Sunday 22 May 2016

૧૨૫ વર્ષના એવિયેશન ઈતિહાસનું ભવિષ્ય એટલે...લીલીયમ : પ્રાઈવેટ ઈલેક્ટ્રિક જેટ પ્લેન

 Pub.Date:  22.05.2016
સમાચાર નં. ૧ :- આજથી ૧૨૫ વર્ષ પહેલાં જર્મનીનાં ઓટો લિલીન્થાલે જાતે જ 'ગ્લાઈડર' બનાવીને ઉડાડયું હતું. તેનું મૃત્યુ પણ ગ્લાઈડરને નડેલ અકસ્માતનાં કારણે જ થયું હતું. હવે એક સદી બાદ, ઓટો લિલીન્થાલનાં 'ફલાઈંગ મશીન'ની નકલ બનાવીને આધુનિક વિન્ડ ટનલમાં ટેસ્ટ કરવા માંગે છે. ઓટો લિલીન્થાલનું ફલાઈંગ મશીન કઈ રીતે કામ કરતું હતું ? તેને અકસ્માત કઈ રીતે નડયો તેનાં સંભવીત કારણો જાણવા મળશે. આ વાત થઈ 'ભૂતકાળ'ને વર્તમાનની પ્રયોગશાળામાં ચકાસવાની !
સમાચાર નં. ૨ :- યુરોપીઅન સ્પેસ એજન્સી ઈંડા આકારની, ભવિષ્યની 'પ્રાઈવેટ જેટ' કહી શકાય તેવી. વર્ટીકલ ટેક ઓફ એન્ડ લેન્ડીંગ ધરાવતી સીસ્ટમની ચકાસણી કરશે. જેને ટેકનીકલ ભાષામાં VTOL કહે છે. VTOL ને આપણે 'હેલીકોપ્ટર' તરીકે ઓળખીએ છીએ. જોકે યુરોપીઅન સ્પેસ એજન્સી જેની ચકાસણી કરવાનું છે તે દેખાવમાં હેલીકોપ્ટર નહીં પણ એસ્ટલેન જેવું છે. અને ખાસ વાત ભવિષ્યનું 'પ્રાઈવેટ જેટ' ઈલેક્ટ્રીક પાવર પર ચાલે છે. ટુંકમાં નજીકનાં ભવિષ્યમાં ઈલેક્ટ્રીક પ્રાઈવેટ એર ટેક્ષી (કે તેને જેટ પ્લેન) કહી શકાય તેને લોકો ઉડાડી શકાય તેવા દિવસો હાથવેંતમાં છે. ભૂતકાળ અને ભવિષ્યકાળ બંને ટેસ્ટ ગ્રાઉન્ડ ઉપર છે. એક ફલાઈંગ વિઝીટની મજા લઈએ.

એવિયેશન :- જ્યારે ઈતિહાસની પ્રસ્તાવના લખાઈ !

