કિસ્સામાં નિષ્ફળતા મેળવી હતી. પ્રયોગશાળામાં એગ અને સ્પર્મનો મેળાપ કરાવીને તેને સ્ત્રીનાં ગર્ભાશયમાં ગોઠવવામાં આવ્યા પરંતુ ગર્ભાશયમાં આ ફલીત ગર્ભાંકુરનો વિકાસ અટકી જતો હતો. છેવટે ૧૯૭૭માં ડો. એડવર્ડે પોતાની જુની ટેકનિક બદલી. ગર્ભાશયની બહાર અંડકોષ અને શુક્રાણું જીવીત રહે અને ફલન પ્રક્રિયા થાય, એટલું જ નહીં તેનો વિકાસ થઈને, વૈજ્ઞાનિક જેને બ્લાસ્ટોસીસ્ટ કહે છે કે તે તબક્કે પહોંચે તે માટે ખાસ પ્રકારનું માધ્યમ (પ્રવાહી) વિકસાવ્યું હતું, જેને તેઓ મેજીક કલ્ચર ફ્લુઈડ કહે છે. શરૃઆતમાં ફલીત કોષ, કોષવિભાજન પામીને આઠ કોષોની સંખ્યાએ પહોંચે તેને 'બ્લાસ્ટોસીસ્ટ' કહે છે.
અંડાશયમાંથી અંડકોષ મેળવવા ડો. પેટ્રીક સ્ટેપટોએ લેપ્રોસ્કોપનો ઉપયોગ કર્યો હતો. સમાજનાં વિરોધ છતાં ડો. એડવર્ડ અને ડો. પેટ્રીક સ્ટેપટોએ દર્દીનાં શરીરનું બાયોલોજીકલ એનાલીસીસ ચાલું જ રાખ્યું હતું. આવા સમયે લેસ્લી અને જ્હોને ડો. એડવર્ડનો બાળક મેળવવા માટે સંપર્ક કર્યો. છેલ્લા નવ વર્ષથી સતત કોશિશ કરવા છતાં આ દંપતી 'બાળક' મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. બંને તબીબોએ દર્દીનાં શરીરમાં રહેલા અંતસ્ત્રાવોનું લેવલ કેટલું છે તેની માહિતી મેળવી. ગર્ભ ધારણ માટે ક્યો સમય સારો રહેશે તે નક્કી કર્યું. ગર્ભધારણ સમયાવસ્થા દરમ્યાન 'હોર્મોન્સ થેરાપી'નો કેટલો ઉપયોગ કરવો તે સુનિશ્ચિત કર્યું. અનેક ઝીણી વિગતોનો અભ્યાસ કર્યા બાદ લેસ્લી બ્રાઉનના ગર્ભાશયમાં, ઈનપિટ્રો ફર્ટીલાઈઝેશન  (IVF) કરેલ બ્લાસ્ટોસીસનું આરોપણ કર્યું. આ વખતે તેમને સફળતા મળી. લેસ્લીનાં શરીરમાં ગર્ભ વિકાસ પામવા લાગ્યો હતો. હવે પ્રેસ અને અન્ય મીડીયાને ડો. એડવર્ડ અને લેસ્લી બ્રાઉનનાં ખબર મળી ચૂક્યા હતાં. 'સમાજના વિરોધનાં કારણે લેસ્લી ઉપર 'મેન્ટલ સ્ટ્રેસ' પેદા થાય અને બાળકની કસુવાવડ થઈ જાય તે ઘટનાને ટાળવા માટે લેસ્લીને ગર્ભાવસ્થા દરમ્યાન અજ્ઞાત સ્થળે છુપાવી રાખવામાં આવી હતી. છેવટે ૨૫ જુલાઈ ૧૯૭૮નાં રોજ લેસ્લી ઉપર સીઝેરીઅન સેક્શન કરીને 'લુઈસ બ્રાઉન'નો જન્મ થયો. હવે બંને તબીબોએ વિશ્વ સમક્ષ પ્રથમ 'ટેસ્ટ ટયુબ બેબી'ની જાહેરાત કરી.
IVF ટેકનીક વડે કલ્પના હવે હકીકત બની ચૂકી હતી. ૧૯૭૮ બાદ ડો. એડવર્ડ અને ડો. પેટ્રીક સ્ટેપટો, વિશ્વનાં અન્ય તબીબોને IVF  દ્વારા કઈ રીતે બાળક મેળવવું એ શિખવતા રહ્યાં હતાં. તેમની IVF કલીનીકમાં હવે દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થઈ ચૂક્યો હતો. બંને વૈજ્ઞાનિકો એ IVF વડે નિઃસંતાન દંપતીને બાળક આપવાનો 'તબીબી યજ્ઞ' ચાલુ રાખ્યો હતો. ૧૯૮૬માં ડો. પેટ્રીક સ્ટેપટોનું અવસાન થતાં આ 'અનબીટેબલ' જોડી તૂટી ગઈ. ડો. એડવર્ડ અને ડો. પેટ્રીકની બોર્ન હોલ ક્લીનીક આજે પણ IVF ટ્રીટમેન્ટ આપે છે, જેનો ખર્ચ ૪૦૦૦થી ૮૦૦૦ પાઉન્ડ જેટલો થાય છે. બ્રિટનમાં વર્ષે દહાડે ૩૦ હજાર મહીલાઓ IVF વડે બાળક મેળવવા પ્રયત્ન કરે છે, જેમાંથી ચૌદ હજાર જેટલી મહીલાઓ ખરેખર 'મા' બની જાય છે.
