Tuesday 1 November 2016

પ્રકૃતિનાં લાડકવાયા..."ફિબોનાચી નંબર" : હેમચંદ્રાચાર્યે વિશ્વને આપેલી નવી શ્રેણીની ઓળખ

Pub. Date : 30.10.2016

એનુ નામ એટલે બાસો ફિબોનાચી. સિઆટલ (અમેરિકા)નો પ્રકૃતિ આલેખન કરનાર ચિત્રકાર. એક અકસ્માતમાં તે પોતાનો જમણો હાથ ગુમાવીને અપંગ બની વ્હીલચેર પર આવી જાય છે. હવે...પેઇન્ટિંગ કઇ રીતે બનાવવા ? તેણે હવે પોતાનાં ડાબા હાથનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. છતાં અસરદાર પેઇન્ટિંગ તૈયાર થતાં ન હતાં. પણ એણે હિંમત ગુમાવી નહીં. પોતાની આરાધના ચાલુ જ રાખી. આજે તે ઉઘડતાં અને આંખોને આંજી નાખે તેવા રંગો વડે પ્રાણી અને વનસ્પતિ જાતને આલેખતાં સુંદર પેઇન્ટિંગ બનાવે છે.

આ ઉપરાંત મિક્સ મીડીયાનો ઉપયોગ કરીને વિવિધ વિષય ઉપર કલાત્મક આર્ટવર્ક તૈયાર કરી આપે છે. અને...ખાસ વાત... તેનુ નામ બાસો ફિબોનાચી તેને વારસામાં કે જન્મ દ્વારાં મળ્યું નથી. આ નામ તેણે જાતે પસંદ કર્યું છે. કેમ ? તેણે જાપાની અને ઇટાલિયન નામનો 'ફ્યુઝન'થી પોતાનું નામ રાખ્યું છે. બાસો ફિબોનાચી. બાસો નામ ચીનમાં થઇ ગયેલા આઠમી સદીનાં આધ્યાત્મિક ગુરૃ માચુતોયી માટે વપરાય છે.

જેણે છાન બુધીઝમનો ફેલાવો કર્યો હતો. આ પંથ મહાયાન અને તાઓઇઝમનાં સંગમ જેવો છે. 'ફિબોનાચી' શબ્દ તેણે, લિઓનાર્દો ફિબોનાચી પાસેથી ઉછીનો લીધો છે. જે આધુનિક ઇટાલિયન ગણિતનાં શરૃઆતનો તબક્કાઓનો મહાન ગણિતશાસ્ત્રી હતો. તેણે યુરોપમાં હિન્દુ-અરેબીક સંખ્યા પદ્ધતિને લોકપ્રિય કરવાનું કામ કર્યું હતું. જેમાં એક પૂર્ણાંક સંખ્યાની સીરીઝ 'હેમચંદ્ર નંબર' તરીકે ઓળખાતી હતી. આજે તે વિશ્વમાં ફિબોનાચી સિકવન્સ કે સીરીઝ તરીકે ઓળખાય છે. શા માટે ?

ઐતિહાસિક ફ્લેશ બેક

એક સમય હતો. જ્યારે વિશ્વમાં ભારતીય ગણિતશાસ્ત્રીઓનો ડંકો વાગતો હતો. તેમણે લખેલાં ગ્રંથોનો વિદેશી ભાષામાં અનુવાદ થતાં હતાં. પ્રાચીનકાલના બુધ્દયાન અને કાત્યાયન પ્રસિદ્ધ હતાં. કાળ અને ત્યારબાદ, આર્યભટ્ટ, વરાહમિહીર, બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય પ્રથમ, મહાવીર અને અચાનક અગિયારી સદીની શરૃઆતમાં એક જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યનું નામ આ લીસ્ટમાં ઉમેરાય છે. ત્યારબાદ, બારમી સદીમાં છેલ્લું નામ આવે છે. ભાસ્કરાચાર્ય-દ્વિતીય.

મધ્યયુગ કે મુગલ કાળથી ગણિતશાસ્ત્રનો એક અલગ ઇતિહાસ શરૃ થાય છે. તેરમી સદી ભારત અને વિશ્વ માટે લગભગ અંધારયુગ જેવી રહી અને ચૌદમી સદીથી ફરીવાર વિશ્વમાં જ્ઞાનનો અનોખો ઉદય થાય છે.

ગુજરાતની એક અનોખી પ્રતિભા અને ગણિતશાસ્ત્રી એટલે હેમચંદ્રાચાર્ય. તેમનાં ગણિતશાસ્ત્ર પર આપણે ગર્વ લેતા રહ્યાં પરંતુ વિશ્વ સમક્ષ તેને યોગ્ય પરિપેક્ષ્યમાં રજુ કરી શક્યા નહી. આપણે આપણાં જ વારસાનું યોગ્ય જતન કરી શક્યા નહીં. હેમચંદ્રચાર્યે શોધેલાં પૂણાંકોની એક શ્રેણી 'હેમચંદ્ર નંબર'તરીકે ઓળખાય છે. જેને વિશ્વ આજે 'ફિબોનાચી' સીરીઝ તરીકે ઓળખે છે. પરંતુ આપણને ખાસ ફરક પડતો નથી. જ્યારે કોઈ એમ કહે છે કે આ પૂર્ણાંક શ્રેણીનું મહત્વ લિઓનાર્દો ફિબોનાચી એ વિશ્વ સમક્ષ રજુ કર્યું અને તેનું નામ હંમેશા માટે તેની સાથે જોડાઈ ગયું છે.

સરળ ભાષામાં કહીએ તો હેમચંદ્ર આંક/નંબર તરીકે ઓળખાતી શ્રેણી એટલે ૧, ૧, ૨, ૩, ૫, ૮, ૧૩, ૨૧, ૩૪, ૫૫, ૮૯, ૧૪૪... શ્રેણીની આગળની સંખ્યા, તેની શરૃઆતમાં આગળ આવતાં બે પૂણાંકોનો સરવાળો હોય છે. હેમચંદ્ર અંક ને આધુનિક ફિબોનાચી સીરીઝ બનાવવા માટે શરૃઆતમાં ૧ની આગળ '૦' મુકવામાં આવ્યું છે.પશ્ચિમ જગત જાણતુ નથી. ભારતીય વેદીક કાળથી 'શૂન્ય'ની પરિભાષા ફિલોસોફીથી માંડી ગણિતશાસ્ત્ર સુધી ફેલાયેલી છે અને વિશ્વને 'શૂન્ય'ની ભેટ પણ ભારતે આપી છે. હેમચંદ્રાચાર્ય પહેલાં, વિરાહાંક નામના ભાષાશાસ્ત્રી થઇ ગય.

તેમણે ઇ.સ. પૂર્વે પિંગળનાં છંદશાસ્ત્ર ઉપર કામ કર્યું હતું. છંદશાસ્ત્રનાં લેખક 'પિંગળ' વિશે વધારે માહિતી નથી. પિંગળને કેટલાંક ઐતિહાસિક તથ્યમાં પાણીની અથવા પંતજલિનાં નાના ભાઈ તરીકે ઓળખવામાં આવે છે. ૧૨ સદીમાં આ શ્રેણી અન્ય ગ્રંથોમાં પણ દેખા દે છે. જેની ચર્ચા હેમચંદ્રાચાર્યે પણ કરી હતી. આખરે ફિબોનાચી નંબરને વિજ્ઞાન સાથે શું લેવા દેવા ? ગણીત પણ આખરે તો એક વિજ્ઞાન છે. અથવા કહો કે વિજ્ઞાનનાં પાયામાં, વિજ્ઞાનનાં આધારમાં 'ગણિતશાસ્ત્ર'રહેલું છે.

