Tuesday 1 November 2016

પ્રકૃતિનાં લાડકવાયા..."ફિબોનાચી નંબર" : હેમચંદ્રાચાર્યે વિશ્વને આપેલી નવી શ્રેણીની ઓળખ

Pub. Date : 30.10.2016

એનુ નામ એટલે બાસો ફિબોનાચી. સિઆટલ (અમેરિકા)નો પ્રકૃતિ આલેખન કરનાર ચિત્રકાર. એક અકસ્માતમાં તે પોતાનો જમણો હાથ ગુમાવીને અપંગ બની વ્હીલચેર પર આવી જાય છે. હવે...પેઇન્ટિંગ કઇ રીતે બનાવવા ? તેણે હવે પોતાનાં ડાબા હાથનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. છતાં અસરદાર પેઇન્ટિંગ તૈયાર થતાં ન હતાં. પણ એણે હિંમત ગુમાવી નહીં. પોતાની આરાધના ચાલુ જ રાખી. આજે તે ઉઘડતાં અને આંખોને આંજી નાખે તેવા રંગો વડે પ્રાણી અને વનસ્પતિ જાતને આલેખતાં સુંદર પેઇન્ટિંગ બનાવે છે.

આ ઉપરાંત મિક્સ મીડીયાનો ઉપયોગ કરીને વિવિધ વિષય ઉપર કલાત્મક આર્ટવર્ક તૈયાર કરી આપે છે. અને...ખાસ વાત... તેનુ નામ બાસો ફિબોનાચી તેને વારસામાં કે જન્મ દ્વારાં મળ્યું નથી. આ નામ તેણે જાતે પસંદ કર્યું છે. કેમ ? તેણે જાપાની અને ઇટાલિયન નામનો 'ફ્યુઝન'થી પોતાનું નામ રાખ્યું છે. બાસો ફિબોનાચી. બાસો નામ ચીનમાં થઇ ગયેલા આઠમી સદીનાં આધ્યાત્મિક ગુરૃ માચુતોયી માટે વપરાય છે.

જેણે છાન બુધીઝમનો ફેલાવો કર્યો હતો. આ પંથ મહાયાન અને તાઓઇઝમનાં સંગમ જેવો છે. 'ફિબોનાચી' શબ્દ તેણે, લિઓનાર્દો ફિબોનાચી પાસેથી ઉછીનો લીધો છે. જે આધુનિક ઇટાલિયન ગણિતનાં શરૃઆતનો તબક્કાઓનો મહાન ગણિતશાસ્ત્રી હતો. તેણે યુરોપમાં હિન્દુ-અરેબીક સંખ્યા પદ્ધતિને લોકપ્રિય કરવાનું કામ કર્યું હતું. જેમાં એક પૂર્ણાંક સંખ્યાની સીરીઝ 'હેમચંદ્ર નંબર' તરીકે ઓળખાતી હતી. આજે તે વિશ્વમાં ફિબોનાચી સિકવન્સ કે સીરીઝ તરીકે ઓળખાય છે. શા માટે ?

ઐતિહાસિક ફ્લેશ બેક

એક સમય હતો. જ્યારે વિશ્વમાં ભારતીય ગણિતશાસ્ત્રીઓનો ડંકો વાગતો હતો. તેમણે લખેલાં ગ્રંથોનો વિદેશી ભાષામાં અનુવાદ થતાં હતાં. પ્રાચીનકાલના બુધ્દયાન અને કાત્યાયન પ્રસિદ્ધ હતાં. કાળ અને ત્યારબાદ, આર્યભટ્ટ, વરાહમિહીર, બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય પ્રથમ, મહાવીર અને અચાનક અગિયારી સદીની શરૃઆતમાં એક જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યનું નામ આ લીસ્ટમાં ઉમેરાય છે. ત્યારબાદ, બારમી સદીમાં છેલ્લું નામ આવે છે. ભાસ્કરાચાર્ય-દ્વિતીય.

મધ્યયુગ કે મુગલ કાળથી ગણિતશાસ્ત્રનો એક અલગ ઇતિહાસ શરૃ થાય છે. તેરમી સદી ભારત અને વિશ્વ માટે લગભગ અંધારયુગ જેવી રહી અને ચૌદમી સદીથી ફરીવાર વિશ્વમાં જ્ઞાનનો અનોખો ઉદય થાય છે.

ગુજરાતની એક અનોખી પ્રતિભા અને ગણિતશાસ્ત્રી એટલે હેમચંદ્રાચાર્ય. તેમનાં ગણિતશાસ્ત્ર પર આપણે ગર્વ લેતા રહ્યાં પરંતુ વિશ્વ સમક્ષ તેને યોગ્ય પરિપેક્ષ્યમાં રજુ કરી શક્યા નહી. આપણે આપણાં જ વારસાનું યોગ્ય જતન કરી શક્યા નહીં. હેમચંદ્રચાર્યે શોધેલાં પૂણાંકોની એક શ્રેણી 'હેમચંદ્ર નંબર'તરીકે ઓળખાય છે. જેને વિશ્વ આજે 'ફિબોનાચી' સીરીઝ તરીકે ઓળખે છે. પરંતુ આપણને ખાસ ફરક પડતો નથી. જ્યારે કોઈ એમ કહે છે કે આ પૂર્ણાંક શ્રેણીનું મહત્વ લિઓનાર્દો ફિબોનાચી એ વિશ્વ સમક્ષ રજુ કર્યું અને તેનું નામ હંમેશા માટે તેની સાથે જોડાઈ ગયું છે.

સરળ ભાષામાં કહીએ તો હેમચંદ્ર આંક/નંબર તરીકે ઓળખાતી શ્રેણી એટલે ૧, ૧, ૨, ૩, ૫, ૮, ૧૩, ૨૧, ૩૪, ૫૫, ૮૯, ૧૪૪... શ્રેણીની આગળની સંખ્યા, તેની શરૃઆતમાં આગળ આવતાં બે પૂણાંકોનો સરવાળો હોય છે. હેમચંદ્ર અંક ને આધુનિક ફિબોનાચી સીરીઝ બનાવવા માટે શરૃઆતમાં ૧ની આગળ '૦' મુકવામાં આવ્યું છે.પશ્ચિમ જગત જાણતુ નથી. ભારતીય વેદીક કાળથી 'શૂન્ય'ની પરિભાષા ફિલોસોફીથી માંડી ગણિતશાસ્ત્ર સુધી ફેલાયેલી છે અને વિશ્વને 'શૂન્ય'ની ભેટ પણ ભારતે આપી છે. હેમચંદ્રાચાર્ય પહેલાં, વિરાહાંક નામના ભાષાશાસ્ત્રી થઇ ગય.

તેમણે ઇ.સ. પૂર્વે પિંગળનાં છંદશાસ્ત્ર ઉપર કામ કર્યું હતું. છંદશાસ્ત્રનાં લેખક 'પિંગળ' વિશે વધારે માહિતી નથી. પિંગળને કેટલાંક ઐતિહાસિક તથ્યમાં પાણીની અથવા પંતજલિનાં નાના ભાઈ તરીકે ઓળખવામાં આવે છે. ૧૨ સદીમાં આ શ્રેણી અન્ય ગ્રંથોમાં પણ દેખા દે છે. જેની ચર્ચા હેમચંદ્રાચાર્યે પણ કરી હતી. આખરે ફિબોનાચી નંબરને વિજ્ઞાન સાથે શું લેવા દેવા ? ગણીત પણ આખરે તો એક વિજ્ઞાન છે. અથવા કહો કે વિજ્ઞાનનાં પાયામાં, વિજ્ઞાનનાં આધારમાં 'ગણિતશાસ્ત્ર'રહેલું છે.

લિઓનાર્દો ફિબોનાચી  :  મેજિક ઓફ મેથેમેટીક્સ

મધ્યયુગનાં સૌથી વધારે ટેલેન્ટેડ પશ્ચિમી ગણિતશાસ્ત્રી તરીકે, ઇટાલિયન ગણીતશાસ્ત્રી લિઓનાદો ફિબોનાચીનું નામ આદર સાથે લેવામાં આવે છે. જેનું સાચુ નામ લિઓનાર્દો બોનાચી હતું. તે લિઓનાર્દો ઓફ પિઝા અથવા લિઓનાર્દો પિઝાનો બીગોલો તરીકે પણ જાણીતા હતાં. ૧૨૦૨માં તેમણે ઇટાલિયન ભાષામાં પુસ્તક લખ્યું હતું. લીબર અબાકી (બુક ઓફ કેલક્યુલેશન) ટુંકમાં કૉલેજ કાળમાં ભેજામારી કરાવતી કલનશાસ્ત્રને લગતુ એક પુસ્તક. જેમાં 'હેમચંદ્ર અંક'ની શ્રેણીને યુરોપ સમક્ષ પ્રથમવાર રજુ કરવામાં આવી હતી.

ગુગ્લીએલ્માં બોનાચી નામના ધનવાન વેપારીનાં પુત્ર લિઓનાર્દો, તેનાં બાપની સાથે મુસાફરી કરતો હતો. તેનાં પિતાજી ઉત્તર આફ્રિકાની અલમોહદ વંશનાં સુલતાનનાં દરબારી અને વેપારી હતાં. તેમણે મુખ્યત્વે ભૂમધ્ય સમુદ્ર અને કિનારાનાં પ્રદેશોમાં ખુબ જ મુસાફરી કરી હતી. જે દરમ્યાન લિઓનાર્દો, ભારતીય અને આરબ ગણીત અને તેની પધ્ધતીનાં સંપર્કમાં આવ્યો હતો.

તેણે પોતાની મુસાફરીમાં પરીપાક સ્વરૃપે એક પુસ્તક યુરોપને ભેટ આપ્યું હતું. ગણિત અને વિજ્ઞાનનાં શોખીન એવાં રોમન સમ્રાટ ફેડરીક બીજાનું ધ્યાન આ પુસ્તક પર ગયું અને લિઓનાર્દોને રોમન સમ્રાટ ફેડરીકનાં મહેમાન બનવાનું બહુમાન પણ મળ્યું. ઇટાલીનાં પિઝામાં તેને શહેરનાં સલાહકારનો કાયમી નોકરી અને પગાર પણ મળવા લાગ્યો. તેનાં મૃત્યુ વિશે ઇતિહાસ અંધારામાં છે. પરંતુ મૃત્યુનો સમયગાળો ૧૨૪૦ થી ૧૨૫૦નો માનવામાં આવે છે.

બીજગણીતનાં એક સુત્રને બ્રહ્મગુપ્ત-ફિબોનાચી આઇડેન્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે બ્રહ્મગુપ્ત વિસરાઈ ગયા છે અને તે સુત્ર ફિબોનાચી આઈડેન્ટીટી બની ચુક્યું છે. ગણિતની અનેક સંકલ્પના સાથે ફિબોનાચીનું નામ જોડાયેલું છે. કોમ્પ્યુટર સાયન્સમાં શ્રેણીની હરોળ 'એરે'ને શોધવા માટે એક અલગ પ્રકારનું અલગોરિધમ વપરાય છે. જે 'ફિબોનાચી સર્ચ ટેકનિક' તરીકે જાણીતું છે. જેને પ્રથમવાર ૧૯૫૩માં અમેરિકન આંકડાશાસ્ત્રી પ્રથમવાર રજુ કર્યું હતું.

સજીવ સૃષ્ટિમાં રહેલું 'ફિબોનાચી' સાયન્સ કલા અને સ્થાપત્યમાં 'ગોલ્ડન રેશિયો'

આપણી આસપાસની દુનિયામાં ફિબોનાચી નંબરનું પ્રભુત્વ જોવા મળે છે. વનસ્પતિમાં પાંદડાની ગોઠવણ, ફૂલમાં પાંદડીઓની સંખ્યા, પાઇનેપલ ઉપરનાં ભીંગડા. મધપુડો અને છેલ્લે સુર્યમુખીનાં ફુલમાં બીજની ગોઠવણ બધા જ ફિબોનાચી નંબરને અનુસરે છે. વનસ્પતિને કોઈ જીનેટીક કોડ મળતા નથી કે તે ફિબોનાચી નંબર પ્રમાણે કામ કરે. પ્રકૃતિમાં સૌથી કાર્યક્ષમ રીતે અસ્તિત્વ ટકાવવા જતાં વનસ્પતિ અનાયાસે જ ફિબોનાચી નંબરને જાણે કે ફોલો કરે છે. ડેઇઝી અને સુર્યમુખીનાં ફુલમાં ફિબોનાચી નંબરનો આંક ૮૯ અને ૧૪૪ સુધી પણ પહોંચે છે.

વનસ્પતિ અને પાંદડા ઉપલબ્ધ પ્રકાશનો મહત્તમ ઉપયોગ કરવા માંગે છે. જેનાં કારણે પાંદડાની ડિઝાઈન ફિબોનાચી નંબરને અનુસરે છે. ફિબોનાચી નંબરમાં મોટી સંખ્યાને તેની ડાબી બાજુ આવેલ પ્રથમ નાની સંખ્યા વડે ભાગતાં જે જવાબ મળે છે તેને ગણીતશાસ્ત્રમાં ફાઈ તરીકે ઓળખવામાં આવે છે જે આંક ૧.૬૧૮૦૩૪ જેટલી થાય છે. ફિબોનાચી નંબરમાં શ્રેણીમાં આવેલા નજીકનાં બે સંખ્યા જેટલી મોટી તેમ તેમનો ગુણોત્તર 'ફાઈ' ૦ ની સૌથી નજીક આવે છે. કલા અને કુદરતમાં 'ફાઈ'ને ગોલ્ડન રેશિયો, ગોલ્ડન સેકસન કે ગોલ્ડન સ્પાઇરલ વગેરે નામો ઓળખવામાં આવે છે.

સ્થાપત્ય કલામાં ગોલ્ડન રેશિયો ખુબ જ વપરાય છે. જ્યારે વર્તુળમાં ગોલ્ડન રેશિયો પ્રમાણે ચાપ મારીને કેન્દ્ર સાથે ખુણો માપવામાં આવે તો ૧૩૭.૫૦ં જેટલો થાય. વનસ્પતિમાં થડ પર ચોડેલા પાંદડા કે ડાળી વચ્ચે મોટા ભાગે ૧૩૭.૫૦ં નો ખુણો જોવા મળે છે. ઘણી બધી વનસ્પતિમાં આ ગોલ્ડન એંગલ જોવા મળે છે. લીલીમાં પાંદડીની સંખ્યા ત્રણ, જંગલી ગુલાબમાં પાંચ, ડોઝી નીમસમાં આઠ, કોર્ન મેરી ગોલ્ડમાં ૧૩ જેટલી પાંદડીઓથી બનેલા ફુલ જોવા મળે છે. દરીયાઈ શંખમાં જે બોગરીધમીક સ્પાઇરલ બને છે. તે ફિબોનાચીનાં 'ગોલ્ડન સેકસન'ને ૧૦૦% અનુસરે છે.

આપણી હાથની આંગળીઓની લંબાઈનો ગુણોતર પણ ફિબોનાચી નંબરને અનુરૂપ હોય છે. બે હાથની કુલ ૮ આંગળી, દરેક હાથમાં ૫ ડીજીટ, દરેક આંગળીમાં ૩ હાડકા, એક અંગૂઠામાં ૨ હાડકા અને બંને હાથમાં એક-એક અંગૂઠો. ફિબોનાચીનું મળતું ઉદાહરણ છે. એક લેટેસ્ટ સંશોધન પ્રમાણે મનુષ્યની પેઢી જેમ જેમ આગળ વધતી જાય તેમ તેમ દરેક પેઢીને વારસામાં મળતાં 'એક્સ' રંગસૂત્રોથી નક્કી થતાં આપણાં પૂર્વજોની સંભવત વધુમાં વધુ સંખ્યા ફિબોનાચી નંબર પ્રમાણે આગળ વધે છે.

