Tuesday 16 January 2024

Out Of Place Artifact : ઇતિહાસ અને વિજ્ઞાનની સમયરેખા સાથે મિસમેચ થતા પુરાવાઓ








ધારો કે ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા, સિંધુ ખીણની સંસ્કૃતિ ધરાવતા દરિયા કિનારા નજીક આવે બંદર ઉપર, ખોદકામ કરવામાં આવે છે. આ ખોદકામની દરમિયાન હજારો વર્ષ પહેલાં, બનેલ માટેની એક ટેબલેટ મળી આવે. જેનો દેખાવ નોકિયા કંપનીના 5100 મોડેલના લાંબા મોબાઈલ જેવો છે! તો આર્કિયોલોજિસ્ટથી માંડીને સાયન્ટિસ્ટ સુધીનો વર્ગ, કેવો પ્રતિભાવ આપશે? આ એક સામાન્ય વાત છે કે મોબાઈલ ટેકનોલોજી છેલ્લી વિસમી સદીમાં વિકસી છે, અને એના પ્રતિકૃતિ જેવા માટીની ટેબલેટ ઉપર મોબાઈલ જેવી રચના જોવા મળે તો, સામાન્ય માણસથી માંડીને વિજ્ઞાનીઓ પણ આશ્ચર્યચકિત થઈ જાય કે “ પ્રાચીન સભ્યતા મોબાઈલ ટેકનોલોજી વિશે જાણતી હતી ખરી?. અહીંયા વિજ્ઞાન જગતને ખુલાસો કરવા માટે કે આશ્ચર્યચકિત કરવા માટે, જે નમૂનો મળ્યો છે. તેની કેટલીક લાક્ષણિકતા છે. પ્રાચીન સમયકાળના ખડકો ખોદતા ખોદતા, અર્વાચિન લાગે તેવી ચીજ એટલે કે મોબાઈલનો આકાર ધરાવતી માર્કેટની ટેબલેટ મળી આવે તો , પ્રાચીન સભ્યતાનો સમયકાળ અને આધુનિક મોબાઈલ ટેકનોલોજીનો સમયગાળો, એ બે વચ્ચે કોઈ મેળ ખાતો નથી.

આ ઉદાહરણમાં ધારણા કરવાનું તમને કહેવામાં આવ્યું છે. કારણકે ઘણીવાર આવું જ બને છે. જ્યારે પ્રાચીન સંસ્કૃતિના નિશાન જેવી કલાકૃતિ મળી આવે છે ત્યારે, જે સમય સાથે મેળ ખાતી નથી, તે સમયની ટેક્નોલોજી કરતાં આગળ હોયછે. આ પ્રકારની કલાકૃતિ કે પુરાવાને, વિજ્ઞાન જગત “Out Of Place Artifact” અને સંક્ષિપ્તમાં Ooparts / ઓપાર્ટસ કહે છે. 1981માં જ્યોર્જ લુકાસ જેવા નામચીન ફિલ્મ નિર્દેશકની હોલીવુડ ફિલ્મ “રાઈડર્સ ઓફ ધ લોસ્ટ આર્ક” નામની ફિલ્મ રજૂઆત પામીએ હતી. 20 જૂન 2023ના રોજ “ઇન્ડિયાના જોન્સ” સીરીઝની પાંચમી ફિલ્મ રજૂઆત પામી , જેનું નામ હતું : ઇન્ડિયાના જોન્સ એન્ડ ધ ડાયલ ઓફ ડેસ્ટિની. “ઇન્ડિયાના જોન્સ” ફિલ્મ સીરીઝમાં આવા કેટલાક Out Of Place Artifact / Ooparts / ઓપાર્ટસ રજૂ કરીને પ્રેક્ષકોના દિલ જીતી લેવામાં આવ્યા હતા. ત્યારે સવાલ થાય કે “ વાસ્તવમાં મળી આવતા Ooparts / ઓપાર્ટસ અને ફિલ્મમાં દર્શાવવામાં આવતા કાલ્પનિક Ooparts / ઓપાર્ટસનું સાચું રહસ્ય શું છે?

મિસપ્લેસ્ડ આર્ટિફેક્ટ્સ : હંમેશા બનાવટ કે નકલ હોતા નથી.


કેટલીક વાર ઉડતી રકાબી , પરગ્રહવાસી અને પ્રાચીન સભ્યતા સાથે એલિયન સભ્યતાનો સંબંધે દર્શાવવા માંગતા નિષ્ણાતોનો સમૂહ ઓપાર્ટસ જેવા પુરાવાઓ, પોતાની થીયરી સાચી સાબિત કરવા માટે રજૂ કરતા હોય છે, તેવું વિજ્ઞાન જગત માને છે. ઘણીવાર એવું બને છેકે “ વિજ્ઞાનીઓ માટે પણ , ઓપાર્ટસનું રહસ્ય ઉકેલવું મુશ્કેલ બની જાય છે.”. વૈજ્ઞાનિક સંશોધનમાં કેટલાક ઓપાર્ટસ બનાવટ અને નકલી સાબિત થયા છે, તેના ઉપરથી રજૂ કરવામાં આવતા બધા જ ઓપાર્ટસ બનાવટ કે નકલ હોય તેવું માની લેવાની જરૂર નથી. ઓપાર્ટસ વિશે વિજ્ઞાનીઓ શું માને છે?


મિસપ્લેસ્ડ આર્ટિફેક્ટ્સ (OOPART અથવા OOPARTS) એ ઐતિહાસિક, પુરાતત્વીય અથવા પેલિયોન્ટોલોજીકલ રસની કલાકૃતિઓ છે. જે અસામાન્ય સંજોગોમાં મળી આવી છે. જેની હાજરી પરંપરાગત ઐતિહાસિક ઘટનાક્રમો પર, પ્રશ્ન ઊભો કરે છે. જાણીતી ટેક્નોલોજી માટે, તેના જેવી કલાકૃતિઓનું અસ્તિત્વમાં હોવાનું ખૂબ જ અદ્યતન દેખાઈ શકે છે. અથવા તેઓ એવું સૂચવી શકે છે કે મનુષ્યો અસ્તિત્વમાં છે, તે પહેલાંના સમયમાં જાણીતી ટેક્નોલોજી અસ્તિત્વમાં હતી. અન્ય ઉદાહરણો વિવિધ સંસ્કૃતિઓ વચ્ચેના સંપર્કો સૂચવી શકે છે. જે ઇતિહાસની પરંપરાગત સમજમાં સમજાવવા મુશ્કેલ છે. પુરાતત્વીય વસ્તુઓના વર્ણનનો ઉપયોગ માત્ર ક્રિપ્ટોઝૂઓલોજી જેવા પેરિફેરલ વિજ્ઞાન દ્વારા જ નહીં, પણ પ્રાચીન અવકાશયાત્રી સિદ્ધાંતના સમર્થકો, યુવા પૃથ્વી સર્જનવાદીઓ અને પેરાનોર્મલ ઉત્સાહીઓ દ્વારા પણ કરવામાં આવે છે. તેઓ ચીજવસ્તુઓની વિશાળ શ્રેણીનું વર્ણન કરી શકે છે. મુખ્ય પ્રવાહના વિજ્ઞાન દ્વારા અભ્યાસ કરાયેલ વિસંગતતાઓથી લઈને સ્યુડોઆર્કિયોલોજી સુધી એનો વ્યાપ ફેલાયેલો છે. જે વસ્તુઓ કેટલીક વાર છેતરપિંડી રૂપે આવે છે. પરંપરાગત ઇતિહાસ અને વિજ્ઞાન વચ્ચે ભેદભાવ સર્જે છે. અને પુરાવાઓને રહસ્યમય બનાવી દે છે..” આમ પણ સામાન્ય માનવીને રહસ્ય કથામાં ઉલઝન જેવું વધારે ગમતું હોય છે, તેવા સમયે સીમિત વિજ્ઞાન કે મર્યાદા ઓપાર્ટસને સમજાવવામાં નિષ્ફળ જાય છે ત્યારે , રહસ્ય વધારે ઘેરુ બની જાય છે.