લિઓનાર્દો ફિબોનાચી  :  મેજિક ઓફ મેથેમેટીક્સ

મધ્યયુગનાં સૌથી વધારે ટેલેન્ટેડ પશ્ચિમી ગણિતશાસ્ત્રી તરીકે, ઇટાલિયન ગણીતશાસ્ત્રી લિઓનાદો ફિબોનાચીનું નામ આદર સાથે લેવામાં આવે છે. જેનું સાચુ નામ લિઓનાર્દો બોનાચી હતું. તે લિઓનાર્દો ઓફ પિઝા અથવા લિઓનાર્દો પિઝાનો બીગોલો તરીકે પણ જાણીતા હતાં. ૧૨૦૨માં તેમણે ઇટાલિયન ભાષામાં પુસ્તક લખ્યું હતું. લીબર અબાકી (બુક ઓફ કેલક્યુલેશન) ટુંકમાં કૉલેજ કાળમાં ભેજામારી કરાવતી કલનશાસ્ત્રને લગતુ એક પુસ્તક. જેમાં 'હેમચંદ્ર અંક'ની શ્રેણીને યુરોપ સમક્ષ પ્રથમવાર રજુ કરવામાં આવી હતી.

ગુગ્લીએલ્માં બોનાચી નામના ધનવાન વેપારીનાં પુત્ર લિઓનાર્દો, તેનાં બાપની સાથે મુસાફરી કરતો હતો. તેનાં પિતાજી ઉત્તર આફ્રિકાની અલમોહદ વંશનાં સુલતાનનાં દરબારી અને વેપારી હતાં. તેમણે મુખ્યત્વે ભૂમધ્ય સમુદ્ર અને કિનારાનાં પ્રદેશોમાં ખુબ જ મુસાફરી કરી હતી. જે દરમ્યાન લિઓનાર્દો, ભારતીય અને આરબ ગણીત અને તેની પધ્ધતીનાં સંપર્કમાં આવ્યો હતો.

તેણે પોતાની મુસાફરીમાં પરીપાક સ્વરૃપે એક પુસ્તક યુરોપને ભેટ આપ્યું હતું. ગણિત અને વિજ્ઞાનનાં શોખીન એવાં રોમન સમ્રાટ ફેડરીક બીજાનું ધ્યાન આ પુસ્તક પર ગયું અને લિઓનાર્દોને રોમન સમ્રાટ ફેડરીકનાં મહેમાન બનવાનું બહુમાન પણ મળ્યું. ઇટાલીનાં પિઝામાં તેને શહેરનાં સલાહકારનો કાયમી નોકરી અને પગાર પણ મળવા લાગ્યો. તેનાં મૃત્યુ વિશે ઇતિહાસ અંધારામાં છે. પરંતુ મૃત્યુનો સમયગાળો ૧૨૪૦ થી ૧૨૫૦નો માનવામાં આવે છે.

બીજગણીતનાં એક સુત્રને બ્રહ્મગુપ્ત-ફિબોનાચી આઇડેન્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે બ્રહ્મગુપ્ત વિસરાઈ ગયા છે અને તે સુત્ર ફિબોનાચી આઈડેન્ટીટી બની ચુક્યું છે. ગણિતની અનેક સંકલ્પના સાથે ફિબોનાચીનું નામ જોડાયેલું છે. કોમ્પ્યુટર સાયન્સમાં શ્રેણીની હરોળ 'એરે'ને શોધવા માટે એક અલગ પ્રકારનું અલગોરિધમ વપરાય છે. જે 'ફિબોનાચી સર્ચ ટેકનિક' તરીકે જાણીતું છે. જેને પ્રથમવાર ૧૯૫૩માં અમેરિકન આંકડાશાસ્ત્રી પ્રથમવાર રજુ કર્યું હતું.

સજીવ સૃષ્ટિમાં રહેલું 'ફિબોનાચી' સાયન્સ કલા અને સ્થાપત્યમાં 'ગોલ્ડન રેશિયો'

આપણી આસપાસની દુનિયામાં ફિબોનાચી નંબરનું પ્રભુત્વ જોવા મળે છે. વનસ્પતિમાં પાંદડાની ગોઠવણ, ફૂલમાં પાંદડીઓની સંખ્યા, પાઇનેપલ ઉપરનાં ભીંગડા. મધપુડો અને છેલ્લે સુર્યમુખીનાં ફુલમાં બીજની ગોઠવણ બધા જ ફિબોનાચી નંબરને અનુસરે છે. વનસ્પતિને કોઈ જીનેટીક કોડ મળતા નથી કે તે ફિબોનાચી નંબર પ્રમાણે કામ કરે. પ્રકૃતિમાં સૌથી કાર્યક્ષમ રીતે અસ્તિત્વ ટકાવવા જતાં વનસ્પતિ અનાયાસે જ ફિબોનાચી નંબરને જાણે કે ફોલો કરે છે. ડેઇઝી અને સુર્યમુખીનાં ફુલમાં ફિબોનાચી નંબરનો આંક ૮૯ અને ૧૪૪ સુધી પણ પહોંચે છે.

વનસ્પતિ અને પાંદડા ઉપલબ્ધ પ્રકાશનો મહત્તમ ઉપયોગ કરવા માંગે છે. જેનાં કારણે પાંદડાની ડિઝાઈન ફિબોનાચી નંબરને અનુસરે છે. ફિબોનાચી નંબરમાં મોટી સંખ્યાને તેની ડાબી બાજુ આવેલ પ્રથમ નાની સંખ્યા વડે ભાગતાં જે જવાબ મળે છે તેને ગણીતશાસ્ત્રમાં ફાઈ તરીકે ઓળખવામાં આવે છે જે આંક ૧.૬૧૮૦૩૪ જેટલી થાય છે. ફિબોનાચી નંબરમાં શ્રેણીમાં આવેલા નજીકનાં બે સંખ્યા જેટલી મોટી તેમ તેમનો ગુણોત્તર 'ફાઈ' ૦ ની સૌથી નજીક આવે છે. કલા અને કુદરતમાં 'ફાઈ'ને ગોલ્ડન રેશિયો, ગોલ્ડન સેકસન કે ગોલ્ડન સ્પાઇરલ વગેરે નામો ઓળખવામાં આવે છે.

સ્થાપત્ય કલામાં ગોલ્ડન રેશિયો ખુબ જ વપરાય છે. જ્યારે વર્તુળમાં ગોલ્ડન રેશિયો પ્રમાણે ચાપ મારીને કેન્દ્ર સાથે ખુણો માપવામાં આવે તો ૧૩૭.૫૦ં જેટલો થાય. વનસ્પતિમાં થડ પર ચોડેલા પાંદડા કે ડાળી વચ્ચે મોટા ભાગે ૧૩૭.૫૦ં નો ખુણો જોવા મળે છે. ઘણી બધી વનસ્પતિમાં આ ગોલ્ડન એંગલ જોવા મળે છે. લીલીમાં પાંદડીની સંખ્યા ત્રણ, જંગલી ગુલાબમાં પાંચ, ડોઝી નીમસમાં આઠ, કોર્ન મેરી ગોલ્ડમાં ૧૩ જેટલી પાંદડીઓથી બનેલા ફુલ જોવા મળે છે. દરીયાઈ શંખમાં જે બોગરીધમીક સ્પાઇરલ બને છે. તે ફિબોનાચીનાં 'ગોલ્ડન સેકસન'ને ૧૦૦% અનુસરે છે.