પશ્ચિમને 'ફિબોનાચી' પહેલાં, નવી શ્રેણીની ઓળખ આપનાર... હેમચંદ્રાચાર્ય

ગુજરાતમાં થોડુ ઘણું ભણેલા માનવીએ હેમચંદ્રાચાર્યનું નામ સાંભળ્યું ન હોય તેવું ભાગ્યે જ બનશે. જૈન ધર્મનાં ફોલોઅર્સ માટે હેમચંદ્રાચાર્ય નવું નામ નથી. પાટણનાં સોલંકી વંશનાં સિદ્ધરાજ જયસિંહ અને તેનાં ગાદી વારસ 'કુમારપાળ'નો ઇતિહાસ ભણનારા માટે એક આદર્શ નામ અને ઐતિહાસિક પાત્ર એટલે હેમચંદ્રાચાર્ય. જેમનાં નામ પરથી પાટણ ખાતે આવેલી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું ઓફીસીયલ નામ 'હેમચંદ્રાચાર્ય'યુનિવર્સિટી છે.

હેમચંદ્રાચાર્યનાં પિતાજી ચાંચીગ દેવ મોઢ વણિક હતાં. જ્યારે માતા પાહીની જૈન હતી. માતાને આવેલા સ્વપ્ન અને તેમનાં બાળકનો જન્મ એક દંતકથા છે. અમદાવાદ નજીક આવેલા ધંધુકામાં ચાંચદેવ અને પાહીનીએ બાળકને જન્મ આપ્યો. જેનું નામ 'ચાંગદેવ' રાખવામાં આવ્યું હતું. માતાનાં આધ્યાત્મિક ગુરૃ આચાર્ય દેવસુરી મહારાજ, ચાંગદેવને લઇને ધર્મ અને શિક્ષણ અભ્યાસ અર્થે ખંભાત લઇ ગયા હતાં. જ્યાં તેમને દીક્ષા આપવામાં આવી અને તેમનું નામ 'સોમચંદ્ર' રાખવામાં આવ્યું. તેઓ શ્વેતામ્બર સંમ્પ્રદાયનાં હતાં.

અહીં તેમણે ફિલોસોફી, ધર્મ, ન્યાય, વ્યાકરણ વગેરેનો અભ્યાસ કર્યો અને છેવટે ૨૧ વર્ષની ઉંમરે તેઓ આચાર્યની પદવી પામીને બની ગયા 'હેમચંદ્ર આચાર્ય'. ફિબોનાચીએ તેનાં પુસ્તકમાં હેમચદ્ર અંકની ઝલક પશ્ચિમનાં જગતને બતાવી તેનાં ૫૦ વર્ષ પહેલાં, હેમચંદ્રાચાર્ય 'ફિબોનાચી નંબર' તરીકે ઓળખાતી શ્રેણીની ઓળખ ભારતીય દ્વીપખંડમાં આપી ચુક્યા હતાં. ગુજરાત અને ખાસ કરીને વિશ્વમાં પ્રથમવાર, રાજકીય સ્ટેજ ઉપર 'અહિંસા' પરમો ધર્મ છે એમ સાબિત કરનારાં હેમચંદ્રાચાર્ય વિશ્વનાં પ્રથમ વ્યક્તિ હતાં. તેમનાં પહેલાં 'અહિંસા'એ એક ધાર્મિક સુત્ર અને પ્રણાલી તરીકે સ્વીકાર્યું હતું. પાટણનાં રાજા કુમારપાળ શૈવધર્મ પાળતા હતાં પરંતુ, પોતાનાં આધ્યાત્મિક ગુરૃ હેમચંદ્રાચાર્યની સોબતમાં તેઓ જૈન ધર્મ પાળવા લાગ્યાં હતાં.

કહેવાય છે કે કુમારપાળને ગાદી મળશે તેવી ભવિષ્યવાણી હેમચંદ્રાચાર્યે કરી હતી ત્યારથી જ 'હેમચંદ્રાચાર્ય' કુમારનાં 'ગુડ લીસ્ટ'માં આવી ગયા હતાં. કુમારપાળનો જીવ પણ તેમણે બચાવ્યો હતો તેવી ઐતિહાસિક કથા છે. જેનાં કારણે તેઓ કુમારપાળનાં પ્રિયપાત્ર બની ગયા હતાં. પાટણનાં મહારાજા સિદ્ધરાજને પણ 'હેમચંદ્રાચાર્ય' માટે પુષ્કળ માન હતું. ૧૧૭૩માં ૮૪ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું. ઇતિહાસનાં તે અંધારયુગનું સૌથી પ્રકાશિત અને જ્વલંત પ્રતીક 'હેમચંદ્રાચાર્ય' હતાં.

ડાઇરેક્ટેડ એનર્જી વેપન્સ :અમેરિકા, રશિયા અને ચીનની આગેકૂચ..


Pub. Date : 23.10.2016

નિકોલા ટેસ્લાને અમેરિકાના સૌથી મહાન આવિષ્કારની યાદીમાં આગળ મૂકવામાં આવે છે. ટેસ્લાની સર્જન પ્રતિભા, નૈતિક સ્ફુરણા અને શોધકની વૃત્તિ અનન્ય હતી. ઓલ્ટરનેટ કરંટ પાવર એ નિકોલા ટેસ્લાએ દુનિયાને આપેલી સૌથી મોટી ભેટ છે. નિકોલા ટેસ્લાનો વિરોધી અને પ્રતિસ્પર્ધી એટલે થોમસ આલ્વા એડિસન. એડિસન ડાયરેક્ટ કરંટ (DC) નાં હિમાયતી હતાં. આજે આપણે જોઇએ છે કે વિશ્વભરમાં AC કરંટની બોલબાલા  છે. ૧૯૩૦નાં ગાળામાં ટેસ્લાએ દાવો કર્યો હતો કે તેમણે મિલીટરીને ઉપયોગી બને તેવાં ''ડેથ રે''ની શોધ કરી છે. જે દસ હજાર જેટલાં દુશ્મન એર ક્રાફ્ટને ૨૫૦ માઇલ દૂરથી વિનાશ કરી શકે છે. આધુનિક વિજ્ઞાન તેને ડાયરેક્ટેડ એનર્જી વેપન્સ કહે છે. આ શ્રેણીમાં આવતાં લેસર બીમ વેપન્સનું ડેમોસ્ટ્રેશન અમેરિકા કરી ચુક્યું છે. તાજેતરમાં રશિયાએ ''માયક્રોવેવ્ઝ'' આધારીત 'ડેથ રે' વિકસાવ્યા છે. પ્રયોગોમાં તેણે ૧.૬૫ કી.મી. દૂર આવેલ ઉડતાં ડ્રોન વિમાનને ઉડાડી મૂકવાની ક્ષમતા કેળવી લીધી છે. આ રેસમાં ચીન પણ ૨૦૧૦થી સામેલ છે. અમેરિકાને રશિયા કરતાં ચીનનાં ડાયરેક્ટ એનર્જી વેપન્સ (DEN) ની વધારે બીક લાગી રહી છે. પેન્ટાગોન તેનો ઉપાય પોતાની રીતે વિચારી રહ્યું છે. અને... મહાસત્તા મેદાનનું આધુનિક 'અસ્ત્ર' ભવિષ્યમાં વાપરવા પ્રયત્નશીલ બની રહ્યાં છે.

ડેથ રે અને ડેથ બીમ - સાયન્સ ફિકશનથી....
વર્ષો પહેલાં, સાયન્સ ફિકશનમાં 'ડેથ રે'ની વાત આવતી હતી. ફ્લેશ ગોર્ડન જેવાં કાલ્પનિક પાત્ર પાસે હાથમાં પકડી શકાય તેવી 'રે ગન'નો કૉન્સેપ્ટ સાયન્સ ફિકશનને આપ્યો હતો. લેસર આધારીત 'લેસર ગન'ને જ્યોર્જ લુકાસે તેની સાયન્સ ફિકશન ફિલ્મો 'સ્ટાર વોર્સ'માં દર્શાવી લોકોનાં દિલ જીતી લીધા હતા. સાયન્સ ફિકશનને હકીકતમાં બદલવા માટે વૈજ્ઞાનિકો વીસમી સદીની શરૂઆતથી લાગી ગયા હતાં. ૧૯૨૩માં સાન ફ્રાન્સીસ્કોનાં એડવિન સ્કોટે વિશ્વનું પ્રથમ 'ડેથ રે' શસ્ત્ર વિકસાવ્યાનો દાવો કર્યો હતો. જે મનુષ્યને ખતમ કરવા સક્ષમ હતું. આ ડેથ રે વિમાનને તોડી પાડવા માટે પણ વાપરી શકાય તેમ હતું. ડેરી ગ્રીન્ડેલ મેથ્યુ નામનાં સંશોધકો બ્રિટીશ એર મીલીટરીને ૧૯૨૪માં, ડેથ રે ગન વેચવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેને ડેથ રેનું વર્કીંગ કે પ્રયોગાત્મક મોડેલ બનાવવામાં, બતાવવામાં નિષ્ફળતા મળી હતી.

અમેરિકાનાં નિકોલા ટેસ્લાએ 'ડેથ બીમ'ની શોધ કરી હોવાની જાહેરાત ૧૯૩૦નાં દાયકામાં કરી હતી. જોકે જેને ટેસ્લા ''ટેલીફોર્સ'' ગણાવતા હતાં. તેનું અસ્તિત્વ કે ઉપયોગીતા 'ટેસ્લા' તેનાં મૃત્યુ સુધી પુરવાર કરી શક્યા ન હતાં. બીજા વિશ્વયુધ્ધમાં જર્મનીએ 'ડેથ રે' વિકસાવવા માટે બે પ્રોજેક્ટ અમલમાં મૂક્યા હતાં. જ્યારે જાપાને એક પ્રોજેક્ટ શરૃ કર્યો હતો. જર્મન પ્રોજેક્ટમાં ડેથ રે તરીકે પાર્ટીકલ બીમ વાપરવાનાં ગુપ્ત પ્રયોગો થયા હતાં. બીજા જર્મન પ્રોજેક્ટમાં ડો. રોલ્ફ વાઇડરોએ ડેથ રે મશીન બનાવ્યું હોવાનો ખુલાસો પોતાની આત્મકથામાં કર્યો હતો. ૧૯૪૫માં ડ્રેસડેન પ્લાઝમા ફિજીક્સ લૅબોરેટરી ટીમે તેમનું વિકસાવેલ સયંત્ર ખસેડીને જનરલ પૅટર્નની ત્રીજી ડીવીઝનને સોંપ્યું હતું જે છેવટે અમેરીકનોનાં હાથમાં ગયું હતું. જાપાનને માઇક્રોવેવ આધારીત 'કું-ગો' નામનું ડેથ રે વિકસાવ્યું હતું. ડેથ રે કે ડેથ બીમ તરીકે જાણીતાં વેપન્સને આજનું વિજ્ઞાન ડાયરેક્ટેડ એનર્જી વેપન્સ તરીકે ઓળખાવે છે. સબ એટમિક પાર્ટીકલ આધારીત શસ્ત્ર પણ વિસાવવામાં આવી રહ્યાં છે. જેમાં ઉર્જાને વાયર વગર એક બીમ / શેરડા રૃપે 'ટાર્ગેટ' પર તાકવામાં આવે છે. આવ પ્રણાલી મિસાઇલ ડિફેન્સમાં વાપરવામાં આવે છે. ડેથ રે કે ડેથ બીમનો ઉપયોગ ઈલેક્ટ્રોનિક સીસ્ટમ, સેટેલાઇટ મોબાઇલ ફોન ઉપરાંત કાર, ડ્રોન, પાણીનાં જહાજ, ટૅન્કર વગેરેને ખત્મ કરવા થઇ શકે છે.

રશિયાની ''માઇક્રોવેવ'' ગન
તાજેતરમાં રશિયાનાં લશ્કરી અધિકારીઓ એક કી.મી. દૂર આવેલા ડ્રોન વિમાન કે મિસાઇલને ફુંકી મારી શકાય તેવી 'માઇક્રોવેવ' ગનને વિશ્વ સમક્ષ રજુ કરી છે. રશિયન ડિફેન્સ મિનીસ્ટ્રીનાં પ્રદર્શનમાં તેને દર્શાવવામાં આવી હતી. ડેથ રેનો ઉપયોગ ડ્રોન વિમાનની રેડિયો પ્રણાલીને નિષ્ફળ બનાવવા માટે કરવામાં આવ્યો હતો. માઇક્રોવેવ ગન વડે ડ્રોનમાં રહેલાં વોર હેડ્સ (બૉમ્બ)ને પણ નિષ્ફળ બનાવી શકાયા હતાં. રેડિયો સીસ્ટમ ખોરવાતા વિમાન પોતે જ નિયંત્રણ ગુમાવી તૂટી પડે છે.

આ પ્રકારની પ્રણાલી ડાયરેક્ટેડ એનર્જી વેપન્સ તરીકે ઓળખાય છે. રશિયાએ વિકસાવેલ માઇક્રોવેવ ગન માટે જરૂરી અલ્ટ્રા હાઇ ફ્રિકવન્સી માઇક્રોવેવ એક જનરેટર દ્વારા પેદા કરવામાં આવે છે. પેદા થયેલા માઇક્રોવેવને ડિશ એન્ટેના વડે પરાવર્તિત કરીને ટાર્ગેટ તરફ મોકલવામાં આવે છે. ખાસ પ્રકારની ટ્રાન્સમિશન સીસ્ટમ માઇક્રોવેવ એક બીમ / શેરડો રચે તેનું ધ્યાન રાખે છે. રશિયાની યુનાઇટેડ ઈન્સ્ટ્રુમેન્ટલ મેન્યુફેકચરીંગ કંપનીએ, રશિયાને સરફેસ ટુ એર મિસાઇલ સીસ્ટમ '‘BUK મિસાઇલ સીસ્ટમ'' માટે માઇક્રોવેવ ગન ડિઝાઇન કરી છે. જો કે તેની રેન્જ લાંબી ન હોવાથી, યુધ્ધભૂમી ઉપર ઉડતા અમાનવ એરક્રાફ્ટને નિષ્ફળ બનાવવા તેનો ઉપયોગ થઇ શકે છે. હાઇ ફ્રીકવંસીની માઇક્રોવેવનાં કારણે રક્ષિત ન હોય તેવાં ઈલેક્ટ્રોનિક પાર્ટસ ખરાબ થઇ જાય છે. એલેકઝાન્ડર પેરેન્ઝીયેવ કહે છે કે ''જેમાં માઇક્રો-ઈલેક્ટ્રોનીક એલીમેન્ટ કે સરકીટ હોય તેવી દરેક ચીજને માઇક્રોવેવ ગનનાં ટાર્ગેટમાં મૂકી શકાય છે. આ ગનમાં માઇક્રોવેવ ઉપરાંત, રેડીયો વેવ્ઝ, લેસર અને અવાજનાં તરંગોનો પણ ઉપયોગ થઇ શકે છે. નિષ્ણાંતો માને છે કે માઇક્રોવેવ ગન, ક્રાસુબા નામની ઈલેક્ટ્રોનિક વૉરફેર સીસ્ટમ ધરાવતી મિલિટરી ટ્રક પર ગોઠવવામાં આવશે. માઇક્રોવેવ ગનમાંથી નીકળતા બીમ વચ્ચે મનુષ્ય આવી જાય તો તેને પણ મરણતોલ ફટકો પડી શકે છે.