ઇન્ડિયાના જોન્સ : પુરાતત્ત્વશાસ્ત્રને હોટ સીટ પર બેસાડે છે


“સિક્રેટ ઓફ ધ લોસ્ટ રેસીસ” નામના પુસ્તકના શરૂઆતના પ્રકરણમાં લેખક રેને નૂરબર્જેન લખે છે કે “ આપણે 20મી સદીને વિજ્ઞાન વિકાસની સદી અને ગુંચવણનો યુગ પેદા કર્યો છે. આપણી પાસે એવો પ્રાચીન વારસો છે. જે પ્રાચીનકાળના ઐતિહાસિક પુરાવાઓ ઉપર પ્રકાશે છે. નવું જ્ઞાન મેળવવા માટે આપણે નવી હાઇપોથીસીસ વારંવાર ચકાસીએ છીએ, આપણી વૈજ્ઞાનિક થિયરીને બદલીએ છીએ. નવી ફોર્મ્યુલાઓની રચના કરીએ છીએ. જ્ઞાન પ્રાપ્તિની આપણી ચકાસણી, કેટલીક વાર સમસ્યાઓ સર્જાય છે. આપણે આજે થિયરી ઓફ ઈવોલ્યુશન , થિયરી ઓફ રિલેટિવિટી અને અન્ય વિજ્ઞાન થિયરી સાથે જીવી રહ્યા છીએ. આમ છતાં વિજ્ઞાનીઓ અને ઇતિહાસકાર, સજીવ પ્રોટોપ્લાઝમથી માંડીને વાનર સુધીની સફરનું લેખન અલગ અલગ રીતે કરે છે. હવે સમય પાકી ગયો છે કે આપણે અત્યાર સુધી મેળવેલા પુરાવા ઉપર, વર્ગીકૃત , વિભાજીત અને તંદુરસ્ત નજર નાખીએ. જેમાં નવો દ્રષ્ટિ પણ પણ રાખીએ, નવા પુરાવાઓને યોગ્ય પરિપેક્ષમાં મુલવવાની શરૂઆત કરીએ. આપણે વિદ્યુત ઉર્જાથી માંડીને નાભી ઉર્જા સુધી પહોંચી ગયા છીએ, પરંતુ કેટલાક પુરાવાઓ એટલે ઓપાર્ટસનું રહસ્ય આપણે ખોલી શકતા નથી. આપણો પ્રયત્ન એવો હોવો જોઈએ કે “ઓપાર્ટસનું સ્થાન આપણે વિજ્ઞાનની લોકપ્રિય થીયરીમાં શોધી કાઢીએ અને તેનો રહસ્ય ઉકેલીએ.”


ત્રણ દાયકા પહેલાં, ઇન્ડિયાના જોન્સની પુરાતત્ત્વશાસ્ત્રની સ્વેશબકલિંગ બ્રાન્ડે, મૂવી જોનારાઓની નવી પેઢીને પ્રેરણા આપી હતી. નેશનલ જિયોગ્રાફિક મ્યુઝિયમમાં એક નવું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં વાસ્તવિક કલાકૃતિઓ અને ફિલ્મમાં દર્શાવેલ કાલ્પનિક ચીજો પણ રજુ કરવામાં આવી હતી. ફિલ્મમાં દર્શાવેલી કેટલીક કલાકૃતિઓ વાસ્તવિક છે. જેમાં વિશ્વનો સૌથી જૂનો નકશો (નિપ્પુર શહેર દર્શાવતી ક્યુનિફોર્મ ટેબ્લેટ), 5,000 વર્ષ જૂના મેસોપોટેમીયાના દાગીનાના ટુકડાઓ અને નાઝકા લાઇન્સના રહસ્યને ખોલવામાં મદદ કરનાર પ્રતિકાત્મક માટીના વાસણોનો સમાવેશ થાય છે. જયારે અન્ય વસ્તુઓ - જેમ કે શંકરા સ્ટોન્સ, ક્રોસ ઓફ કોરોનાડો અને ચાચાપોયન પ્રજનન મૂર્તિ -વગેરેની ફિલ્મ માટે કલ્પના કરવામાં આવી હતી. ચાચાપોયાન પ્રજનન મૂર્તિ એ ઇન્ડિયાના જોન્સ શ્રેણીની સૌથી જાણીતી કાલ્પનિક કલાકૃતિઓમાંની એક છે. જેની પ્રતિકૃતિઓ ઓનલાઇન વેચાય છે.

ચર્ચાસ્પદ રામસેતુ અને બહામા’સ દિવાલ:


વિજ્ઞાન જગતમાં ચર્ચાસ્પદ બનેલ Out Of Place Artifact / Ooparts / ઓપાર્ટસની ઉપર એક નજર નાખીએ… બહામાસ નજીક પ્રાગૈતિહાસિક દિવાલ: 1968માં બહામાસના દરિયાકાંઠે વિશાળ, જાડા બ્લોક આકારની ખડકની દિવાલ મળી આવી હતી. પુરાતત્વવિદ્ વિલિયમ ડોનાટોએ દિવાલની તપાસ કરવા માટે અનેક વાર ડૂબકીઓ / ડાઇવ્સ લગાવ્યા હતા. અને અનુમાન લગાવ્યું છે કે બહામાસ નજીક પ્રાગૈતિહાસિક દિવાલ માનવસર્જિત માળખું છે. જેની રચના દરિયાઈ મોજાઓમાંથી પ્રાગૈતિહાસિક વસાહતનું રક્ષણ કરવા માટે કરવામાં આવ્યું હતું. આ દિવાલ 12,000 થી 19,000 વર્ષ જૂની હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. મનુષ્ય આદિમાનવમાંથી ખેતી કરતો સંસ્કૃતિ મનુષ્ય બન્યો તે તે ઘટના આજથી આઠથી દસ હજાર વર્ષ પહેલા બની હોવાનું વિજ્ઞાનીઓ અનુમાન લગાવે છે. જ્યારે મળી આવેલ દિવાલ 12000 થી ૧૯ હજાર વર્ષ જૂની હોવાનો અંદાજ છે. શું આ સમયકાળમાં આદિમાનવ રક્ષણ માટે દિવાલ બનાવવાનું શીખી ગયો હતો?


ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલ રામસેતુ: પ્રાચીન ભારતીય કથા અનુસાર, રાજા રામે ભારત અને શ્રીલંકા વચ્ચે સદીઓ પહેલા એક પુલ બનાવ્યો હતો. આવા પુલના અવશેષો સેટેલાઇટ ઇમેજમાં પણ જોવા મળે છે. પરંતુ ઘણા નિષ્ણાતો તેને કુદરતી રચના કહે છે. જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. બદ્રીનારાયણે પુલમાંથી મુખ્ય નમૂનાઓનો અભ્યાસ કર્યો હતો. દરિયાઈ રેતીના પડની ટોચ પર પત્થરોના દેખાવથી તે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેણે અનુમાન કર્યું કે પથ્થરો કૃત્રિમ રીતે ત્યાં મૂકવામાં આવ્યા હોવા જોઈએ. ભૂસ્તરશાસ્ત્રીઓ સમય નિર્ધારણ માટે કોઈ એક સર્વમાન્ય સમજૂતી પર સંમત થયા નથી. રેડિયો કાર્બન ડેટિંગ પણવિવાદાસ્પદ રહી છે, કારણ કે કેટલાક વિશેષજ્ઞ કહે છે કે “પુલનો કોઈ પણ ભાગ (જેમ કે કોરલ સેમ્પલ) આખો પુલ કેટલો જૂનો છે? તેનું સાચું ચિત્ર આપી શકતું નથી. રામસેતુ ફિલ્મમાં ઇતિહાસને વધારે સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

રહસ્યમય આર્ટિફેક્ટ : ઇતિહાસ અને વિજ્ઞાન વચ્ચેની સમસ્યા


ઉપરોક્ત બે દ્રષ્ટાંતને બાજુમાં રાખીને વાત કરીએ તો, ભગવાનની ઈસુ ખ્રિસ્તનું માનવામાં આવતું કફન એટલે કે શ્રોઉડ ઓફ તુરિન ઉપર ઈસુ ખ્રિસ્તનો ચહેરો ફિલ્મની નેગેટિવ માફક છપાયેલો છે. 14મી સદી સુધી શ્રોઉડ ઓફ તુરિન વિશે કોઈ જાણતું ન હતું. પરંતુ ત્યારબાદ, આ પ્રાચીન કૃતિના કારણે વિજ્ઞાન જગતમાં અનેક વિવાદો સર્જાયા છે. બગદાદમાંથી મળી આવેલ 2000 વર્ષ પ્રાચીન બગદાદ બેટરી તરીકે ઓળખાતો આર્ટિફેક્ટ, આપણી ડ્રાય બેટરી માફક ઈલેક્ટ્રીક વોલ્ટેજ પેદા કરતો હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ બેટરીના મૂળિયાં ભારતમાં અગસ્ત્ય ઋષી સુધી પહોંચે છે. બગદાદ બેટરીની રચના અગસ્ત્ય ઋષી બતાવેલ વિદ્યુતકોષની રચનાને મળતી આવે છે. સવાલ એ થાય કે પ્રાચીન કાળમાં પણ લોકો રાસાયણિક વિદ્યુત ઉર્જા વિશે જાણતા હતા?


પ્રાચીનકાળની વિદ્યુત ઉર્જાની વાત આગળ વધારીએ તો, ઇજિપ્તના ડેન્ડેરા ખાતે હેથોરના મંદિરની નીચે પથ્થર ઉપર ચિત્રમાં વિશાળ લાઇટ-બલ્બ જેવી વસ્તુની આસપાસ ઉભેલી માનવ આકૃતિઓ બતાવવામાં આવી છે. એરિક વોન ડેનિકેન નામના લેખકે “ચેરિઓટ ઓફ ગોડ” નામનું પુસ્તક લખ્યું છે. આ ચિત્રનો આધાર લઈને તેમણે બલ્બનું એક મોડેલ બનાવ્યું હતું. જે પાવર સ્ત્રોત સાથે જોડવામાં આવે ત્યારે કાર્યરત બને છે. વિલક્ષણ જાંબલી પ્રકાશનું ઉત્સર્જન કરે છે.

1513માં તુર્કીના એડમિરલ અને નકશાકાર પીરી રેઈસ દ્વારા બનાવવામાં આવેલો નકશો પણ ચર્ચાસ્પદ બનેલ છે. જ્યારે દક્ષિણ ધ્રુવની જમીનનો મોટો ભાગ બરફ નીચે ઢંકાયેલો હતો, એને પણ આ નકશામાં બતાવવામાં આવેલ છે. આ ભાગ દક્ષિણ અમેરિકાના દક્ષિણી દરિયાકાંઠામાંથી એક લેન્ડમાસ બહાર નીકળતો બતાવવામાં આવ્યો છે. ડો. હેપગુડ જાહેરમાં પ્રથમવાર સૂચન કર્યું કે “પીરીરીસ નકશો પ્રાગૈતિહાસિક સમય દરમિયાન એન્ટાર્કટિકાને દર્શાવે છે.” ડો. હેપગુડ હાર્વર્ડમાં અભ્યાસ કરનાર ઈતિહાસકાર હતા. આધુનિક અભ્યાસ હેપગુડના સિદ્ધાંતનું ખંડન કરે છે કે “ જમીનના સમગ્ર ટુકડાનું સ્થળાંતર હજારો વર્ષોમાં થઈ શકે છે. પરંતુ ટૂંકા સમય ગાળામાં નહીં.” સામાન્ય રીતે ઇતિહાસ, આર્કિયોલોજી અને વિજ્ઞાનની સમયરેખા કે કાલ રેખા એકબીજાને સમાંતર ચાલતી રહેવી જોઈએ. પરંતુ Out Of Place Artifact ઇતિહાસ, આર્કિયોલોજી અને વિજ્ઞાનને એકબીજાની સામે હરીફ તરીકે લાવી રહસ્ય અને વિવાદની ભૂમિને હરિયાળી રાખે છે.

Sunday 17 December 2023

"જંક ડિએનએ" : "સેલ્ફીસ જીન", નકામો કચરો કે ભંગાર નથી !