ડો. એડવર્ડનાં નિધન બાદ, આમ જોવા જઈએ તો તેમનું 'ફેમીલી' ખૂબ જ વિશાળ ગણાય. સામાજિક સંદર્ભે મૃત્યુબાદ તેઓ તેમની પત્ની 'રૃથ', પાંચ સંતાનો અને ૧૨ પૌત્ર-પૌત્રીઓને મુક્તાં ગયાં છે. આજે સમય અને ટેકનીક બંને બદલાઈ ગયાં છે. સ્ત્રીનાં શરીરમાં 'મેરચ્યોર એગ'ની માહિતી અને ઓળખ સોનોગ્રાફી વડે કરવામાં આવે છે. લેપ્રોસ્કોપનાં બદલે ખાસ પ્રકારની સીરીન્જ વડે અંડાશયમાંથી અંડકોષ મેળવવામાં આવે છે. પેટ્રી ડીસમાં રહેલ 'કલ્ચરલ' મીડીયમમાં એગ સ્પર્મનો 'મિલાપ' અને 'વિકાસ' થાય છે. યોગ્ય સમયે સ્ત્રીનાં ગર્ભાશયમાં ગોઠવાઈ તે છેવટે 'બાળક' સ્વરૃપે આ દુનિયામાં પ્રવેશે છે.
આજે તબીબી જગત માટે સમય અને સમજ બંને બદલાઈ ગયાં છે. IVF  ટેકનીક હવે રોકડીયો ધંધો બની ગઈ છે. બ્રિટનનાં ફર્ટિલીટી નિષ્ણાંત લોર્ડ રોબર્ટ વિન્સ્ટનનાં આક્ષેપ પ્રમાણે ખાનગી ક્લીનીકમાં તબીબો, દર્દી પાસેથી, વાસ્તવિક રીતે થતાં ખર્ચ કરતાં ત્રણ ગણાં વધારે નાણા વસુલ કરી રહ્યા છે. દર્દીનું આર્થિક શોષણ થઈ રહ્યું છે. માત્ર બ્રિટનમાં જ નહીં, વિશ્વનાં અન્ય દેશોમાં પણ આ જ પરિસ્થિતિ છે.
IVF થી માતા બનેલ સ્ત્રી, બાળકનો ચહેરો જોઈ ખુશ થતી હશે ત્યારે, દર્દીનું આર્થિક શોષણ થતું જોઈને સ્વર્ગમાં પણ ડો. રોબર્ડ એડવર્ડ અને ડો. પેટ્રીક સ્ટેપટોનો જીવ બળતો હશે. IVF  ટ્રીટમેન્ટમાં યોગદાન આપવા છતાં વિશ્વ જેને વિસરી ચૂક્યું છે તેવાં સ્વર્ગસ્થ વૈજ્ઞાનિક જ્હોન રોકની હૈયાવરાળ કદાચ આ બે મહાનુભાવો કરતાં જુદી હશે.

"થિયરી ઓફ પાનસ્પર્મીઆ":વિવાદાસ્પદ વૈજ્ઞાનિકની વિવાદાસ્પદ રજુઆત...

કાર્લ સાગાન અને ફ્રેડ હોયલ દર્શાવેલ શક્યતાનો કોન્સેપ્ટ "ડાયરેક્ટ પાનસ્પર્મીઆ" કહેવાય છે. કદાચ તેની એક પ્રોડક્ટ એટલે ''મનુષ્ય''???