આપણી હાથની આંગળીઓની લંબાઈનો ગુણોતર પણ ફિબોનાચી નંબરને અનુરૂપ હોય છે. બે હાથની કુલ ૮ આંગળી, દરેક હાથમાં ૫ ડીજીટ, દરેક આંગળીમાં ૩ હાડકા, એક અંગૂઠામાં ૨ હાડકા અને બંને હાથમાં એક-એક અંગૂઠો. ફિબોનાચીનું મળતું ઉદાહરણ છે. એક લેટેસ્ટ સંશોધન પ્રમાણે મનુષ્યની પેઢી જેમ જેમ આગળ વધતી જાય તેમ તેમ દરેક પેઢીને વારસામાં મળતાં 'એક્સ' રંગસૂત્રોથી નક્કી થતાં આપણાં પૂર્વજોની સંભવત વધુમાં વધુ સંખ્યા ફિબોનાચી નંબર પ્રમાણે આગળ વધે છે.

પશ્ચિમને 'ફિબોનાચી' પહેલાં, નવી શ્રેણીની ઓળખ આપનાર... હેમચંદ્રાચાર્ય

ગુજરાતમાં થોડુ ઘણું ભણેલા માનવીએ હેમચંદ્રાચાર્યનું નામ સાંભળ્યું ન હોય તેવું ભાગ્યે જ બનશે. જૈન ધર્મનાં ફોલોઅર્સ માટે હેમચંદ્રાચાર્ય નવું નામ નથી. પાટણનાં સોલંકી વંશનાં સિદ્ધરાજ જયસિંહ અને તેનાં ગાદી વારસ 'કુમારપાળ'નો ઇતિહાસ ભણનારા માટે એક આદર્શ નામ અને ઐતિહાસિક પાત્ર એટલે હેમચંદ્રાચાર્ય. જેમનાં નામ પરથી પાટણ ખાતે આવેલી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું ઓફીસીયલ નામ 'હેમચંદ્રાચાર્ય'યુનિવર્સિટી છે.

હેમચંદ્રાચાર્યનાં પિતાજી ચાંચીગ દેવ મોઢ વણિક હતાં. જ્યારે માતા પાહીની જૈન હતી. માતાને આવેલા સ્વપ્ન અને તેમનાં બાળકનો જન્મ એક દંતકથા છે. અમદાવાદ નજીક આવેલા ધંધુકામાં ચાંચદેવ અને પાહીનીએ બાળકને જન્મ આપ્યો. જેનું નામ 'ચાંગદેવ' રાખવામાં આવ્યું હતું. માતાનાં આધ્યાત્મિક ગુરૃ આચાર્ય દેવસુરી મહારાજ, ચાંગદેવને લઇને ધર્મ અને શિક્ષણ અભ્યાસ અર્થે ખંભાત લઇ ગયા હતાં. જ્યાં તેમને દીક્ષા આપવામાં આવી અને તેમનું નામ 'સોમચંદ્ર' રાખવામાં આવ્યું. તેઓ શ્વેતામ્બર સંમ્પ્રદાયનાં હતાં.

અહીં તેમણે ફિલોસોફી, ધર્મ, ન્યાય, વ્યાકરણ વગેરેનો અભ્યાસ કર્યો અને છેવટે ૨૧ વર્ષની ઉંમરે તેઓ આચાર્યની પદવી પામીને બની ગયા 'હેમચંદ્ર આચાર્ય'. ફિબોનાચીએ તેનાં પુસ્તકમાં હેમચદ્ર અંકની ઝલક પશ્ચિમનાં જગતને બતાવી તેનાં ૫૦ વર્ષ પહેલાં, હેમચંદ્રાચાર્ય 'ફિબોનાચી નંબર' તરીકે ઓળખાતી શ્રેણીની ઓળખ ભારતીય દ્વીપખંડમાં આપી ચુક્યા હતાં. ગુજરાત અને ખાસ કરીને વિશ્વમાં પ્રથમવાર, રાજકીય સ્ટેજ ઉપર 'અહિંસા' પરમો ધર્મ છે એમ સાબિત કરનારાં હેમચંદ્રાચાર્ય વિશ્વનાં પ્રથમ વ્યક્તિ હતાં. તેમનાં પહેલાં 'અહિંસા'એ એક ધાર્મિક સુત્ર અને પ્રણાલી તરીકે સ્વીકાર્યું હતું. પાટણનાં રાજા કુમારપાળ શૈવધર્મ પાળતા હતાં પરંતુ, પોતાનાં આધ્યાત્મિક ગુરૃ હેમચંદ્રાચાર્યની સોબતમાં તેઓ જૈન ધર્મ પાળવા લાગ્યાં હતાં.

કહેવાય છે કે કુમારપાળને ગાદી મળશે તેવી ભવિષ્યવાણી હેમચંદ્રાચાર્યે કરી હતી ત્યારથી જ 'હેમચંદ્રાચાર્ય' કુમારનાં 'ગુડ લીસ્ટ'માં આવી ગયા હતાં. કુમારપાળનો જીવ પણ તેમણે બચાવ્યો હતો તેવી ઐતિહાસિક કથા છે. જેનાં કારણે તેઓ કુમારપાળનાં પ્રિયપાત્ર બની ગયા હતાં. પાટણનાં મહારાજા સિદ્ધરાજને પણ 'હેમચંદ્રાચાર્ય' માટે પુષ્કળ માન હતું. ૧૧૭૩માં ૮૪ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું. ઇતિહાસનાં તે અંધારયુગનું સૌથી પ્રકાશિત અને જ્વલંત પ્રતીક 'હેમચંદ્રાચાર્ય' હતાં.

ડાઇરેક્ટેડ એનર્જી વેપન્સ :અમેરિકા, રશિયા અને ચીનની આગેકૂચ..


Pub. Date : 23.10.2016

નિકોલા ટેસ્લાને અમેરિકાના સૌથી મહાન આવિષ્કારની યાદીમાં આગળ મૂકવામાં આવે છે. ટેસ્લાની સર્જન પ્રતિભા, નૈતિક સ્ફુરણા અને શોધકની વૃત્તિ અનન્ય હતી. ઓલ્ટરનેટ કરંટ પાવર એ નિકોલા ટેસ્લાએ દુનિયાને આપેલી સૌથી મોટી ભેટ છે. નિકોલા ટેસ્લાનો વિરોધી અને પ્રતિસ્પર્ધી એટલે થોમસ આલ્વા એડિસન. એડિસન ડાયરેક્ટ કરંટ (DC) નાં હિમાયતી હતાં. આજે આપણે જોઇએ છે કે વિશ્વભરમાં AC કરંટની બોલબાલા  છે. ૧૯૩૦નાં ગાળામાં ટેસ્લાએ દાવો કર્યો હતો કે તેમણે મિલીટરીને ઉપયોગી બને તેવાં ''ડેથ રે''ની શોધ કરી છે. જે દસ હજાર જેટલાં દુશ્મન એર ક્રાફ્ટને ૨૫૦ માઇલ દૂરથી વિનાશ કરી શકે છે. આધુનિક વિજ્ઞાન તેને ડાયરેક્ટેડ એનર્જી વેપન્સ કહે છે. આ શ્રેણીમાં આવતાં લેસર બીમ વેપન્સનું ડેમોસ્ટ્રેશન અમેરિકા કરી ચુક્યું છે. તાજેતરમાં રશિયાએ ''માયક્રોવેવ્ઝ'' આધારીત 'ડેથ રે' વિકસાવ્યા છે. પ્રયોગોમાં તેણે ૧.૬૫ કી.મી. દૂર આવેલ ઉડતાં ડ્રોન વિમાનને ઉડાડી મૂકવાની ક્ષમતા કેળવી લીધી છે. આ રેસમાં ચીન પણ ૨૦૧૦થી સામેલ છે. અમેરિકાને રશિયા કરતાં ચીનનાં ડાયરેક્ટ એનર્જી વેપન્સ (DEN) ની વધારે બીક લાગી રહી છે. પેન્ટાગોન તેનો ઉપાય પોતાની રીતે વિચારી રહ્યું છે. અને... મહાસત્તા મેદાનનું આધુનિક 'અસ્ત્ર' ભવિષ્યમાં વાપરવા પ્રયત્નશીલ બની રહ્યાં છે.

