Sunday 9 October 2016

થ્રી પેરેન્ટસ બેબી : ડિઝાઈનર બેબી કે જીવન દાન?

Pub Date: 09.10.2016

બે સ્ત્રી અને એક પુરૃષનું બાળક!


ન્યુયોર્કની હોસ્પિટલની નર્સે, મહિલાને ઉદ્દેશીને કહ્યું  :  'મુબારક હો! બાબો જન્મ્યો છે. આ સાંભળી જોર્ડનની મુસ્લિમ મહિલાની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તેને ખબર હતી નવજાત શીશુનું તેની જીંદગીમાં શું મહત્ત્વ છે! લગ્નનાં પ્રથમ દસ વર્ષમાં એકપણ બાળકને તે જન્મ આપી શકી નહી. દસ વર્ષ બાદ ચાર ચાર કસુવાવડ થઈ ગઈ. છેવટે એક બાળકીનો જન્મ થયો. પણ કમનસીબી કે છ વર્ષની ઉંમરે તેનું અવસાન થઈ ગયું.

થોડા મહીના બાદ, ફરીવાર મહિલાને મહીના રહ્યાં. આ વખતે 'છોકરો' જન્મ્યો. પણ... આનંદ લાંબો ટક્યો નહીં. આઠ મહીના બાદ છોકરો પણ મૃત્યુ પામ્યો. ટુંકમાં છ વાર ગર્ભવતી થયેલ મહીલા આખરે 'બાળક' વિનાની જ રહી. કારણ.... મુસ્લિમ મહિલાના કોષોમાં રહેલા કણાભસૂત્ર જેને અંગ્રેજીમાં 'માઈટોકોન્ડ્રીયા' કહે છે તે ખામીયુક્ત હતી. આમ તો કણાભ સુત્રને કોષનું પાવર હાઉસ કે બેટરી ગણવામાં આવે છે. પરંતુ, આ કણાભ સૂત્રો ૩૭ જેટલાં જનીનો પણ ધરાવે છે. જો આ જનીનોમાં વિકૃતિ થાય તો વિશિષ્ટ પ્રકારનો રોગ થાય છે. જોર્ડનની મહીલાના કણાભસુત્રમાં જનીનોની ખામીથી જે રોગ બાળકને વારસામાં મળતો હતો તેનું નામ છે 'લેંગ ડિસીઝ'. ગયા એપ્રિલ મહિનામાં ૮ તારીખે જન્મેલું 'બાળક' વિજ્ઞાનની ભાષામાં વિશિષ્ટ હતું. વૈજ્ઞાનિકો તેને થ્રી પેરેન્ટ બેબી કહે છે.

ઘટનાની આજુબાજુ

થોડા મહીના પહેલાં વંધ્યત્વની સારવાર મેક્સીકોમાં કરાવ્યા બાદ, ન્યુયોર્કની હોસ્પિટલમાં જોર્ડનનાં દંપતીના ઘરે પારણુ બંધાયું છે. બાળક ન હોય, તેના કરતાં જન્મીને ભગવાનને વ્હાલુ થઈ થાય એ વેદના કેવી હોય? એ વાત વાસુદેવ-દેવકી જેવાં દંપતી જ જાણે છે. વાસુદેવ દેવકીનાં ત્યાં સાત બાળક બાદ, ખુદ ઈશ્વરે જન્મ લીધો હતો. ત્યારે જોર્ડનનાં દંપતી માટે તબીબોએ એ 'ઈશ્વર' બનીને બાળ જન્મ કરાવ્યો છે. વૈજ્ઞાનિકો જેને 'થ્રિ પેરન્ટ બેબી' કહે છે. જે માટે વપરાયેલી સ્પીન્ડલ ટ્રાન્સ્ફર ટેકનિક થોડી વિવાદાસ્પદ છે. સાથે સાથે તેને વાપરનારાં તબીબ જ્હોન ચાંગ પણ વિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવે છે.

જોર્ડનનાં મુસ્લિમ દંપતીની વ્યથા-કથાની શરૂઆત ૨૦૧૧થી શરૃ થાય છે. તેઓ ન્યુયોર્કનાં તબીબ ડૉ. જેમ્સ ગ્રીફોને મળવા આવે છે. જે ગર્ભધાન વિદ્યાના નિષ્ણાંત છે. તેમણે એક નવી પધ્ધતિ ઉંદર ઉપર અજમાવી હતી. ડૉ. જેમ્સ ગ્રીફો દંપતીને ચાઈનીઝ તબીબ ડૉ. જ્હોન ચાંગ પાસે મોકલે છે. જેમણે ડૉ. જેમ્સ ગ્રીફોની પધ્ધતિ ૨૦૦૩માં ચીનમાં એક મહિલા ઉપર અજમાવી હતી. જો કે કોઈ કારણસર ૩૦ વર્ષની મહિલાને જન્મેલા પ્રિ-મેચ્યોર જોડકા બાળકો જન્મ પછી તુર્ત જ મૃત્યુ પામ્યા હતા. જો કે બાળકોનાં કોષોમાં માઈટોક્રોન્ડીયા/કણાભસુત્રો ખામી રહીત 'સ્વસ્થ' હતા.

જોર્ડનનાં મુસ્લિમ દંપતીની મહીલાનાં કણાભસુત્ર-ખામીયુક્ત હોવાથી બાળક 'લેંગ ડીસીસ' સાથે જન્મતા હતાં. છેવટે મૃત્યુ પામ્યા હતા. બ્રિટનમાં 'થ્રિ પેરેન્ટ બેબી' પેદા કરવા માટે પ્રતિબંધ નથી. પરંતુ અહી અલગ ટેકનિક વાપરવામાં આવે છે. જેમાં મુખ્ય મહિલા અને દાતા મહિલાનાં અંડ કોષને પુરુષનાં શુક્રાણુથી ફલન કર્યા બાદ કણાભ સુત્રોની અદલાબદલી કરવામાં આવે છે. જેમાં બે અંકુરિત નાનાં ગર્ભનો વિનાશ કરવામાં આવતો હતો. મુસ્લિમ દંપતિ માટે વિકસતા ગર્ભને નુકસાન કરવું ધર્મ વિરુદ્ધ લાગતું હતું. કોષકેન્દ્ર અને કણાભસુત્રોની અદલાબદલી કર્યા બાદ, અંડકોષનું ફલન કરીને પૂર્ણ ગર્ભ તરીકે વિકસવા દેવામાં આવવાનો હતો.

આ ટેકનિક અપનાવતા પહેલાં દંપતીએ છેલ્લી વાર, સામાન્ય રીતે જ બાળક પેદા કરવાનું નક્કી કર્યું હતું. તેને બાળક થયું પણ ખરું! કમનસીબે કણાભ સુત્રની ખામીયુક્ત ડિએનએ ધરાવતું બાળક લેંગ ડિસીઝ લઈને જ જન્મ્યું હતું. જે છેવટે મૃત્યુ પામે છે. હવે... દંપતી પાસે નવી ટેકનિક વાપરવા સિવાય કોઈ ઉપાય બચ્યો ન હતો. જો કે અમેરિકામાં 'થ્રિ પેરેન્ટસ બેબી' ટેકનિકને માન્યતા મળી ન હોવાથી ડૉ. ચાંગ દંપતીને શરૃઆતની સારવાર મેક્સીકોમાં આપે છે. કારણકે ત્યાં કાયદા 'થ્રિ પેરેન્ટસ બેબી' માટે સ્પષ્ટ થયા ન'હતાં. કાયદા ઘડાઈ રહ્યાં હતાં. છેવટે જોર્ડનની મહિલા ન્યુયોર્કની હોસ્પિટલમાં 'બાળક'ને જન્મ આપે છે. જે હાલનાં તબક્કે તંદુરસ્ત છે.