ડિસેમ્બર ૨૯, પોલોનાંરુંવા નામનાં શ્રીલંકાનાં વિસ્તારમાં સાંજનાં ટાઈમે પીળા રંગનો અગનગોળો દેખાવા લાગ્યો. પૃથ્વીનાં વાતાવરણમાં પ્રવેશતાં જ તેનો રંગ લીલો થઈ ગયો. વાતાવરણમાં પ્રવેશતાં જ અગનગોળાંનાં ટુકડે ટુકડા થઈ ગયા. ગરમાગરમ પત્થરનાં ટુકડાં ખૂબ જ વિશાળ વિસ્તારમાં વરસાદ માફક છુટા છવાયા વરસી ગયા. જેમણે પણ દૃશ્ય જોયું તે આ ઉલ્કાંપીંડનાં પૃથ્વી પર ખરેલાં ટુકડાઓ ભેગા કરવા માટે દોડી ગયાં. આખે જોનારાંઓએ દૃશ્ય વિશે કહ્યું કે, 'જાણે આકાશમાંથી અંગારા વરસતા હતાં.' દોડી ગયેલા લોકોએ ઉલ્કાંપીંડનાં નાનાં ટુકડા ઉઠાવ્યા તો તેઓ દાઝી ગયાં. નાના ટુકડામાંથી ધુમાડાં નિકળતાં હતાં. ટુકડામાંથી ડામર બળતો હોય તેવી વાસ આવતી હતી. લોકો દાઝી ગયાનાં સમાચારે પોલીસને પણ સચેત કરી દીધી. સ્થાનીક પોલીસે વરસેલા પત્થરનાં નાનાં ટુકડાઓ એકઠાં કરીને શ્રીલંકાની મિનીસ્ટ્રી ઓફ હેલ્થ સંચાલીત, મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટયૂટને સુપરત કરી દીધાં. જેમાંનાં કેટલાંક નમુનાઓને વધારે અભ્યાસ માટે કાર્ડીક યુનિવર્સિટીમાં મોકલવામાં આવ્યાં. કાર્ડિક યુનિવર્સિટીનાં સ્કુલ ઓફ મેથેમેટીકસનાં જેમી વાલીસ કહે છે કે, ૬૨૮ ટુકડાઓમાંથી ૩ નમુનાઓ જોતાં જ આપણે ઓળખી શકીએ કે તે પૃથ્વી પર વરસેલ 'મીટીઓરાઈટ્સ'નાં જ ટુકડા છે.
કાર્ડીક યુનિવર્સિટી એ બ્રિટનની જાણીતી યુનિવર્સિટી છે. જેની સ્થાપના ૧૮૮૩માં યુની. કોલેજ ઓફ સાઉથ બોન્સ એન્ડ મોનસાઉથશાયર તરીકે થઈ હતી. આ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકોએ શ્રીલંકામાં પડેલ ઉલ્કાનાં ટુકડાઓનો અભ્યાસ કરીને રિસર્ચ પેપર જર્નલ ઓફ કોસ્મોલોજીનાં તાજેતરનાં અંકમાં પ્રકાશીત કરેલ છે. સંશોધન પેપરમાં ઇલેક્ટ્રોન માઈક્રોસ્કોપ વડે પત્થરનાં ટુકડામાં રહેલ કાર્બનિક માઈક્રો-ફોસીલની તસ્વીરો લીધી છે. કાર્બનનું બનેલ આ બંધારણ ૧૦૦ માઈક્રોમીટર લાંબુ છે. બીજી ઈમેજમાં બે માઈક્રોમીટર વ્યાસની રચના સાથે, ધજા જેવી રચના જોવા મળે છે. આ રચના જોઈ સંશોધકોએ તારણ કાઢવું છે કે અસામાન્ય અને પાતળી રચના, ઓછું ગુરુત્વાકર્ષણ, ઓછું દબાણ અને ઝડપથી થીજી સુકાઈ ગયેલ રચના લાગે છે. આ પહેલાં જાન્યુઆરી મહિનામાં પ્રો. નવીનચંદ્ર વિક્રમસીંધે અને ટીમે અભ્યાસ કરેલ સેમ્પલોનાં પરિણામ પ્રકાશિત કર્યા છે, જે માઈક્રોસ્કોપીક ફોસીલ્સ (અશ્મી) 'ડાયએટમ' વાળી છે. પૃથ્વી પર થતી આલ્ગીમાં આવું બેઝીક ફોર્મ જોવા મળે છે. પ્રો. નવિનચંદ્ર વિક્રમસીંધે કબુલ્યું છે કે, 'પેપર ખૂબ જ ઉતાવળે તૈયાર કરવામાં આવ્યું છે. જે સેમ્પલનો તેમણે અભ્યાસ કર્યો છે તે ખરેખર બાહ્યાવકાશમાંથી આવેલ ઉલ્કા છે તે નક્કી કરવાનાં પૃથ્થકરણ કરવાનાં રહી ગયાં છે.' ડો. ચંદ્ર વિક્રમસીંધે ઉમેરે છે કે, 'અશ્મીમાં રહેલ જૈવિક બંધારણ, આજથી ત્રીસ વર્ષ પહેલાં રજુ થયેલ 'થિઅરી ઓફ પાનર્સ્પમીઆનો મજબુત પુરાવો છે.' આખરે આ થિયરી ઓફ પાનસ્પર્મીઆ જેને 'ઉલ્કા પાષાણવાદ' કહે છે તે ખરેખર શું છે.