ડેથ રે અને ડેથ બીમ - સાયન્સ ફિકશનથી....
વર્ષો પહેલાં, સાયન્સ ફિકશનમાં 'ડેથ રે'ની વાત આવતી હતી. ફ્લેશ ગોર્ડન જેવાં કાલ્પનિક પાત્ર પાસે હાથમાં પકડી શકાય તેવી 'રે ગન'નો કૉન્સેપ્ટ સાયન્સ ફિકશનને આપ્યો હતો. લેસર આધારીત 'લેસર ગન'ને જ્યોર્જ લુકાસે તેની સાયન્સ ફિકશન ફિલ્મો 'સ્ટાર વોર્સ'માં દર્શાવી લોકોનાં દિલ જીતી લીધા હતા. સાયન્સ ફિકશનને હકીકતમાં બદલવા માટે વૈજ્ઞાનિકો વીસમી સદીની શરૂઆતથી લાગી ગયા હતાં. ૧૯૨૩માં સાન ફ્રાન્સીસ્કોનાં એડવિન સ્કોટે વિશ્વનું પ્રથમ 'ડેથ રે' શસ્ત્ર વિકસાવ્યાનો દાવો કર્યો હતો. જે મનુષ્યને ખતમ કરવા સક્ષમ હતું. આ ડેથ રે વિમાનને તોડી પાડવા માટે પણ વાપરી શકાય તેમ હતું. ડેરી ગ્રીન્ડેલ મેથ્યુ નામનાં સંશોધકો બ્રિટીશ એર મીલીટરીને ૧૯૨૪માં, ડેથ રે ગન વેચવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેને ડેથ રેનું વર્કીંગ કે પ્રયોગાત્મક મોડેલ બનાવવામાં, બતાવવામાં નિષ્ફળતા મળી હતી.

અમેરિકાનાં નિકોલા ટેસ્લાએ 'ડેથ બીમ'ની શોધ કરી હોવાની જાહેરાત ૧૯૩૦નાં દાયકામાં કરી હતી. જોકે જેને ટેસ્લા ''ટેલીફોર્સ'' ગણાવતા હતાં. તેનું અસ્તિત્વ કે ઉપયોગીતા 'ટેસ્લા' તેનાં મૃત્યુ સુધી પુરવાર કરી શક્યા ન હતાં. બીજા વિશ્વયુધ્ધમાં જર્મનીએ 'ડેથ રે' વિકસાવવા માટે બે પ્રોજેક્ટ અમલમાં મૂક્યા હતાં. જ્યારે જાપાને એક પ્રોજેક્ટ શરૃ કર્યો હતો. જર્મન પ્રોજેક્ટમાં ડેથ રે તરીકે પાર્ટીકલ બીમ વાપરવાનાં ગુપ્ત પ્રયોગો થયા હતાં. બીજા જર્મન પ્રોજેક્ટમાં ડો. રોલ્ફ વાઇડરોએ ડેથ રે મશીન બનાવ્યું હોવાનો ખુલાસો પોતાની આત્મકથામાં કર્યો હતો. ૧૯૪૫માં ડ્રેસડેન પ્લાઝમા ફિજીક્સ લૅબોરેટરી ટીમે તેમનું વિકસાવેલ સયંત્ર ખસેડીને જનરલ પૅટર્નની ત્રીજી ડીવીઝનને સોંપ્યું હતું જે છેવટે અમેરીકનોનાં હાથમાં ગયું હતું. જાપાનને માઇક્રોવેવ આધારીત 'કું-ગો' નામનું ડેથ રે વિકસાવ્યું હતું. ડેથ રે કે ડેથ બીમ તરીકે જાણીતાં વેપન્સને આજનું વિજ્ઞાન ડાયરેક્ટેડ એનર્જી વેપન્સ તરીકે ઓળખાવે છે. સબ એટમિક પાર્ટીકલ આધારીત શસ્ત્ર પણ વિસાવવામાં આવી રહ્યાં છે. જેમાં ઉર્જાને વાયર વગર એક બીમ / શેરડા રૃપે 'ટાર્ગેટ' પર તાકવામાં આવે છે. આવ પ્રણાલી મિસાઇલ ડિફેન્સમાં વાપરવામાં આવે છે. ડેથ રે કે ડેથ બીમનો ઉપયોગ ઈલેક્ટ્રોનિક સીસ્ટમ, સેટેલાઇટ મોબાઇલ ફોન ઉપરાંત કાર, ડ્રોન, પાણીનાં જહાજ, ટૅન્કર વગેરેને ખત્મ કરવા થઇ શકે છે.

રશિયાની ''માઇક્રોવેવ'' ગન
તાજેતરમાં રશિયાનાં લશ્કરી અધિકારીઓ એક કી.મી. દૂર આવેલા ડ્રોન વિમાન કે મિસાઇલને ફુંકી મારી શકાય તેવી 'માઇક્રોવેવ' ગનને વિશ્વ સમક્ષ રજુ કરી છે. રશિયન ડિફેન્સ મિનીસ્ટ્રીનાં પ્રદર્શનમાં તેને દર્શાવવામાં આવી હતી. ડેથ રેનો ઉપયોગ ડ્રોન વિમાનની રેડિયો પ્રણાલીને નિષ્ફળ બનાવવા માટે કરવામાં આવ્યો હતો. માઇક્રોવેવ ગન વડે ડ્રોનમાં રહેલાં વોર હેડ્સ (બૉમ્બ)ને પણ નિષ્ફળ બનાવી શકાયા હતાં. રેડિયો સીસ્ટમ ખોરવાતા વિમાન પોતે જ નિયંત્રણ ગુમાવી તૂટી પડે છે.

આ પ્રકારની પ્રણાલી ડાયરેક્ટેડ એનર્જી વેપન્સ તરીકે ઓળખાય છે. રશિયાએ વિકસાવેલ માઇક્રોવેવ ગન માટે જરૂરી અલ્ટ્રા હાઇ ફ્રિકવન્સી માઇક્રોવેવ એક જનરેટર દ્વારા પેદા કરવામાં આવે છે. પેદા થયેલા માઇક્રોવેવને ડિશ એન્ટેના વડે પરાવર્તિત કરીને ટાર્ગેટ તરફ મોકલવામાં આવે છે. ખાસ પ્રકારની ટ્રાન્સમિશન સીસ્ટમ માઇક્રોવેવ એક બીમ / શેરડો રચે તેનું ધ્યાન રાખે છે. રશિયાની યુનાઇટેડ ઈન્સ્ટ્રુમેન્ટલ મેન્યુફેકચરીંગ કંપનીએ, રશિયાને સરફેસ ટુ એર મિસાઇલ સીસ્ટમ '‘BUK મિસાઇલ સીસ્ટમ'' માટે માઇક્રોવેવ ગન ડિઝાઇન કરી છે. જો કે તેની રેન્જ લાંબી ન હોવાથી, યુધ્ધભૂમી ઉપર ઉડતા અમાનવ એરક્રાફ્ટને નિષ્ફળ બનાવવા તેનો ઉપયોગ થઇ શકે છે. હાઇ ફ્રીકવંસીની માઇક્રોવેવનાં કારણે રક્ષિત ન હોય તેવાં ઈલેક્ટ્રોનિક પાર્ટસ ખરાબ થઇ જાય છે. એલેકઝાન્ડર પેરેન્ઝીયેવ કહે છે કે ''જેમાં માઇક્રો-ઈલેક્ટ્રોનીક એલીમેન્ટ કે સરકીટ હોય તેવી દરેક ચીજને માઇક્રોવેવ ગનનાં ટાર્ગેટમાં મૂકી શકાય છે. આ ગનમાં માઇક્રોવેવ ઉપરાંત, રેડીયો વેવ્ઝ, લેસર અને અવાજનાં તરંગોનો પણ ઉપયોગ થઇ શકે છે. નિષ્ણાંતો માને છે કે માઇક્રોવેવ ગન, ક્રાસુબા નામની ઈલેક્ટ્રોનિક વૉરફેર સીસ્ટમ ધરાવતી મિલિટરી ટ્રક પર ગોઠવવામાં આવશે. માઇક્રોવેવ ગનમાંથી નીકળતા બીમ વચ્ચે મનુષ્ય આવી જાય તો તેને પણ મરણતોલ ફટકો પડી શકે છે.