 થ્રી પેરેન્ટસ બેબી  :  સ્પીન્ડલ ન્યુક્લીયર ટ્રાન્સફર

ગયા અઠવાડીયે 'થ્રિ પેરેન્ટસ બેબી' નામે જન્મેલા બાળકે ખુબજ વિવાદ જગાવ્યો છે. વિજ્ઞાન  જગતમાં તેનાં મિશ્રાઘાત પડયા છે. બાળક હાલમાં પાંચ મહિનાનું થવા આવ્યું છે. જેની 'નવતર ટેકનિક'ની પ્રથમ જાહેરાત ન્યુ સાયન્ટીફીક મેગેજીનમાં કરવામાં આવી છે. વૈજ્ઞાનિકે પ્રથમવાર 'સ્પીન્ડલ ટ્રાન્સફર ટેકનિક વાપરીને 'બાળક'ને જન્મ આપ્યો છે. બાળક વૈજ્ઞાનિક રીતે ત્રણ વ્યક્તિનાં જનીનો ધરાવે છે. માટે મીડિયાએ તેને 'થ્રી પેરેન્ટસ બેબી' નામ આપ્યું છે. જે ખરેખર ગેરમાર્ગે દોરનારું છે. આ પ્રકારનું બાળક પેદા કરવાનો તબીબોનો આશય, માતાના કણાભસુત્રોની ખામીને લીધે બાળકમાં 'લેંગ સિન્ડ્રોમ' નામનો રોગ વારસામાં ન ઉતરે તે જોવાનો હતો. આ રોગનાં કારણે જન્મનાર બાળક વધુમાં વધુ માત્ર ૬-૮ વર્ષ જીવે છે. છેવટે મૃત્યુ પામે છે.

તબીબોએ સ્વસ્થ બાળકનો જન્મ કરાવવા તેનાં માતાનાં માત્ર કોષ કેન્દ્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દાતા મહિલા પાસેથી 'ડોનર એગ' લઈને તેમાંથી દાતા મહીલાનું કોષકેન્દ્ર કાઢી નાખી માતાનું કોષકેન્દ્ર આરોપવામાં આવ્યું હતું. યાદ રહે કે મનુષ્યનો વારસાગત લક્ષણોયુક્ત આખો ડિએનએનો ડાબરો, કોષકેન્દ્રમાં આવેલા ૪૬ રંગસુત્ર ધરાવતા હોય છે. જ્યારે કણાભસુત્ર કોષકેન્દ્રની બહાર આવેલી એક વિશિષ્ટ અંગીકા છે. જેમાં માતા તરફથી વારસાગત લક્ષણો ધરાવતા ૩૭ જનીનો બાળકને મળે છે. જોર્ડનનાં મુસ્લિમ દંપતીના કિસ્સામાં મહિલાના કણાભસુત્રોનાં ડિએનએમાં વિકૃતિ સર્જાતા, તેનાં બે બાળકો 'લેંગ ડિસીઝ'માં આ પહેલાં મૃત્યુ પામ્યા હતાં.

તબીબોએ રોગને જડમૂળથી દુર રાખવા કોષકેન્દ્ર તો મુળ મહિલાનું રાખ્યું પરંતુ કણાભસુત્રો અને અન્ય જૈવિક મટીરીઅલ્સ તંદુરસ્ત દાતા મહિલાનું રાખ્યું હતું. નવાં તૈયાર કરાયેલા અંડકોષને ત્યારબાદ તેનાં પિતાનાં શુક્રાણુ સાથે ફલિનીકરણ કરી મહિલાનાં ગર્ભાશયમાં આરોપવામાં આવ્યું હતું. તબીબોએ સ્પીન્ડલ ટ્રાન્સફર ટેકનિક વાપરી પાંચ કોષોનો વિકાસ કર્યો હતો. જેમાંથી માત્ર એક ગર્ભનો સંપૂર્ણ વિકાસ થતા તેને માતાનાં ગર્ભાશયમાં રોપવામાં આવ્યો હતો. છેવટે એક તંદુરસ્ત બાળકનો જન્મ થયો છે. જેનાં કોષોમાં બે મહિલા અને એક પુરુષનાં ડિએનએ છે. જેને મીડિયા થ્રી પેરેન્ટસ બેબી કહે છે. જે ખરેખર ગેરમાર્ગે દોરનારું અને વિવાદાસ્પદ છે. શા માટે?

ડિઝાઇનર બેબી કે જીવન દાન ?

'થ્રી પેરેન્ટ્સ બેબી' શબ્દ કેમ છેતરામણો છે ? નામ પ્રમાણે બાળકનાં માતા-પિતા-માતા એમ ત્રણ વ્યક્તિ હોય છે પરંતુ, તેને ત્રણ પેરેન્ટ કહેવાનાં બદલે ત્રણ વ્યક્તિનું બાળક કહેવું વધારે હિતાવહ છે. એક વાત યાદ રહે કે જ્યારે, કોઇપણ દર્દી તેનાં બગડેલા અંગ જેવા કે કીડની, પેન્ક્રીયાસ કે હૃદયનું પ્રત્યારોપણ કરાવે છે ત્યારે તેનાં શરીરમાં તેનાં માબાપનાં જનીન ઉપરાંત અન્ય વ્યક્તિનાં જનીનો ધરાવતું અંગ હોય છે. આવી વ્યક્તિને  આપણે થ્રિ પેરેન્ટ  કહેતા  નથી.

મુળ વાત વ્યક્તિને તેનો દેખાવ, ખાસિયતો અને વારસાગત લક્ષણો મળે છે તે ડિએનએ કોષકેન્દ્રમાં હોય છે. જે મનુષ્યના જેનોમનો ૯૯.૯૯ ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે ૦.૧૦ ટકા ડિએનએ વ્યક્તિને તેની માતા પાસેથી મળે છે. જે કોષકેન્દ્રની બહાર આવેલા જીવરસમાં આવેલી નાની નાની અંગિકા છે. જેનું મુખ્ય કામ કોષ માટે ઉર્જા પેદા કરવાનું છે. કોષમાં દાખલ થતાં શક્તિદાયક પદાર્થોની ચયાપચયની પ્રક્રીયા કરીને કણાભસુત્ર કોષ માટે 'ઉર્જા' પેદા કરે છે.

એક આડ વાત આ કણાભસુત્રો ૩૭ જેટલાં જનીનો ધરાવે છે. તેમાં થતો બદલાવ કે વિકૃતિ,રોગ કે શારીરિક ખામી પેદા કરે છે. મહત્વની વાત એ છે કે કણાભસુત્રોનાં જનીનનો વ્યક્તિનો બાહ્ય દેખાવ, શારીરિક બંધારણ કે બુધ્ધિમતા સાથે સંકળાએલા નથી. 'ડિઝાઇનર બેબી' પેદા કરવા માટે કણાભસુત્ર / માઇટોકોન્ટ્રીઅલ ડિએનએ વાપરવામાં આવતું નથી.આ હિસાબે ડો. ચાંગે નવી ટેકનિક વડે પેદા કરેલા બાળક 'ડિઝાઇનર બેબી' કહી શકાય નહીં. આ ઉપરાંત તેને થ્રી પેરેન્ટ બેબી પણ કહી શકાય નહીં. કારણ કે બાળકનાં શરીરમાં ૯૯.૯૦ ટકા ડિએનએ તેનાં મૂળ માબાપનું છે. શું માત્ર ૦.૧૦ ટકા ડિએનએ અન્ય સ્ત્રીનું હોવાથી તેને થ્રિ-પેરેન્ટ્સ બેબી કહીશું ? હકીકત એ છે કે બાળકનાં શરીરમાં ત્રણ વ્યક્તિનું જીનેટીક મટીરીઅલ છે ખરૃ પણ, ત્રીજી વ્યક્તિનું ડિએનએ એક ટકાનાં પણ માત્ર દસમા ભાગ જેટલું છે. જે બાળકને કોઇ વિશેષતા  કે  ખાસ લાક્ષણીકતા  આપવાનું  નથી.

તબીબોએ કણાભસુત્રોનાં ડિએનએમાં બદલાવ આવતા પેદા થતાં 'લેંઘ ડિસીઝ' જેવાં જીવલેણ રોગ મુક્ત 'બાળક' પેદા કરવા માટે જે આસીસ્ટેડ રિ-પ્રોડક્ટીવ ટેકનિક વિકસાવી છે. તેનો હેતુ બાળકને રોગથી બચાવવાનો છે. કાયદા અને નીતિ શાસ્ત્રની દલીલો બાજુમાં રાખીને એક માતાને પૂછજો કે છ બાળક ગુમાવ્યા બાદ, સાતમું બાળક લાંબુ જીવે ત્યારે તેની લાગણી કેવાં પ્રકારની હશે ?