મનુષ્ય આકાશમાં પતંગ ઉડાડતો થયો ત્યારે જ પતંગ સાથે ઉડવાનું સ્વપ્ન સેવ્યું હશે. જેમાંથી 'ગ્લાઈડર'નો જન્મ થયો હતો. હવાઈ ઉડ્ડયનનો ઈતિહાસ રોચક છે. એરોડાયનેમિક્સથી એવીયેશન વચ્ચે મનુષ્યનો ઈતિહાસ સચવાયેલો છે. એરોડાયનેમિક્સ આકાશમાં ઉડવાની વાતને સૈદ્ધાંતિક સ્વરૃપ આપે છે. જ્યારે 'એવીયેશન' વિજ્ઞાાન તેને પ્રેક્ટીકલ સ્વરૃપ આપે છે. ટેકનોલોજી એ અઠારમી સદીથી ટેક ઓફ કર્યું. પરંતુ તેની રૃપરેખા લિઓનાર્દો દવિન્સીએ ૧૫મી સદીમાં જ દોરી આપી હતી. અઠારમી સદીમાં હાઈડ્રોજન વાયુનાં આવિષ્કારે માત્ર કેમિસ્ટ્રીને જ નહીં એવીયેશનને પણ પોતાની બાહોમાં ઝકડી લીધું હતું. હવે ઉડવા માટે 'હાઈડ્રોજન બલુન' તૈયાર હતું.
ઉડવા માટે સંશોધકો બે ક્ષેત્રમાં સંશોધન કરતાં હતાં. કેટલાંક લોકો હવા કરતાં હલકા સાધનનો ઉપયોગ કરી. (દા.ત. બલુન, ગ્લાઈડર, ઝેપલીન) આકાશ આંબવા માંગતા હતા. જ્યારે કેટલાંક હવાથી ભારે ચીજ હોય તેને પણ ઉડાડવા માંગતા હતાં. જે મશીન વડે ઊર્જા મેળવતું હોય અને એક પ્રકારનું મશીન જ હોય. જેમાંથી 'એરોપ્લેન'ને આકાર મળવાનો હતો.
પતંગની શોધ 'ચીન'માં થયેલી માનવામાં આવે છે પતંગ એ મનુષ્યએ બનાવેલ પ્રથમ 'મેનમેડ એરક્રાફ્ટ' ગણી શકાય. ચીન અને જાપાનનો સાહિત્યમાં મનુષ્યને ઉંચકીને ઉડી શકે તેવો પતંગોનો ઉલ્લેખ છે. મનુષ્યને આકાશમાં ઉડાડવાની શરૃઆત ફ્રાન્સમાં થવાની હતી. ૧૭૮૩ એવિયેશનનાં ઈતિહાસની પ્રસ્તાવના લખે તેવું વર્ષ હતું. ૪ જુન ૧૭૮૩ રોજ મોન્ટોગોલ્ફીયર બ્રધર્સે હોટ એર બલુનને ફ્રાન્સમાં ઉડાડી નવી શરૃઆત કરી. જોકે હજી હોટ એર બલુન મનુષ્યને લઈને આકાશમાં ગયું ન હતું. આ કામ ૧૯ ઓક્ટોબરનાં રોજ હોટ એર બલુન સાથે મનુષ્ય પણ આકાશમાં ગયો પરંતુ બલુનને દોરડાથી બાંધી રાખવામાં આવ્યું હતું. પહેલી ડિસેમ્બર ૧૭૮૩નાં રોજ જેક્સ ચાર્લ્સ અને નિકોલસ લુઈસ રોબર્ટ પેરીસમાં ચાર લાખ લોકોની હાજરીમાં હાઈડ્રોજન ભરેલ બલુનમાં ઉડયા હતાં. બે કલાક પાંચ મીનીટની ફલાઈટમાં તેમણે ૩૬ કી.મી.નું અંતર કાપ્યું હતું. અને... એવિયેશનની દુનિયામાં પનોતા પુત્રનું પારણું બંધાયું. એવા પનોતા પુત્રો પેદા થવાના હતાં. જે એવીયેશનની દુનિયાને આકાશની સીમારેખાઓ બતાવવાનાં હતાં.