પૃથ્વીનું બંધારણ, આજથી ૪.૬૦ અબજ વર્ષ પહેલાં ઘડાઉ હતું. તેનાં એક અબજ વર્ષ પછી એટલે કે ૩.૬૦ અબજ વર્ષ પહેલાં પૃથ્વી પર જીવનની શરૃઆત થઈ હતી. પૃથ્વી પર સર્જાએલ પ્રથમ સજીવ કેવો હતો, એ થિયરીનો વિષય છે. એકકોષી સુક્ષ્મ જીવનો તે પૂર્વજ હોય તેવો હશે. આ વૈજ્ઞાનિક કલ્પના છે. પ્રથમ સજીવની રચના કઈ રીતે થઈ તેને લગતી અનેક થિયરી સમયે-કસમયે વૈજ્ઞાનિકો રજુ કરી ચુક્યાં છે. જેમાંથી માત્ર બે-ત્રણ થિયરીમાં વૈજ્ઞાનિકોને તથ્ય લાગ્યું છે. ચાર્લ્સ ડાર્વિને એક હુફાળા પાણીથી ભરેલ નાનાં તળાવની કલ્પના કરી છે. જેમાં પૃથ્વીનાં એ સમયનાં વાતાવરણમાં રહેલ વાયુ મિથેન, એમોનીયા અન્ય ગેસ, વીજળીનાં ચમકારા અને રેડિયેશનનાં કારણે એમિનો એસિડ જેવાં રસાયણ બન્યાં હશે. તેઓ ફરીવાર વરસાદથી સપાટી પર વરસતાં રહ્યા હશે. નાના તળાવમાં તેમની આદ્રતા વધતી રહી હશે. જેમાંથી કાળક્રમે પ્રોટીન અને ન્યુકલીક એસીડ બન્યા હશે. જે છેવટે પૃથ્વી પર પ્રથમ સજીવ બનાવવામાં નિમીત્ત બન્યા હશે. ગ્રીક ભાષામાં પાનસ્પરમીઆનો અર્થ થાય, બ્રહ્માંડમાં ગ્રહ, લઘુગ્રહ, અવકાશી પીંડ ઉલ્કાઓ વગેરે ઉપર જીવન એટલે કે સજીવ સૃષ્ટિ છે. આ લાઈફ ફોર્મમાં પુર્ણ વિકસીત કક્ષાનાં મનુષ્યથી લઈ વિકાસનાં પ્રથમ તબક્કામાં રહેલાં, સુક્ષ્મ જીવો ગમે તે હોઈ શકે. પૃથ્વી પર સુર્યમાળા બહારનાં પરીબળનાં કારણે જીવન શક્ય બન્યું છે તેવી લીમીટેડ હાઈપોથીસીસ જેને 'એકક્ષોજીનેસીસ' કહે છે તે પાનસ્પર્મીઆનું એક્સટેન્સન ગણી શકાય. ઈ.સ. પૂર્વે ગ્રીક ફિલોસોફર એનાક્ષોગોરસનાં લખાણમાં પાનસ્પર્મીઓનો ઉલ્લેખ આવે છે. ઓગણીસમી સદીમાં જોન જેકોબ બર્ઝેલીયસ, લોર્ડ કેલ્વીન, હરમાન વોન હોલ્મોલ્ટઝ અને સવાન્તે ઓર્હેનિયસે તેને મોડર્ન સ્વરૃપ આપ્યું હતું. બ્રહ્માંડની ઉત્પત્તિને લગતી 'સ્ટેડી સ્ટેટ થિયરી' આપનાર થોમસ ગોલ્ડ પણ માનતા હતા કે ''પરગ્રહવાસીઓએ આકસ્મીક રીતે પૃથ્વીની મુલાકાત લઈ જે ઓર્ગેનીક કચરો પૃથ્વી પર ફેંકી ગયા હતા તેમાંથી પૃથ્વી પર સજીવ સૃષ્ટિનાં મંડાણ થયા છે.'' થોમસ ગોલ્ડની આ થિયરી 'ગાર્બેજ થિયરી' તરીકે ઓળખાય છે. જીવ સૃષ્ટિનું પ્રાગટય, સમજનારા માટે માથાનો દુખાવો એ છે કે 'થિયરી ઓફ પાનસ્પર્મીઆ' પૃથ્વી પર જીવન ક્યાંથી આવ્યું તે બાબતે દલિલ કરે છે. છેવટે અંતરીક્ષમાં બીજી જગ્યાએ પણ પ્રથમ સજીવ અગર પેદા થયો પણ હોય તો કેવી રીતે થયો છે તેનો જવાબ આપી શકતી નથી. આમ 'ઓરીજીન ઓફ લાઈફ', જીવસૃષ્ટિની શરૃઆત ક્યાં અને કેવી રીતે થઈ એ સવાલ તો વણઉકલ્યો જ રહે છે.