 કણાભ સુત્ર  :  કોષનું મીની-પાવર હાઉસ

શરીરનાં દરેક કોષોમાં પાવર હાઉસ-બેટરી જેવું 'ઉર્જા' કણાભ સુત્ર / માઇટોકેન્દ્રીયા આવેલું હોય છે. જે કોષમાં આવેલ સૂક્ષ્મ કોષનાં મીની-વર્જન માફક કામ કરે છે. વિજ્ઞાન  તેને 'અંગિકા' કહે છે. કણાભ સુત્રની એક અસામાન્ય વાત એછે કે તે ૩૭ જેટલાં જનીનો ધરાવે છે. જે બધા જ જનીનો તેને ફક્ત અને ફક્ત માત્ર માતા તરફથી જ મળેલા હોય છે. તેમાં પિતા તરફથી મળતાં જનીનોની ભેળસેળ થવી સંભવ નથી. આમ શા માટે ?

પુરુષનાં શુક્રાણુમાં પણ કણાભ સુત્ર નામની તેની પોતાની 'બેટરી' હોય છે. જ્યારે તે મહિલાનાં અંડકોષ સાથે જોડાઇને ગર્ભ રચવાની શરૃઆત કરે છે ત્યારે પુરૃષ તરફથી મળેલા કણાભ સુત્રો મુરઝાઇને મટી જાય છે. આમ વિકસિત થતાં ગર્ભમાં માત્ર માતાનાં કણાભ સુત્રો બચે છે. જે માત્ર ને માત્ર માતાનાં જનીનો જ ધરાવતાં હોય છે. આ કારણે બાળકનો માતાપિતા સાથે સંબંધ નક્કી કરવાનો હોય ત્યારે માતા તરફથી મળેલા માઇટોકોન્ટ્રીઅલ ડિએનએ મહત્વનું સાબિત થાય છે. મૃત્યુ પામેલા ઐતિહાસિક વ્યક્તિઓની સાચી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે માતા તરફથી મળતાં માઇટોકોન્ટ્રીઅલ જનીનો ઉપયોગી બને છે. એક પુરૃષ કે સ્ત્રીમાં, માઇટોકોન્ટ્રીઅલ ડિએનએ તેનાં માતૃપક્ષ તરફથી વારસામાં મળતું જાય છે.

માઇટોકોન્ટ્રીઅલ ડિએનએમાં ૨૫% કરતાં વધારે બદલાવ - વિકૃતિ પેદા થાય ત્યારે રોગ - ખામી પેદા થાય છે. કોષમાં કણાભસુત્ર, પાચન તંત્ર જેવું કામ કરે છે. જે પોષક તત્ત્વોને તોડી નાખીને ઊર્જાથી ભરપૂર રેણુઓ છુટા પાડે છે. કોષમાં ચાલતી શ્વસનતંત્ર લક્ષી કાર્ય પણ કણભાસુત્રમાં થાય છે. શરીરનાં અંગોને તેમની ઉર્જા જરૃરીઆત પ્રમાણે કોષમાં કણાભ સુત્રોની સંખ્યા નક્કી થાય છે. સ્નાયુઓને કાર્ય કરવા માટે વધારે ઊર્જાની જરૂર પડે છે. જેથી સ્નાયુ કોષોમાં કણાભસુત્રોની સંખ્યા વધારે હોય છે. જ્યારે ચેતાતંત્રને સંદેશા વ્યવહાર ચલાવવા વધુ ઊર્જાની જરૂર પડતી નથી માટે, ચેતાકોષોમાં કણાભસુત્રો મર્યાદિત સંખ્યામાં હોય છે. જ્યારે કોષને લાગે કે તેને વધારે ઉર્જાની જરૃર છે પરંતુ કણાભસુત્રો ઓછા છે ! આવી અવસ્થામાં કોષ પોતે જ વધારે કણાભસુત્રો કોષમાં પેદા કરી નાખે છે. કેટલીક વાર બે કે તેથી વધારે કણાભસુત્ર જોડાઇને વિશાળ કણાભસુત્ર બની જાય છે. આ ઉપરાંત કોષમાં રહેલાં કોલ્સીયમનાં આયનોનાં જથ્થાનું નિયંત્રણ પણ કણાભસુત્ર કરે છે.

 લેંઘ સિન્ડ્રોમ !

લેંઘ સિન્ડ્રોમ નામે ઓળખાતી જનાની ખામી પ્રથમવાર ડેનીશ લેંઘ દ્વારા ૧૯૫૧માં શોધી કાઢવામાં આવી હતી. ૧૯૬૮માં પ્રથમવાર તેને કણાભસુત્રોની પ્રવૃતિ સાથે સાંકળવામાં આવ્યો હતો. ૧૯૭૭માં 'લેંઘ સિન્ડ્રોમ' સાથે સંકળાયેલ નાભીકીય ડિએનએ યુક્ત 'જનીનો' પણ ઓળખવામાં આવ્યાહતા. લેંઘ સિન્ડ્રોમ મુખ્યત્વે ૭૫થી ૮૦% કિસ્સામાં નાભીકીય જનીનોની વિકૃતિ સાથે સંકળાયેલો હોય છે. અપવાદરૃપ ૨૦થી ૨૫% કિસ્સામાં આ રોગ, કણાભસુત્ર / માઇટોકોન્ટ્રીઅલ ડિએનએમાં પેદા થતી વિકૃતિનાં કારણે જન્મ લે છે.

લેંઘ સિન્ડ્રોમ એ મુખ્યત્વે ચેતાતંત્ર સાથે સંકળાએલી બિમારી છે. જેનાં લક્ષણો બાળકનાં જન્મથી એક વર્ષમાં દેખાવા માંડે છે. રોગ લાગુ પડયા બાદ બેથી ત્રણ વર્ષમાં દર્દી મૃત્યુ પામે છે. આ રોગનાં લક્ષણો કોઇપણ ઉંમરે દેખાઇ શકે છે. મોટા ભાગે સ્નાયુઓની નિષ્ક્રીયતા સર્જાતા, શ્વસનતંત્ર નિષ્ફળ જતાં  દર્દીનું અવસાન થાય છે.

બાળકનાં જન્મ સાથે આ રોગ દેખા દે છે ત્યારે શરૃઆતમાં ઝાડા-ઉલ્ટી થાય છે. બાળકને ગળા નીચે ખોરાક ઉતારવામાં તકલીફ પડે છે.જેનાંથી તેનો શારીરિક વિકાસ અટકી જાય છે. બાળકનું વજન વધતું નથી. સ્નાયુઓનાં હલનચલનની સમસ્યા પેદા થવા માંડે છે. સ્નાયુ નિર્બળ બની જાય છે. છેવટે અંગો સંવેદના ગુમાવી દે છે. રોગને જાણવા માટે MRI કરવી જરૂરી બની જાય  છે. મુખ્યત્વે કોષમાં રહેલા કણાભસુત્રો કોષ માટે જરૂરી ઉર્જા પેદા ન કરી શકવાનાં કારણે બધી સમસ્યા સર્જાય છે.