                
મનુષ્ય શરીરમાં આવેલા ઉપયોગી જનીનોના સમૂહને જેનોમ કહે છે. જેનોમ એટલે મનુષ્ય શરીરમાં વિવિધ પ્રકારના પ્રોટીન પેદા કરનાર કોડ ધરાવનાર જનીન અને ડીએનએનો એક આગવો સમૂહ. આમ તો મનુષ્ય શરીરમાં જેટલું ડિએનએ આવેલું છે. તેનો માત્ર બે ટકા હિસ્સો જ પ્રોટીન રચના કરનાર કોડ ધરાવે છે. બાકીનો હિસ્સો વધેલો ભંગાર કે કચરો માનવામાં આવે છે. જેને અંગ્રેજીમાં "જંક ડિએનએ" કહે છે. આ જંક ડિએનએ પ્રોટીન પેદા કરનાર કોડ ધરાવતા નથી. એટલા માટે વૈજ્ઞાનિકો તેને યુઝલેસ ડિએનએ અથવા "સેલ્ફીસ જીન" તરીકે ઓળખે છે. "સેલ્ફીસ જીન" નામનું એક અનોખું પુસ્તક પણ રિચાર્ડ ડોવ્કીન્સે લખેલ છે. રિચાર્ડ ડોવ્કીન્સને આધુનિક સમયના "ચાર્લ્સ ડાર્વિન" માનવામાં આવે છે. મૂળ વાત પર આવીએ તો, મોડે મોડે પણ વૈજ્ઞાનિકોને લાગે છેકે "જંક ડિએનએ", કચરો કે ડિએનએ નો સમૂહ નથી. ઉત્ક્રાંતિ દરમિયાન જંક ડિએનએ, વિશિષ્ટ ભૂમિકા ભજવી છે. તાજેતરમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક તરોતાજા રિસર્ચ પેપર, "જેનોમ રિસર્ચ"માં પ્રકાશિત કર્યું છે. વૈજ્ઞાનિકો હવે જંક ડિએનએ પ્રત્યેના પોતાના વિચારો અને માન્યતાઓ બદલી રહ્યાછે. "જંક ડિએનએ" પ્રત્યે આપણો અભિગમ બદલી તેની ઉપયોગિતાને સમજવાનો પ્રયત્ન કરીએ.

"સેલ્ફીસ જિન" :સ્તન્યવંશી પ્રાણીઓની જિનેટિક બ્લ્યુપ્રિંટ

              

 
મનુષ્યની જિનેટિક બ્લ્યુપ્રિંટમાં આશરે 3.42 અબજ ન્યુક્લિઓટાઈડ રંગસૂત્ર 23 જોડીમાં એક લાંબી નિસરણી માફક ગોઠવાયેલા હોય છે. મોટાભાગના સ્તન્યવંશી પ્રાણીઓના જેનોમની સરખામણી થઈ શકે તેવા હોય છે. ઉંદરનો જેનોમ 3.45 અબજ ન્યુક્લિઓટાઈડ, વગડાઉ કોળનો જેનોમ 3.65 અબજ ન્યુક્લિઓટાઈડ, અને ચામાચીડિયાનો જેનોમ સરખામણીમાં ઓછા ન્યુક્લિઓટાઈડ, એટલેકે 1.69 અબજ ન્યુક્લિઓટાઈડ ધરાવે છે. સ્તન્યવંશી પ્રાણીઓના શરીરમાં ઉપયોગી જનીનોની સંખ્યા આશરે 35000 જનીનો જેટલી છે. બાકીનું ડિએનએ જનીનનો ભંગાર કે કચરો માનવામાં આવે છે. જેને "જંક ડિએનએ" કહે છે. અન્ય કરોડરજ્જુ ધરાવતા પ્રાણીઓની વાત કરીએ તો, માછલીના જેનોમમાં સૌથી વધારે તફાવત જોવા મળે છે. ગ્રીન પફર ફિશ નામની માછલી 0.34 અબજ ન્યુક્લિઓટાઈડ ધરાવે છે. જ્યારે માર્બલ લંગ ફિશ,નામની માછલીનો જેનો સૌથી વિશાળ એટલે કે 130 અબજ ન્યુક્લિઓટાઈડ ધરાવે છે.
                ટૂંકમાં એમ કહી શકાય કે "પૃથ્વી ઉપરના દરેક સજીવના જેનોમમાં, મોટાભાગનો હિસ્સો "જંક ડિએનએ" ધરાવે છે. મનુષ્ય શરીરની વાત કરીએ તો, મનુષ્યના સંપૂર્ણ ડિએનએના જથ્થામાંથી, માત્ર બે ટકા હિસ્સો જ કેટલાક ઉપયોગી કોડ ધરાવે છે. જેનાથી ઉપયોગથી શરીર જરૂરી પ્રોટીન બનાવે છે. શરૂઆતના દાયકામાં, વૈજ્ઞાનિકોને આશ્ચર્ય થતું હતુંકે ડિએનએનો ૯૦ ટકા કરતાં વધારે હિસ્સો શા માટે નોન કોડિંગ છે? મનુષ્ય શરીરમાં તેનું અસ્તિત્વ પોતાના પૂરતું સીમિત હતું. મનુષ્ય શરીરના બીજી કોઈ રીતે મદદ કરતા ન હતા. એક અર્થમાં તેઓ સ્વાર્થી એટલેકે "સેલ્ફીસ"છે. વૈજ્ઞાનિકો તેને "સેલ્ફીસ જિન" તરીકે પણ ઓળખતા હતા. ૧૯૭૨માં આનુવંશિકવિદ સુસુમુ ઓહનોએ આવા સ્વાર્થી જનીનો માટે, નવો શબ્દ પ્રયોજ્યો. વિજ્ઞાનની પરિભાષા નવો "જંક ડિએનએ" નામનો શબ્દ ઉમેરાયો. હવે વૈજ્ઞાનિકો વ્યાપકપણે "જંક ડિએનએ" શબ્દ વાપરે છે. આવા અનોખા "જંક ડિએનએ"નું સર્જન કઈ રીતે થાય છે?

"જંક ડિએનએ"નું સર્જન કઈ રીતે થાય છે?