'થિઅરી ઓફ પાનસ્પર્મીઆ' જેટલી વિવાદાસ્પદ છે તેટલાં જ વિવાદાસ્પદ વૈજ્ઞાનિક ચંદ્ર વિક્રમસીધે છે. થોડા વર્ષો પહેલાં 'સાર્સ'ની બીમારી ફેલાઈ ત્યારે, ૨૦૦૩માં ડો. ચંદ્ર વિક્રમસિધે પત્ર લખીને સાયન્સ જર્નલ લાન્સેયાને લખ્યું કે ''સાર્સનાં વિષાણું પૃથ્વી પર પેદા થયા નથી. બાહ્યાવકાશમાંથી આવ્યા છે. લાન્સેટ મેગેજીન અને અન્ય વૈજ્ઞાનિકોએ પુરાવા વગર બેજવાબદારીભર્યા નિવેદન કરવા બદલ ચંદ્ર વિક્રમસીધેની ખબર લઈ નાખી હતી. આવો જ ઘાટ તાજેતરમાં (જાન્યુ-૨૦૧૩માં) તેમનાં લખાણ જર્નલ ઓફ કોસ્મોલોજીમાં પ્રકાશીત થતાં થયો છે. જર્નલ ઓફ કોસ્મોલોજીની પ્રીન્ટ આવૃત્તિ બહાર પડતી નથી. આ એક ઓનલાઈન મેગેઝિન છે.
ડૉ. ચંદ્ર વિક્રમસીધે જે ઉલ્કાઓનું એનાલીસીસ કરી, પરીણામો દર્શાવ્યા છે તે ઉલ્કા ખરેખર બાહ્યાવકાશમાંથી જ આવી છે તે વાતની ચકાસણી કરી નથી. થોડા વર્ષો પહેલાં અમેરિકામાં ચાર્લ્સ ડાર્વિનની ઉત્ક્રાંતિવાદ વિદ્યાર્થીઓને ભણાવવા માટે વિવાદ થયો હતો. ચર્ચનાં સભ્યો અને સમર્થકોએ જાહેર કર્યું હતું કે ''બ્રહ્માંડમાં જીવની શરૃઆત ઈશ્વર દ્વારા થઈ છે. મનુષ્ય વાંદરામાંથી ઉત્ક્રાંતિ પામ્યો નથી.'' વાતનું વતેસર થતાં અમેરીકાની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. ૧૯૮૧નો આ કેસ 'આર્કાન્સાસ ફિએશનીઝમ ટ્રાયલ' તરીકે જાણીતો છે. ચાર્લ્સ ડાર્વિનનાં ઉત્ક્રાન્તિવાદને ફગાવી દઈ ઈશ્વરનાં સ્વયં સર્જનવાદને ટેકો આપતા અને અમેરિકાના આર્કાન્સાસ ટ્રાયલમાં જુબાની આપનાર એકમાત્ર વૈજ્ઞાનિકો ડૉ. ચંદ્ર વિક્રમસીધે હતાં.
ભારતનાં કેરળ પ્રાંતમાં એકવાર લાલ રંગનો વરસાદ વરસ્યો હતો. જેનું રહસ્ય હજી સુધી ઉકેલાયું નથી. આ 'રેડ રેઈન'ના સેમ્પલો ઉપર ડૉ. ચંદ્રવિક્રમસીધે પણ સંશોધન કરી રહ્યા હોવાનું ચર્ચાતું હતું. તેનાં પરીણામોની વિગતવાર વૈજ્ઞાનિક છણાવટ કર્યા વગર જ 'રેડ રેઈન'ને 'થિઅરી ઓફ પાનસ્પર્મીઆ'ની આધારભૂત સાબિતી ગણાવવાની કોશિશ થઈ રહી છે. એકબાજુ જ્યારે સમગ્ર વિશ્વનાં મોટાભાગનાં વૈજ્ઞાનિકો ચાર્લ્સ ડાર્વિનનાં ઉત્ક્રાંતિવાદને સાચો ઠેરવી રહ્યાં હોય ત્યારે તેનો વિરોધ કરનારાં ડૉ. વિક્રમસીધેનાં વૈજ્ઞાનિક અભિગમ બાબતે આપણને શંકા થાય એ સ્વાભાવિક છે. પરંતુ ડૉ. વિક્રમસીધે પોતાના વૈજ્ઞાનિક અભિપ્રાય આપવા સ્વતંત્ર છે. શર્ત માત્ર એટલી છે કે અભિપ્રાયને જો સ્વતંત્ર આવા 'રિસર્ચ'ની ગણતરીમાં લેવાનો હોય તો ફુલપ્રૂફ સાન્ટીફીક પુરાવાઓની ખાસ જરૃર છે.