બેટલ ટેન્ક @ 1૦૦: ઈતિહાસ અને યુધ્ધનાં પાસા બદલવાની તાકાત ધરાવનાર વાહન અને વેપન

Pub. Date : 25.09.2016

બેટલ ટેન્ક એટલે રણગાડી. કોઈ કહે કે રણગાડીનાં પ્રથમ ઉપયોગ થવાને માત્ર સો વર્ષ થયા છે તો, આશ્ચર્યનો અજીબો ગરીબ આંચકો લાગે. લોક માનસમાં ટેંક એટલે રણગાડી .એ લશ્કરનો અભિન્ન ભાગ છે, એમ ઠસાઈ ગયું છે. રણગાડીઓનાં પુર્વજો આદી કાળથી ચાલ્યા આવે છે તેમ માની શકાય. જ્યારે તિર કામઠાંનો જમાનો હતો ત્યારે પણ યુધ્ધમાં 'રથ' આગળ પડતી ભુમિકા ભજવતા હતાં, અને સવાર કે સૈનિક 'રથ'માંથી શસ્ત્રો ચલાવતાં હતાં. ટેકનોલોજીનાં આવિષ્કારનાં કારણે 'બેટલ ટેંક'નો જન્મ થયો. બેટલ ટેંક યુધ્ધનાં પરીણામ બદલવાની તાકાત ધરાવે છે. વૈચારીક કક્ષાએ યુધ્ધ લડાતું હોય ત્યારે રણનીતી ઘડનાર વિશેષજ્ઞ માટે મિડીયા એક શબ્દ વાપરે છે. થિંક ટેન્ક. આમ માનસીકથી વાસ્તવિકતા સુધી 'ટેન્ક'નું સામ્રાજ્ય છે. યુધ્ધનાં ઈતિહાસની અનોખી ઘટનાને આજે 'સો' વર્ષ એટલે કે એક સદી થઈ ગઈ છે. બેટલ ઓફ સોમે (કે સોમ)માં બ્રિટનને પ્રથમવાર રણગાડીનો ઉપયોગ કર્યો ત્યારે તારીખ હતી. ''૧૫ સપ્ટેમ્બર ૧૯૧૬'' જી! હા! પ્રથમ વિશ્વયુધ્ધનાં એ ગોઝારા દિવસો હતાં. એક બાજુ ફ્રાન્સ અને બ્રિટન તથા મિત્ર રાષ્ટ્ર હતાં. સામે પક્ષ હતું : શક્તિશાળી 'જર્મની'. યુધ્ધમાં હવે 'બેટલ ટેન્ક'નો પ્રવેશ થયો હતો અને... માત્ર પ્રથમ વિશ્વયુધ્ધ જ નહી, ત્યારબાદ લડાયેલાં... દરેક યુધ્ધમાં 'બેટલ ટેન્ક' નિર્ણાયક ભુમિકા ભજવવાની હતી.

બેટલ ટેંક અને બેક ગ્રાઉન્ડ

ઈતિહાસ બોલે છે કે, ૨૮ જુન ૨૦૧૪નાં રોજ ઓસ્ટ્રિયાની રાજગાદીનાં વારસદાર આર્ચ ડયુક ફ્રાન્ઝ ફર્ડીનાન્દની ગોળી મારીને હત્યા કરવામાં આવે છે. હત્યારો ગવરીલો પ્રિન્સીપ, યંગ બોસ્નીયાનો સભ્ય હતો. ઉપરાંત બ્લેક હેન્ડ સિક્રેટ સોસાયટીનો સભ્ય પણ હતો. ઓસ્ટ્રીયા-હંગેરીએ અલ્ટીમેટમ આપ્યું. છેવટે સર્બીયા સામે તેમણે યુધ્ધ જાહેર કર્યું અને પ્રથમ વિશ્વયુધ્ધની શરૃઆત થઈ. એકબાજુ મિત્ર ત્રિપુટી, ફ્રાન્સ, બ્રિટન અને રશિયા અને સામે પક્ષ જર્મની, ઓસ્ટ્રીયા અને હંગેરીને સામસામે આવી જવાની ફરજ પડી. પ્રથમ વિશ્વયુધ્ધ 'ગ્રેટ વૉર' તરીકે જાણીતું છે. જેમાં સાત કરોડ લશ્કરી માણસોએ ભાગ લીધો. જેમાંથી ૬ કરોડ લોકો યુરોપિઅન હતાં. યુધ્ધ છેવટે તો માણસ સંહાર કરવાની સામુહીક પ્રવૃત્તિ છે. પ્રથમ વિશ્વયુધ્ધમાં નેવુ લાખ લશ્કરી લોકો અને સાત લાખ નાગરીકો, મૃત્યુનાં મુખમાં ધકેલાઈ ગયા હતાં. જો કે અહીં વિશ્વયુધ્ધને યાદ કરવાનો મુદ્દો અલગ છે.

પ્રથમ વિશ્વયુધ્ધનાં ભાગરૃપે એક લાંબી નિર્ણાયક લડાઈ/સંગ્રામ ખેલાયો. જેને ઈતિહાસકારો 'બેટલ ઓફ સોમે' તરીકે ઓળખે છે. જે ફ્રાન્સની નદી 'સોમે'નાં કિનારે ખેલાયો હતો. જેણે યુધ્ધ પ્રત્યે બ્રિટનનો આખો અભિગમ બદલી નાખ્યો હતો. ૩૧ ઓગષ્ટ ૧૯૬૧નાં રોજ, બ્રિટન તરફ લડનાર 'હેરી બટર', વિશ્વયુધ્ધમાં મરનાર પ્રથમ અમેરિકન નાગરીક બન્યો હતો. સોમે સંગ્રામની શરૃઆત પહેલી જુલાઈ ૧૯૧૬નાં રોજ થઈ. જેમાં પ્રથમ દિવસે જ ૫૭,૪૭૦ બ્રિટીશ નાગરીકો ઘાયલ થયા. જે ક્રિશ્ચીઅન, બોઅર કે કોરીઅન યુધ્ધમાં થયેલ કુલ ઘાયલોની સંખ્યા કરતાં અનેકગણી વધારે હતી. જ્યારે ઘાયલ થનારાં ફ્રેન્ચ લોકોની સંખ્યા માત્ર ૨૦૦૦ની હતી. યુધ્ધનો અંત થયો ત્યારે બ્રિટીશ કેસ્યુઅલ્ટીની સંખ્યા ૪.૨૦ લાખ, ફ્રેન્ચની સંખ્યા બે લાખ અને જર્મનોની સંખ્યા ૪.૬૫ લાખ હતી.

આવું શા માટે બન્યું? જર્મનો ફ્રેન્ચ / ખાડી ખોદીને સંતાઈ રહેવામાં અત્યંત ઝડપી હતા. બ્રિટીશરો વાયરો કાપીને જર્મનો સુધી પહોંચવામાં સફળ રહ્યા નહી અને દુશ્મનોની બંદુકો ગર્જતી રહી. ફ્રાન્સ પાસે પુષ્કળ દારૃગોળો અને ટ્રેઈન્ડ થયેલા સૈનિકો હતાં. બ્રિટીશરોને દરેક પ્રકારની ભૂમી પર ચાલી શકે તેવાં વાહનની જરૃર હતી. કાદવ, કિચડ અને ખોદેલાં ખાડાઓમાંથી લશ્કરને બહાર નીકળવું ભારે પડી ગયું હતું. છેવટે વિશ્વનાં ઈતિહાસમાં નવ જેટલી ટેન્ક સીમા રેખા ઓળંગીને 'નો મેન્સ લેન્ડ'માં પસાર થઈ શકી અને ત્યારબાદ, વિશ્વનાં ભૂમી પર લડાનાર દરેક યુદ્ધમાં 'બેટલ ટેંક' પોતાનો જાદુ બતાવવાની હતી. વિજ્ઞાાન તેને ટેકનોલોજીનાં વાઘા પહેરાવીને 'અજેય' બનાવવાનું હતું.

બખતરીયા તોપ ગાડી : મેકીંગથી મોનોપોલી સુધીની સફર

પ્રથમ વિશ્વયુધ્ધનાં દસ વર્ષ પહેલાં પથરાળ, ખડકાળ, કાદવ કીચડ, નદી, નાળા જેવી વિકટ ભુમી અને યુધ્ધ ટ્રેન્ટમાં પસાર થઈ શકે તેવી બખ્તરીયા ગાડીની દરેક દેશનાં લશ્કરને જરૃર હતી. તેની અનેક ડિઝાઈન રજુ થઈ હતી પરંતુ, ફળદ્રુપ પરીણામ આપે તેવું એકપણ વાહન સર્જાયું ન'હતું. બખ્તરીયા ગાડી/રણગાડી/ટેન્ક શરૃઆતમાં 'લેન્ડશીપ' તરીકે ઓળખાતું હતું. શરૃઆતમાં ટેન્કનાં બે પ્રકાર હતાં. મેલ/નર ટેન્ક અને માદા/નારી/ફિમેલ ટેન્ક. મેલ ટેન્કમાં છ નેવલગન / તોપ લગાડવામાં આવી હતી. ફિમેલ ટેન્કમાં પાંચ મશીનગન લગાવવામાં આવતી હતી.