              
 
મનુષ્ય શરીરમાં પ્રકૃતિ માત્ર ચાર અક્ષર એટલે કે A, G,T અને C નો ઉપયોગ કરી, જનીન બનાવે છે. જનીન ત્યારબાદ પ્રોટીન બનાવવાની પ્રક્રિયામાં જોડાયછે. આ પ્રક્રિયા આપણે માનીએ છીએ એટલી સરળ નથી.પ્રોટીન બનાવવા માટે જનીન એક ખાસ પ્રકારના જૈવિક બીબાંનો ઉપયોગ કરેછે. જે "આરએનએ" તરીકે ઓળખાય છે."આરએનએ" અસંખ્ય ટુકડા ભેગા મળી પ્રોટીન પેદા કરવા માટેનું મોલ્ડ એટલે કે બીબુ બનાવે છે. આરએનએ ટુકડા વારંવાર ઉપયોગમાં લેવાયછે. તેના વધેલા ટુકડા દ્વારા "જંક ડિએનએ" લખાય છે. સરળ ભાષામાં વાત કરીએ ત્યારે, મનુષ્ય કોષમાં રહેલ ડીએનએમાં જ્યારે ખામી સર્જાયછે ત્યારે,કોષ પોતેજ તેને રિપેર કરવા માટે ડિએનએના કેટલા ટુકડા ઉઠાવે છે,અને બગડેલા ટુકડાના ડિએનએ રીપેર કરવાનું કામ કરે છે. આ પ્રક્રિયામાં, ડિએનએ અસંખ્ય ટુકડા, મનુષ્ય જેનોમમાં અહીંથી તહીં, એમઅનેક સ્થાનો પર કોપી,કટ, પેસ્ટ થયેજ રાખે છે. આ રીતે મનુષ્ય જેનોમમાં "જંક ડિએનએ"માં વધારો થતો રહેછે.
                મનુષ્ય જેનોમનો ઉકેલવામાં આવ્યો ત્યારે, "જંક ડિએનએ"ના કાર્ય વિશે વૈજ્ઞાનિકો અંધારામાં હતા. 2008માં "મોલેક્યુલર બાયોલોજીકલ સેલ"માં એક લેખ પ્રકાશિત થયો. જેમાં એવો આશાવાદ રજૂ કરવામાં આવ્યો કે "જંક ડિએનએ"એ પણ મનુષ્ય કોષ માટે જરૂરી માહિતીનો ભંડાર ધરાવે છે. આ માહિતીનો ઉપયોગ કઈ રીતે થાય છે તે હજી આપણી સમજમાં આવ્યું નથી." મનુષ્ય જેનોમ એક ડાયનેમિક અસ્તિત્વ ધરાવે છે. તેમાં ડિએનએ ઉપયોગી નવા "એલિમેન્ટ" ઉમેરાતા જાય છે. અને જુના "એલિમેન્ટ"નું અસ્તિત્વ ખતમ થતું જાય છે. શક્ય છે કે "જંક ડિએનએ"નો કેટલોક હિસ્સો ભવિષ્યમાં આગળ જતા ઉપયોગી નવા એલિમેન્ટનું સ્વરૂપ ધારણ કરે. યેલ યુનિવર્સિટીના ઉત્ક્રાંતિ વિદ્યાના જીવવૈજ્ઞાનિક સ્ટીફન જય ગોલ્ડ અને પેલેઓંટોલોજિસ્ટ એલિસાબેથ વર્બા, આ પ્રક્રિયાને "exaptation" "એક્સેપ્ટેશન" તરીકે ઓળખાવે છે. તેઓ કહે છે કે" ધીરે-ધીરે આપણે નોન-પ્રોટીન કોડિંગ ડિએનએનું મહત્વ અને રહસ્ય ઉકેલવા તરફ આગળ વધી રહ્યા છીએ."

"ટ્રાન્સપોસોન્સ" એટલેકે જમ્પિંગ જીન

                
તાજેતરમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું સંશોધન પત્ર "જેનોમ રિસર્ચ"માં પ્રકાશિત થયું છે. જે "જંક ડિએનએ" ઉપર વધુ પ્રકાશ પાડે છે. મનુષ્ય જેનોમમાં કેટલાક જનીનનો સમૂહ એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદે રાખે છે. જેને જમ્પિંગ જીન અથવા "ટ્રાન્સપોસોન્સ"કહે છે. ઓક્સફર્ડ સેન્ટર ફોર ન્યુરલ સર્કિટ્સ અને બિહેવિયરના સંશોધનકારોએ "ફ્રુટ ફ્લાય"નામની માખીના મગજમાં અભૂતપૂર્વ ટ્રાન્સપોઝન પ્રવૃત્તિનું વિગતવાર સંશોધન કર્યું હતું. આ સંશોધનમાં તેમણે કહેવાતા સિંગલ-સેલ સિક્વિન્સિંગ મોડેલનો ઉપયોગ, જીવતંત્રનો સમજવા માટે કર્યો હતો. પ્રયોગોના તારણો દર્શાવે છેકે "ટ્રાન્સપોસોન્સ" "ફ્રુટ ફ્લાય" સંપૂર્ણ મગજમાં સક્રિય નથી, પરંતુ તેના બદલે ફક્ત અમુક વિસ્તારોમાં જ અભિવ્યક્તિના વિશિષ્ટ દાખલા બનાવે છે. સરળ ભાષામાં કહેવું હોયતો, વૈજ્ઞાનિકો કહેવા માગે છેકે "ટ્રાન્સપોસોન્સ" સજીવના ન્યુરલ નેટવર્કને જોડવા માટે અને તેના કાર્યને બદલવા માટે ઉપયોગી બનતા લાગે છે.
              
 
"જંક ડિએનએ" સજીવની યાદદાસ્તની રચના કરવા માટે અને નિદ્રા દરમિયાન કોષના ડીએનએમાં રીપેર કરવા માટે ઉપયોગી માહિતી ધરાવતો લાગે છે. ફળમાખી જેવા સજીવ પર થયેલ સંશોધન, મનુષ્યના "જંક ડિએનએ" સંશોધનને અલગ દિશામાં લઈ જવાનો દિશા-નિર્દેશ પણ કરે છે. દરેક વ્યક્તિના "જમ્પિંગ જીન"ની એક અનોખી ભાત અથવા ડિઝાઇન હોય છે. જેને આપણે તેને તેની "ફિંગર પ્રિન્ટ" તરીકે ઓળખી શકીએ. ભવિષ્યમાં વધારે સંશોધન થાયતો, માનસિક રોગ અને વિવિધ પ્રકારની ન્યુરોલોજીકલ પરિસ્થિતિ માટે, જંક ડિએનએ ફિંગરપ્રિન્ટ સરખાવી, પરિસ્થિતિનો તાગ મેળવી શકાય. સંશોધનપત્રનો ટૂંક સાર એ છેકે" "જંક ડિએનએ" મગજની પ્રક્રિયાઓનું નિયંત્રણ કરે છે. સજીવની યાદદાસ્તનું નિર્માણ અને ઊંઘવા અને જાગવાની પ્રક્રિયા દરમિયાન કેટલીક જૈવ રસાયણ પ્રક્રિયાઓનું નિયંત્રણ કરે છે.ફળમાખીના જંક ડિએનએ સંબંધી સંશોધન અન્ય વૈજ્ઞાનિકોએ પણ કર્યા છે.

કોષમાંથી "જંક ડીએનએ" દૂર કરવામાં આવે તો?