આજથી બે વર્ષ પહેલાં તેઓ કાર્ડિફ યુનિ.નાં સેન્ટર ફોર એસ્ટ્રોબાયોલોજીનાં કર્તા-હર્તા 'હેડ' હતાં. આ સેન્ટરને નાણાંકીય મદદ બંધ કરીને સેન્ટર બંધ કરી નાખ્યું. ડો. વિક્રમસીધેને તેમની પોસ્ટ પરથી ડીસમીસ કરવામાં આવ્યા હતા. યુનિ.ના આ પગલા પાછળની શું ગણતરી હતી તે સમજાઈ નથી. ડો. વિક્રમસીધે ખાનગી નાણાથી કાર્ડીફનું એસ્ટ્રોબોયોલોજી સેન્ટર ચાલુ રાખ્યું છે. ડો. વિક્રમસીધે ભલે વિવાદાસ્પદ વૈજ્ઞાનિક રહ્યાં, તેમની વૈજ્ઞાનિક સિદ્ધી અને સંશોધન પ્રત્યે આંખ મિચામણાં કે ભેદભાવ રાખી શકાય નહીં.
૧૯૩૯માં નવીન ચંદ્ર વિક્રમસીધેનો જન્મ શ્રીલંકામાં થયો હતો. ૧૯૬૦માં તેમણે મેથેમેટીક્સમાં ડીગ્રી અને કોમન વેલ્થ સ્કોલરશીપ મેળવી હતી. કેમ્બ્રીજની ટ્રીનીટી કોલેજમાં સ્વ. ફ્રેડ હોયલના માર્ગદર્શનમાં તેમણે પીએચ.ડી. કરી હતી. ૧૯૬૧માં તેમની સાથે મળીને પોતાનું પ્રથમ સાયન્ટીફીક પેપર રજુ કર્યું હતું. ૧૯૬૭માં તેમણે 'ઈન્ટરસ્ટીલર ગ્રેઈન' નામનું પુસ્તક પ્રકાશીત કર્યું. ૧૯૭૩માં કેમ્બ્રીજ યુનિ.એ તેમને સૌથી ઉચ્ચ ડિગ્રી 'ડોક્ટરેટ ઓફ સાયન્સ' આપી. અત્યાર સુધી તેમણે ૩૫૦ કરતાં વધારે પેપર રજુ કર્યા છે. જેમાંના પંચોતેર કરતાં વધારે 'નેચર' મેગેઝીનમાં પ્રકાશીત થયાં છે.
ડો. ફ્રેઈક હોયલ સાથે તેમને ૧૯૮૬માં ઈન્ટરનેશનલ ડેગ હેમર્સમેલ્ડ ગોલ્ડ મેડલ મળ્યો હતો. ૧૯૮૨-૮૪ વચ્ચે તેઓ શ્રીલંકાના રાષ્ટ્રપતિનાં વૈજ્ઞાનિક સલાહકાર પણ રહી ચુક્યા હતાં. અહીં તેમણે શ્રીલંકા માટે 'ધ ઈન્સ્ટીટયુટ ઓફ ફંડામેન્ટલ સ્ટડી' નામનું સેન્ટર ચાલુ કરાવ્યું હતું. શ્રીલંકાના રાષ્ટ્રપતિ જે.આર. જયવર્દનેએ તેમને આ સેન્ટરનાં ફાઉન્ડીંગ ડિરેક્ટર તરીકે નિમણુક આપી હતી. ૧૯૯૨માં સરાબદીન પ્રાઈઝ પણ મળ્યું. સાથે સાથે જાપાનની શોકા યુની.એ તેમને ઓનરરી ડોક્ટરેટની પદવી આપી. તેમણે ૩૦ કરતાં વધારે પુસ્તકો લખ્યા છે. તેઓ એક સારા એવોર્ડ વિનીંગ કવિ પણ છે. બ્રિટનમાં રહેતાં એશિયનોનું ૨૦૦૫માં જે પ્રથમ એન્યુઅલ એશિયન પાવર ૧૦૦ લીટર બન્યું તેમાં તેમનું પણ નામ હતું.
બ્રિટનની પ્લેનેટરી સાયન્સીઝના પ્રો. મોનીકા ગ્રેડીએ, ડો. વિક્રમસિધેનાં પેપરને 'હાસ્યાસ્પદ' કહ્યું છે અને ઉમેર્યું કે તેમાં જે ડેટા રજુ કરવામાં આવ્યો છે તેમાં ઘણી વિસંગતતા છે. એસ્ટ્રોનોમર ફિલ પ્લેઇટે 'સ્લેટ' મેેગેઝીનમાં ડો. વિક્રમસીધેનાં રિસર્ચ પેપર ઉપર અનેક સવાલો કર્યા છે. એની વે, શ્રીલંકામાંથી મળેલ ઉલ્કા, જો પૃથ્વી પરનાં જ ખડકનો નમુનો હોય, અથવા અન્ય મીટીઓરાઈટમાંથી સુક્ષ્મ સજીવોની હાજરીનાં પુરાવાઓ ના પણ મળે, તો... એનો અર્થ એ નથી કે ''થિઅરી ઓફ પાનસ્પર્મીઆ''ની વિભાવના ખોટી છે. આપણી પાસે હવે એવી ટેકનોલોજી વિકાસ પામી છે કે ''થિયરી ઓફ પાનસ્પર્મીઆ''ને લગતાં પ્રયોગો આસાનીથી કરી શકાય. મંગળ ઉપર નાસાએ ઉતારેલ ''માર્સ સાયન્સ લેબોરેટરી'' ક્યુરીઓસીટી રોવર આ દિશામાં આગળ વધી રહ્યું છે. જો મંગળ ઉપર સૂક્ષ્મ જીવોની હાજરી મળી આવે તો, થિયરી ઓફ પાનસ્પર્મીઆમાં નવો પ્રાણ ફુંકાશે.