બ્રિટનને બખ્તરીયા ગાડીનો આઈડિયા, લશ્કરનાં કર્નલ અર્નેસ્ટ સ્વીટન અને વિલીયમ હેન્કીએ આપ્યો હતો. જે છેવટે બ્રિટીશ નેવી મિનીસ્ટર વિન્સ્ટન ચર્ચીલ પાસે પહોંચ્યો. બીજા વિશ્વયુધ્ધમાં 'ચર્ચિલ' નિર્ણાયક ભુમિકામાં આવી જવાના હતાં. છેવટે 'લેન્ડ બોટ' તરીકે ઓળખાતાં બખ્તરીયા વાહનનાં બાંધકામની શરૃઆત બ્રિટને કરી. દુશ્મનોથી પ્રોજેક્ટને બચાવવા તેને છુપો રાખવામાં આવ્યો. ફેક્ટરીમાં કામ કરનાર કારીગરોને જણાવવામાં આવ્યું કે 'નવું વાહન યુધ્ધભુમી ઉપર પાણી પહોંચાડવા માટે વપરાવાનું હતું. લોકોએ તેને 'પાણીનીટાંકી' એટલે કે 'ટેન્ક' નામ આપી દીધું અને વોરફેર ટેકનોલોજીમાં 'ટેન્ક'નો જન્મ થયો.

ઈન્ગ્લેન્ડની ફેક્ટરીમાં, જે પ્રથમ પ્રોટોટાઈપ આવૃત્તિ બની તેનું નામ લિટલ વિલી હતી. જેનું વજન ૧૪ ટન હતું. તે ખાંચાદાર-પટ્ટાવાળા વ્હીલ અને પટ્ટાની મિકેનિકલ ડિઝાઈનથી ચાલતી હતી. 'લીટલ વીલી' બાદ, બીજી ટેન્ક 'બિગ વીલી'નાં નામે તૈયાર કરવામાં આવી. અને ત્યારબાદ બ્રિટને માર્ક-વન નામે બેટલ ટેન્કની પ્રથમ બેચ તૈયાર કરીને, 'બેટલ ઓફ સોમે'ની રણભુમી પર મોકલી આપી હતી. જોકે શરૃઆતની માર્ક-વન ટેંક અતિશય ગરમ, ઘોંઘાટીયું અને મિકેનિકલ નિષ્ફળતાનાં સરવાળા જેવી હતી. જોકે બ્રિટને તેની ખામીઓને સુધારીને ૧૯૧૭માં માર્ક-ફોરની ૪૦૦ બેટલ ટેન્ક તૈયાર કરી હતી. જેણે ૮ હજાર સૈનિકોને શરણે આવવાની ફરજ પાડી અને ૧૦૦ તોપોને કબજે કરવામાં મહત્વની ભુમિકા નિભાવી હતી. હવે અચાનક બેટલ ટેન્ક મહત્ત્વનું લશ્કરી શસ્ત્ર સાબીત થઈ ગઈ.

બેટલ ટેન્કના બાંધકામમાં બ્રિટને વિશ્વમાં 'પ્રથમ' બનવાનું બહુમાન મેળવ્યું પરંતુ, બેટલ ટેન્ક ટેકનોલોજીમાં જર્મનીએ માસ્ટરી મેળવીને 'વર્લ્ડ ક્લાસ' ટેન્ક બનાવવા લાગ્યા. બીજા વિશ્વયુધ્ધમાં એડોલ્ફ હિટલરની બખ્તરીયા ગાડીનાં કાફલા, પેન્ઝર ડીવીઝને હાહાકાર મચાવી વિશ્વયુધ્ધમાં પોતાનું વર્ચસ્વ સાબીત કર્યું હતું. બેટલ ટેન્કની મોનોપોલી 'ગલ્ફ વોર'માં પણ એટલી જ જોવા મળી હતી.

વિશ્વયુધ્ધ, જર્મની અને યુધ્ધ ટેંક

પ્રથમ વિશ્વયુધ્ધમાં શરૃઆતમાં ઝટકો ખાધા બાદ પણ, જર્મનીએ 'બેટલ ટેન્ક' વિકસાવવા ઉપર પુરતું ધ્યાન આપ્યું નહીં. તેમને લાગતું હતું કે 'ટેન્ક' યુધ્ધમાં જલ્દી શિકાર બની જાય છે અથવા નિષ્ફળ જાય છે. પરંતુ બ્રિટનની ટેંકની શરૃઆતની નિષ્ફળતા અને માર્ક-૪ની સફળતા બાદ, જર્મની સફાળુ જાગ્યું અને 'બેટલ ટેન્ક' બનાવવાનાં પ્રયત્નો કરવા લાગ્યું હતું.

જર્મનોનો ટેંક બનાવવાનો પ્રોજેક્ટ A7Vથી શરૃ થાય છે. જો કે તેમની સુપર હેવી K-વેગન અને લાઈટ ટેન્ક LK-II  પ્રથમ વિશ્વયુધ્ધના અંત સુધીમાં તૈયાર થઈ શકી નહતી. A7Vની ડિઝાઈન અને બાંધકામમાં જોસેફ વોલ્મરનું નામ લેવામાં આવે છે. હોલ્ટ ટ્રેક્ટરનાં વિવિધ ભાગો ભેગા કરીને A7V ટેન્ક બનાવવામાં આવી હતી. જેનાં ઉપર ૫૭ એમ.એમ.ની ગન ફિટ કરવામાં આવી હતી. એપ્રિલ-૧૯૧૮માં વિશ્વમાં પ્રથમવાર 'ટેન્ક વર્સીસ ટેન્ક'નું દ્વન્દ્વ યુદ્ધ શરૃ થયું હતું. બાહ્ય રીતે જોતાં A7Vનો દેખાવ બખ્તરીયા ટેન્કનાં ડબ્બા જેવો વિકસાવવામાં આવ્યો હતો. જેનું વજન ૩૬ ટન જેટલું હતું. જેમાં ડેમ્લર બેન્ઝનાં ૪ સીલીન્ડરવાળા, ૨૦૦ હોર્સ પાવરનાં બે પેટ્રોલ એન્જીન બેસાડવામાં આવ્યા હતાં. ૧૯૧૭ના અંતભાગમાં જર્મન આર્મીએ ૧૦૦ ટેન્કનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ તેનું બાંધકામ એટલું ધીમું ચાલતું હતું કે ૧૯૧૮માં પ્રથમ વિશ્વયુધ્ધની સમાપ્તિ સુધીમાં માત્ર ૨૦ ટેન્કનું બાંધકામ પુરુ કરી શકાયું હતું. ૧૯૧૮માં જર્મનીને ચાર માર્ક-૪ ટેંક કબજે કરવાનો મોકો મળ્યો. સાથે સાથે પોતાની અને બ્રિટીશ ટેકનોલોજીની સરખામણી કરવાનો અવસર પણ મળ્યો. જેમાંથી જર્મનીએ બોધપાઠ લઈને બેટલ ટેન્ક ક્ષેત્રે પોતાની આગેકૂચ કરવાની હતી. પ્રથમ વિશ્વયુધ્ધ પછી જર્મનીએ યુધ્ધનો ખર્ચ બ્રિટન, ફ્રાન્સ વગેરેને ચુકવવાનો હતો. તેના પર વિવિધ પ્રતિબંધ હતાં. જેમાં બેટલ ટેન્ક બાંધકામ ઉપર પણ પ્રતિબંધ હતો. છતાં, જર્મનોએ બેટલ ટેન્ક ડિઝાઈનમાં મન પરોવ્યું. ટાઈગર-વન, ટાઈગર-ટુ સીરીઝનું નિર્માણ કર્યું. હિટલરે તેની પેન્ઝર ટેન્ક, KV-1, KL-રેટ જેવી સુપરહેવી ટેન્કનો પ્રોજેક્ટ અમલ મુક્યો હતો. બીજા વિશ્વયુધ્ધમાં હિટલરની યુધ્ધ રણનીતિમાં બેટલ ટેન્કે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.બીજા વિશ્વયુધ્ધ બાદ, કોલ્ડ વૉરનાં સમયગાળામાં તેની સર્જનાત્મક ચરમ સીમાએ પહોંચી હતી. આજે જર્મનીની લેપર્ડ-2A7 વિશ્વની ટોપ-૧૦ બેટલ ટેન્કમાં સ્થાન પામે છે.