ડિવાઈન લાઈટ :- ચીની લશ્કરી સાહસ
ચીન હાલમાં માત્ર એન્ટી સેટેલાઈટ સીસ્ટમ, એન્ટી મિસાઈલ લેસર વેપન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે આગેકૂચ કરી રહ્યું છે. એટલું જ નહીં જાણકારોનાં મત પ્રમાણે લેસર વેપન્સ વિકસાવવામાં ચીને અમેરિકાની બરોબરી કરી છે, અથવા તેનાથી આગળ નિકળી ગયું છે. ચીને 'ડિવાઈન વાઈટ' કોડ નેમ હેઠળ લેસર બીમ અને અન્ય ડાયરેકટેડ એનર્જી વેપન્સ તૈયાર કરવાનો પ્રોજેક્ટ અમલમાં મુકેલ છે. બીજીંગ દ્વારા ૧૯૬૦નાં દાયકામાં પ્રોજેક્ટ ૬૪૦-૩ નામે લેસર વેપન્સ ટેકનોલોજી વિકસાવવાની શરૃઆત કરવામાં આવી હતી. ૧૯૭૯માં પ્રોજેક્ટનું નામ બદલીને ૮૬૩ પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું. આજે ચીન તેની લેસર ટેકનોલોજી વિકસાવવા ૧૦ હજાર લોકોને કામમાં જોતરી ચૂક્યું છે. જેમાં ૩૦૦૦ ઈજનેરો અને ૩૦૦ વિવિધ સંશોધન સંસ્થાઓ જોડાએલી છે. ચીનનાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનાં ૪૦ ટકા નાણા લશ્કરી એપ્લીકેશનનાં વિકાસ માટે વાપરવામાં આવી રહ્યાં છે.

ચીન તેનાં નવા કૉન્સેપ્ટ વેહીકલ તૈયાર કરવા માંગે છે. તેમાં હાઈપાવર લેસર, હાઈપાવર માઈક્રોવેવ, રેલ ગન, કોઈલ ગન, પાર્ટીકલ બીમ અને પ્લાનિંગ વેપન્સનો સમાવેશ થઈ રહ્યો છે. ૧૯૯૭માં પાઉન્ડ બેઝ લેસર વાપરીને ચીને તેનાં એરફોર્સનાં MSTI-૩ સેટેલાઈટને નાકામીયાબ બનાવ્યા હતાં. ત્યારબાદ અમેરીકાનાં DRNO અને બોઈંગ કંપનીએ ૭૪૭ એરલાઈનર પર લેસર વેપન્સ ગોઠવીને ચકાસણી કરી હતી જે ઈન્ટરકોન્ટીનેટલ બેલાસ્ટીક મિસાઈલને તોડી પાડવા વાપરી શકાય તેમ છે.

ચીન કાઈનેટીક વેપન્સ જેવા મિસાઈલ તૈયાર કરી રહ્યું છે. ૨૦૦૭માં આવા મિસાઈલ વડે પોતાનો સેટેલાઈટ તોડી નાખ્યો હતો. જેનો ૩૦૦૦ ટુકડાનો ભંગાર વાતાવરણમાં ફેલાતા સ્પેસક્રાફટને નુકશાન થવાનો ભય આંતરરાષ્ટ્રીય સમુદાયે વ્યક્ત કર્યો હતો. મે- ૨૦૧૩માં ચીને એન્ટી બેલાસ્ટીક મિસાઈલ તૈયાર કરીને ટેસ્ટ કરી હતી. જેમાં એન્ટી સેટેલાઈટ વેપન્સને ભ્રમણકક્ષામાં ગોઠવવાની ક્ષમતા ધરાવતું હતું. વર્લ્ડ નેટ ડેઈલીની માહિતી પ્રમાણે ચીને ફ્રી ઈલેક્ટ્રોન લેસર વિકસાવ્યું છે. જેની તરંગ લંબાઈ અને બેન્ડ વિન્ડ 'એડજસ્ટ' કરીને તેની રેન્જ પાંચ હજાર કી.મી. સુધી પહોંચાડી શકાય છે.

અમેરિકન ડિફેન્સ ઈન્ટેલીજન્સ એજન્સીને જાસુસોની જરૃર છે
ચીનની ડાયરેક્ટેડ એનર્જી વેપન્સમાં વધતી જતી દિલચસ્પીનાં કારણે વર્જીનિયા ખાતે આવેલા ડિફેન્સ ઈન્ટેલીજન્સ એજન્સી સક્રીય બની ગઈ છે. તેઓ ચીનની આ ક્ષેત્રમાં થયેલી પ્રગતિ પર ચાંપતી નજર રાખવા માંગે છે. એજન્સીએ લો એનર્જી અને હાઈ એનર્જી લેસર બીમ વેપન્સ પર ધ્યાન કેન્દ્રીત કરેલ છે. ચીન પર જાસૂસી કરવા એજન્સીએ નવા જાસુસોની ભરતી માટે જાહેરાત અને આદેશ આપી દીધા છે. જેમાં ઉમેદવાર પાસે ૧૦ વર્ષનો શસ્ત્રો ઓળખવાનો અનુભવ અને ગણીત કે કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર કે પીએચડીની ડિગ્રીની લાયકાત માંગી છે. અમેરિકા તેમની પાસે જેમ્સ બૉન્ડ સ્ટાઇલમાં જાસૂસી કરાવવા માંગતું નથી. વિવિધ એજન્સીઓ પાસેથી મેળવેલ ડેટા અને સેટેલાઈટ દ્વારા મેળવવામાં આવતાં ફોટોગ્રાફ ઉપરથી ચોક્કસ તારણ નિષ્કર્ષ કાઢવા માટે નવી ટીમ તૈયાર કરવામાં આવી છે.

અમેરિકન ડિફેન્સ એજન્સી તેનાં ૧૪ કોન્ટ્રેક્ટર પાસેથી જાસૂસી દ્વારા મેળવાયેલી સામગ્રીને છુટી પાડી માહિતી મેળવવાનું, પરદેશી ભાષામાં લખાયેલા દસ્તાવેજનું ભાષાંતર કરવાનું અને માહિતી આધારીત પ્રોટોટાઈપ મોડેલ તૈયાર કરવા માંગે છે. અમેરિકા માત્ર ચીન જ નહીં અન્ય દેશો ઉપર પણ જાસૂસી કરવા માંગે છે. ચીન ઉપર પ્રભુત્વ જાળવી રાખવા માટે અમેરિકા ૩૦ કીલો વોટની લેસર વેપન સીસ્ટમ વિકસાવી છે. જેનાં બે પ્રયોગો સફળ રહ્યા હતાં. આ સીસ્ટમ અમેરિકન નેવલ સી સીસ્ટમ કમાન્ડને સોંપવામાં આવી છે. નેવીને અમેરિકન સીમમાં ઘુસી આવતા બીન-અધિકૃત ડ્રોન વિમાન, હેલિકોપ્ટર કે ફાસ્ટ પેટ્રોલ ક્રાફ્ટને આ સીસ્ટમ વડે તોડી પાડવા આદેશ અપાયેલાં છે.

ચીન અમેરીકાનાં વોરશીપ પર સસ્તા ડ્રોનની ટુકડીઓ વડે હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. તેના જવાબમાં અમેરિકા પોતાના ડાયરેકટેડ એનર્જી વેપન્સ વિકસાવી રહ્યું છે. જેની ઘણી બધી માહિતી અમેરિકા ગુપ્ત રાખી છે.

ઑટો ફજી, માઇક્રો મશીન અને...


Pub. Date: 16.09.2016

આ વખતે નોબેલ પ્રાઇઝ વિજેતામાં એક પણ મહિલાનો સમાવેશ થતો નથી

આલ્ટો યુનિવર્સિટી હેલસીન્કી, ફિનલેન્ડનાં પ્રો. લંચ લેવા માટે બહાર નીકળીને કાર પાર્કિંગ એરીયામાં આવ્યા. અચાનક તેનાં સેલફોનની રીંગટોન વાગવા માંડી. તેમણે કોલ રીસીવ કર્યો ત્યારે તેમનો પ્રથમ ઉદ્ગાર હતો. જીસસ ! ધેટ્સ ઈન્ક્રીડીબલ, ધેટ્સ એમેજીંગ ! ઉદ્ગાર સાંભળીને ખ્યાલ આવી ગયો હશે કે કંઇક આશ્ચર્યજનક ઘટના બની હશે. લગભગ બધાજનાં ઉદ્ગાર આશ્ચર્ય અને હર્ષ મિશ્રિત હતાં. કારણ કે તેમને વિશ્વ પ્રસિદ્ધ અને મબલખ નાણા આપતું 'નોબેલ પ્રાઇઝ' તેમને મળ્યું હતું. વિશ્વ હેલસિન્કીનાં પ્રોફેસર એટલે પ્રો. માયકલ કોસ્ટર લીઝ. તેમને અન્ય બે વૈજ્ઞાાનિકો સાથે રસાયણશાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ મેળવ્યું છે. આ વખતે બ્રિટનની વૈજ્ઞાાનિક ત્રિપુટીને ભૌતિકશાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ મળ્યું છે. જે હાલમાં અમેરિકામાં સંશોધન કરનાર અને અમેરિકન નાગરિકત્વ મેળવનાર વૈજ્ઞાાનિક ત્રિપુટી છે.

૨૦૧૬નું મેડિસિન એટલે કે તબીબી વિજ્ઞાનનું 'નોબેલ પ્રાઇઝ' જાપાની વૈજ્ઞાાનિક યોશીનોરી ઓસુમીને મળ્યો છે. ૧૯૦૧માં નોબેલ પ્રાઇઝ આપવાની શરૃઆત કરવામાં આવી ત્યારે, મળતી ધનરાશિ, એક સારા પ્રોફેસરને ૨૦ વર્ષની નોકરી કરતાં જે નાણા મળે તેટલાં નાણાં વૈજ્ઞાનિકને 'નોબેલ' પ્રાઇઝ સ્વરૃપે  મળતાં હતાં.

નોબેલ પ્રાઇઝ : આધી હકીકત....
નોબેલ પ્રાઇઝ મળે એટલે વ્યક્તિ રાતોરાત સેલીબ્રીટી બની જાય છે. તેમાં અભિપ્રાયનું વજન પડે છે. આજે પ્રાઇઝ સાથે ૮૦ લાખ સ્વિડીશ ક્રોનોર મળે છે. (એક ક્રોનોર = ૭.૭૧ રૂપિયા) એટલે કે ૬.૧૭ કરોડ રૂપિયા મળે છે. આજે પૈસા કરતાં પ્રસિદ્ધ વધારે મળે છે. તમે આઇનસ્ટાઇન, મેરી ક્યુરી અને હેમિગ્વેની હરોળમાં આવી જાવ છો. નોબેલ પ્રાઇઝનાં જજ વિજેતા સિવાય કોઇનાં નામ જાહેર કરતાં નથી. તેઓ ન્યુક્લીઅર કોડ માફક જીવનભર રહસ્ય જાળવી રાખે છે. આમ કરવાનાં બે કારણ છે. એક : જેને નોબેલ પ્રાઇઝ મળ્યું નથી તેને 'હાર'નો અનુભવ કરવો પડતો નથી. માનસિક યાતનામાંથી તે બચી જાય છે. બે : નોબેલ પ્રાઇઝ કોઇ સ્પર્ધા નથી કે જીતેલા અને હારેલાની યાદી મૂકવી જોઇએ. પહેલાં વિજ્ઞાન જગત એટલું નાનું હતું કે જજ સીધા જ વૈજ્ઞાાનિકનાં સંપર્કમાં આવી તેને પ્રભાવિત કરવાનો કે તેણે તેમનાં પર ઉપકાર કર્યો છે એવો દેખાવ કરી શકતો હતો.

આ વખતે વૈજ્ઞાાનિકો માનતા હતાં કે લીગોનાં વૈજ્ઞાાનિકોએ કરેલ ગ્રેવીટેશન વેવ્ઝ / ગુરૃત્વ તરંગોની શોધને નોબેલ પ્રાઇઝ મળવું જોઇએ. જો કે નોબેલ પ્રાઇઝ માટેનાં નામાંકન રજૂઆત જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં થઇ જાય છે.જ્યારે ગ્રેવિટી વેવ્ઝની જાહેરાત ફેબુ્આરી મહિનામાં કરવામાં આવી હતી. હજુ મોડું થયું નથી. ભવિષ્યમાં આ શોધને નોબેલ મળી શકે છે. આ વખતે આપવામાં આવેલા વિજ્ઞાનનાં ત્રણેય પ્રાઇઝનાં સંશોધનો બે-ત્રણ દાયકા જેટલાં જુનાં છે. મહત્વની વાત એ છે કે ત્રણ પ્રાઇઝ જેને આપવામાં આવ્યા છે તે વિજ્ઞાન ને ટેક્નોલૉજીમાં ફેરવવામાં બે-ત્રણ દાયકા વીતી જાય તેમ છે એટલે કે આજે આપવામાં આવેલ ઈનામી આવિષ્કારનાં 'ફળ' લાંબા ભવિષ્યકાળમાં ખાવા મળે તેમ છે. એક અર્થમાં ત્રણેય આવિષ્કારે ભૂતકાળનાં સાયન્સ ફિકશનને 'ફેક્ટ'માં બદલી નાખવાનું કામ કર્યું છે.

નોબેલ ફાઉન્ડેશન પણ નવા સંશોધનો કે આવિષ્કારનાં ભવિષ્યનાં ઉપયોગો કે ઉપયોગીતા સાબિત ન થાય ત્યાં સુધી થોભો અને રાહ જુઓની નીતિ અપનાવે છે. જેમાં કેટલીક વાર વૈજ્ઞાાનિક સ્વર્ગે સીધાવી જાય છે. અને... સ્વર્ગસ્થ વ્યક્તિને 'નોબેલ પ્રાઇઝ' આપવામાં આવતું નથી. જેને કહેવાય ''આપ મુએ, ડુબ ગઇ દુનિયા.''

એન્ડ ધ વિનર ઈઝ....
તબીબી શાસ્ત્ર : ૨૦૧૬નું તબીબી વિજ્ઞાન એટલે કે મેડિસીનનું નોબેલ પ્રાઇઝ જાપાની વૈજ્ઞાાનિક યોશીનોરી ઓશુમીને ફાળે ગયું છે. નોબેલ પ્રાઇઝ મેળવનારાં તે ૨૫માં જાપાની વૈજ્ઞાાનિક છે. જ્યારે તબીબી શાસ્ત્રનું 'નોબેલ પ્રાઇઝ' મેળવનાર તેઓ ચોથા જાપાની વૈજ્ઞાાનિક છે. કોષની આંતરિક સ્તરે ચાલતી ઑટોફજી - આત્મભક્ષણ જેવી જૈવિક પ્રક્રિયાનું રહસ્ય ખોલવા માટે તેમને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે. જેનો અભ્યાસ કેન્સર અને પાર્કીન્સન જેવા રોગની સારવારમાં ઉપયોગી બનશે.

ભૌતિકશાસ્ત્ર : ભૌતિકશાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ ડેવિડ થોલેસ, ડંકન હાલ્ડેન અને માયકલ કોસ્ટરલીઝને આપવામાં આવ્યું છે. તેમને આ પ્રાઇઝ પદાર્થની વિશિષ્ટ અવસ્થાને ખાસ પ્રકારનાં ગણિતશાસ્ત્રની મદદથી ઉકેલવા માટે આપવામાં આવ્યું છે. જેને ટોપોલોજીકલ ફેસ ટ્રાન્ઝીકશન અને ટોપોલોજીકલ ફેઝ ઓફ મેટર કહે છે. જેમાં ટોપોલોજી એ ગણિતની એક વિશિષ્ટ શાખા છે. આ સંશોધનમાં સુપર ફ્લુઇડ, સુપર કન્ડક્ટીવીટી અને ઝીરો વિસ્કોસીટી/સ્નિગ્ધતાનાં લક્ષણોનું રહસ્ય ઉકેલવાનો પ્રયત્ન થયો છે.