              
 
યુનિવર્સિટી ઓફ મિશિગન લાઇફ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના સંશોધનકારો અને હોવર્ડ હ્યુજીસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે "જંક ડીએનએ" એ કેવી રીતે કામ કરે છે તે શોધી કાઢવું જોઈએ. જો કોષમાંથી "જંક ડીએનએ" દૂર કરવામાં આવે તો, કોષઉપર તેની શું અસર થાય છે? તેમણે ફળમાખી એટલે કે "ફ્રુટ ફ્લાય" ઉપર સંશોધન કર્યા. યુકીકો યમશિતા અને તેના સાથીઓએએવો પ્રયોગ કરવાનું નક્કી કર્યું .પરંતુ ફળમાખી ના જેનોમમાંથી બિન ઉપયોગી 98% જેનો અલગ કરવોએ ખૂબ મુશ્કેલ કામ હતું. જંક ડીએનએનો હિસ્સો અસંખ્ય જગ્યાએ આડો-અવળો વહેંચાયેલો પડ્યો હતો. છેવટે તેમણે પ્રોટીન પેદા કરનાર જનીન સાથે જંક ડિએનએનું જોડાણ કરનાર, ખાસ પ્રકારના D1 પ્રોટીનને દૂર કરવાનો નિર્ણય કર્યો. આમ કરવાથી ઉપયોગી જનીનો અને "જંક ડિએનએ" વચ્ચેનું જોડાણ કાપી શકાય તેમ હતું. પ્રયોગનું પરિણામ ખૂબ જ આશ્ચર્યજનક હતું.
              
 
ફળમાખીના પ્રજનનકોષ ઉપર કરવામાં આવેલ પ્રયોગ દરમિયાન વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે " ફળમાખીનાપ્રજનન કોષોમાંથી જંક ડીએનએને દૂર કરવામાં આવે છે ત્યારે, ફળમાખીના શુક્રકોષ કે અંડકોષ મૃત્યુ પામવા લાગેછે. વધારે વિગતવાર અભ્યાસ કરતા જાણવા મળ્યું કે,ફળમાખીના પ્રજનન કોષોકોષકેન્દ્રની બહાર, એક અનોખું નાનું એવું કોષકેન્દ્ર પેદા કરે છે. જેમાં તેમના જેનોમનો કેટલો ભાગ અકબંધ સચવાયેલો હતો. પ્રયોગનું તારણ એ હતુંકે ફળમાખીના જંક ડિએનએ, સંપૂર્ણ જેનોમને અકબંધ રીતે બાંધી રાખવામાં મદદ કરે છે. ફળમાખીના શુક્રાણુ અથવા અંડકોષ, જીવતા રહેવાનું પોતાની ક્ષમતા જંક ડિએનએ ના કારણે અકબંધબંધ રાખેછે. મોરલ ઑફ ધ સ્ટોરી એ છેકે "જંક ડીએનએ" સજીવના જેનોમનો નકામો કચરો કે ભંગાર નથી.

બ્લેક હોલ, હિપેટાઇટિસ-સી અને CRISPR cas-9: નોબેલ પ્રાઈઝ 2020 જીતનાર મહત્વની શોધો.

             
ઓક્ટોબર મહિનો એટલે વિજ્ઞાન જગત માટે ઈનામ-મહોત્સવનો મહિનો. વિજ્ઞાન ક્ષેત્રે કાર્યરત દરેક વૈજ્ઞાનિકની ખ્વાહીસ હોય છેકે "તેને નોબેલ પ્રાઈઝ મળે અને તેના કાર્યની આખું વિશ્વ કદર કરે". સૌથી મોટી વિટંબણાએ છેકે "નોબલ પ્રાઇઝ માત્ર ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને તબીબી વિજ્ઞાન ક્ષેત્રની નોંધપાત્ર શોધ માટે આપવામાં આવે છે." વિજ્ઞાનના કેટલાક એવા ક્ષેત્રછે, જેને નોબલ પ્રાઇઝ આપવામાં આવતું નથી. ઉદાહરણ તરીકે પુરાતત્વ વિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર, પ્રાચીન પ્રાણી વિજ્ઞાન, વગેરે. આલ્ફ્રેડ નોબેલનું માનવું હતુંકે, જે શોધના કારણ મનુષ્યજીવનમાં નવો બદલાવ આવવાની શરૂઆત થાય તેવી શોધને નવાજવામાં આવી જોઈએ. આલ્ફ્રેડ નોબેલે ડાયનામાઈટની શોધ કરી હતી. જેના પેટન્ટ રૂપે તેણે પુષ્કળ ધન મેળવ્યું હતું. આલ્ફ્રેડ નોબેલની શોધના કારણે મનુષ્ય જીવનને સકારાત્મક બદલાવ મળ્યો ન હતો. તેની શોધનો મહત્તમ ઉપયોગ વિસ્ફોટક પદાર્થો અને બોમ્બ બનાવવા માટે થતો હતો. જેના કારણે અનેક લોકોએ પોતાની જિંદગી ગુમાવી હતી. કદાચ એમ કહી શકાયકે "પોતાના પાપના પ્રાયશ્ચિત રૂપે, તેમણે નોબેલ પ્રાઈઝ આપવાનો શરૂઆત કરી હતી." નોબેલ પ્રાઈઝ વિશ્વનું નામાંકિત પ્રાઈઝ ઇનામ છે. પરંતુ સૌથી વધારે આર્થિક ઉપાર્જન કરી આપનાર પારિતોષિક નથી. ભૌતિકશાસ્ત્રમાં આપવામાં આવતા "ફંડામેન્ટલ પ્રાઇસ"માં ઇનામની સૌથી મોટી રકમ આપવામાં આવે છે. 2020માં આપવામાં આવેલ વિજ્ઞાન ક્ષેત્રના નોબેલ પ્રાઈઝની અલપ ઝલપ મેળવીએ.

નોબેલ પ્રાઈઝ 2020: એક અનોખો રેકોર્ડ.

              
 