વોર ઝોન : ટેકનોલોજીનો પગપેસારો...

જાન્યુ. ૧૯૯૧માં સદ્દામ હુસેનને મહાત કરવા માટે ઓપરેશન ડેઝર્ટ સ્ટોર્મ શરૃ કરવામાં આવ્યું. જેમાં સ્ટીલ્થ ફાઈટર, ક્રુઝ મિસાઈલ, લેસર ગાઈડેડ સ્માર્ટ બોમ્બ અને ખાસ... ગ્લોબલ પોઝીશનીંગ સીસ્ટમ  (GPS)નો ઉપયોગ કરવામાં આવ્યો. જો કે કુવૈતમાંથી સદ્દામ હુસેનને ખદેડી મુક્યા બાદ, ખરી લડાઈ, બીનરહેઠાણ વગડાઉ વિસ્તાર અને રણમાં લડાઈ હતી. જેમાં બેટલ ટેન્કે ખાસ કામગીરી નિભાવી હતી. આજે સમય બદલાઈ ગયો છે. રશિયાએ, પોતાની ફ્યુચર બેટલ ટેન્કનો પ્લાન વિશ્વ સમક્ષ મુક્યો એટલે...   રશિયાની T-90 ટેન્કમાંથી પ્રેરણા લઈને સર્બીયા  M-20UP વિકસાવી રહ્યું છે તો ભારત T-90ની સ્વદેશી આવૃત્તિ જેવી T-90M 'ભિષ્મ' વિકસાવી છે. જે ભારતની મુખ્ય બેટલ ટેન્ક 'અર્જુન'નો આધુનિક પર્યાય બનાવવા માટે છે. બ્રિટન તેની આધુનિક ટેન્ક ચેલેન્જર-૨ને અપગ્રેડ કરશે. જેમાં વપરાતી ટેકનોલોજી જેવી ટેકનોલોજી અન્ય દેશોની ટેન્કને અપગ્રેડ કરવામાં વપરાશે.

* થર્મલ ઈમેજીંગ : થર્મલ ઈમેજીંગ દ્વારા દિવસે અને રાત્રે પણ ચોકીપહેરો ભરી શકાય છે. જેનાં કારણે ચોવીસ કલાક કાર્યરત રહી શકે છે.

* કમાન્ડર ૩૬૦-આઈ : ટેન્કનાં તોપથી અને ચાલકને નવી દ્રષ્ટિ આપવાનું કામ કમાન્ડર ૩૬૦ વિઝન આપે છે. જેમાં થર્મલ ઈમેજીંગ અને અન્ય સિસ્ટમ પણ વપરાય છે.

* ગન કન્ટ્રોલ સિસ્ટમ : GPS અને કોમ્પ્યુટર એઈડેડ સીસ્ટમથી ગન કંટ્રોલ ઈક્વીપમેન્ટ ચાલે છે. જેમાં સમયસર ચોક્કસ નિશાન પર ફાયરીંગ કરવાની સિસ્ટમ લગાડવામાં આવે છે.

* ઈલેક્ટ્રોનીક આર્કીટેક્ચર : યુધ્ધ ભુમીમાં થતાં વિસ્ફોટો અને ફાયરીંગથી નુકસાન ન પામે તેવી ઈલેક્ટ્રોનીક સિસ્ટમ એ બેટલ ટેન્કની પ્રાથમિક જરૃરિયાત ગણાય. ઈલેક્ટ્રોનીક સર્કીટ હવે અતિસુક્ષ્મ થઈ જતાં, વધારે ઉપકરણો ટેન્કમાં ગોઠવી શકાય છે.

સ્ટીલ્થ અને રડાર : ટેન્ક હવે દુશ્મન દેશના રડાર પર ન દેખાય તે માટે સ્ટીલ્થ મટીરીઅલ લગાડવામાં આવે છે. ટેંકની પોતાની પોર્ટેબલ સીસ્ટમ પણ છે. જે રડાર સીસ્ટમ પણ ધરાવે છે.

TOP - 1૦ બેટલ ટેન્ક

હાલમાં વિશ્વની શ્રેષ્ઠ ગણાતી દસ મેઈન બેટલ ટેંક નીચે પ્રમાણે છે.
(૧) K-2 બ્લેક પેન્થર : દ. કોરીયા
(૨) T-90 AM : રશીયા
(૩) M1A2 SEP V.2 અમેરીકા
(૪) મરકાવા-4  ઈઝરાયેલ
(૫) ટાઈપ-10  જાપાન
(૬) લેપર્ડ A2A7 જર્મની
(૭) ચેલેન્જર-2 ગ્રેટ બ્રિટન
(૮) AMX-56 ju ક્લાર્ક ફ્રાન્સ
(૯) ટાઈપ-99 A2 ચીન
(૧૦) T-84ઓપ્લોટ-M યુક્રેન

ટોપટેન - ભવિષ્યની બેટલ ટેન્ક

ભવિષ્યમાં જેનો ડંકો વાગવાનો છે તેવી ટેન્ક
(૧) T-14અર્માતા રશિયા
(૨) PL-01 પોલેન્ડ
(૩) એસ્પ્રો-A ઈઝરાયેલ
(૪) M1A3 અમેરીકા
(૫) MBT-3000 ચીન
(૬) M-95 ડેગમેન ક્રોશીયા
(૭) ટાઈપ-૧૦ જાપાન
(૮) એલ્ટે  ટર્કી
(૯) અર્જુન મેક-II  ભારત
(૧૦) M-20 UP-1  સર્બીયા

Tuesday 4 October 2016

આઇસમેન ''ઉત્ઝી'' :સિલ્વર જ્યુબિલીની સસ્પેન્સ સ્ટોરી !

Pub. Date: 02.10.2016

૫૩૦૦ વર્ષ પ્રાચીન કુદરતી 'મમી' અનેક રહસ્ય ખોલે છે. સિલ્વર જ્યુબિલીની સસ્પેન્સ સ્ટોરી !

૧૯ સપ્ટેમ્બર ૧૯૯૧નો દિવસ હતો. આજથી બરાબર ૨૫ વર્ષ પહેલાંની વાત છે. બે જર્મન ટુરિસ્ટ હેલ્મુટ અને એરીકા સિમોન ઓસ્ટ્રીયા - ઈટાલીની બોર્ડર પર આવેલ આલ્પસ પર્વતમાળાનાં ઓસટ્રઝલ આલ્પસની પૂર્વ તરફ આવેલ ફિનેલીસ્પીટ્ઝ ધાર પર ૩૨૧૦ મીટરની ઊંચાઈ પર ફરી રહ્યા હતાં. રસ્તો ચુકી તેઓ હોસ્લેજોચ અને રિસેનજોચ વચ્ચેનાં પર્વતાળ માર્ગમાં આવી ગયા. અહીં તેમણે બરફમાં દેખાતું એક સુકાયેલું શબ જોયું. શબનો ધડથી નીચેનો ભાગ બરફમાં દટાયેલો હતો. તેમણે માની લીધું કે શબ કોઇ પર્વતારોહકનું હોવું જોઇએ.જે કુદરત સામે હારી જતાં મૃત્યુ પામ્યો હતો. છેવટે ૨૨ સપ્ટેમ્બરનાં રોજ શબને બરફમાંથી ખોદી કાઢવામાં આવ્યું. તેની આસપાસ દટાએલી જુની ચીજ વસ્તુઓ પણ ખોદી કાઢવામાં આવી. આજે એજ શબ માટે ઓસ્ટ્રીયા અને ઈટાલી વર્ષોથી ઝગડી રહ્યાં છે. આખરે આ શબ વૈજ્ઞાનિકો માટે અતિ કિમતી શા માટે છે? વૈજ્ઞાનિકો તેને ઓત્ઝી કે ઉત્ઝી તરીકે ઓળખે છે. આખરે ''ઉત્ઝી'' કોણ હતો ?

આઇસમેન  ''ઉત્ઝી'' કોણ હતો ?