ડિવાઈન લાઈટ :- ચીની લશ્કરી સાહસ
ચીન હાલમાં માત્ર એન્ટી સેટેલાઈટ સીસ્ટમ, એન્ટી મિસાઈલ લેસર વેપન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે આગેકૂચ કરી રહ્યું છે. એટલું જ નહીં જાણકારોનાં મત પ્રમાણે લેસર વેપન્સ વિકસાવવામાં ચીને અમેરિકાની બરોબરી કરી છે, અથવા તેનાથી આગળ નિકળી ગયું છે. ચીને 'ડિવાઈન વાઈટ' કોડ નેમ હેઠળ લેસર બીમ અને અન્ય ડાયરેકટેડ એનર્જી વેપન્સ તૈયાર કરવાનો પ્રોજેક્ટ અમલમાં મુકેલ છે. બીજીંગ દ્વારા ૧૯૬૦નાં દાયકામાં પ્રોજેક્ટ ૬૪૦-૩ નામે લેસર વેપન્સ ટેકનોલોજી વિકસાવવાની શરૃઆત કરવામાં આવી હતી. ૧૯૭૯માં પ્રોજેક્ટનું નામ બદલીને ૮૬૩ પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું. આજે ચીન તેની લેસર ટેકનોલોજી વિકસાવવા ૧૦ હજાર લોકોને કામમાં જોતરી ચૂક્યું છે. જેમાં ૩૦૦૦ ઈજનેરો અને ૩૦૦ વિવિધ સંશોધન સંસ્થાઓ જોડાએલી છે. ચીનનાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનાં ૪૦ ટકા નાણા લશ્કરી એપ્લીકેશનનાં વિકાસ માટે વાપરવામાં આવી રહ્યાં છે.

ચીન તેનાં નવા કૉન્સેપ્ટ વેહીકલ તૈયાર કરવા માંગે છે. તેમાં હાઈપાવર લેસર, હાઈપાવર માઈક્રોવેવ, રેલ ગન, કોઈલ ગન, પાર્ટીકલ બીમ અને પ્લાનિંગ વેપન્સનો સમાવેશ થઈ રહ્યો છે. ૧૯૯૭માં પાઉન્ડ બેઝ લેસર વાપરીને ચીને તેનાં એરફોર્સનાં MSTI-૩ સેટેલાઈટને નાકામીયાબ બનાવ્યા હતાં. ત્યારબાદ અમેરીકાનાં DRNO અને બોઈંગ કંપનીએ ૭૪૭ એરલાઈનર પર લેસર વેપન્સ ગોઠવીને ચકાસણી કરી હતી જે ઈન્ટરકોન્ટીનેટલ બેલાસ્ટીક મિસાઈલને તોડી પાડવા વાપરી શકાય તેમ છે.

ચીન કાઈનેટીક વેપન્સ જેવા મિસાઈલ તૈયાર કરી રહ્યું છે. ૨૦૦૭માં આવા મિસાઈલ વડે પોતાનો સેટેલાઈટ તોડી નાખ્યો હતો. જેનો ૩૦૦૦ ટુકડાનો ભંગાર વાતાવરણમાં ફેલાતા સ્પેસક્રાફટને નુકશાન થવાનો ભય આંતરરાષ્ટ્રીય સમુદાયે વ્યક્ત કર્યો હતો. મે- ૨૦૧૩માં ચીને એન્ટી બેલાસ્ટીક મિસાઈલ તૈયાર કરીને ટેસ્ટ કરી હતી. જેમાં એન્ટી સેટેલાઈટ વેપન્સને ભ્રમણકક્ષામાં ગોઠવવાની ક્ષમતા ધરાવતું હતું. વર્લ્ડ નેટ ડેઈલીની માહિતી પ્રમાણે ચીને ફ્રી ઈલેક્ટ્રોન લેસર વિકસાવ્યું છે. જેની તરંગ લંબાઈ અને બેન્ડ વિન્ડ 'એડજસ્ટ' કરીને તેની રેન્જ પાંચ હજાર કી.મી. સુધી પહોંચાડી શકાય છે.

અમેરિકન ડિફેન્સ ઈન્ટેલીજન્સ એજન્સીને જાસુસોની જરૃર છે
ચીનની ડાયરેક્ટેડ એનર્જી વેપન્સમાં વધતી જતી દિલચસ્પીનાં કારણે વર્જીનિયા ખાતે આવેલા ડિફેન્સ ઈન્ટેલીજન્સ એજન્સી સક્રીય બની ગઈ છે. તેઓ ચીનની આ ક્ષેત્રમાં થયેલી પ્રગતિ પર ચાંપતી નજર રાખવા માંગે છે. એજન્સીએ લો એનર્જી અને હાઈ એનર્જી લેસર બીમ વેપન્સ પર ધ્યાન કેન્દ્રીત કરેલ છે. ચીન પર જાસૂસી કરવા એજન્સીએ નવા જાસુસોની ભરતી માટે જાહેરાત અને આદેશ આપી દીધા છે. જેમાં ઉમેદવાર પાસે ૧૦ વર્ષનો શસ્ત્રો ઓળખવાનો અનુભવ અને ગણીત કે કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર કે પીએચડીની ડિગ્રીની લાયકાત માંગી છે. અમેરિકા તેમની પાસે જેમ્સ બૉન્ડ સ્ટાઇલમાં જાસૂસી કરાવવા માંગતું નથી. વિવિધ એજન્સીઓ પાસેથી મેળવેલ ડેટા અને સેટેલાઈટ દ્વારા મેળવવામાં આવતાં ફોટોગ્રાફ ઉપરથી ચોક્કસ તારણ નિષ્કર્ષ કાઢવા માટે નવી ટીમ તૈયાર કરવામાં આવી છે.

અમેરિકન ડિફેન્સ એજન્સી તેનાં ૧૪ કોન્ટ્રેક્ટર પાસેથી જાસૂસી દ્વારા મેળવાયેલી સામગ્રીને છુટી પાડી માહિતી મેળવવાનું, પરદેશી ભાષામાં લખાયેલા દસ્તાવેજનું ભાષાંતર કરવાનું અને માહિતી આધારીત પ્રોટોટાઈપ મોડેલ તૈયાર કરવા માંગે છે. અમેરિકા માત્ર ચીન જ નહીં અન્ય દેશો ઉપર પણ જાસૂસી કરવા માંગે છે. ચીન ઉપર પ્રભુત્વ જાળવી રાખવા માટે અમેરિકા ૩૦ કીલો વોટની લેસર વેપન સીસ્ટમ વિકસાવી છે. જેનાં બે પ્રયોગો સફળ રહ્યા હતાં. આ સીસ્ટમ અમેરિકન નેવલ સી સીસ્ટમ કમાન્ડને સોંપવામાં આવી છે. નેવીને અમેરિકન સીમમાં ઘુસી આવતા બીન-અધિકૃત ડ્રોન વિમાન, હેલિકોપ્ટર કે ફાસ્ટ પેટ્રોલ ક્રાફ્ટને આ સીસ્ટમ વડે તોડી પાડવા આદેશ અપાયેલાં છે.