રસાયણશાસ્ત્ર : જીન પિઅરી સાવેજ, સર જે. ફ્રેસર સ્ટોડર્ટ અને બર્નાડ ફેરીંગાને રસાયણશાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે. જે નેનો ટેકનોલોજીનાં વિકસતા ક્ષેત્ર માટે આપવામાં આવ્યું છે. તેઓએ અતિ સૂક્ષ્મ મોલેક્યુલર મશીન વિકસાવ્યા છે. જેનું કદ માથાનાં વાળની જાડાઇ કરતાં પણ હજાર ગણું સૂક્ષ્મ છે. જેને વૈજ્ઞાાનિકો માઇક્રો મશીન્સ પણ કહે છે. અતિ સૂક્ષ્મ લિફ્ટ, મીની મોટર્સ અને કૃત્રિમ સ્નાયુઓનો માઇક્રો/મોલેક્યુલર મશીનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ઓટોફજી : કોષનાં રિ-સાયકલીંગ યુનિટની કામગીરી
યોશીનોરી ઓશુમી, ૭૧ વર્ષનાં જાપાની વૈજ્ઞાાનિક છે. તેઓ તોક્યો ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીનાં પ્રોફેસર છે. ૨૦૧૬નું મેડિસીન ક્ષેત્રનું નોબેલ પ્રાઇઝ તેમને આપવામાં આવ્યું છે. તેમનું સંશોધન કોષમાં નકામા જૈવિક ભાગો અને બાહ્ય પદાર્થો, કચરાનો નિકાલ કઈ રીતે કરે છે. તેને લગતું છે. ૧૯૯૦નાં દાયકામાં તેમણે કોષમાં ચાલતી જૈવિક પ્રક્રિયા 'ઓટોફજી' વિશે સંશોધન કર્યું હતું. કોષમાં આવેલ વિશિષ્ટ અંગીકા વિકૃત થઈ ગયેલા, નુકસાન પામેલા કોષ અંગો અને કોષ પર આક્રમણ કરનાર બાહ્ય પદાર્થોને કઈ રીતે નિકાલ થાય છે. તે પ્રક્રિયા ઓટોફજી તરીકે ઓળખાય છે. ૧૯૫૦નાં દાયકામાં વૈજ્ઞાાનિકો જાણતા હતા કે કોષમાં નકામા પદાર્થનો નિકાલ ઓટોફજી/ સ્વભક્ષણ/ આત્મભક્ષણ દ્વારાં થાય છે. પરંતુ આ પ્રક્રિયા કઈ રીતે ચાલે છે. તેની સાથે કયાં જનીનો સંકળાયેલા છે ? તે વાત વૈજ્ઞાાનિકો જાણતાં ન હતાં. આ સવાલોનાં ઉત્તરો મેળવવાનું કાર્ય જાપાની વૈજ્ઞાાનિક યોશીનોરી ઓશુમી કર્યું હતું. કોષમાં રિસાયકલીંગ પ્રોસેસ વિશે તેમણે ઉંડાણથી સંશોધન કર્યું હતું.

કોષમાં લાઇસોઝોમ નામનાં સૂક્ષ્મ ખાતા જેવી રચનાં હોય છે. કોષમાં નક્કામાં પદાર્થો અને વિદેશી પદાર્થોની આસપાસ પ્રોટીનનું ખાસ કવચ ગોઠવાઈ જાય છે. જેને ટ્રાન્સપૉર્ટ કરીને લાઇસોઝોમમાં ધકેલી દેવામાં આવે છે. અહીં પદાર્થો ચવાઈ-ખવાઈ જઇને વિઘટન પામે છે. જાપાની વૈજ્ઞાાનિકોએ આથો લાવવા માટે વપરાતી ''યીસ્ટ'' નામની ઉપયોગી ફૂગ પર સંશોધન કર્યા હતાં. ઓટોફજી/આત્મભક્ષણ નામની પ્રક્રિયા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કોષો જ્યારે ભૂખે મરે છે. એટલે કે ઉપવાસ જેવી અવસ્થામાં કોષને ખોરાક મળતો નથી ત્યારે, કોષ સ્વયંમ તેમાં રહેલા પ્રોટીન અને બિનજરૃરી પદાર્થોનું ભક્ષણ કરે છે. જેને પુન:ઉપયોગ કરી, કોષ માટે ઉપયોગી ઉર્જા મેળવે છે. ઓટોફજી નામે ઓળખાતી પ્રક્રિયામાં વાયરસ અને બેક્ટેરીયાનું પણ કોષ ભક્ષણ કરી જાય છે. કોષમાં રહેલા નુકસાન પામેલા પોતાના માળખાને પણ કોષ સ્વંયમ ખાઇ જાય છે. જેથી આ પ્રક્રિયા ઓટોફજી/સ્વયંમ ભક્ષણ કરે છે. આ પ્રક્રિયાનો ઉપયોગ કેન્સરની વૃદ્ધિ સમજવા માટે, રોગ પ્રતિરક્ષા પ્રણાલીને લગતાં રોગો, ચેતાકોષનાં વિઘટન કરતાં રોગોનો અભ્યાસ માટે થઇ શકે છે. આવા રોગોની સારવાર શોધવામાં 'ઓટોફજી' ઉપયોગી બને તેમ છે.

ટોપોલોજીકલ ફેઝ ટ્રાન્ઝીશન :- મટીરીયલનાં ''સુપર'' ગુણધર્મ
બ્રહ્માંડમાં રહેલો પદાર્થ, સામાન્ય રીતે આપણે દૈનિક જીવનમાં જોઇએ છીએ તેવી ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થામાં હોય છે. પરંતુ જ્યારે તાપમાન અતિશય ઘટાડી નાખવામાં આવે અથવા અતિશય વધારવામાં આવે ત્યારે પદાર્થ/મેટર વિચિત્ર રીતે વર્તે છે. પદાર્થનું તાપમાન ખૂબ જ નીચે લઈ જવામાં આવે ત્યારે તે સુપર કન્ડક્ટર એટલે કે અતિ-વાહક તરીકે વર્તે છે. પદાર્થની વર્તણૂકને સમજવા માટે બ્રિટનમાં જન્મેલાં ત્રણ વૈજ્ઞાાનિકો અનુક્રમે ડેવિડ થોલેસ, એફ. ડંકન એમ. હાલ્ડેન અને જે. માયકલ કોસ્ટરલીઝનો સમાવેશ થાય છે.

અત્યાર સુધી વૈજ્ઞાાનિકો માનતા હતાં કે પદાર્થ કે પ્રવાહીનાં અતિ સૂક્ષ્મ સ્તર/લેયર પર ખૂબ જ નીચા તાપમાનની અસર થતી નથી. આવું સૂક્ષ્મ લેયર સુપર કન્ડક્ટર તરીકે કામ કરતું નથી. વૈજ્ઞાાનિક ત્રિપુટીએ આ વાત ખોટી પાડીને શોધી કાઢ્યું છે કે અતિસૂક્ષ્મ લેયરમાં વિજવાહક પદાર્થ સુપર કન્ડક્ટર માફક વર્તે છે. જ્યારે સપાટી પર પદાર્થનાં અણુઓની જાડાઇ જેટલાં પાતળા સ્તરની રચના કરવામાં આવે ત્યારે તેની જાડાઇ/ખરેખર તો પાતળાપણુ એટલું સૂક્ષ્મ હોય છે કે ત્રીજું પરિમાણ, લંબાઈ અને પહોળાઈનાં પરીમાણ કરતાં અબજો ગણુ ઓછું હોય છે. આ કારણે આવા લેયરને ટુ ડાયમેન્શનલ લેયર તરીકે વૈજ્ઞાાનિકો સ્વીકારે છે.

વૈજ્ઞાાનિક ત્રિપુટીએ 'ટોપોલોજી' નામની ગણિત શાખાનો ઉપયોગ કરીને વિજવાહક, વિજઅવાહક અને વિજઅર્ધવાહક ૨B લેયરમાં પદાર્થની બિહેવીયર/વર્તણૂક સમજાવી છે. પદાર્થને ખેંચવામાં આવે, મરોડવામાં આવે કે વિકૃત કરવામાં આવે ત્યારે પદાર્થ નુકસાન પામતો નથી. પરંતુ તેની સપાટીમાં થતાં ફેરફારનાં કારણે રેણુઓ-અણુઓની લાક્ષણિકતા બદલાય છે. જેને 'ટોપોલોજીકલ ફેઝ ચેન્જ' કહે છે.
૧૯૭૦નાં ગાળામાં કોસ્ટરલીઝ અને થોલેસ પાતળા સ્તરમાં સુપર કન્ક્ટીવિટી અને સુપર ફલુઇડીટીનો આવિષ્કાર કર્યો હતો. ૧૯૮૦માં ડંકન હાલ્ડેને પુરવાર કર્યું હતું કે ટોપોલોજીકલ કન્સેપ્ટનો ઉપયોગ અતિસૂક્ષ્મ ચુંબક અને અન્ય મટીરીયલને સમજવા માટે થઇ શકે છે. કોસ્ટરલીઝ કહે છે જ્યારે આ શોધ થઇ તેની મહત્વતા હું સમજી શકું તેટલો પરિપકવ હું નહતો. વીસ વર્ષનો હું લીટલ સ્ટુપીડ અને ઇડિયટ હતો. આ થ્રી ઇડીયટની શોધમાં હાલમાં કોઈ ઉપયોગ દેખાતા નથી પરંતુ ભવિષ્યમાં જ્યારે ક્વોન્ટમ્ કોમ્પ્યૂટર બનશે ત્યારે આ શોધ તેમનાં માટે ખૂબ જ મહત્ત્વની સાબિત થશે.

માઈક્રો/મોલેક્યુલર મશીન્સ : નેનોટેકની કમાલ
યુરોપની વૈજ્ઞાાનિક ત્રિપુટી જીન પીઅરી સાવેજ, સર ફ્રેઝર સ્ટોડર્ટ અને બર્નાડ ફેરીંગાને ૨૦૧૬નું નોબેલ પ્રાઇઝ સંયુક્ત રીતે આપવામાં આવ્યું છે. જે તેમને મોલેક્યુર મશીનની ડિઝાઇન અને સંશ્લેષણ માટે મળ્યું છે.મીડિયાએ વૈજ્ઞાાનિક ત્રિપુટીની શોધને, દુનિયાનાં સૌથી સૂક્ષ્મ મશીન તરીકે ઓળખાવી છે. નેનો સ્કેલ પર વિકસાવવામાં આવેલ મોલેક્યુર મશીનને બાહ્ય ઊર્જા આપવામાં આવે છે ત્યારે કોઇક વિશિષ્ટ કાર્ય તે કરે છે. મોલેક્યુલર મશીન વિધૃત મોટર, લિફ્ટ કે કુત્રિમ સ્નાયુ જેવું કાર્ય કરી શકે છે.

૧૯૮૩માં સોવજે, કો વેલન્ટ બોન્ડ અને ઇલેકટ્રોન પેરનો ઉપયોગ કરી એક મોલેક્યુલર રચના કરી હતી. જેને ગરમી મળતાં જ તે ગતિમાં આવી આઘી-પાછી થતી હતી. આ રચનાને તેમણે 'રોટાક્ષેન' નામ આપ્યું હતું. ૧૯૯૯માં નેધરલેન્ડનાં બેન ફેરીંગાએ મોલેક્યુલ વાપરીને વિદ્યુત મોટર જેવી રચના કરી હતી. આ પ્રકારના મોલેક્યુલર બંધારણને અલ્ટ્રા વાયોલેટ લાઇટમાં રાખતાં જ તે વિદ્યુત મોટરની માફક ધરી ઉપર એક જ દીશામાં ગોળ ફરવા લાગતી હતી. ૨૦૧૧માં ફેરીંગાએ આગળ વધીને ચાર પૈંડાવાળી નેનો-કાર જેવી મોલેક્યુલર ડિઝાઇન તૈયાર કરીને નામનાં મેળવી હતી. ગયા ઑક્ટોબરમાં વૈજ્ઞાાનિકોએ સુવર્ણની સપાટી પર નેનો-કારની રેસ પણ યોજી હતી.

બર્નાડ ફેરીંગાએ નોબેલ પ્રાઇઝ જીત્યા બાદ કહ્યું હતું કે, ''હું રાઇટ બ્રધર્સ જેવી લાગણી અનુભવું છું. જેમણે ૧૦૦ વર્ષ પહેલાં પ્રથમવાર હવામાં મશીન ઉડાડયું હતું. ત્યારે લોકો કહેતાં હતાં કે આપણે ફલાઇંગ મશીનની શું જરૃર છે ? એક સદી બાદ આપણે તોતીંગ બોઇંગ ૭૪૭ અને એર બસ ઉડાડીએ છીએ.'' અમે જે સ્માર્ટ મશીન બનાવ્યા છે તે આવનારાં ભવિષ્ય માટે છે. નેનોસ્કેલ એનર્જી સ્ટોરેજ માટે પણ તેનો ઉપયોગ થઇ શકશે. તબીબી ક્ષેત્રે તેનો ઉપયોગ થઇ શકશે. શરીરમાં ડેમેજ થયેલાં કોષોનો નિકાલ કરવા માટે તેને વાપરી શકાશે. રક્તવાહીનીઓને બ્લૉક કરનારાં ચરબીનાં કણો આવા મશીન સાફ કરી શકશે. દવાનાં કણોને ચોક્કસ કોષો સુધી લઈ જવાનું કામ મોલેક્યુલર મશીન કરી શકશે. મોલેક્યુલર/માઇક્રો મશીનને તમે ભવિષ્યનાં માઇક્રો રોબોટ ગણી શકો છો.

Sunday 9 October 2016

થ્રી પેરેન્ટસ બેબી : ડિઝાઈનર બેબી કે જીવન દાન?

Pub Date: 09.10.2016

બે સ્ત્રી અને એક પુરૃષનું બાળક!


ન્યુયોર્કની હોસ્પિટલની નર્સે, મહિલાને ઉદ્દેશીને કહ્યું  :  'મુબારક હો! બાબો જન્મ્યો છે. આ સાંભળી જોર્ડનની મુસ્લિમ મહિલાની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તેને ખબર હતી નવજાત શીશુનું તેની જીંદગીમાં શું મહત્ત્વ છે! લગ્નનાં પ્રથમ દસ વર્ષમાં એકપણ બાળકને તે જન્મ આપી શકી નહી. દસ વર્ષ બાદ ચાર ચાર કસુવાવડ થઈ ગઈ. છેવટે એક બાળકીનો જન્મ થયો. પણ કમનસીબી કે છ વર્ષની ઉંમરે તેનું અવસાન થઈ ગયું.

થોડા મહીના બાદ, ફરીવાર મહિલાને મહીના રહ્યાં. આ વખતે 'છોકરો' જન્મ્યો. પણ... આનંદ લાંબો ટક્યો નહીં. આઠ મહીના બાદ છોકરો પણ મૃત્યુ પામ્યો. ટુંકમાં છ વાર ગર્ભવતી થયેલ મહીલા આખરે 'બાળક' વિનાની જ રહી. કારણ.... મુસ્લિમ મહિલાના કોષોમાં રહેલા કણાભસૂત્ર જેને અંગ્રેજીમાં 'માઈટોકોન્ડ્રીયા' કહે છે તે ખામીયુક્ત હતી. આમ તો કણાભ સુત્રને કોષનું પાવર હાઉસ કે બેટરી ગણવામાં આવે છે. પરંતુ, આ કણાભ સૂત્રો ૩૭ જેટલાં જનીનો પણ ધરાવે છે. જો આ જનીનોમાં વિકૃતિ થાય તો વિશિષ્ટ પ્રકારનો રોગ થાય છે. જોર્ડનની મહીલાના કણાભસુત્રમાં જનીનોની ખામીથી જે રોગ બાળકને વારસામાં મળતો હતો તેનું નામ છે 'લેંગ ડિસીઝ'. ગયા એપ્રિલ મહિનામાં ૮ તારીખે જન્મેલું 'બાળક' વિજ્ઞાનની ભાષામાં વિશિષ્ટ હતું. વૈજ્ઞાનિકો તેને થ્રી પેરેન્ટ બેબી કહે છે.