ઈટાલી અને ઓસ્ટ્રીયાની બોર્ડર પર આવેલ પર્વતમાળાનાં પહાડમાંથી મળેલ શબને નજીક આવેલાં ઈન્સબુ્રક ખાતે તબીબી પરીક્ષણ માટે લઇ જવામાં આવ્યું. યુનિ. ઑફ ઈન્સબૂર્ગનાં આર્કીયોલોજીસ્ટ કોનરાડ સ્પિન્ડલર દ્વારા તપાસવામાં આવ્યું. શબ પાસેથી મળેલ કુહાડી જોઇને તેમણે જાહેરાત કરી કે બરફમાં દટાઇને 'મમી'માં ફેરવાઇ ગયેલ મનુષ્ય દેહ અંદાજે  ૪ હજાર વર્ષ પ્રાચીન છે. હવે જેને એક સાદા પર્વતારોહકનું શબ માનતા હતાં, તે અચાનક વિજ્ઞાન જગત માટે એક દુર્લભ મમી સાબીત થઇ ગયું અને... ઑસ્ટ્રિયા તેનો કબજો લેવા ઈટાલી સાથે ઝગડવા લાગ્યું છે. જે બે દેશોની સીમારેખાનાં વિવાદમાં ઝગડાનો નિવેડો આવ્યો નથી. ખરી વાત એ છે કે આ માત્ર બે દેશનો સવાલ નથી. કારણ કે વિજ્ઞાન જગત માટે ''ઉત્ઝી'' એક દુર્લભ મમી છે. ઈ.સ. પૂર્વે ૩૩૦૦ વર્ષ પહેલાં, તે એક જીવંત વ્યક્તિ હતો. લોકો તેને આઇસમેન ''ઉત્ઝી''નાં હુલામણા નામે ઓળખે છે. કોઇ તેને ફ્રોઝન 'ફ્રિટ્ઝ' તરીકે ઓળખે છે.

પુરાતત્વવિદ્ તેને હોમો-ટાયસેલેન્સીલ તરીકે ઓળખે છે. બરફમાં દટાઇને મૃત્યુ પામેલ 'ઉત્ઝી'ની આખી જન્મકુંડળી વૈજ્ઞાનિકોએ ઉકેલી કાઢી છે. વૈજ્ઞાનિકો હજી પણ તેનાં ઉપર વધારે સંશોધનો કરી રહ્યાં છે. તાજેતરમાં તેનાં ગળા અને સ્વર પેટીનું ૩ડી મોડેલ બનાવીને વૈજ્ઞાનિકોએ કોમ્પ્યુટર પર ચકાસ્યું છે. જેથી ખબર પડે કે ''ઉત્ઝી''નો અવાજ કેવો હતો. ''ઉત્ઝી''નો પુરો ડેટા બેઝ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આજની તારીખે, ''ઉત્ઝી'' યુરોપમાંથી મળી આવેલ સૌથી પ્રાચીન કુદરતી માનવ 'મમી' છે. ઈટાલીનાં દક્ષિણ ટાઇટોલ ખાતે આવેલ બોલ્ઝાનોનાં આર્કીયોલોજીકલ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે. જો કે 'મમી'ની શરૂઆતની ઓળખ ઓસ્ટ્રીયાનાં ઈન્સબર્ગ યુનિ.ના પુરાતત્વવિદ્ કોનરાડ સ્પીન્ડલરે કરી હતી.

તામ્ર યુગનાં માનવીનું 'અવતરણ'

જ્યાંથી ઉત્ઝીનું શબ મળ્યું હતું. ત્યાંથી તામ્ર યુગનો પત્થર મળી આવ્યો હતો. આધુનિક ચર્ચમાં વપરાતાં પ્રભુ ભોજનનાં ટેબલનાં પત્થર તરીકે તેનો અનેકવાર ઉપયોગ થતો હતો. પત્થર ઉપર એક ધનુષ્યધારી વ્યક્તિ, એક હથિયાર રહીત વ્યક્તિની પીઠમાં તીર મારતો હોય તેવું દેખાય છે. જે ''ઉત્ઝી''નાં 'મૃત્યુ' સમયની ઘટનાને આબેહૂબ મળતું આવે છે. પરંતુ સંશોધકોને તેનાથી સંતોષ થયો નથી. કદાચ આ ઘટના યોગાનુયોગ છે. ઉત્ઝીએ બાંધેલા ચામડાના પટ્ટામાં વનસ્પતિનાં ભુકા જેવો પાવડરનો ગઠ્ઠો મળી આવ્યો હતો. જેમાં પિપ્ટો પોરસ બેટુલીનસ ફુગના અવશેષો જોવા મળ્યા છે. જેને ખાવામાં આવે તો ઝાડા થઇ જાય છે. બની શકે કે ''ઉત્ઝી'' તેનાં પેટની તકલીફ દૂર કરવા / વિપવોર્મને નાબૂદ કરવા તેનો દવા તરીકે ઉપયોગ કરતો હોય. તેનાં ટૅટુ બનાવવામાં કોલસો / ચારકોલનો ઉપયોગ થયો છે. ટૅટુ સામાન્ય રીતે હાડકાનાં સાંધાના ભાગમાં જોવા મળ્યા છે. કદાચ સાંધાના દુખાવા દૂર કરવા તેનો પ્રયોગ કરવામાં આવ્યો હોય. ઈટાલીનાં ઘઃય્ ડિઝાઇનરો પુરુષ માટે ચામડાનો ડ્રેસ ડિઝાઇન કરે તે પહેલાંથી ''ઉત્ઝી'' સ્વયમ્ ડિઝાઇન કરેલ ચામડાના વસ્ત્રો પહેરતો હતો. તેનાં કમર - ગુપ્તાંગને ઢાંકનાર વસ્ત્ર ઘેટાની ચામડીનું બનેલું હતું. પગનાં વસ્ત્રો બકરીના ચામડાનાં હતાં. તેની ટોપી કથ્થઇ રીંછનાં ચામડામાંથી બનેલી હતી. તેનાં બુટની દોરી જંગલી ગાયનાં ચામડામાંથી બનાવેલી હતી. તેનો તીર રાખવાનો ''ભાથો'' હરણનાં ચામડામાંથી  બનાવવામાં આવ્યો હતો. પ્રાચીન ટેક્નોલૉજી વાપરવામાં ''ઉત્ઝી'' મોખરે હતો. તેની કમરે ફલીન્ટ પત્થરમાંથી બનાવેલ જમૈયો / કટાર રહેતી હતી. તેનાં ભાથામાં બે સંપૂર્ણ તીર હતાં. જ્યારે એકાદ ડઝન લાકડાની સળીયો હતી. જેમાંથી તીર બનાવી શકાય તેમ હતાં. તેનાં ડાબી બાજુનાં દાંત વધારે ઘસાયેલા હતાં. તેનાં વાળમાં આર્સેનીક અશુદ્ધિ બતાવે છે કે તે તાંબુ ગાળવામાં માસ્ટર હતો.