નોબેલ પ્રાઈઝના ઇતિહાસમાં 2020 એક નવો ઐતિહાસિક રેકોર્ડ બનાવી રહ્યું છે. માંડીને વાત કરીએ તો, ભૌતિકશાસ્ત્રમાં, બ્રહ્માંડવિદ્યામાં, અનોખું સ્થાન પ્રાપ્ત કરનાર, બ્લેક હોલની (જેના માટે છોટુભાઈ સુથારે "શ્યામ વિવર" શબ્દ વાપર્યો હતો.) શોધ માટે ત્રણ ભૌતિક વિજ્ઞાનીઓને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે. વિશ્વ વિખ્યાત વૈજ્ઞાનિક સ્ટીફન હોકીંગને ક્યારેય નોબેલ પ્રાઈઝ મળ્યું નથી. કદાચ તેઓ જીવતા હોતતો, આ વર્ષના નોબેલ પ્રાઈઝમાં બ્લેક હોલ સંબંધી તેમના સંશોધન માટે તેમને પણ નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યું હોત.
                આ વર્ષે રસાયણશાસ્ત્રના નોબેલ પ્રાઈઝનો એક અનોખો ઐતિહાસિક રેકોર્ડ બન્યો છે. ઘણા લાંબા સમય પછી કોઈ એક ક્ષેત્રમાં માત્ર મહિલાઓને નોબેલ પ્રાઇઝ મળ્યું હોય, તેવી જવલ્લે જ બનતી ઘટના આ વર્ષે બની છે. આ વર્ષે રસાયણશાસ્ત્રના નોબલ પ્રાઈઝમાં માત્ર બે મહિલાને આ પ્રાઇઝ આપવામાં આવ્યું છે. જેમાં કોઈપણ પુરુષનો સમાવેશ થતો નથી. નોબેલ પ્રાઇસના 120 વર્ષના ઈતિહાસમાં 599 વાર માત્ર પુરુષોને એક ક્ષેત્રમાં નોબેલ પ્રાઇઝ મળ્યું છે. જેની સરખામણીમાં માત્ર 23 વાર, કોઈ એક ક્ષેત્રમાં મહિલાઓએ નોબેલ પ્રાઇઝ મેળવ્યું છે. આ પહેલા મેરી ક્યુરીએ આ રેકોર્ડ સ્થાપ્યો હતો. એક અર્થમાં કહેવું હોય તો, નોબેલ પ્રાઈઝ ઉપર હવે સ્ત્રીઓનો હક મજબૂત બનતો જાય છે. આ એક સારી નિશાની છે. જિનેટિક કાતર ગણાતી, CRISPR cas-9 મહાન શોધ માટે, બે મહિલાઓને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે.
                તબીબી વિજ્ઞાન માટે, "હિપેટાઇટિસ- સી"ના વાયરસની શોધ માટે ૩ વૈજ્ઞાનિકોને, નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે. દર વર્ષે લગભગ સાત કરોડ લોકો "હિપેટાઇટિસ- સી" વાયરસનો ભોગ બને છે. અને ચાર લાખ જેટલા લોકો તેના કારણે મૃત્યુ પણ પામે છે. નોબેલ કમિટી માને છે કે વૈજ્ઞાનિક સંશોધનના કારણે, આવનારા સમયમાં, "હિપેટાઇટિસ- સી" ના કારણે પેદા થતો રોગ સંપૂર્ણ રીતે નાબૂદ કરી શકાશે.

બ્લેક હોલ: બિગ બેંગ પહેલા પણ બ્રહ્માંડ હોવાનો પુરાવો

              
 
બ્રહ્માંડમાં જોવા મળતી અનોખી રચના એટલે બ્લેક હોલ. ખરેખર તો એમ કહેવું જોઈએ કે નરી આંખે કે પ્રકાશ ઉપકરણ વડે બ્લેક હોલને જોઈ શકાતો નથી. માત્ર તેની ગ્રેવિટેશનલ ઇફેક્ટના કારણે તેનું સ્થાન નક્કી કરી શકાય છે. બ્લેક હોલ ને લગતા સંશોધન માટે, જર્મનીના રેઇનહાર્ડ ગેન્ઝેલ, અમેરિકાની મહિલા વૈજ્ઞાનિક એન્ડ્રીઆ ગેઝ અને બ્રિટનના રોજર પેનરોઝને નોબલ પારિતોષિક આપવામાં આવ્યું છે. ખ્યાતનામ સ્વર્ગસ્થ વૈજ્ઞાનિક સ્ટીફન હોકીંગ અને રોજર પેનરોઝ બ્લેક હોલને લગતા સંશોધન પેપર પ્રકાશિત કર્યા હતા. મૃત્યુ બાદ વૈજ્ઞાનિકને નોબેલ પ્રાઇઝ આપવામાં આવતું નથી. આ કારણે સ્ટીફન હોકીંગની નોબેલ પારિતોષિકમાંથી બાદબાકી થયેલી છે. પરંતુ માત્ર આજ કારણે તેમના સંશોધનની ઉપયોગીતા કે મહત્વતા ઘટતી નથી.
                બ્રિટનના રોજર પેનરોઝે સાબિત કહ્યું હતું કે "આઇન્સ્ટાઇનની જનરલ થિયરી ઓફ રિલેટિવિટી આખરી પડાવ એટલે છેવટે બ્લેક હોલ.જર્મનીના ખગોળ ભૌતિક વૈજ્ઞાનિક રેઇનહાર્ડ ગેન્ઝેલ અને અમેરિકાની એન્ડ્રીઆ ગેઝ દ્વારા આપણી મંદાકિની આકાશગંગાના કેન્દ્રમાં અતિશય વિશાળકાય બ્લેક હોલ્સની હાજરીને પ્રયોગાત્મક રીતે સાચી ઠેરવી હતી. અમેરિકાની એન્ડ્રીઆ, ભૌતિકશાસ્ત્રમાં નોબલ પારિતોષિક મેળવનાર ચોથા ક્રમે આવનાર મહિલા વૈજ્ઞાનિક છે.
              
 
બ્રહ્માંડમાં બ્લેકહોલ એક એવી રચના છે કે, ખુબજ ઓછા વિસ્તારમાં પદાર્થ અતિશય ઠાંસી ઠાંસીને ભરેલા હોય છે. જેના એક ચમચી જેટલા પદાર્થનું દળ કરોડો ટન જેટલું થાય. અહીં બ્લેકહોલમાં એવું ક્ષેત્ર રચાયેલું હોય છેકે તેમાંથી જો પ્રકાશનું કિરણ પસાર થાય તો પણ, બીજા છેડેથી બહાર નીકળી શકતું નથી. બ્લેક હોલની સીમારેખામાં પ્રવેશતા જ પ્રકાશનું કિરણ, બ્લેક હોલમાં સમાઈ જાય છે. બ્લેકહોલ વિશે હજી ઘણા સંશોધનોને સાબિત કરવા માટેનો અવકાશ રહેલોછે. બ્રિટનના રોજર પેનરોઝ માને છે કે " singularity / સિગ્યુલારીટી તરીકે ઓળખાતું ભૌતિકકેન્દ્ર એક આવી જ સમસ્યા છે." બિગ બેંગ નામની ઘટના પહેલા પણ બ્રહ્માંડનું અસ્તિત્વ હતું, જે વાત "બ્લેકહોલ"ના અસ્તિત્વ ઉપરથી સાબીત થાય છે. ભવિષ્યમાં તેના ઉપર વધારે સંશોધન થઈ શકે તેમ છે.