ઘટનાની આજુબાજુ

થોડા મહીના પહેલાં વંધ્યત્વની સારવાર મેક્સીકોમાં કરાવ્યા બાદ, ન્યુયોર્કની હોસ્પિટલમાં જોર્ડનનાં દંપતીના ઘરે પારણુ બંધાયું છે. બાળક ન હોય, તેના કરતાં જન્મીને ભગવાનને વ્હાલુ થઈ થાય એ વેદના કેવી હોય? એ વાત વાસુદેવ-દેવકી જેવાં દંપતી જ જાણે છે. વાસુદેવ દેવકીનાં ત્યાં સાત બાળક બાદ, ખુદ ઈશ્વરે જન્મ લીધો હતો. ત્યારે જોર્ડનનાં દંપતી માટે તબીબોએ એ 'ઈશ્વર' બનીને બાળ જન્મ કરાવ્યો છે. વૈજ્ઞાનિકો જેને 'થ્રિ પેરન્ટ બેબી' કહે છે. જે માટે વપરાયેલી સ્પીન્ડલ ટ્રાન્સ્ફર ટેકનિક થોડી વિવાદાસ્પદ છે. સાથે સાથે તેને વાપરનારાં તબીબ જ્હોન ચાંગ પણ વિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવે છે.

જોર્ડનનાં મુસ્લિમ દંપતીની વ્યથા-કથાની શરૂઆત ૨૦૧૧થી શરૃ થાય છે. તેઓ ન્યુયોર્કનાં તબીબ ડૉ. જેમ્સ ગ્રીફોને મળવા આવે છે. જે ગર્ભધાન વિદ્યાના નિષ્ણાંત છે. તેમણે એક નવી પધ્ધતિ ઉંદર ઉપર અજમાવી હતી. ડૉ. જેમ્સ ગ્રીફો દંપતીને ચાઈનીઝ તબીબ ડૉ. જ્હોન ચાંગ પાસે મોકલે છે. જેમણે ડૉ. જેમ્સ ગ્રીફોની પધ્ધતિ ૨૦૦૩માં ચીનમાં એક મહિલા ઉપર અજમાવી હતી. જો કે કોઈ કારણસર ૩૦ વર્ષની મહિલાને જન્મેલા પ્રિ-મેચ્યોર જોડકા બાળકો જન્મ પછી તુર્ત જ મૃત્યુ પામ્યા હતા. જો કે બાળકોનાં કોષોમાં માઈટોક્રોન્ડીયા/કણાભસુત્રો ખામી રહીત 'સ્વસ્થ' હતા.

જોર્ડનનાં મુસ્લિમ દંપતીની મહીલાનાં કણાભસુત્ર-ખામીયુક્ત હોવાથી બાળક 'લેંગ ડીસીસ' સાથે જન્મતા હતાં. છેવટે મૃત્યુ પામ્યા હતા. બ્રિટનમાં 'થ્રિ પેરેન્ટ બેબી' પેદા કરવા માટે પ્રતિબંધ નથી. પરંતુ અહી અલગ ટેકનિક વાપરવામાં આવે છે. જેમાં મુખ્ય મહિલા અને દાતા મહિલાનાં અંડ કોષને પુરુષનાં શુક્રાણુથી ફલન કર્યા બાદ કણાભ સુત્રોની અદલાબદલી કરવામાં આવે છે. જેમાં બે અંકુરિત નાનાં ગર્ભનો વિનાશ કરવામાં આવતો હતો. મુસ્લિમ દંપતિ માટે વિકસતા ગર્ભને નુકસાન કરવું ધર્મ વિરુદ્ધ લાગતું હતું. કોષકેન્દ્ર અને કણાભસુત્રોની અદલાબદલી કર્યા બાદ, અંડકોષનું ફલન કરીને પૂર્ણ ગર્ભ તરીકે વિકસવા દેવામાં આવવાનો હતો.

આ ટેકનિક અપનાવતા પહેલાં દંપતીએ છેલ્લી વાર, સામાન્ય રીતે જ બાળક પેદા કરવાનું નક્કી કર્યું હતું. તેને બાળક થયું પણ ખરું! કમનસીબે કણાભ સુત્રની ખામીયુક્ત ડિએનએ ધરાવતું બાળક લેંગ ડિસીઝ લઈને જ જન્મ્યું હતું. જે છેવટે મૃત્યુ પામે છે. હવે... દંપતી પાસે નવી ટેકનિક વાપરવા સિવાય કોઈ ઉપાય બચ્યો ન હતો. જો કે અમેરિકામાં 'થ્રિ પેરેન્ટસ બેબી' ટેકનિકને માન્યતા મળી ન હોવાથી ડૉ. ચાંગ દંપતીને શરૃઆતની સારવાર મેક્સીકોમાં આપે છે. કારણકે ત્યાં કાયદા 'થ્રિ પેરેન્ટસ બેબી' માટે સ્પષ્ટ થયા ન'હતાં. કાયદા ઘડાઈ રહ્યાં હતાં. છેવટે જોર્ડનની મહિલા ન્યુયોર્કની હોસ્પિટલમાં 'બાળક'ને જન્મ આપે છે. જે હાલનાં તબક્કે તંદુરસ્ત છે.

 થ્રી પેરેન્ટસ બેબી  :  સ્પીન્ડલ ન્યુક્લીયર ટ્રાન્સફર

ગયા અઠવાડીયે 'થ્રિ પેરેન્ટસ બેબી' નામે જન્મેલા બાળકે ખુબજ વિવાદ જગાવ્યો છે. વિજ્ઞાન  જગતમાં તેનાં મિશ્રાઘાત પડયા છે. બાળક હાલમાં પાંચ મહિનાનું થવા આવ્યું છે. જેની 'નવતર ટેકનિક'ની પ્રથમ જાહેરાત ન્યુ સાયન્ટીફીક મેગેજીનમાં કરવામાં આવી છે. વૈજ્ઞાનિકે પ્રથમવાર 'સ્પીન્ડલ ટ્રાન્સફર ટેકનિક વાપરીને 'બાળક'ને જન્મ આપ્યો છે. બાળક વૈજ્ઞાનિક રીતે ત્રણ વ્યક્તિનાં જનીનો ધરાવે છે. માટે મીડિયાએ તેને 'થ્રી પેરેન્ટસ બેબી' નામ આપ્યું છે. જે ખરેખર ગેરમાર્ગે દોરનારું છે. આ પ્રકારનું બાળક પેદા કરવાનો તબીબોનો આશય, માતાના કણાભસુત્રોની ખામીને લીધે બાળકમાં 'લેંગ સિન્ડ્રોમ' નામનો રોગ વારસામાં ન ઉતરે તે જોવાનો હતો. આ રોગનાં કારણે જન્મનાર બાળક વધુમાં વધુ માત્ર ૬-૮ વર્ષ જીવે છે. છેવટે મૃત્યુ પામે છે.

તબીબોએ સ્વસ્થ બાળકનો જન્મ કરાવવા તેનાં માતાનાં માત્ર કોષ કેન્દ્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દાતા મહિલા પાસેથી 'ડોનર એગ' લઈને તેમાંથી દાતા મહીલાનું કોષકેન્દ્ર કાઢી નાખી માતાનું કોષકેન્દ્ર આરોપવામાં આવ્યું હતું. યાદ રહે કે મનુષ્યનો વારસાગત લક્ષણોયુક્ત આખો ડિએનએનો ડાબરો, કોષકેન્દ્રમાં આવેલા ૪૬ રંગસુત્ર ધરાવતા હોય છે. જ્યારે કણાભસુત્ર કોષકેન્દ્રની બહાર આવેલી એક વિશિષ્ટ અંગીકા છે. જેમાં માતા તરફથી વારસાગત લક્ષણો ધરાવતા ૩૭ જનીનો બાળકને મળે છે. જોર્ડનનાં મુસ્લિમ દંપતીના કિસ્સામાં મહિલાના કણાભસુત્રોનાં ડિએનએમાં વિકૃતિ સર્જાતા, તેનાં બે બાળકો 'લેંગ ડિસીઝ'માં આ પહેલાં મૃત્યુ પામ્યા હતાં.

તબીબોએ રોગને જડમૂળથી દુર રાખવા કોષકેન્દ્ર તો મુળ મહિલાનું રાખ્યું પરંતુ કણાભસુત્રો અને અન્ય જૈવિક મટીરીઅલ્સ તંદુરસ્ત દાતા મહિલાનું રાખ્યું હતું. નવાં તૈયાર કરાયેલા અંડકોષને ત્યારબાદ તેનાં પિતાનાં શુક્રાણુ સાથે ફલિનીકરણ કરી મહિલાનાં ગર્ભાશયમાં આરોપવામાં આવ્યું હતું. તબીબોએ સ્પીન્ડલ ટ્રાન્સફર ટેકનિક વાપરી પાંચ કોષોનો વિકાસ કર્યો હતો. જેમાંથી માત્ર એક ગર્ભનો સંપૂર્ણ વિકાસ થતા તેને માતાનાં ગર્ભાશયમાં રોપવામાં આવ્યો હતો. છેવટે એક તંદુરસ્ત બાળકનો જન્મ થયો છે. જેનાં કોષોમાં બે મહિલા અને એક પુરુષનાં ડિએનએ છે. જેને મીડિયા થ્રી પેરેન્ટસ બેબી કહે છે. જે ખરેખર ગેરમાર્ગે દોરનારું અને વિવાદાસ્પદ છે. શા માટે?

ડિઝાઇનર બેબી કે જીવન દાન ?

'થ્રી પેરેન્ટ્સ બેબી' શબ્દ કેમ છેતરામણો છે ? નામ પ્રમાણે બાળકનાં માતા-પિતા-માતા એમ ત્રણ વ્યક્તિ હોય છે પરંતુ, તેને ત્રણ પેરેન્ટ કહેવાનાં બદલે ત્રણ વ્યક્તિનું બાળક કહેવું વધારે હિતાવહ છે. એક વાત યાદ રહે કે જ્યારે, કોઇપણ દર્દી તેનાં બગડેલા અંગ જેવા કે કીડની, પેન્ક્રીયાસ કે હૃદયનું પ્રત્યારોપણ કરાવે છે ત્યારે તેનાં શરીરમાં તેનાં માબાપનાં જનીન ઉપરાંત અન્ય વ્યક્તિનાં જનીનો ધરાવતું અંગ હોય છે. આવી વ્યક્તિને  આપણે થ્રિ પેરેન્ટ  કહેતા  નથી.

મુળ વાત વ્યક્તિને તેનો દેખાવ, ખાસિયતો અને વારસાગત લક્ષણો મળે છે તે ડિએનએ કોષકેન્દ્રમાં હોય છે. જે મનુષ્યના જેનોમનો ૯૯.૯૯ ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે ૦.૧૦ ટકા ડિએનએ વ્યક્તિને તેની માતા પાસેથી મળે છે. જે કોષકેન્દ્રની બહાર આવેલા જીવરસમાં આવેલી નાની નાની અંગિકા છે. જેનું મુખ્ય કામ કોષ માટે ઉર્જા પેદા કરવાનું છે. કોષમાં દાખલ થતાં શક્તિદાયક પદાર્થોની ચયાપચયની પ્રક્રીયા કરીને કણાભસુત્ર કોષ માટે 'ઉર્જા' પેદા કરે છે.

એક આડ વાત આ કણાભસુત્રો ૩૭ જેટલાં જનીનો ધરાવે છે. તેમાં થતો બદલાવ કે વિકૃતિ,રોગ કે શારીરિક ખામી પેદા કરે છે. મહત્વની વાત એ છે કે કણાભસુત્રોનાં જનીનનો વ્યક્તિનો બાહ્ય દેખાવ, શારીરિક બંધારણ કે બુધ્ધિમતા સાથે સંકળાએલા નથી. 'ડિઝાઇનર બેબી' પેદા કરવા માટે કણાભસુત્ર / માઇટોકોન્ટ્રીઅલ ડિએનએ વાપરવામાં આવતું નથી.આ હિસાબે ડો. ચાંગે નવી ટેકનિક વડે પેદા કરેલા બાળક 'ડિઝાઇનર બેબી' કહી શકાય નહીં. આ ઉપરાંત તેને થ્રી પેરેન્ટ બેબી પણ કહી શકાય નહીં. કારણ કે બાળકનાં શરીરમાં ૯૯.૯૦ ટકા ડિએનએ તેનાં મૂળ માબાપનું છે. શું માત્ર ૦.૧૦ ટકા ડિએનએ અન્ય સ્ત્રીનું હોવાથી તેને થ્રિ-પેરેન્ટ્સ બેબી કહીશું ? હકીકત એ છે કે બાળકનાં શરીરમાં ત્રણ વ્યક્તિનું જીનેટીક મટીરીઅલ છે ખરૃ પણ, ત્રીજી વ્યક્તિનું ડિએનએ એક ટકાનાં પણ માત્ર દસમા ભાગ જેટલું છે. જે બાળકને કોઇ વિશેષતા  કે  ખાસ લાક્ષણીકતા  આપવાનું  નથી.

તબીબોએ કણાભસુત્રોનાં ડિએનએમાં બદલાવ આવતા પેદા થતાં 'લેંઘ ડિસીઝ' જેવાં જીવલેણ રોગ મુક્ત 'બાળક' પેદા કરવા માટે જે આસીસ્ટેડ રિ-પ્રોડક્ટીવ ટેકનિક વિકસાવી છે. તેનો હેતુ બાળકને રોગથી બચાવવાનો છે. કાયદા અને નીતિ શાસ્ત્રની દલીલો બાજુમાં રાખીને એક માતાને પૂછજો કે છ બાળક ગુમાવ્યા બાદ, સાતમું બાળક લાંબુ જીવે ત્યારે તેની લાગણી કેવાં પ્રકારની હશે ?

 કણાભ સુત્ર  :  કોષનું મીની-પાવર હાઉસ

શરીરનાં દરેક કોષોમાં પાવર હાઉસ-બેટરી જેવું 'ઉર્જા' કણાભ સુત્ર / માઇટોકેન્દ્રીયા આવેલું હોય છે. જે કોષમાં આવેલ સૂક્ષ્મ કોષનાં મીની-વર્જન માફક કામ કરે છે. વિજ્ઞાન  તેને 'અંગિકા' કહે છે. કણાભ સુત્રની એક અસામાન્ય વાત એછે કે તે ૩૭ જેટલાં જનીનો ધરાવે છે. જે બધા જ જનીનો તેને ફક્ત અને ફક્ત માત્ર માતા તરફથી જ મળેલા હોય છે. તેમાં પિતા તરફથી મળતાં જનીનોની ભેળસેળ થવી સંભવ નથી. આમ શા માટે ?