આ સામાન્ય સમજૂતી અખાયોજીનેસીસ તરીકે વૈજ્ઞાનિકો સ્વીકારે છે. જેમાં અકાર્બનીક રસાયણો માંથી કાર્બનીક સંયોજનો પેદા થયા હોવાનો મત છે. જેના મુળીયા ''જૈવ રાસાયણીક વાદ'' સુધી પહોચે છે. જેની ફુલ પ્રુફ થિયરી એલેકઝાન્ડર ઓપેરીને આપી હતી. અને વિજ્ઞાન જગતને ઓપેરીનનો ની થીયરી મળી. લુઇ પાશ્ચર અને ડાર્વિને થિયરી ઓફ બાયોજીનેસીસ આપી હતી. જેનાં પ્રયોગશાળામાં પ્રયોગો સિડની ફોક્સ, સ્ટેન્લી મિલર હેરોલ્ડ ઉરે અને ખુદ એલેકઝાન્ડર ઓપેરીને કર્યા હતા. જો કે જૈવ રસાયણ બાદ સૌથી વધારે સ્વીકારાયેલ થીયરી છે. અન્ય વૈકલ્પીક થિયરીઓ રજુ થઇ છે જે મુજબ...
નાના કોષો દ્વારા જીવનની શરૃઆત ઊંડા મહાસાગરમાં તળીયે અખેલ ''હાઇડ્રોથર્સલ વેન્ટ''માં થઇ હતી. જ્યાં કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર જેવા તત્વો ઉપલબ્ધ હતા. રાસાયણિક પ્રક્રિયા શરૃ કરવા યોગ્ય તાપમાન મળી રહેતું હતું. કોઇપણ રાસાયણીક પ્રક્રિયા માટે ત્રણ મહત્વના પરીબળો છે. એક, તાપમાન, બે દબાણ, ત્રણ ઉદ્દીપક હાઇડ્રોથર્મલ વેનમાં દરિયાના પેટાળમાં પુષ્કળ દબાણ પણ મળી રહેતું હતું. આમ કાર્બનિક રસાયણો સર્જાવાના મહત્તમ ચાન્સ હતા. જટીલ પ્રોટીન અણુઓ બનવા માટે જાણે સ્વર્ગનું નિર્માણ થયું હતું. અહી DNA  સિકવન્સ તૈયાર થઇ હશે. જે પાણીમાં વસવાટ કરનાર હાલના ''થર્મોફીલ'ના પૂર્વજો હોવા જોઇએ.
કોષની શરૃઆત માટે પાણી એ પ્રાથમિક જરૃરિયાત ગણાય. આ વાત સાચી પરંતુ પૃથ્વી પર જે પ્રકારના મહાસાગરોમાં પાણીનું પ્રમાણ શરૃઆતનાં તબક્કે હતું તેને વૈજ્ઞાનિકો નુકસાનકારી માને છે. જેમનાં મતે કોષ રૃપી પ્રથમ જીવના ગર્ભાધાન માટે તે સમયના મંગળની પ્રકૃતિ અને પર્યાવરણ ખુબ જ અનુકુળ હતાં એમ માનવામાં આવે છે. મંગળ ઉપર જીવન પ્રારંભ થયો હોય અને મંગળ ઉપર થતી સતત ઉલ્કા અથડામણને કારણે ધડાકાભેર વિસ્ફોટમાં છુટા પડેલ મંગળના ખડકો, પૃથ્વી પર આવી પડયા હોવા જોઇએ જેમાં સુક્ષ્મ જીવોની હાજરી હતી. જેમાંના કોષો આગળ જતાં વિકસીત થયા અને ઉત્ક્રાન્તિ પણ પામ્યા. મંગળ ઉપર જીવનદીપ બુઝાઇ ગયો પરંતુ પૃથ્વી પર તે જીવનું પારણું બાધી ગયો હોય તેવો સશક્ત અભિપ્રાય વૈજ્ઞાનિકોનો છે. શક્ય છે કે હાલની ટેકનોલોજી વડે વૈજ્ઞાનિકો મંગળની ભૂમિમાં જીવીત સુક્ષ્મ સજીવોના અશ્મીઓ શોધી પણ કાઢે. ક્યારેક એવું પણ સાબીત થઇ શકે કે આપણે પૃથ્વી પર વસતા મંગળવાસીઓ છીએ. આ થિયરીને પડકારવા કે સ્વીકારવા, ઠોસ સબુતોની જરૃર છે. છેલ્લે જે એક આઇડીયા બચ્યો તેને થિયરી ઓફ પાનસ્પર્મીઆ કહે છે.