ઉડ્ડયનની દુનિયાનાં મહામાનવ

ફીજીક્સ ઓફ ફલાઈટ એટલે કે ઉડ્ડયનનું ભૌતિકશાસ્ત્ર સમજવાનું કામ સર જ્યોર્જ કેલીએ શરૃ કર્યું હતું. જેનાં કારણે તેમને 'ફાધર ઓફ એરોપ્લેન' કહેવામાં આવે છે. જેમણે હવા કરતાં ભારે વસ્તુને કઈ રીતે ઉડાડી શકાય તે સંબંધીત અસંખ્ય પ્રયોગો કરી, પ્રથમવાર વૈજ્ઞાાનિક માહિતી એકઠી કરી હતી. તેમની ડિઝાઈન તૈયાર કરી હતી. 'હોટ એર' બલુન બાદ હવે હવા ભરેલ 'એરશીપ'નો યુગ શરૃ થયો. જીન-પીઅરી બ્લોકાર્ડે ૧૭૮૪માં તેનું પ્રથમ ડેમોસ્ટેશન કરી બતાવ્યું અને ૧૭૮૫માં 'ઈંગ્લીશ ચેનલ' પાર કરી બતાવી હતી. હવે જર્મનીની ઝેપલીન કંપની લાંબા અંતર માટે પેસેન્જર અને કાર્ગો લઈ જવાં 'ઝેપલીન એરશીપ' વાપરવા લાગ્યા. ૧૯૩૭ની ૬ મેનાં રોજ, 'એરશીપ'નો ગોલ્ડન પીરીયડ પુરો થયો. હિડેનબર્ગનાં અકસ્માતમાં ૩૬ લોકો મૃત્યુ પામ્યા હતાં. એક બાજુ 'એરોપ્લેન' એડવાન્સ અવસ્થામાં આવી રહ્યાં હતાં. જોકે તેની શરૃઆત પહેલાં એક જવામર્દ પોતાની જાન આપીને 'ગ્લાઈડર'ને નવી દીશા આપવાનો હતો. કારણ કે ગ્લાઈડરમાંથી એરોપ્લેનની ઉત્ક્રાંતિ થવાની હતી. આ મહામાનવ એટલે ઓટો લિલીન્થાલ. જેને જર્મને 'ગ્લાઈડર કીંગ' અથવા 'ફલાંઈગમેન' તરીકે ઓળખે છે.
ઓટો લિલીન્થાલે ૧૮૮૪માં લેખ લખ્યો જેનું ટાઈટલ હતું. બર્ડ ફલાઈટ એઝ ધ બેઝીસ ઓફ એવિયેશન. તેમણે હેંગ ગ્લાઈડર્સની આખી સીરીઝ તૈયાર કરી હતી. ૧૮૯૧માં તેમણે ગ્લાઈડર લઈને ઉડવા માંડયું હતું. ૧૮૯૬માં ગ્લાઈડીંગ દરમ્યાન તેમનું મૃત્યુ થયું. એ વચ્ચેનાં સમયગાળામાં તેમણે ૨૦૦ વાર 'ગ્લાઈડર ફલાઈટ'માં તેઓએ ઉડવાની મજા માણી હતી. એટલું જ નહીં પોતાના સમગ્ર કાર્યને 'ફોટોગ્રાફી' વડે દસ્તાવેજીકરણ કરવાનું પણ તેઓ ભુલ્યા ન હતાં. જ્યાં ઓટો લિલીન્થાલની દુનિયા ખતમ થઈ ગઈ. ત્યાંથી ઓકટેવ ચાણુટે એરક્રાફ્ટ ડિઝાઈન કરવાની શરૃઆત કરી હતી. જેમાંથી પ્રેરણા મેળવીને 'રાઈટ બ્રધર્સ' દુનિયાનું પ્રથમ 'એરોપ્લેન' તૈયાર કરી. ઈતિહાસ રચવાના હતાં. જોકે ઓટો લિલીન્થાલ અને રાઈટ બ્રધર્સની વચ્ચે એક અનોખો જર્મન નાગરીક આવી ગયો. જેનું નામ હતું. ''ગુસ્તાવ વેબફોફર'' તેણે અમેરિકામાં આશરો લીધો અને પોતાની અટક બદલીને બની ગયા. ગુસ્તાવ ''વ્હાઈટ હેડ''. કહેવાય છે કે રાઈટ બ્રધર્સ કરતાં અઢી વર્ષ પહેલાં, 'હેવીયર ધેન એર'ની પાવર્ડ ફલાઈટની શરૃઆત ગુસ્તાવ વ્હાઈટહેડે કરી હતી. જોકે તેને સત્તાવાર રીતે ઈતિહાસકારોએ સ્વીકારી નથી.