પુરુષનાં શુક્રાણુમાં પણ કણાભ સુત્ર નામની તેની પોતાની 'બેટરી' હોય છે. જ્યારે તે મહિલાનાં અંડકોષ સાથે જોડાઇને ગર્ભ રચવાની શરૃઆત કરે છે ત્યારે પુરૃષ તરફથી મળેલા કણાભ સુત્રો મુરઝાઇને મટી જાય છે. આમ વિકસિત થતાં ગર્ભમાં માત્ર માતાનાં કણાભ સુત્રો બચે છે. જે માત્ર ને માત્ર માતાનાં જનીનો જ ધરાવતાં હોય છે. આ કારણે બાળકનો માતાપિતા સાથે સંબંધ નક્કી કરવાનો હોય ત્યારે માતા તરફથી મળેલા માઇટોકોન્ટ્રીઅલ ડિએનએ મહત્વનું સાબિત થાય છે. મૃત્યુ પામેલા ઐતિહાસિક વ્યક્તિઓની સાચી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે માતા તરફથી મળતાં માઇટોકોન્ટ્રીઅલ જનીનો ઉપયોગી બને છે. એક પુરૃષ કે સ્ત્રીમાં, માઇટોકોન્ટ્રીઅલ ડિએનએ તેનાં માતૃપક્ષ તરફથી વારસામાં મળતું જાય છે.

માઇટોકોન્ટ્રીઅલ ડિએનએમાં ૨૫% કરતાં વધારે બદલાવ - વિકૃતિ પેદા થાય ત્યારે રોગ - ખામી પેદા થાય છે. કોષમાં કણાભસુત્ર, પાચન તંત્ર જેવું કામ કરે છે. જે પોષક તત્ત્વોને તોડી નાખીને ઊર્જાથી ભરપૂર રેણુઓ છુટા પાડે છે. કોષમાં ચાલતી શ્વસનતંત્ર લક્ષી કાર્ય પણ કણભાસુત્રમાં થાય છે. શરીરનાં અંગોને તેમની ઉર્જા જરૃરીઆત પ્રમાણે કોષમાં કણાભ સુત્રોની સંખ્યા નક્કી થાય છે. સ્નાયુઓને કાર્ય કરવા માટે વધારે ઊર્જાની જરૂર પડે છે. જેથી સ્નાયુ કોષોમાં કણાભસુત્રોની સંખ્યા વધારે હોય છે. જ્યારે ચેતાતંત્રને સંદેશા વ્યવહાર ચલાવવા વધુ ઊર્જાની જરૂર પડતી નથી માટે, ચેતાકોષોમાં કણાભસુત્રો મર્યાદિત સંખ્યામાં હોય છે. જ્યારે કોષને લાગે કે તેને વધારે ઉર્જાની જરૃર છે પરંતુ કણાભસુત્રો ઓછા છે ! આવી અવસ્થામાં કોષ પોતે જ વધારે કણાભસુત્રો કોષમાં પેદા કરી નાખે છે. કેટલીક વાર બે કે તેથી વધારે કણાભસુત્ર જોડાઇને વિશાળ કણાભસુત્ર બની જાય છે. આ ઉપરાંત કોષમાં રહેલાં કોલ્સીયમનાં આયનોનાં જથ્થાનું નિયંત્રણ પણ કણાભસુત્ર કરે છે.

 લેંઘ સિન્ડ્રોમ !

લેંઘ સિન્ડ્રોમ નામે ઓળખાતી જનાની ખામી પ્રથમવાર ડેનીશ લેંઘ દ્વારા ૧૯૫૧માં શોધી કાઢવામાં આવી હતી. ૧૯૬૮માં પ્રથમવાર તેને કણાભસુત્રોની પ્રવૃતિ સાથે સાંકળવામાં આવ્યો હતો. ૧૯૭૭માં 'લેંઘ સિન્ડ્રોમ' સાથે સંકળાયેલ નાભીકીય ડિએનએ યુક્ત 'જનીનો' પણ ઓળખવામાં આવ્યાહતા. લેંઘ સિન્ડ્રોમ મુખ્યત્વે ૭૫થી ૮૦% કિસ્સામાં નાભીકીય જનીનોની વિકૃતિ સાથે સંકળાયેલો હોય છે. અપવાદરૃપ ૨૦થી ૨૫% કિસ્સામાં આ રોગ, કણાભસુત્ર / માઇટોકોન્ટ્રીઅલ ડિએનએમાં પેદા થતી વિકૃતિનાં કારણે જન્મ લે છે.

લેંઘ સિન્ડ્રોમ એ મુખ્યત્વે ચેતાતંત્ર સાથે સંકળાએલી બિમારી છે. જેનાં લક્ષણો બાળકનાં જન્મથી એક વર્ષમાં દેખાવા માંડે છે. રોગ લાગુ પડયા બાદ બેથી ત્રણ વર્ષમાં દર્દી મૃત્યુ પામે છે. આ રોગનાં લક્ષણો કોઇપણ ઉંમરે દેખાઇ શકે છે. મોટા ભાગે સ્નાયુઓની નિષ્ક્રીયતા સર્જાતા, શ્વસનતંત્ર નિષ્ફળ જતાં  દર્દીનું અવસાન થાય છે.

બાળકનાં જન્મ સાથે આ રોગ દેખા દે છે ત્યારે શરૃઆતમાં ઝાડા-ઉલ્ટી થાય છે. બાળકને ગળા નીચે ખોરાક ઉતારવામાં તકલીફ પડે છે.જેનાંથી તેનો શારીરિક વિકાસ અટકી જાય છે. બાળકનું વજન વધતું નથી. સ્નાયુઓનાં હલનચલનની સમસ્યા પેદા થવા માંડે છે. સ્નાયુ નિર્બળ બની જાય છે. છેવટે અંગો સંવેદના ગુમાવી દે છે. રોગને જાણવા માટે MRI કરવી જરૂરી બની જાય  છે. મુખ્યત્વે કોષમાં રહેલા કણાભસુત્રો કોષ માટે જરૂરી ઉર્જા પેદા ન કરી શકવાનાં કારણે બધી સમસ્યા સર્જાય છે.

બેટલ ટેન્ક @ 1૦૦: ઈતિહાસ અને યુધ્ધનાં પાસા બદલવાની તાકાત ધરાવનાર વાહન અને વેપન

Pub. Date : 25.09.2016

બેટલ ટેન્ક એટલે રણગાડી. કોઈ કહે કે રણગાડીનાં પ્રથમ ઉપયોગ થવાને માત્ર સો વર્ષ થયા છે તો, આશ્ચર્યનો અજીબો ગરીબ આંચકો લાગે. લોક માનસમાં ટેંક એટલે રણગાડી .એ લશ્કરનો અભિન્ન ભાગ છે, એમ ઠસાઈ ગયું છે. રણગાડીઓનાં પુર્વજો આદી કાળથી ચાલ્યા આવે છે તેમ માની શકાય. જ્યારે તિર કામઠાંનો જમાનો હતો ત્યારે પણ યુધ્ધમાં 'રથ' આગળ પડતી ભુમિકા ભજવતા હતાં, અને સવાર કે સૈનિક 'રથ'માંથી શસ્ત્રો ચલાવતાં હતાં. ટેકનોલોજીનાં આવિષ્કારનાં કારણે 'બેટલ ટેંક'નો જન્મ થયો. બેટલ ટેંક યુધ્ધનાં પરીણામ બદલવાની તાકાત ધરાવે છે. વૈચારીક કક્ષાએ યુધ્ધ લડાતું હોય ત્યારે રણનીતી ઘડનાર વિશેષજ્ઞ માટે મિડીયા એક શબ્દ વાપરે છે. થિંક ટેન્ક. આમ માનસીકથી વાસ્તવિકતા સુધી 'ટેન્ક'નું સામ્રાજ્ય છે. યુધ્ધનાં ઈતિહાસની અનોખી ઘટનાને આજે 'સો' વર્ષ એટલે કે એક સદી થઈ ગઈ છે. બેટલ ઓફ સોમે (કે સોમ)માં બ્રિટનને પ્રથમવાર રણગાડીનો ઉપયોગ કર્યો ત્યારે તારીખ હતી. ''૧૫ સપ્ટેમ્બર ૧૯૧૬'' જી! હા! પ્રથમ વિશ્વયુધ્ધનાં એ ગોઝારા દિવસો હતાં. એક બાજુ ફ્રાન્સ અને બ્રિટન તથા મિત્ર રાષ્ટ્ર હતાં. સામે પક્ષ હતું : શક્તિશાળી 'જર્મની'. યુધ્ધમાં હવે 'બેટલ ટેન્ક'નો પ્રવેશ થયો હતો અને... માત્ર પ્રથમ વિશ્વયુધ્ધ જ નહી, ત્યારબાદ લડાયેલાં... દરેક યુધ્ધમાં 'બેટલ ટેન્ક' નિર્ણાયક ભુમિકા ભજવવાની હતી.

બેટલ ટેંક અને બેક ગ્રાઉન્ડ

ઈતિહાસ બોલે છે કે, ૨૮ જુન ૨૦૧૪નાં રોજ ઓસ્ટ્રિયાની રાજગાદીનાં વારસદાર આર્ચ ડયુક ફ્રાન્ઝ ફર્ડીનાન્દની ગોળી મારીને હત્યા કરવામાં આવે છે. હત્યારો ગવરીલો પ્રિન્સીપ, યંગ બોસ્નીયાનો સભ્ય હતો. ઉપરાંત બ્લેક હેન્ડ સિક્રેટ સોસાયટીનો સભ્ય પણ હતો. ઓસ્ટ્રીયા-હંગેરીએ અલ્ટીમેટમ આપ્યું. છેવટે સર્બીયા સામે તેમણે યુધ્ધ જાહેર કર્યું અને પ્રથમ વિશ્વયુધ્ધની શરૃઆત થઈ. એકબાજુ મિત્ર ત્રિપુટી, ફ્રાન્સ, બ્રિટન અને રશિયા અને સામે પક્ષ જર્મની, ઓસ્ટ્રીયા અને હંગેરીને સામસામે આવી જવાની ફરજ પડી. પ્રથમ વિશ્વયુધ્ધ 'ગ્રેટ વૉર' તરીકે જાણીતું છે. જેમાં સાત કરોડ લશ્કરી માણસોએ ભાગ લીધો. જેમાંથી ૬ કરોડ લોકો યુરોપિઅન હતાં. યુધ્ધ છેવટે તો માણસ સંહાર કરવાની સામુહીક પ્રવૃત્તિ છે. પ્રથમ વિશ્વયુધ્ધમાં નેવુ લાખ લશ્કરી લોકો અને સાત લાખ નાગરીકો, મૃત્યુનાં મુખમાં ધકેલાઈ ગયા હતાં. જો કે અહીં વિશ્વયુધ્ધને યાદ કરવાનો મુદ્દો અલગ છે.

પ્રથમ વિશ્વયુધ્ધનાં ભાગરૃપે એક લાંબી નિર્ણાયક લડાઈ/સંગ્રામ ખેલાયો. જેને ઈતિહાસકારો 'બેટલ ઓફ સોમે' તરીકે ઓળખે છે. જે ફ્રાન્સની નદી 'સોમે'નાં કિનારે ખેલાયો હતો. જેણે યુધ્ધ પ્રત્યે બ્રિટનનો આખો અભિગમ બદલી નાખ્યો હતો. ૩૧ ઓગષ્ટ ૧૯૬૧નાં રોજ, બ્રિટન તરફ લડનાર 'હેરી બટર', વિશ્વયુધ્ધમાં મરનાર પ્રથમ અમેરિકન નાગરીક બન્યો હતો. સોમે સંગ્રામની શરૃઆત પહેલી જુલાઈ ૧૯૧૬નાં રોજ થઈ. જેમાં પ્રથમ દિવસે જ ૫૭,૪૭૦ બ્રિટીશ નાગરીકો ઘાયલ થયા. જે ક્રિશ્ચીઅન, બોઅર કે કોરીઅન યુધ્ધમાં થયેલ કુલ ઘાયલોની સંખ્યા કરતાં અનેકગણી વધારે હતી. જ્યારે ઘાયલ થનારાં ફ્રેન્ચ લોકોની સંખ્યા માત્ર ૨૦૦૦ની હતી. યુધ્ધનો અંત થયો ત્યારે બ્રિટીશ કેસ્યુઅલ્ટીની સંખ્યા ૪.૨૦ લાખ, ફ્રેન્ચની સંખ્યા બે લાખ અને જર્મનોની સંખ્યા ૪.૬૫ લાખ હતી.

આવું શા માટે બન્યું? જર્મનો ફ્રેન્ચ / ખાડી ખોદીને સંતાઈ રહેવામાં અત્યંત ઝડપી હતા. બ્રિટીશરો વાયરો કાપીને જર્મનો સુધી પહોંચવામાં સફળ રહ્યા નહી અને દુશ્મનોની બંદુકો ગર્જતી રહી. ફ્રાન્સ પાસે પુષ્કળ દારૃગોળો અને ટ્રેઈન્ડ થયેલા સૈનિકો હતાં. બ્રિટીશરોને દરેક પ્રકારની ભૂમી પર ચાલી શકે તેવાં વાહનની જરૃર હતી. કાદવ, કિચડ અને ખોદેલાં ખાડાઓમાંથી લશ્કરને બહાર નીકળવું ભારે પડી ગયું હતું. છેવટે વિશ્વનાં ઈતિહાસમાં નવ જેટલી ટેન્ક સીમા રેખા ઓળંગીને 'નો મેન્સ લેન્ડ'માં પસાર થઈ શકી અને ત્યારબાદ, વિશ્વનાં ભૂમી પર લડાનાર દરેક યુદ્ધમાં 'બેટલ ટેંક' પોતાનો જાદુ બતાવવાની હતી. વિજ્ઞાાન તેને ટેકનોલોજીનાં વાઘા પહેરાવીને 'અજેય' બનાવવાનું હતું.

બખતરીયા તોપ ગાડી : મેકીંગથી મોનોપોલી સુધીની સફર

પ્રથમ વિશ્વયુધ્ધનાં દસ વર્ષ પહેલાં પથરાળ, ખડકાળ, કાદવ કીચડ, નદી, નાળા જેવી વિકટ ભુમી અને યુધ્ધ ટ્રેન્ટમાં પસાર થઈ શકે તેવી બખ્તરીયા ગાડીની દરેક દેશનાં લશ્કરને જરૃર હતી. તેની અનેક ડિઝાઈન રજુ થઈ હતી પરંતુ, ફળદ્રુપ પરીણામ આપે તેવું એકપણ વાહન સર્જાયું ન'હતું. બખ્તરીયા ગાડી/રણગાડી/ટેન્ક શરૃઆતમાં 'લેન્ડશીપ' તરીકે ઓળખાતું હતું. શરૃઆતમાં ટેન્કનાં બે પ્રકાર હતાં. મેલ/નર ટેન્ક અને માદા/નારી/ફિમેલ ટેન્ક. મેલ ટેન્કમાં છ નેવલગન / તોપ લગાડવામાં આવી હતી. ફિમેલ ટેન્કમાં પાંચ મશીનગન લગાવવામાં આવતી હતી.

બ્રિટનને બખ્તરીયા ગાડીનો આઈડિયા, લશ્કરનાં કર્નલ અર્નેસ્ટ સ્વીટન અને વિલીયમ હેન્કીએ આપ્યો હતો. જે છેવટે બ્રિટીશ નેવી મિનીસ્ટર વિન્સ્ટન ચર્ચીલ પાસે પહોંચ્યો. બીજા વિશ્વયુધ્ધમાં 'ચર્ચિલ' નિર્ણાયક ભુમિકામાં આવી જવાના હતાં. છેવટે 'લેન્ડ બોટ' તરીકે ઓળખાતાં બખ્તરીયા વાહનનાં બાંધકામની શરૃઆત બ્રિટને કરી. દુશ્મનોથી પ્રોજેક્ટને બચાવવા તેને છુપો રાખવામાં આવ્યો. ફેક્ટરીમાં કામ કરનાર કારીગરોને જણાવવામાં આવ્યું કે 'નવું વાહન યુધ્ધભુમી ઉપર પાણી પહોંચાડવા માટે વપરાવાનું હતું. લોકોએ તેને 'પાણીનીટાંકી' એટલે કે 'ટેન્ક' નામ આપી દીધું અને વોરફેર ટેકનોલોજીમાં 'ટેન્ક'નો જન્મ થયો.