ચીન અમેરીકાનાં વોરશીપ પર સસ્તા ડ્રોનની ટુકડીઓ વડે હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. તેના જવાબમાં અમેરિકા પોતાના ડાયરેકટેડ એનર્જી વેપન્સ વિકસાવી રહ્યું છે. જેની ઘણી બધી માહિતી અમેરિકા ગુપ્ત રાખી છે.

ઑટો ફજી, માઇક્રો મશીન અને...


Pub. Date: 16.09.2016

આ વખતે નોબેલ પ્રાઇઝ વિજેતામાં એક પણ મહિલાનો સમાવેશ થતો નથી

આલ્ટો યુનિવર્સિટી હેલસીન્કી, ફિનલેન્ડનાં પ્રો. લંચ લેવા માટે બહાર નીકળીને કાર પાર્કિંગ એરીયામાં આવ્યા. અચાનક તેનાં સેલફોનની રીંગટોન વાગવા માંડી. તેમણે કોલ રીસીવ કર્યો ત્યારે તેમનો પ્રથમ ઉદ્ગાર હતો. જીસસ ! ધેટ્સ ઈન્ક્રીડીબલ, ધેટ્સ એમેજીંગ ! ઉદ્ગાર સાંભળીને ખ્યાલ આવી ગયો હશે કે કંઇક આશ્ચર્યજનક ઘટના બની હશે. લગભગ બધાજનાં ઉદ્ગાર આશ્ચર્ય અને હર્ષ મિશ્રિત હતાં. કારણ કે તેમને વિશ્વ પ્રસિદ્ધ અને મબલખ નાણા આપતું 'નોબેલ પ્રાઇઝ' તેમને મળ્યું હતું. વિશ્વ હેલસિન્કીનાં પ્રોફેસર એટલે પ્રો. માયકલ કોસ્ટર લીઝ. તેમને અન્ય બે વૈજ્ઞાાનિકો સાથે રસાયણશાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ મેળવ્યું છે. આ વખતે બ્રિટનની વૈજ્ઞાાનિક ત્રિપુટીને ભૌતિકશાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ મળ્યું છે. જે હાલમાં અમેરિકામાં સંશોધન કરનાર અને અમેરિકન નાગરિકત્વ મેળવનાર વૈજ્ઞાાનિક ત્રિપુટી છે.

૨૦૧૬નું મેડિસિન એટલે કે તબીબી વિજ્ઞાનનું 'નોબેલ પ્રાઇઝ' જાપાની વૈજ્ઞાાનિક યોશીનોરી ઓસુમીને મળ્યો છે. ૧૯૦૧માં નોબેલ પ્રાઇઝ આપવાની શરૃઆત કરવામાં આવી ત્યારે, મળતી ધનરાશિ, એક સારા પ્રોફેસરને ૨૦ વર્ષની નોકરી કરતાં જે નાણા મળે તેટલાં નાણાં વૈજ્ઞાનિકને 'નોબેલ' પ્રાઇઝ સ્વરૃપે  મળતાં હતાં.

નોબેલ પ્રાઇઝ : આધી હકીકત....
નોબેલ પ્રાઇઝ મળે એટલે વ્યક્તિ રાતોરાત સેલીબ્રીટી બની જાય છે. તેમાં અભિપ્રાયનું વજન પડે છે. આજે પ્રાઇઝ સાથે ૮૦ લાખ સ્વિડીશ ક્રોનોર મળે છે. (એક ક્રોનોર = ૭.૭૧ રૂપિયા) એટલે કે ૬.૧૭ કરોડ રૂપિયા મળે છે. આજે પૈસા કરતાં પ્રસિદ્ધ વધારે મળે છે. તમે આઇનસ્ટાઇન, મેરી ક્યુરી અને હેમિગ્વેની હરોળમાં આવી જાવ છો. નોબેલ પ્રાઇઝનાં જજ વિજેતા સિવાય કોઇનાં નામ જાહેર કરતાં નથી. તેઓ ન્યુક્લીઅર કોડ માફક જીવનભર રહસ્ય જાળવી રાખે છે. આમ કરવાનાં બે કારણ છે. એક : જેને નોબેલ પ્રાઇઝ મળ્યું નથી તેને 'હાર'નો અનુભવ કરવો પડતો નથી. માનસિક યાતનામાંથી તે બચી જાય છે. બે : નોબેલ પ્રાઇઝ કોઇ સ્પર્ધા નથી કે જીતેલા અને હારેલાની યાદી મૂકવી જોઇએ. પહેલાં વિજ્ઞાન જગત એટલું નાનું હતું કે જજ સીધા જ વૈજ્ઞાાનિકનાં સંપર્કમાં આવી તેને પ્રભાવિત કરવાનો કે તેણે તેમનાં પર ઉપકાર કર્યો છે એવો દેખાવ કરી શકતો હતો.

આ વખતે વૈજ્ઞાાનિકો માનતા હતાં કે લીગોનાં વૈજ્ઞાાનિકોએ કરેલ ગ્રેવીટેશન વેવ્ઝ / ગુરૃત્વ તરંગોની શોધને નોબેલ પ્રાઇઝ મળવું જોઇએ. જો કે નોબેલ પ્રાઇઝ માટેનાં નામાંકન રજૂઆત જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં થઇ જાય છે.જ્યારે ગ્રેવિટી વેવ્ઝની જાહેરાત ફેબુ્આરી મહિનામાં કરવામાં આવી હતી. હજુ મોડું થયું નથી. ભવિષ્યમાં આ શોધને નોબેલ મળી શકે છે. આ વખતે આપવામાં આવેલા વિજ્ઞાનનાં ત્રણેય પ્રાઇઝનાં સંશોધનો બે-ત્રણ દાયકા જેટલાં જુનાં છે. મહત્વની વાત એ છે કે ત્રણ પ્રાઇઝ જેને આપવામાં આવ્યા છે તે વિજ્ઞાન ને ટેક્નોલૉજીમાં ફેરવવામાં બે-ત્રણ દાયકા વીતી જાય તેમ છે એટલે કે આજે આપવામાં આવેલ ઈનામી આવિષ્કારનાં 'ફળ' લાંબા ભવિષ્યકાળમાં ખાવા મળે તેમ છે. એક અર્થમાં ત્રણેય આવિષ્કારે ભૂતકાળનાં સાયન્સ ફિકશનને 'ફેક્ટ'માં બદલી નાખવાનું કામ કર્યું છે.

નોબેલ ફાઉન્ડેશન પણ નવા સંશોધનો કે આવિષ્કારનાં ભવિષ્યનાં ઉપયોગો કે ઉપયોગીતા સાબિત ન થાય ત્યાં સુધી થોભો અને રાહ જુઓની નીતિ અપનાવે છે. જેમાં કેટલીક વાર વૈજ્ઞાાનિક સ્વર્ગે સીધાવી જાય છે. અને... સ્વર્ગસ્થ વ્યક્તિને 'નોબેલ પ્રાઇઝ' આપવામાં આવતું નથી. જેને કહેવાય ''આપ મુએ, ડુબ ગઇ દુનિયા.''