સ્વીડીશ વૈજ્ઞાનિક સવાને આર્હેનિયસે સૌ પ્રથમવાર દલીલ કરી હતી કે ''બેકટેરીયાત સ્પોટ''સુર્યમાળા બહાર આવેલ કોઇ અન્ય પ્લેનેટરી સીસ્ટમમાં વિકસીને પૃથ્વી પર પ્રકાશના દબાણથી ધકેલાઇને આવી હોવી જોઇએ. આ સંભાવનાને આગળ ધકેલવાનું કામ બ્રિટીશ વૈજ્ઞાનિક ફ્રેડ હોયલ અને તેમનાં શિષ્ય ચંદ્ર વિક્રમસીંઘે કર્યું. આપણા વૈજ્ઞાનિક ડો.જયંત નારલીકર પણ ફ્રેડ હોયલનાં શિષ્ય હતા. થિયરી ઓફ પાનસ્પર્મીઆના સમર્થકોમાં ડો.જયંત નારલીકરનું નામ પણ સૌથી આગળ છે. ફ્રેડ હોયલ અને ચંદ્રવિક્રમસિંઘે દલીલ કરી કે અંતરિક્ષમાંથી ''બેક્ટરીઅલ લાઇફ''નું ટ્રાન્સપોર્ટેશન કરવા માટેનું સૌથી સુયોગ્ય પાત્ર કોમેટ એટલે કે પુછડીયા તારાઓ છે. ધુમકેતુનું 'આઇસી 'બંધારણ તેમને માત્ર રક્ષણ જ નહી રેડિયેશન સામે ઢાલ બનીને સાચવવાનું હતું. કેટલાંક વૈજ્ઞાનિકોના મતે માત્ર ધુમકેતુઓ જ નહી, મીટીઓરાઇટ્સ/ નાની અવકાશીપીંડવાળી ઉલ્કાઓ પણ આ કામ માટે યોગ્ય ગણાય.
થિયરી ઓફ પાનસ્પર્મીઆમાં બેક્ટરીઅલ લાઇફનું પૃથ્વી પર અવતરણ પ્રકૃતિને આધીન રહીને સ્વયં થયું હોવાની વૈજ્ઞાનિક દલીલ છે. આ વાતને થોડી ટ્વીસ્ટ કરીને ફ્રાન્સીસ ફ્રીક (જેમણે DNAનું 3D બંધારણ ઉકેલ્યું) અને વિશ્વવિખ્યાત સ્પેસ એડવોકેટ કાર્લ સગાને રજુ કરી છે. તેઓએ એવો આઇડીયા વહેતો મુક્યો છે કે ''અંતરીક્ષમાં હજારો પ્રકાશવર્ષ દુર આવેલ, આપણાંથી વધારે એડવાન્સ અને બુદ્ધિશાળી પરગ્રહવાસી પ્રજાએ, ખાસ હેતુસર માઇક્રોન્સને તેમનાંથી દુર અખેલ પ્લેનેટરી સિસ્ટમ તરફ મોકલ્યા હશે. આમ કરવા પાછળ તેમના બે આશય રહેલા હોવા જોઇએ. એક તેમનું પોતાનું અસ્તિત્વ ખતરામાં આવ્યું હોવું જોઇએ. તે પોતાની પ્રજાતિ બચાવવા અન્યત્ર નવું જીવન વિકસે તે માટે 'માઇક્રો'ની ગીફ્ટ બ્રહ્માંડમાં બધી દિશા તરફ મોકલી હશે. જેમ આપણો સ્પેસ પ્રોબ વાઇકીંગ સુર્યમાળાની ભાગોળે છે. જો તેમાં આપણે બેકટેરીઅલ- માઇક્રોન્સનાં સેમ્પલ મોકલ્યા હોત તો, સૂર્યમાળા સિવાય અન્યત્ર જીવ પ્રાગટ્યની સંભાવના નકારી શકાય નહી. કાર્લ સગાત અને ફ્રેડ હોયલ દર્શાવેલ શક્યતાનો કોન્સેપ્ટ ડાયરેક્ટ પાનસ્પર્મીઆ કહેવાય છે. કદાચ તેની એક પ્રોડક્ટ એટલે ''મનુષ્ય''.