ઈન્ગ્લેન્ડની ફેક્ટરીમાં, જે પ્રથમ પ્રોટોટાઈપ આવૃત્તિ બની તેનું નામ લિટલ વિલી હતી. જેનું વજન ૧૪ ટન હતું. તે ખાંચાદાર-પટ્ટાવાળા વ્હીલ અને પટ્ટાની મિકેનિકલ ડિઝાઈનથી ચાલતી હતી. 'લીટલ વીલી' બાદ, બીજી ટેન્ક 'બિગ વીલી'નાં નામે તૈયાર કરવામાં આવી. અને ત્યારબાદ બ્રિટને માર્ક-વન નામે બેટલ ટેન્કની પ્રથમ બેચ તૈયાર કરીને, 'બેટલ ઓફ સોમે'ની રણભુમી પર મોકલી આપી હતી. જોકે શરૃઆતની માર્ક-વન ટેંક અતિશય ગરમ, ઘોંઘાટીયું અને મિકેનિકલ નિષ્ફળતાનાં સરવાળા જેવી હતી. જોકે બ્રિટને તેની ખામીઓને સુધારીને ૧૯૧૭માં માર્ક-ફોરની ૪૦૦ બેટલ ટેન્ક તૈયાર કરી હતી. જેણે ૮ હજાર સૈનિકોને શરણે આવવાની ફરજ પાડી અને ૧૦૦ તોપોને કબજે કરવામાં મહત્વની ભુમિકા નિભાવી હતી. હવે અચાનક બેટલ ટેન્ક મહત્ત્વનું લશ્કરી શસ્ત્ર સાબીત થઈ ગઈ.

બેટલ ટેન્કના બાંધકામમાં બ્રિટને વિશ્વમાં 'પ્રથમ' બનવાનું બહુમાન મેળવ્યું પરંતુ, બેટલ ટેન્ક ટેકનોલોજીમાં જર્મનીએ માસ્ટરી મેળવીને 'વર્લ્ડ ક્લાસ' ટેન્ક બનાવવા લાગ્યા. બીજા વિશ્વયુધ્ધમાં એડોલ્ફ હિટલરની બખ્તરીયા ગાડીનાં કાફલા, પેન્ઝર ડીવીઝને હાહાકાર મચાવી વિશ્વયુધ્ધમાં પોતાનું વર્ચસ્વ સાબીત કર્યું હતું. બેટલ ટેન્કની મોનોપોલી 'ગલ્ફ વોર'માં પણ એટલી જ જોવા મળી હતી.

વિશ્વયુધ્ધ, જર્મની અને યુધ્ધ ટેંક

પ્રથમ વિશ્વયુધ્ધમાં શરૃઆતમાં ઝટકો ખાધા બાદ પણ, જર્મનીએ 'બેટલ ટેન્ક' વિકસાવવા ઉપર પુરતું ધ્યાન આપ્યું નહીં. તેમને લાગતું હતું કે 'ટેન્ક' યુધ્ધમાં જલ્દી શિકાર બની જાય છે અથવા નિષ્ફળ જાય છે. પરંતુ બ્રિટનની ટેંકની શરૃઆતની નિષ્ફળતા અને માર્ક-૪ની સફળતા બાદ, જર્મની સફાળુ જાગ્યું અને 'બેટલ ટેન્ક' બનાવવાનાં પ્રયત્નો કરવા લાગ્યું હતું.

જર્મનોનો ટેંક બનાવવાનો પ્રોજેક્ટ A7Vથી શરૃ થાય છે. જો કે તેમની સુપર હેવી K-વેગન અને લાઈટ ટેન્ક LK-II  પ્રથમ વિશ્વયુધ્ધના અંત સુધીમાં તૈયાર થઈ શકી નહતી. A7Vની ડિઝાઈન અને બાંધકામમાં જોસેફ વોલ્મરનું નામ લેવામાં આવે છે. હોલ્ટ ટ્રેક્ટરનાં વિવિધ ભાગો ભેગા કરીને A7V ટેન્ક બનાવવામાં આવી હતી. જેનાં ઉપર ૫૭ એમ.એમ.ની ગન ફિટ કરવામાં આવી હતી. એપ્રિલ-૧૯૧૮માં વિશ્વમાં પ્રથમવાર 'ટેન્ક વર્સીસ ટેન્ક'નું દ્વન્દ્વ યુદ્ધ શરૃ થયું હતું. બાહ્ય રીતે જોતાં A7Vનો દેખાવ બખ્તરીયા ટેન્કનાં ડબ્બા જેવો વિકસાવવામાં આવ્યો હતો. જેનું વજન ૩૬ ટન જેટલું હતું. જેમાં ડેમ્લર બેન્ઝનાં ૪ સીલીન્ડરવાળા, ૨૦૦ હોર્સ પાવરનાં બે પેટ્રોલ એન્જીન બેસાડવામાં આવ્યા હતાં. ૧૯૧૭ના અંતભાગમાં જર્મન આર્મીએ ૧૦૦ ટેન્કનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ તેનું બાંધકામ એટલું ધીમું ચાલતું હતું કે ૧૯૧૮માં પ્રથમ વિશ્વયુધ્ધની સમાપ્તિ સુધીમાં માત્ર ૨૦ ટેન્કનું બાંધકામ પુરુ કરી શકાયું હતું. ૧૯૧૮માં જર્મનીને ચાર માર્ક-૪ ટેંક કબજે કરવાનો મોકો મળ્યો. સાથે સાથે પોતાની અને બ્રિટીશ ટેકનોલોજીની સરખામણી કરવાનો અવસર પણ મળ્યો. જેમાંથી જર્મનીએ બોધપાઠ લઈને બેટલ ટેન્ક ક્ષેત્રે પોતાની આગેકૂચ કરવાની હતી. પ્રથમ વિશ્વયુધ્ધ પછી જર્મનીએ યુધ્ધનો ખર્ચ બ્રિટન, ફ્રાન્સ વગેરેને ચુકવવાનો હતો. તેના પર વિવિધ પ્રતિબંધ હતાં. જેમાં બેટલ ટેન્ક બાંધકામ ઉપર પણ પ્રતિબંધ હતો. છતાં, જર્મનોએ બેટલ ટેન્ક ડિઝાઈનમાં મન પરોવ્યું. ટાઈગર-વન, ટાઈગર-ટુ સીરીઝનું નિર્માણ કર્યું. હિટલરે તેની પેન્ઝર ટેન્ક, KV-1, KL-રેટ જેવી સુપરહેવી ટેન્કનો પ્રોજેક્ટ અમલ મુક્યો હતો. બીજા વિશ્વયુધ્ધમાં હિટલરની યુધ્ધ રણનીતિમાં બેટલ ટેન્કે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.બીજા વિશ્વયુધ્ધ બાદ, કોલ્ડ વૉરનાં સમયગાળામાં તેની સર્જનાત્મક ચરમ સીમાએ પહોંચી હતી. આજે જર્મનીની લેપર્ડ-2A7 વિશ્વની ટોપ-૧૦ બેટલ ટેન્કમાં સ્થાન પામે છે.

વોર ઝોન : ટેકનોલોજીનો પગપેસારો...

જાન્યુ. ૧૯૯૧માં સદ્દામ હુસેનને મહાત કરવા માટે ઓપરેશન ડેઝર્ટ સ્ટોર્મ શરૃ કરવામાં આવ્યું. જેમાં સ્ટીલ્થ ફાઈટર, ક્રુઝ મિસાઈલ, લેસર ગાઈડેડ સ્માર્ટ બોમ્બ અને ખાસ... ગ્લોબલ પોઝીશનીંગ સીસ્ટમ  (GPS)નો ઉપયોગ કરવામાં આવ્યો. જો કે કુવૈતમાંથી સદ્દામ હુસેનને ખદેડી મુક્યા બાદ, ખરી લડાઈ, બીનરહેઠાણ વગડાઉ વિસ્તાર અને રણમાં લડાઈ હતી. જેમાં બેટલ ટેન્કે ખાસ કામગીરી નિભાવી હતી. આજે સમય બદલાઈ ગયો છે. રશિયાએ, પોતાની ફ્યુચર બેટલ ટેન્કનો પ્લાન વિશ્વ સમક્ષ મુક્યો એટલે...   રશિયાની T-90 ટેન્કમાંથી પ્રેરણા લઈને સર્બીયા  M-20UP વિકસાવી રહ્યું છે તો ભારત T-90ની સ્વદેશી આવૃત્તિ જેવી T-90M 'ભિષ્મ' વિકસાવી છે. જે ભારતની મુખ્ય બેટલ ટેન્ક 'અર્જુન'નો આધુનિક પર્યાય બનાવવા માટે છે. બ્રિટન તેની આધુનિક ટેન્ક ચેલેન્જર-૨ને અપગ્રેડ કરશે. જેમાં વપરાતી ટેકનોલોજી જેવી ટેકનોલોજી અન્ય દેશોની ટેન્કને અપગ્રેડ કરવામાં વપરાશે.

* થર્મલ ઈમેજીંગ : થર્મલ ઈમેજીંગ દ્વારા દિવસે અને રાત્રે પણ ચોકીપહેરો ભરી શકાય છે. જેનાં કારણે ચોવીસ કલાક કાર્યરત રહી શકે છે.

* કમાન્ડર ૩૬૦-આઈ : ટેન્કનાં તોપથી અને ચાલકને નવી દ્રષ્ટિ આપવાનું કામ કમાન્ડર ૩૬૦ વિઝન આપે છે. જેમાં થર્મલ ઈમેજીંગ અને અન્ય સિસ્ટમ પણ વપરાય છે.

* ગન કન્ટ્રોલ સિસ્ટમ : GPS અને કોમ્પ્યુટર એઈડેડ સીસ્ટમથી ગન કંટ્રોલ ઈક્વીપમેન્ટ ચાલે છે. જેમાં સમયસર ચોક્કસ નિશાન પર ફાયરીંગ કરવાની સિસ્ટમ લગાડવામાં આવે છે.

* ઈલેક્ટ્રોનીક આર્કીટેક્ચર : યુધ્ધ ભુમીમાં થતાં વિસ્ફોટો અને ફાયરીંગથી નુકસાન ન પામે તેવી ઈલેક્ટ્રોનીક સિસ્ટમ એ બેટલ ટેન્કની પ્રાથમિક જરૃરિયાત ગણાય. ઈલેક્ટ્રોનીક સર્કીટ હવે અતિસુક્ષ્મ થઈ જતાં, વધારે ઉપકરણો ટેન્કમાં ગોઠવી શકાય છે.

સ્ટીલ્થ અને રડાર : ટેન્ક હવે દુશ્મન દેશના રડાર પર ન દેખાય તે માટે સ્ટીલ્થ મટીરીઅલ લગાડવામાં આવે છે. ટેંકની પોતાની પોર્ટેબલ સીસ્ટમ પણ છે. જે રડાર સીસ્ટમ પણ ધરાવે છે.

TOP - 1૦ બેટલ ટેન્ક

હાલમાં વિશ્વની શ્રેષ્ઠ ગણાતી દસ મેઈન બેટલ ટેંક નીચે પ્રમાણે છે.
(૧) K-2 બ્લેક પેન્થર : દ. કોરીયા
(૨) T-90 AM : રશીયા
(૩) M1A2 SEP V.2 અમેરીકા
(૪) મરકાવા-4  ઈઝરાયેલ
(૫) ટાઈપ-10  જાપાન
(૬) લેપર્ડ A2A7 જર્મની
(૭) ચેલેન્જર-2 ગ્રેટ બ્રિટન
(૮) AMX-56 ju ક્લાર્ક ફ્રાન્સ
(૯) ટાઈપ-99 A2 ચીન
(૧૦) T-84ઓપ્લોટ-M યુક્રેન

ટોપટેન - ભવિષ્યની બેટલ ટેન્ક

ભવિષ્યમાં જેનો ડંકો વાગવાનો છે તેવી ટેન્ક
(૧) T-14અર્માતા રશિયા
(૨) PL-01 પોલેન્ડ
(૩) એસ્પ્રો-A ઈઝરાયેલ
(૪) M1A3 અમેરીકા
(૫) MBT-3000 ચીન
(૬) M-95 ડેગમેન ક્રોશીયા
(૭) ટાઈપ-૧૦ જાપાન
(૮) એલ્ટે  ટર્કી
(૯) અર્જુન મેક-II  ભારત
(૧૦) M-20 UP-1  સર્બીયા

Tuesday 4 October 2016

આઇસમેન ''ઉત્ઝી'' :સિલ્વર જ્યુબિલીની સસ્પેન્સ સ્ટોરી !

Pub. Date: 02.10.2016

૫૩૦૦ વર્ષ પ્રાચીન કુદરતી 'મમી' અનેક રહસ્ય ખોલે છે. સિલ્વર જ્યુબિલીની સસ્પેન્સ સ્ટોરી !

૧૯ સપ્ટેમ્બર ૧૯૯૧નો દિવસ હતો. આજથી બરાબર ૨૫ વર્ષ પહેલાંની વાત છે. બે જર્મન ટુરિસ્ટ હેલ્મુટ અને એરીકા સિમોન ઓસ્ટ્રીયા - ઈટાલીની બોર્ડર પર આવેલ આલ્પસ પર્વતમાળાનાં ઓસટ્રઝલ આલ્પસની પૂર્વ તરફ આવેલ ફિનેલીસ્પીટ્ઝ ધાર પર ૩૨૧૦ મીટરની ઊંચાઈ પર ફરી રહ્યા હતાં. રસ્તો ચુકી તેઓ હોસ્લેજોચ અને રિસેનજોચ વચ્ચેનાં પર્વતાળ માર્ગમાં આવી ગયા. અહીં તેમણે બરફમાં દેખાતું એક સુકાયેલું શબ જોયું. શબનો ધડથી નીચેનો ભાગ બરફમાં દટાયેલો હતો. તેમણે માની લીધું કે શબ કોઇ પર્વતારોહકનું હોવું જોઇએ.જે કુદરત સામે હારી જતાં મૃત્યુ પામ્યો હતો. છેવટે ૨૨ સપ્ટેમ્બરનાં રોજ શબને બરફમાંથી ખોદી કાઢવામાં આવ્યું. તેની આસપાસ દટાએલી જુની ચીજ વસ્તુઓ પણ ખોદી કાઢવામાં આવી. આજે એજ શબ માટે ઓસ્ટ્રીયા અને ઈટાલી વર્ષોથી ઝગડી રહ્યાં છે. આખરે આ શબ વૈજ્ઞાનિકો માટે અતિ કિમતી શા માટે છે? વૈજ્ઞાનિકો તેને ઓત્ઝી કે ઉત્ઝી તરીકે ઓળખે છે. આખરે ''ઉત્ઝી'' કોણ હતો ?

આઇસમેન  ''ઉત્ઝી'' કોણ હતો ?