એન્ડ ધ વિનર ઈઝ....
તબીબી શાસ્ત્ર : ૨૦૧૬નું તબીબી વિજ્ઞાન એટલે કે મેડિસીનનું નોબેલ પ્રાઇઝ જાપાની વૈજ્ઞાાનિક યોશીનોરી ઓશુમીને ફાળે ગયું છે. નોબેલ પ્રાઇઝ મેળવનારાં તે ૨૫માં જાપાની વૈજ્ઞાાનિક છે. જ્યારે તબીબી શાસ્ત્રનું 'નોબેલ પ્રાઇઝ' મેળવનાર તેઓ ચોથા જાપાની વૈજ્ઞાાનિક છે. કોષની આંતરિક સ્તરે ચાલતી ઑટોફજી - આત્મભક્ષણ જેવી જૈવિક પ્રક્રિયાનું રહસ્ય ખોલવા માટે તેમને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે. જેનો અભ્યાસ કેન્સર અને પાર્કીન્સન જેવા રોગની સારવારમાં ઉપયોગી બનશે.

ભૌતિકશાસ્ત્ર : ભૌતિકશાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ ડેવિડ થોલેસ, ડંકન હાલ્ડેન અને માયકલ કોસ્ટરલીઝને આપવામાં આવ્યું છે. તેમને આ પ્રાઇઝ પદાર્થની વિશિષ્ટ અવસ્થાને ખાસ પ્રકારનાં ગણિતશાસ્ત્રની મદદથી ઉકેલવા માટે આપવામાં આવ્યું છે. જેને ટોપોલોજીકલ ફેસ ટ્રાન્ઝીકશન અને ટોપોલોજીકલ ફેઝ ઓફ મેટર કહે છે. જેમાં ટોપોલોજી એ ગણિતની એક વિશિષ્ટ શાખા છે. આ સંશોધનમાં સુપર ફ્લુઇડ, સુપર કન્ડક્ટીવીટી અને ઝીરો વિસ્કોસીટી/સ્નિગ્ધતાનાં લક્ષણોનું રહસ્ય ઉકેલવાનો પ્રયત્ન થયો છે.

રસાયણશાસ્ત્ર : જીન પિઅરી સાવેજ, સર જે. ફ્રેસર સ્ટોડર્ટ અને બર્નાડ ફેરીંગાને રસાયણશાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું છે. જે નેનો ટેકનોલોજીનાં વિકસતા ક્ષેત્ર માટે આપવામાં આવ્યું છે. તેઓએ અતિ સૂક્ષ્મ મોલેક્યુલર મશીન વિકસાવ્યા છે. જેનું કદ માથાનાં વાળની જાડાઇ કરતાં પણ હજાર ગણું સૂક્ષ્મ છે. જેને વૈજ્ઞાાનિકો માઇક્રો મશીન્સ પણ કહે છે. અતિ સૂક્ષ્મ લિફ્ટ, મીની મોટર્સ અને કૃત્રિમ સ્નાયુઓનો માઇક્રો/મોલેક્યુલર મશીનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ઓટોફજી : કોષનાં રિ-સાયકલીંગ યુનિટની કામગીરી
યોશીનોરી ઓશુમી, ૭૧ વર્ષનાં જાપાની વૈજ્ઞાાનિક છે. તેઓ તોક્યો ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીનાં પ્રોફેસર છે. ૨૦૧૬નું મેડિસીન ક્ષેત્રનું નોબેલ પ્રાઇઝ તેમને આપવામાં આવ્યું છે. તેમનું સંશોધન કોષમાં નકામા જૈવિક ભાગો અને બાહ્ય પદાર્થો, કચરાનો નિકાલ કઈ રીતે કરે છે. તેને લગતું છે. ૧૯૯૦નાં દાયકામાં તેમણે કોષમાં ચાલતી જૈવિક પ્રક્રિયા 'ઓટોફજી' વિશે સંશોધન કર્યું હતું. કોષમાં આવેલ વિશિષ્ટ અંગીકા વિકૃત થઈ ગયેલા, નુકસાન પામેલા કોષ અંગો અને કોષ પર આક્રમણ કરનાર બાહ્ય પદાર્થોને કઈ રીતે નિકાલ થાય છે. તે પ્રક્રિયા ઓટોફજી તરીકે ઓળખાય છે. ૧૯૫૦નાં દાયકામાં વૈજ્ઞાાનિકો જાણતા હતા કે કોષમાં નકામા પદાર્થનો નિકાલ ઓટોફજી/ સ્વભક્ષણ/ આત્મભક્ષણ દ્વારાં થાય છે. પરંતુ આ પ્રક્રિયા કઈ રીતે ચાલે છે. તેની સાથે કયાં જનીનો સંકળાયેલા છે ? તે વાત વૈજ્ઞાાનિકો જાણતાં ન હતાં. આ સવાલોનાં ઉત્તરો મેળવવાનું કાર્ય જાપાની વૈજ્ઞાાનિક યોશીનોરી ઓશુમી કર્યું હતું. કોષમાં રિસાયકલીંગ પ્રોસેસ વિશે તેમણે ઉંડાણથી સંશોધન કર્યું હતું.

કોષમાં લાઇસોઝોમ નામનાં સૂક્ષ્મ ખાતા જેવી રચનાં હોય છે. કોષમાં નક્કામાં પદાર્થો અને વિદેશી પદાર્થોની આસપાસ પ્રોટીનનું ખાસ કવચ ગોઠવાઈ જાય છે. જેને ટ્રાન્સપૉર્ટ કરીને લાઇસોઝોમમાં ધકેલી દેવામાં આવે છે. અહીં પદાર્થો ચવાઈ-ખવાઈ જઇને વિઘટન પામે છે. જાપાની વૈજ્ઞાાનિકોએ આથો લાવવા માટે વપરાતી ''યીસ્ટ'' નામની ઉપયોગી ફૂગ પર સંશોધન કર્યા હતાં. ઓટોફજી/આત્મભક્ષણ નામની પ્રક્રિયા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. કોષો જ્યારે ભૂખે મરે છે. એટલે કે ઉપવાસ જેવી અવસ્થામાં કોષને ખોરાક મળતો નથી ત્યારે, કોષ સ્વયંમ તેમાં રહેલા પ્રોટીન અને બિનજરૃરી પદાર્થોનું ભક્ષણ કરે છે. જેને પુન:ઉપયોગ કરી, કોષ માટે ઉપયોગી ઉર્જા મેળવે છે. ઓટોફજી નામે ઓળખાતી પ્રક્રિયામાં વાયરસ અને બેક્ટેરીયાનું પણ કોષ ભક્ષણ કરી જાય છે. કોષમાં રહેલા નુકસાન પામેલા પોતાના માળખાને પણ કોષ સ્વંયમ ખાઇ જાય છે. જેથી આ પ્રક્રિયા ઓટોફજી/સ્વયંમ ભક્ષણ કરે છે. આ પ્રક્રિયાનો ઉપયોગ કેન્સરની વૃદ્ધિ સમજવા માટે, રોગ પ્રતિરક્ષા પ્રણાલીને લગતાં રોગો, ચેતાકોષનાં વિઘટન કરતાં રોગોનો અભ્યાસ માટે થઇ શકે છે. આવા રોગોની સારવાર શોધવામાં 'ઓટોફજી' ઉપયોગી બને તેમ છે.

ટોપોલોજીકલ ફેઝ ટ્રાન્ઝીશન :- મટીરીયલનાં ''સુપર'' ગુણધર્મ
બ્રહ્માંડમાં રહેલો પદાર્થ, સામાન્ય રીતે આપણે દૈનિક જીવનમાં જોઇએ છીએ તેવી ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થામાં હોય છે. પરંતુ જ્યારે તાપમાન અતિશય ઘટાડી નાખવામાં આવે અથવા અતિશય વધારવામાં આવે ત્યારે પદાર્થ/મેટર વિચિત્ર રીતે વર્તે છે. પદાર્થનું તાપમાન ખૂબ જ નીચે લઈ જવામાં આવે ત્યારે તે સુપર કન્ડક્ટર એટલે કે અતિ-વાહક તરીકે વર્તે છે. પદાર્થની વર્તણૂકને સમજવા માટે બ્રિટનમાં જન્મેલાં ત્રણ વૈજ્ઞાાનિકો અનુક્રમે ડેવિડ થોલેસ, એફ. ડંકન એમ. હાલ્ડેન અને જે. માયકલ કોસ્ટરલીઝનો સમાવેશ થાય છે.