"હિપેટાઇટિસ- સી": રક્તસંક્રામણ અટકાવવામાં સફળતા

              
 
"હિપેટાઇટિસ- સી"વાયરસની શોધ માટે, માનવ શરીરક્રિયા વિજ્ઞાન એટલે કે તબીબી જગતનું નોબેલ પારિતોષિક, એક બ્રિટિશ પ્રોફેસર અને બે અમેરિકન વૈજ્ઞાનિકોના ફાળે જાય છે. આ વાઇરસની શોધ માટેના પાયો, "હિપેટાઇટિસ-એ અને બી" વાયરસની શોધે નાખ્યો હતો. મનુષ્ય લોહીમાં રહેલ હિપેટાઇટિસ રોગનું સાચું કારણ વૈજ્ઞાનિકો શોધી શક્યા ન હતા. "હિપેટાઇટિસ-સી"વાયરસની શોધ થતા, સંશોધનનો માર્ગ હવે મોકળો થઈ ગયો હતો. આ સંશોધનના કારણે, તબીબી જગતમાં ઉચ્ચ કક્ષાનો બ્લડ ટેસ્ટનો આવિષ્કાર થયો છે. જે ખૂબ જ સંવેદનશીલ છે. એક વ્યક્તિનુ લોહી લઈને બીજી વ્યક્તિને લોહી ચઢાવવાનુ હોય ત્યારે, આ ટેસ્ટ ખૂબ જ ઉપયોગી બની શકે છે. 1960ના ગાળામાં, લોહી દ્વારા ફેલાતા "હિપેટાઇટિસ " રોગની ઓળખ સ્થાપિત થઈ હતી. જેના માટે "હિપેટાઇટિસ- બી"વાઇરસ જવાબદાર હતો. આ વાયરસની ઓળખ પ્રસ્થાપિત થતાંજ, રોગને ઓળખવા માટે મેડિકલ ટેસ્ટ તૈયાર થયો હતો, ત્યારબાદ તેના માટે અસરકારક રસી પણ તૈયાર થઈ હતી. તે સમયની આ શોધ માટે, 1975મા તબીબી વિજ્ઞાનનું નોબેલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું.
              
 
અમેરિકાના વૈજ્ઞાનિક હાર્વે જે એલ્ટર, દ્વારા ફરિવાર લોહી દ્વારા ફેલાતા "હિપેટાઇટિસ " ઉપર સંશોધન ચાલુ રાખવામાં આવ્યું હતું. બ્રિટનના પ્રોફેસર માઇકલ હ્યુટન અને સાથીદારો દ્વારા હિપેટાઇટિસ-સી" વાઇરસને લોહીમાંથી અલગ તારવવાની ખાસ પદ્ધતિ 1989માં વિકસાવી હતી. 1986માં તેમણે "હિપેટાઇટિસ-ડી", વાયરસનો જેનોમ પણ ઉકેલ્યો હતો. હિપેટાઇટિસ વાઇરસ ઉપર અનેક જીવવિજ્ઞાનીઓએ સંશોધન કર્યાછે. દરેક વૈજ્ઞાનિકનું સંશોધન મહત્વનું છે. પરંતુ દરેક વૈજ્ઞાનિકને નોબેલ પારિતોષિક આપવું શક્ય નથી. હિપેટાઇટિસ વાયરસના સંશોધનના કારણે, લોહીને ગાળીને હિપેટાઇટિસ વાઇરસથી મુક્ત કરવાની પદ્ધતિ પણ વિકસી ચૂકી છે. જેનો ઉપયોગ હાલના તબીબો કરે છે. હિપેટાઇટિસ વાયરસની સીધી અસર માનવ યકૃત ઉપર જોવા મળે છે. "હિપેટાઇટિસ- સી"વાયરસની શોધ માટે જવાબદાર ત્રિપુટી, માઇકલ હ્યુટન અને અમેરિકન હાર્વે જે એલ્ટર અને ચાર્લ્સ એમ રાઇસ મોટી ઉંમરે પણ, હિપેટાઇટિસના સંશોધનમાં લાગેલા જ છે.

CRISPR - cas-9 : જિનેટિક એન્જિનિયરિંગ માટેની અસરકારક કાતર

                
2020નું રસાયણ શાસ્ત્રનું નોબેલ પારિતોષિક ફ્રાન્સના ઇમેન્યુએલ ચાર્પન્ટિઅર અને યુ.એસ.ના જેનિફર ડૌડના નામની મહિલાવૈજ્ઞાનિકોને એનાયત કરવામાં આવ્યું છે. રસાયણશાસ્ત્રમાં ઇનામ મેળવનારી તેવો છઠ્ઠી અને સાતમી મહિલાછે. જેમણે જિનેટિક એન્જિનિયરિંગ માટે ખૂબ જ ઉપયોગી બને તેવી, જનીનને એડિટ કરવા માટેની રસાયણ આધારિત જનીન-સંપાદન તકનીક, જે સીઆરઆઈએસપીઆર (CRISPR - cas-9)તરીકે ઓળખાય છે, તેને શોધી કાઢી હતી. નુકસાનકારી બેક્ટેરિયાનો અભ્યાસ કરતી વખતે, એમાં રહેલ વાયરસના આદિ પ્રાચીન ડી.એન.એ એમ્મેન્યુએલ ચાર્પન્ટિઅરની નજરે ચડયા હતા. જેને અલગ કરવા માટે, તેમણે એક નવી ટેકનીક વિકસાવી. 2011માં તેના વિશે સંશોધન પત્ર પણ રજૂ કર્યું. ત્યારબાદ જેનિફર ડૌડના સાથે મળીને, ટેકનિકમાં સુધારા વધારા કર્યા અને આખરે સંપૂર્ણ નવી ટેકનીક CRISPR - cas-9નો આવિષ્કાર કર્યો.
                
ઘણા લાંબા સમય પછી, કોઈ એક ક્ષેત્રમાં, માત્ર મહિલાને નોબલ પારિતોષિક મળ્યું હોય, એવી દુર્લભ ઘટના ઘટી છે. આ નૂતન આવિષ્કારને ખુબ પહેલા જ નોબલ પારિતોષિક એનાયત થવું જોઈતું હતું. ઠીક છે, દેર સે આયે, મગર દુરસ્ત આયે હૈ. આ શોધની અસર આવનારા ત્રણ ચાર દાયકા સુધી જીવવિજ્ઞાનની અનેક શાખાઓ ઉપર થનારછે. જનીન-સંપાદન તકનીક, એક પ્રકારની બાયો-કેમીકલ કાતર છે. જેના વડે કોઈ પણ સજીવના ડી.એન.એના ટુકડાને/જનીનને તમારી ઈચ્છા મુજબ કાપીને અલગ કરી શકાય છે. તેના સ્થાને ડીએનએનો અન્ય ટુકડો ગોઠવી શકાય છે. ડિઝાઇનર બેબીથી માંડીને રોગની સારવાર માટેના નવા ડ્રગ્સની ડિઝાઇન સુધી તેનો વ્યાપ ફેલાયેલો છે. જીનેટીકલી મોડીફાઇડ અનાજ અને ખેતીના પાકને નુકસાનકારી જીવાતોથી બચાવવા માટે, વનસ્પતિમાં જિનેટિક ફેરફાર કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. આ મહિલા વૈજ્ઞાનિકો કહે છેકે "તેમની શોધના કારણે વૈજ્ઞાનિક ફરીવાર "કોડ ઓફ લાઈફ"ને પોતાની રીતે લખી શકે તેમ છે."