ઈટાલી અને ઓસ્ટ્રીયાની બોર્ડર પર આવેલ પર્વતમાળાનાં પહાડમાંથી મળેલ શબને નજીક આવેલાં ઈન્સબુ્રક ખાતે તબીબી પરીક્ષણ માટે લઇ જવામાં આવ્યું. યુનિ. ઑફ ઈન્સબૂર્ગનાં આર્કીયોલોજીસ્ટ કોનરાડ સ્પિન્ડલર દ્વારા તપાસવામાં આવ્યું. શબ પાસેથી મળેલ કુહાડી જોઇને તેમણે જાહેરાત કરી કે બરફમાં દટાઇને 'મમી'માં ફેરવાઇ ગયેલ મનુષ્ય દેહ અંદાજે  ૪ હજાર વર્ષ પ્રાચીન છે. હવે જેને એક સાદા પર્વતારોહકનું શબ માનતા હતાં, તે અચાનક વિજ્ઞાન જગત માટે એક દુર્લભ મમી સાબીત થઇ ગયું અને... ઑસ્ટ્રિયા તેનો કબજો લેવા ઈટાલી સાથે ઝગડવા લાગ્યું છે. જે બે દેશોની સીમારેખાનાં વિવાદમાં ઝગડાનો નિવેડો આવ્યો નથી. ખરી વાત એ છે કે આ માત્ર બે દેશનો સવાલ નથી. કારણ કે વિજ્ઞાન જગત માટે ''ઉત્ઝી'' એક દુર્લભ મમી છે. ઈ.સ. પૂર્વે ૩૩૦૦ વર્ષ પહેલાં, તે એક જીવંત વ્યક્તિ હતો. લોકો તેને આઇસમેન ''ઉત્ઝી''નાં હુલામણા નામે ઓળખે છે. કોઇ તેને ફ્રોઝન 'ફ્રિટ્ઝ' તરીકે ઓળખે છે.

પુરાતત્વવિદ્ તેને હોમો-ટાયસેલેન્સીલ તરીકે ઓળખે છે. બરફમાં દટાઇને મૃત્યુ પામેલ 'ઉત્ઝી'ની આખી જન્મકુંડળી વૈજ્ઞાનિકોએ ઉકેલી કાઢી છે. વૈજ્ઞાનિકો હજી પણ તેનાં ઉપર વધારે સંશોધનો કરી રહ્યાં છે. તાજેતરમાં તેનાં ગળા અને સ્વર પેટીનું ૩ડી મોડેલ બનાવીને વૈજ્ઞાનિકોએ કોમ્પ્યુટર પર ચકાસ્યું છે. જેથી ખબર પડે કે ''ઉત્ઝી''નો અવાજ કેવો હતો. ''ઉત્ઝી''નો પુરો ડેટા બેઝ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આજની તારીખે, ''ઉત્ઝી'' યુરોપમાંથી મળી આવેલ સૌથી પ્રાચીન કુદરતી માનવ 'મમી' છે. ઈટાલીનાં દક્ષિણ ટાઇટોલ ખાતે આવેલ બોલ્ઝાનોનાં આર્કીયોલોજીકલ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે. જો કે 'મમી'ની શરૂઆતની ઓળખ ઓસ્ટ્રીયાનાં ઈન્સબર્ગ યુનિ.ના પુરાતત્વવિદ્ કોનરાડ સ્પીન્ડલરે કરી હતી.

તામ્ર યુગનાં માનવીનું 'અવતરણ'

જ્યાંથી ઉત્ઝીનું શબ મળ્યું હતું. ત્યાંથી તામ્ર યુગનો પત્થર મળી આવ્યો હતો. આધુનિક ચર્ચમાં વપરાતાં પ્રભુ ભોજનનાં ટેબલનાં પત્થર તરીકે તેનો અનેકવાર ઉપયોગ થતો હતો. પત્થર ઉપર એક ધનુષ્યધારી વ્યક્તિ, એક હથિયાર રહીત વ્યક્તિની પીઠમાં તીર મારતો હોય તેવું દેખાય છે. જે ''ઉત્ઝી''નાં 'મૃત્યુ' સમયની ઘટનાને આબેહૂબ મળતું આવે છે. પરંતુ સંશોધકોને તેનાથી સંતોષ થયો નથી. કદાચ આ ઘટના યોગાનુયોગ છે. ઉત્ઝીએ બાંધેલા ચામડાના પટ્ટામાં વનસ્પતિનાં ભુકા જેવો પાવડરનો ગઠ્ઠો મળી આવ્યો હતો. જેમાં પિપ્ટો પોરસ બેટુલીનસ ફુગના અવશેષો જોવા મળ્યા છે. જેને ખાવામાં આવે તો ઝાડા થઇ જાય છે. બની શકે કે ''ઉત્ઝી'' તેનાં પેટની તકલીફ દૂર કરવા / વિપવોર્મને નાબૂદ કરવા તેનો દવા તરીકે ઉપયોગ કરતો હોય. તેનાં ટૅટુ બનાવવામાં કોલસો / ચારકોલનો ઉપયોગ થયો છે. ટૅટુ સામાન્ય રીતે હાડકાનાં સાંધાના ભાગમાં જોવા મળ્યા છે. કદાચ સાંધાના દુખાવા દૂર કરવા તેનો પ્રયોગ કરવામાં આવ્યો હોય. ઈટાલીનાં ઘઃય્ ડિઝાઇનરો પુરુષ માટે ચામડાનો ડ્રેસ ડિઝાઇન કરે તે પહેલાંથી ''ઉત્ઝી'' સ્વયમ્ ડિઝાઇન કરેલ ચામડાના વસ્ત્રો પહેરતો હતો. તેનાં કમર - ગુપ્તાંગને ઢાંકનાર વસ્ત્ર ઘેટાની ચામડીનું બનેલું હતું. પગનાં વસ્ત્રો બકરીના ચામડાનાં હતાં. તેની ટોપી કથ્થઇ રીંછનાં ચામડામાંથી બનેલી હતી. તેનાં બુટની દોરી જંગલી ગાયનાં ચામડામાંથી બનાવેલી હતી. તેનો તીર રાખવાનો ''ભાથો'' હરણનાં ચામડામાંથી  બનાવવામાં આવ્યો હતો. પ્રાચીન ટેક્નોલૉજી વાપરવામાં ''ઉત્ઝી'' મોખરે હતો. તેની કમરે ફલીન્ટ પત્થરમાંથી બનાવેલ જમૈયો / કટાર રહેતી હતી. તેનાં ભાથામાં બે સંપૂર્ણ તીર હતાં. જ્યારે એકાદ ડઝન લાકડાની સળીયો હતી. જેમાંથી તીર બનાવી શકાય તેમ હતાં. તેનાં ડાબી બાજુનાં દાંત વધારે ઘસાયેલા હતાં. તેનાં વાળમાં આર્સેનીક અશુદ્ધિ બતાવે છે કે તે તાંબુ ગાળવામાં માસ્ટર હતો.

ઐતિહાસિક જન્મ-કર્મ કુંડલી

એક વાત નક્કી થઇ ચુકી છે કે ''ઉત્ઝી''નું મમી ૫૩૦૦ વર્ષ પ્રાચીન છે. તે સમયે ઈતિહાસની વાત કરીએ તો 'તામ્રયુગ' ચાલતો હતો. વૈજ્ઞાનિકોએ 'ઉત્ઝી'નો સંપૂર્ણ જેનોંમ ઉકેલ્યો છે. વૈજ્ઞાનિકો માને છે કે ''ઉત્ઝી'' મૃત્યુ પામ્યો તે પહેલાં તે માંદો હતો. તેનાં માથામાં ઈજા થયેલી છે. ખભા પાસે તેને તીર વાગેલું હતું. ઉત્ઝીનાં થાપાનાં હાડકામાંથી DNA મેળવવામાં આવ્યું હતું. જેનો  ૫૧૦માં નૃવંશશાસ્ત્રી આલ્બર્ટ ઝીન્કની લીડરશીપમાં પુરો 'ઝેનોમ' ઉકેલવામાં આવ્યો હતો. યુરોપમાં આઇસમેન 'ઉત્ઝી'નાં સેંકડો પેઢી બાદનાં ૧૯ જેટલાં જીવતાં વારસદારો હાલમાં આર્કીનીઆમાં વસે છે. વિશ્વનો પ્રથમ લીમ રોગનો કેસ એટલે 'ઉત્ઝી'. જે પરોપજીવી જીવાતથી થતો હતો. 'ઉત્ઝી' મૃત્યુ પામ્યો ત્યારે તેની ઉંમર ૪૬ વર્ષ હતી. તેની આંખોનો રંગ 'છીકણી' હતો. તેની પાસે તીર કામઠું અને તીર રાખવાનો ભાથો પણ હતો. તેની કુહાડી તાંબાની બનેલી હતી. તે શિકારી હતો અથવા યોદ્ધો. તીર વાગવાથી તે ઊંચાઇએથી પડી ગયો હતો. જેથી માથામાં ઈજા થઇ હોવાનું જણાય છે. તેનાં આંતરડામાં ''વિપવોર્મ'' નામનાં પરોપજીવી જીવો મળ્યા છે. તેનાં પેટમાં હેલીયો બેકટર પાયલોરીનો સંપૂર્ણ જેનોમ જોવા મળ્યો છે. જેનાં કારણે પેટમાં ચાંદા પડે છે અને પેટની અનેક સમસ્યાઓ નડે છે. 'ઉત્ઝી'નાં શરીર ઉપર શાહીથી બનાવેલ છુંદણું / ટેટું જોવા મળ્યું છે. ગિનેસ બુક ઑફ રેકર્ડમાં ટૅટુ ધરાવનાર સૌથી પ્રાચીન મનુષ્નો રેકૉર્ડ ''ઉત્ઝી''નાં નામે કરવામાં આવ્યો છે. ''ઉત્ઝી'' તેની સાથે પ્રાથમિક સારવાર માટેની દેશી કીટ લઇને ફરતો હતો. તેનાં નખનાં અંગૂઠાનાં તબીબી પરીક્ષણમાં જાણવા મળ્યું હતું કે મૃત્યુનાં ચાર મહીના પહેલેથી તે વારંવાર ગંભીર રીતે બીમાર થઇ જતો હતો.

રહસ્ય ઉકેલતી આધુનિક ટેક્નોલૉજી


'ઉત્ઝી'નાં મમીને મ્યુઝિયમમાં ખાસ પ્રકારે ડિઝાઇન કરેલ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યું છે. જેનું તાપમાન સતત માઇનસ છ ડિગ્રી રાખવામાં આવે છે. ચેમ્બરમાં રાખેલ ખાસ બારીમાંથી મુલાકાતી ''ઉત્ઝી''નું શબ નિહાળી શકે છે. ૫૩૦૦ વર્ષ પ્રાચીન 'મમી'નો ભેદ ઉકેલવા અને આવવા માટે આધુનિક ટેકનોલોજીએ કમાલ કરી છે. મમીને ૩ઘ સ્કેન કરીને 'ઉત્ઝી'નું લેટેસ્ટ ૩ઘ મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં શબવિધી અને ફોરેન્સીક ટેક્નોલૉજી વાપરવામાં આવી છે. આ ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને બે ડચ આર્ટિસ્ટ આલ્ફોન્સ અને એન્દ્રી કેનીએ કમાલનું ૩ઘ મોડેલ તૈયાર કર્યું છે. વૈજ્ઞાનિકો 'ઉત્ઝી'નાં શરીરમાંથી મળેલ હેલીકોબેકટર પાયરેલીનાં અલગ અલગ નમૂનાઓ વિશ્વમાંથી એકત્રીત કરીને, પ્રાચીન મનુષ્યનાં સ્થળાંતર / માઇગ્રેશનનો નકશો તૈયાર કરી રહ્યાં છે. આજના આધુનિક એશિયન લોકોનાં શરીરમાં એચ. પાયલોરીનાં જે સ્ટ્રેઇન જોવા મળે છે. તેવાં સ્ટ્રેઇન 'ઉત્ઝી'નાં શરીરમાં છે. વનસ્પતિ, પ્રાણી, ઓલાદ કે વંશની વિશિષ્ટ ખાસિયત  ધરાવતા લક્ષણને જીનેટીકની ભાષામાં સ્ટ્રેઇન  કહે છે. તેનાં ડીએનએ ઉકેલતા માલુમ પડયું હતું કે તેનાં હાડકા પોલા પડવાની સંભાવના વધારે હતી. તે દૂધમાં રહેલું લેકટોસને પચાવવા માટે સક્ષમ ન હતો. સંશોધકો માને છે કે 'ઉત્ઝી'નો સંબંધ યુરોપનાં 'નિએન્ડરથાલ' મનુષ્ય વંશ સાથે જોડી શકાય તેમછે. ઉત્ઝીનાં શરીરમાંથી ૫૩૦૦ વર્ષ પ્રાચીન રક્તકોષોનાં અકબંધ અવશેષો પણ મળી આવ્યા છે. જેનો કદ અને આકાર આજના આધુનિક મનુષ્ય જેવો જ છે.

શું એ ''મમી'' શાપિત હતું ?

પ્રાચીન ''મમી''ને શોધી કાઢીને તેનો ભેદ ઉકેલવો એક અભિશાપ ગણાય છે. ઘણા લોકો માને છે કે 'મમી'ને શોધનાર કે તેનું રહસ્ય ઉકેલવા મથનાર માનવીને મમીનો 'શાપનડે છે અને તેનું મૃત્યુ થાય છે. ફારોહ 'તુતેન ખામેન'નાં મમીની શોધ સાથે તેની સાથે સંકળાએલા લોકનાં રહસ્યમય મોતે 'શાપ'ની થિયરીને બિન-વૈજ્ઞાનિક ઢબે સાચી પુરવાર કરી છે. આવી જ કથા ''ઉત્ઝી''નાં 'મમીસાથે લોકો જોડી રહ્યાં છે કે શાપની સત્ય ઘટના છે કે માત્ર યોગાનુયોગ એ નક્કી કરવું તમારી વિવેક બુદ્ધિ પર છોડી દેવામાં આવે છે.

'ઉત્ઝીસાથે સંકળાયેલા સાત વ્યક્તિનાં આકસ્મિક કે અચાનક મોત થયા છે.''ઉત્ઝી''નાં શબને શોધનાર હલ્મુટ સીમોન મુસાફરનું પર્વત પરથી પડતાં મૃત્યુ થયું હતું. પર્વત પરથી 'મમી'ને હવાઇ માર્ગે લાવનાર ગાઇડનું 'હિમ તોફાન'માં મૃત્યુ થયું હતું. જે ફોટોગ્રાફરે 'મમી'નાં ખોદકામની વિડીયો બનાવી હતી. તેનું બ્રેઇન ટયૂમરથી મૃત્યુ થયું હતું. ફોરેન્સીક ઍક્સ્પર્ટ જેણે ''ઉત્ઝી''નાં શરીરને સ્પર્શ કર્યો હતો. તે મમી વિશે વ્યાખ્યાન આપવા જતો હતો ત્યારે ડો. રેઇનર હેનનું માર્ગમાં જ અકસ્માત મૃત્યુ થયું હતું. ''ઉત્ઝી'' વિશે સંશોધન કરનાર ઈન્સબર્ગનાં આર્કીયોલોજીસ્ટ કોનરાડ સ્પીન્ડલરનું ૨૦૦૫માં મલ્ટીપલ સ્કેલોરોસીસનાં કારણે મૃત્યુ થયું હતું. કોનરાડ સ્પીન્ડલરે 'મમી'નાં શાપની વાત પત્રકારો દ્વારા જાણીને મજાકમાં કહ્યું હતું કે હવે મારો વારો છે. અને.. તેનું મૃત્યુ થયું હતું. જો કે ''ઉત્ઝી''ને ખોદી કાઢવાથી માંડીને સંશોધન કરવામાં સેંકડો લોકો જોડાયેલા છે. દરેકનાં મૃત્યુને 'શાપ'ની નજરે જોઇ ન શકાય. અને.. જે જન્મે છે તે વહેલાં કે મોડા મૃત્યુ તો પામવાનો જ છે.