અત્યાર સુધી વૈજ્ઞાાનિકો માનતા હતાં કે પદાર્થ કે પ્રવાહીનાં અતિ સૂક્ષ્મ સ્તર/લેયર પર ખૂબ જ નીચા તાપમાનની અસર થતી નથી. આવું સૂક્ષ્મ લેયર સુપર કન્ડક્ટર તરીકે કામ કરતું નથી. વૈજ્ઞાાનિક ત્રિપુટીએ આ વાત ખોટી પાડીને શોધી કાઢ્યું છે કે અતિસૂક્ષ્મ લેયરમાં વિજવાહક પદાર્થ સુપર કન્ડક્ટર માફક વર્તે છે. જ્યારે સપાટી પર પદાર્થનાં અણુઓની જાડાઇ જેટલાં પાતળા સ્તરની રચના કરવામાં આવે ત્યારે તેની જાડાઇ/ખરેખર તો પાતળાપણુ એટલું સૂક્ષ્મ હોય છે કે ત્રીજું પરિમાણ, લંબાઈ અને પહોળાઈનાં પરીમાણ કરતાં અબજો ગણુ ઓછું હોય છે. આ કારણે આવા લેયરને ટુ ડાયમેન્શનલ લેયર તરીકે વૈજ્ઞાાનિકો સ્વીકારે છે.

વૈજ્ઞાાનિક ત્રિપુટીએ 'ટોપોલોજી' નામની ગણિત શાખાનો ઉપયોગ કરીને વિજવાહક, વિજઅવાહક અને વિજઅર્ધવાહક ૨B લેયરમાં પદાર્થની બિહેવીયર/વર્તણૂક સમજાવી છે. પદાર્થને ખેંચવામાં આવે, મરોડવામાં આવે કે વિકૃત કરવામાં આવે ત્યારે પદાર્થ નુકસાન પામતો નથી. પરંતુ તેની સપાટીમાં થતાં ફેરફારનાં કારણે રેણુઓ-અણુઓની લાક્ષણિકતા બદલાય છે. જેને 'ટોપોલોજીકલ ફેઝ ચેન્જ' કહે છે.
૧૯૭૦નાં ગાળામાં કોસ્ટરલીઝ અને થોલેસ પાતળા સ્તરમાં સુપર કન્ક્ટીવિટી અને સુપર ફલુઇડીટીનો આવિષ્કાર કર્યો હતો. ૧૯૮૦માં ડંકન હાલ્ડેને પુરવાર કર્યું હતું કે ટોપોલોજીકલ કન્સેપ્ટનો ઉપયોગ અતિસૂક્ષ્મ ચુંબક અને અન્ય મટીરીયલને સમજવા માટે થઇ શકે છે. કોસ્ટરલીઝ કહે છે જ્યારે આ શોધ થઇ તેની મહત્વતા હું સમજી શકું તેટલો પરિપકવ હું નહતો. વીસ વર્ષનો હું લીટલ સ્ટુપીડ અને ઇડિયટ હતો. આ થ્રી ઇડીયટની શોધમાં હાલમાં કોઈ ઉપયોગ દેખાતા નથી પરંતુ ભવિષ્યમાં જ્યારે ક્વોન્ટમ્ કોમ્પ્યૂટર બનશે ત્યારે આ શોધ તેમનાં માટે ખૂબ જ મહત્ત્વની સાબિત થશે.

માઈક્રો/મોલેક્યુલર મશીન્સ : નેનોટેકની કમાલ
યુરોપની વૈજ્ઞાાનિક ત્રિપુટી જીન પીઅરી સાવેજ, સર ફ્રેઝર સ્ટોડર્ટ અને બર્નાડ ફેરીંગાને ૨૦૧૬નું નોબેલ પ્રાઇઝ સંયુક્ત રીતે આપવામાં આવ્યું છે. જે તેમને મોલેક્યુર મશીનની ડિઝાઇન અને સંશ્લેષણ માટે મળ્યું છે.મીડિયાએ વૈજ્ઞાાનિક ત્રિપુટીની શોધને, દુનિયાનાં સૌથી સૂક્ષ્મ મશીન તરીકે ઓળખાવી છે. નેનો સ્કેલ પર વિકસાવવામાં આવેલ મોલેક્યુર મશીનને બાહ્ય ઊર્જા આપવામાં આવે છે ત્યારે કોઇક વિશિષ્ટ કાર્ય તે કરે છે. મોલેક્યુલર મશીન વિધૃત મોટર, લિફ્ટ કે કુત્રિમ સ્નાયુ જેવું કાર્ય કરી શકે છે.

૧૯૮૩માં સોવજે, કો વેલન્ટ બોન્ડ અને ઇલેકટ્રોન પેરનો ઉપયોગ કરી એક મોલેક્યુલર રચના કરી હતી. જેને ગરમી મળતાં જ તે ગતિમાં આવી આઘી-પાછી થતી હતી. આ રચનાને તેમણે 'રોટાક્ષેન' નામ આપ્યું હતું. ૧૯૯૯માં નેધરલેન્ડનાં બેન ફેરીંગાએ મોલેક્યુલ વાપરીને વિદ્યુત મોટર જેવી રચના કરી હતી. આ પ્રકારના મોલેક્યુલર બંધારણને અલ્ટ્રા વાયોલેટ લાઇટમાં રાખતાં જ તે વિદ્યુત મોટરની માફક ધરી ઉપર એક જ દીશામાં ગોળ ફરવા લાગતી હતી. ૨૦૧૧માં ફેરીંગાએ આગળ વધીને ચાર પૈંડાવાળી નેનો-કાર જેવી મોલેક્યુલર ડિઝાઇન તૈયાર કરીને નામનાં મેળવી હતી. ગયા ઑક્ટોબરમાં વૈજ્ઞાાનિકોએ સુવર્ણની સપાટી પર નેનો-કારની રેસ પણ યોજી હતી.

બર્નાડ ફેરીંગાએ નોબેલ પ્રાઇઝ જીત્યા બાદ કહ્યું હતું કે, ''હું રાઇટ બ્રધર્સ જેવી લાગણી અનુભવું છું. જેમણે ૧૦૦ વર્ષ પહેલાં પ્રથમવાર હવામાં મશીન ઉડાડયું હતું. ત્યારે લોકો કહેતાં હતાં કે આપણે ફલાઇંગ મશીનની શું જરૃર છે ? એક સદી બાદ આપણે તોતીંગ બોઇંગ ૭૪૭ અને એર બસ ઉડાડીએ છીએ.'' અમે જે સ્માર્ટ મશીન બનાવ્યા છે તે આવનારાં ભવિષ્ય માટે છે. નેનોસ્કેલ એનર્જી સ્ટોરેજ માટે પણ તેનો ઉપયોગ થઇ શકશે. તબીબી ક્ષેત્રે તેનો ઉપયોગ થઇ શકશે. શરીરમાં ડેમેજ થયેલાં કોષોનો નિકાલ કરવા માટે તેને વાપરી શકાશે. રક્તવાહીનીઓને બ્લૉક કરનારાં ચરબીનાં કણો આવા મશીન સાફ કરી શકશે. દવાનાં કણોને ચોક્કસ કોષો સુધી લઈ જવાનું કામ મોલેક્યુલર મશીન કરી શકશે. મોલેક્યુલર/માઇક્રો મશીનને તમે ભવિષ્યનાં માઇક્રો રોબોટ ગણી શકો છો.