ઓટો લિલીન્થાલ :- ફરીવાર ભૂતકાળ સજીવ થશે

ઓટો લિલીન્થાલને આકાશમાં ઉડનાર પ્રથમ માનવી તરીકે ઓળખવામાં આવે છે. ૧૨૫ વર્ષ પહેલાં તેણે પોતે બનાવેલ 'ગ્લાઈડર' વાપરી નવો ઈતિહાસ રચ્યો હતો. પક્ષીનાં ઉડ્ડયનનો અભ્યાસ કરીને તેમણે એરો-ડાયનેમિક્સનું પદ્ધતિસરનું 'નોલેજ' મેળવ્યું હતું. ૧૮૯૧થી ગ્લાઈડીંગની શરૃઆત કરનારાં લિલીન્થાલ કુલ પાંચ કલાક આકાશમાં ઉડયા હતાં. ૯ ઓગસ્ટ ૧૮૬૯નાં રોજ ગ્લાઈડરને અકસ્માત નડતાં, ૫૦ ફુટની ઉંચાઈએથી તેઓ નીચે પટકાયા હતાં. તેમની ડોક ભાંગી ગઈ હતી. બીજા દિવસે બર્લીન હોસ્પીટલમાં તેમનું અવસાન થયું હતું. આકાશી અકસ્માતનો આ પ્રથમ દસ્તાવેજી પુરાવા વાળું 'ડેથ' હતું.
રાઈટ બ્રધર્સે પણ કબૂલ્યું હતું કે, ''લીલીન્થાલનું સંશોધન તેમનાં માટે પ્રેરણાસ્ત્રોત બન્યું હતું. જોકે એ વાત અલગ છે કે રાઈટ બ્રધર્સની ડિઝાઈન લીલીન્થાલ કરતાં અલગ હતી. તેમની પદ્ધતિ પણ આગવી હતી.''
હવે, જર્મન એરોસ્પેસ સેન્ટર (DLR) દ્વારા લિલીન્થાલનાં ગ્લાઈડર મોડેલની રીપ્લીંકા બનાવવામાં આવી છે. જેને હોલેન્ડમાં આવેલ ડચ વિન્ડટનલમાં પ્રથમવાર ચકાસણી પણ કરવામાં આવી છે. વિશાળ યાત્રીક હાથામાં ગ્લાઈડરને મનુષ્યનાં કરતાં મોડેલ સાથે લટકાવવામાં આવ્યું છે. અહીં તેના પર સંશોધન થશે.DLR નાં પ્રોજેક્ટ મેનેજર 'હેનીંગ રોઝમેન' છે. કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય એવિયેશનની શરૃઆત સમયે કેવી પરિસ્થિતિ હતી તેનો અભ્યાસ કરવાનો છે. ગ્લાઈડર સ્ટેબલ અવસ્થામાં કેટલું અંતર કાંપી શકે તેમ હતું ? એવિયેશનનાં પાયોનિઅરને આ રીતે અનોખી શ્રધ્ધાંજલિ જર્મનો આપશે. એક અર્થમાં ભૂતકાળને વર્તમાનમાં તેઓ જીવંત કરીને, ભૂતકાળને આજની પેઢી સામે રાખવાનું કામ થશે ! કદાચ વિન્ડ ટનલની ફલાઈટ ટેસ્ટમાં નવું પણ કંઈક જાણવા મળે.

લીલીયમ :- પ્રાઈવેટ ઈલેક્ટ્રીક જેટ પ્લેનનો યુગ આવી રહ્યો છે ?

યુરોપીઅન સ્પેસ એજન્સી ઈલેક્ટ્રીક 'વિટોલ' (VTOL) ની ચકાસણી કરવા જઈ રહ્યું છે. જે કદાચ વિશ્વનાં પ્રથમ ઈલેક્ટ્રીક એરોકોપ્ટરનું બીરૃદ પામશે. આ એરક્રાફ્ટને ટેક ઓફ કે લેન્ડીંગ કરવા માટે એરપોર્ટ કે હેલીપોર્ટની જરૃર પડશે નહીં. ટચુકડાં 'હેલીપેડ' વડે તેનું કામ ચાલી જશે. મજાની વાત એ છે કે પ્લેનની ડિઝાઈન જર્મનીમાં તૈયાર થઈ છે. યુરોપીઅન સ્પેસ એજન્સીએ VTOLનું નામ ''લીલીયમ'' રાખ્યું છે. 'લીલીયમ' ઈંડા આકારનું પ્લેન છે. એરોપ્લેન મહત્તમ ચારસો કી.મી. પ્રતિ કલાકની ઝડપે ઉડશે. અને લગભગ ૫૦૦ કી.મી. એકધાર્યું ઉડી શકશે.
શહેરી વિસ્તારમાં પ્રદુષણ અને ઘોંઘાટ ઘટાડવામાં 'લીલીયમ' મોટું કામ કરશે. ઈલેક્ટ્રીક જેટ ૨૦૧૮માં વેચાણ માટે બજારમાં આવશે. જોકે હજી તેની કિંમત નક્કી થઈ નથી. દેખાવમાં તે 'ફલાઈંગ કાર' જેવું લાગે છે. બે પેસેન્જર વાળુ જેટ પ્લેન ૪૩૫ હોર્સ પાવરનું એન્જીન વાપરશે. 'લીલીયમ'માં આધુનિક ઈલેક્ટ્રોનીક્સ ઉપકરણો પણ હશે. માત્ર ૨૦ કલાકની ટ્રેઈનીંગ બાદ પાયલોટનું લાઈસન્સ મળી જશે. અહીં નોંધવાપાત્ર મુદ્દો એ છે કે આવું ઈલેક્ટ્રીક પ્લેન માત્ર દિવસ દરમ્યાન સારી 'વેધર કંડીશન'માં જ ઉડાડી શકાશે.
૫૦ ફુટ બાય પચાસ ફુટનાં વિસ્તારમાં પ્લેન આસાનીથી ફીટ થઈ શકશે. લીલીયમની ડિઝાઈન જર્મન ઈજનેર ડેનીયલ વિગાન્ડે તૈયાર કરી છે. જેમાં પેટ્રીક નથાન, સિબાસ્ટીયન બોર્ન અને મેથિપાસ મેઈનરે મદદ કરી છે. ઉડ્ડયનની શરૃઆતમાં વધુમાં વધુ ૬૦૦ કી.ગ્રા. જેટલું વજન પ્લેન ઉઠાવી શકશે. ટેકનિકલ યુનિવર્સીટી ઓફ મ્યુનીચના ડિઝાઈનરની ટીમ આ પ્રોજેક્ટમાં લાગેલી છે. જેમને એરોનોટીક્સ, એરોડાપનેમિક્સથી માંડી રોબોટીક્સ અને અલ્ટ્રા-લાઈટવેર સ્ટ્રકચર બનાવવામાં નિપુર્ણતા હાંસલ કરેલ છે. યુરોપીઅન સ્પેસ એજન્સી (ESA) પ્રોજેક્ટને શરૃઆતનું ભંડોળ અને આધાર આપી રહ્યું છે. માટે બાતમે કુછ 'દમ' જરૃર હૈ