ઐતિહાસિક જન્મ-કર્મ કુંડલી

એક વાત નક્કી થઇ ચુકી છે કે ''ઉત્ઝી''નું મમી ૫૩૦૦ વર્ષ પ્રાચીન છે. તે સમયે ઈતિહાસની વાત કરીએ તો 'તામ્રયુગ' ચાલતો હતો. વૈજ્ઞાનિકોએ 'ઉત્ઝી'નો સંપૂર્ણ જેનોંમ ઉકેલ્યો છે. વૈજ્ઞાનિકો માને છે કે ''ઉત્ઝી'' મૃત્યુ પામ્યો તે પહેલાં તે માંદો હતો. તેનાં માથામાં ઈજા થયેલી છે. ખભા પાસે તેને તીર વાગેલું હતું. ઉત્ઝીનાં થાપાનાં હાડકામાંથી DNA મેળવવામાં આવ્યું હતું. જેનો  ૫૧૦માં નૃવંશશાસ્ત્રી આલ્બર્ટ ઝીન્કની લીડરશીપમાં પુરો 'ઝેનોમ' ઉકેલવામાં આવ્યો હતો. યુરોપમાં આઇસમેન 'ઉત્ઝી'નાં સેંકડો પેઢી બાદનાં ૧૯ જેટલાં જીવતાં વારસદારો હાલમાં આર્કીનીઆમાં વસે છે. વિશ્વનો પ્રથમ લીમ રોગનો કેસ એટલે 'ઉત્ઝી'. જે પરોપજીવી જીવાતથી થતો હતો. 'ઉત્ઝી' મૃત્યુ પામ્યો ત્યારે તેની ઉંમર ૪૬ વર્ષ હતી. તેની આંખોનો રંગ 'છીકણી' હતો. તેની પાસે તીર કામઠું અને તીર રાખવાનો ભાથો પણ હતો. તેની કુહાડી તાંબાની બનેલી હતી. તે શિકારી હતો અથવા યોદ્ધો. તીર વાગવાથી તે ઊંચાઇએથી પડી ગયો હતો. જેથી માથામાં ઈજા થઇ હોવાનું જણાય છે. તેનાં આંતરડામાં ''વિપવોર્મ'' નામનાં પરોપજીવી જીવો મળ્યા છે. તેનાં પેટમાં હેલીયો બેકટર પાયલોરીનો સંપૂર્ણ જેનોમ જોવા મળ્યો છે. જેનાં કારણે પેટમાં ચાંદા પડે છે અને પેટની અનેક સમસ્યાઓ નડે છે. 'ઉત્ઝી'નાં શરીર ઉપર શાહીથી બનાવેલ છુંદણું / ટેટું જોવા મળ્યું છે. ગિનેસ બુક ઑફ રેકર્ડમાં ટૅટુ ધરાવનાર સૌથી પ્રાચીન મનુષ્નો રેકૉર્ડ ''ઉત્ઝી''નાં નામે કરવામાં આવ્યો છે. ''ઉત્ઝી'' તેની સાથે પ્રાથમિક સારવાર માટેની દેશી કીટ લઇને ફરતો હતો. તેનાં નખનાં અંગૂઠાનાં તબીબી પરીક્ષણમાં જાણવા મળ્યું હતું કે મૃત્યુનાં ચાર મહીના પહેલેથી તે વારંવાર ગંભીર રીતે બીમાર થઇ જતો હતો.

રહસ્ય ઉકેલતી આધુનિક ટેક્નોલૉજી


'ઉત્ઝી'નાં મમીને મ્યુઝિયમમાં ખાસ પ્રકારે ડિઝાઇન કરેલ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યું છે. જેનું તાપમાન સતત માઇનસ છ ડિગ્રી રાખવામાં આવે છે. ચેમ્બરમાં રાખેલ ખાસ બારીમાંથી મુલાકાતી ''ઉત્ઝી''નું શબ નિહાળી શકે છે. ૫૩૦૦ વર્ષ પ્રાચીન 'મમી'નો ભેદ ઉકેલવા અને આવવા માટે આધુનિક ટેકનોલોજીએ કમાલ કરી છે. મમીને ૩ઘ સ્કેન કરીને 'ઉત્ઝી'નું લેટેસ્ટ ૩ઘ મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં શબવિધી અને ફોરેન્સીક ટેક્નોલૉજી વાપરવામાં આવી છે. આ ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને બે ડચ આર્ટિસ્ટ આલ્ફોન્સ અને એન્દ્રી કેનીએ કમાલનું ૩ઘ મોડેલ તૈયાર કર્યું છે. વૈજ્ઞાનિકો 'ઉત્ઝી'નાં શરીરમાંથી મળેલ હેલીકોબેકટર પાયરેલીનાં અલગ અલગ નમૂનાઓ વિશ્વમાંથી એકત્રીત કરીને, પ્રાચીન મનુષ્યનાં સ્થળાંતર / માઇગ્રેશનનો નકશો તૈયાર કરી રહ્યાં છે. આજના આધુનિક એશિયન લોકોનાં શરીરમાં એચ. પાયલોરીનાં જે સ્ટ્રેઇન જોવા મળે છે. તેવાં સ્ટ્રેઇન 'ઉત્ઝી'નાં શરીરમાં છે. વનસ્પતિ, પ્રાણી, ઓલાદ કે વંશની વિશિષ્ટ ખાસિયત  ધરાવતા લક્ષણને જીનેટીકની ભાષામાં સ્ટ્રેઇન  કહે છે. તેનાં ડીએનએ ઉકેલતા માલુમ પડયું હતું કે તેનાં હાડકા પોલા પડવાની સંભાવના વધારે હતી. તે દૂધમાં રહેલું લેકટોસને પચાવવા માટે સક્ષમ ન હતો. સંશોધકો માને છે કે 'ઉત્ઝી'નો સંબંધ યુરોપનાં 'નિએન્ડરથાલ' મનુષ્ય વંશ સાથે જોડી શકાય તેમછે. ઉત્ઝીનાં શરીરમાંથી ૫૩૦૦ વર્ષ પ્રાચીન રક્તકોષોનાં અકબંધ અવશેષો પણ મળી આવ્યા છે. જેનો કદ અને આકાર આજના આધુનિક મનુષ્ય જેવો જ છે.

શું એ ''મમી'' શાપિત હતું ?

પ્રાચીન ''મમી''ને શોધી કાઢીને તેનો ભેદ ઉકેલવો એક અભિશાપ ગણાય છે. ઘણા લોકો માને છે કે 'મમી'ને શોધનાર કે તેનું રહસ્ય ઉકેલવા મથનાર માનવીને મમીનો 'શાપનડે છે અને તેનું મૃત્યુ થાય છે. ફારોહ 'તુતેન ખામેન'નાં મમીની શોધ સાથે તેની સાથે સંકળાએલા લોકનાં રહસ્યમય મોતે 'શાપ'ની થિયરીને બિન-વૈજ્ઞાનિક ઢબે સાચી પુરવાર કરી છે. આવી જ કથા ''ઉત્ઝી''નાં 'મમીસાથે લોકો જોડી રહ્યાં છે કે શાપની સત્ય ઘટના છે કે માત્ર યોગાનુયોગ એ નક્કી કરવું તમારી વિવેક બુદ્ધિ પર છોડી દેવામાં આવે છે.

'ઉત્ઝીસાથે સંકળાયેલા સાત વ્યક્તિનાં આકસ્મિક કે અચાનક મોત થયા છે.''ઉત્ઝી''નાં શબને શોધનાર હલ્મુટ સીમોન મુસાફરનું પર્વત પરથી પડતાં મૃત્યુ થયું હતું. પર્વત પરથી 'મમી'ને હવાઇ માર્ગે લાવનાર ગાઇડનું 'હિમ તોફાન'માં મૃત્યુ થયું હતું. જે ફોટોગ્રાફરે 'મમી'નાં ખોદકામની વિડીયો બનાવી હતી. તેનું બ્રેઇન ટયૂમરથી મૃત્યુ થયું હતું. ફોરેન્સીક ઍક્સ્પર્ટ જેણે ''ઉત્ઝી''નાં શરીરને સ્પર્શ કર્યો હતો. તે મમી વિશે વ્યાખ્યાન આપવા જતો હતો ત્યારે ડો. રેઇનર હેનનું માર્ગમાં જ અકસ્માત મૃત્યુ થયું હતું. ''ઉત્ઝી'' વિશે સંશોધન કરનાર ઈન્સબર્ગનાં આર્કીયોલોજીસ્ટ કોનરાડ સ્પીન્ડલરનું ૨૦૦૫માં મલ્ટીપલ સ્કેલોરોસીસનાં કારણે મૃત્યુ થયું હતું. કોનરાડ સ્પીન્ડલરે 'મમી'નાં શાપની વાત પત્રકારો દ્વારા જાણીને મજાકમાં કહ્યું હતું કે હવે મારો વારો છે. અને.. તેનું મૃત્યુ થયું હતું. જો કે ''ઉત્ઝી''ને ખોદી કાઢવાથી માંડીને સંશોધન કરવામાં સેંકડો લોકો જોડાયેલા છે. દરેકનાં મૃત્યુને 'શાપ'ની નજરે જોઇ ન શકાય. અને.. જે જન્મે છે તે વહેલાં કે મોડા મૃત્યુ તો પામવાનો જ છે.