Sunday 8 May 2016

FERAL CHILD : વાસ્તવિકતાની વધુ નજીક, ''જંગલ બુક''નાં અસલી 'હીરો'

૦૮.૦૫.૨૦૧૬
થોડા સમય પહેલાં એક અદ્ભૂત સર્જનને હોલીવુડ દ્વારા ફરી જીવંત કરવામાં આવ્યું છે. આ સર્જન આ વખતે એનીમેશન કે કોમીક્સ દ્વારા રજુ થયું નથી. કોમ્પ્યુટરનાં CGIનો ઉપયોગ કરીને સુંદર સર્જન થયું છે. જેનું નામ છે 'જંગલ બુક'. ભાગ્યે જ કોઈ ભણેલ વ્યક્તિ હશે જેણે 'જંગલબુક'નું નામ સાંભળ્યું નહીં હોય! ૧૯૯૦ના દાયકામાં દુરદર્શન પર રજુ થયેલા સીરીયલમાં 'મોગલી' દરેક ઘરમાં જાણીતું નામ હતું. સવારે નવ વાગે ગીત શરુ થતું ''જંગલ જંગલ બાત ચલી હૈ, પતા ચલા હૈ આજ, ચડ્ડી પહન કે ફૂલ ખીલા હૈ, ફુલ ખીલા હૈ'' આ ગીતને ભાગ્યે જ કોઈએ જાણે અજાણ્યે ગણગણી નહી હોય. ગુલઝાર સાહેબનાં શબ્દો એ સમયે સીરીયલ જોનારાં બાળકોની જબાન, જબાન પર રમતાં હતાં. 'મોગલી'ને જોવા બાળકોથી માંડીને મોટાં લોકો પણ બેસી જતાં હતાં. ભારતની પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને લખાયેલ 'જંગલ બુક'નાં લેખક રડયાર્ડ કિપ્લીંગનું કનેક્શન પણ ભારત સાથે જોડાયેલું રહ્યું છે. સવાલ એ છે કે મનુષ્ય બાળકનો ઉછેર પ્રાણીઓ વાસ્તવમાં કરે ખરાં? શું એવા કોઈ કિસ્સા નોંધાયા છે કે 'જંગલબુક' નો 'મોગ્લી'ની સ્ટોરીને રીઅલ લાઈફ કેરેક્ટરમાં કન્વર્ટ કરી શકે? જંગલબુકનાં બેકગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડ રીઆલીટી વિશે વાત કરીએ.

જંગલી બાળક : માનવ સમાજથી વચિત
બાળક તેનાં જન્મ બાદ, મનુષ્ય સંપર્કથી દુર રહે છે ત્યારે તેનાં શારીરિક અને માનસિક વિકાસમાં ખામી સર્જાય છે. મનુષ્યનો સ્પર્શ, લાગણી, પ્રેમ, સંભાળ અને સામાજીક વર્તણુકથી આવું બાળક દૂર રહે છે. જેને અંગ્રેજીમાં ફેરલ ચાઈલ્ડ કે વાઈલ્ડ ચાઈલ્ડ કહે છે. ગુજરાતીમાં આપણે જંગલી બાળક કે વન્ય શીશુ કહી શકીએ. અનેક દંતકથાઓમાં જંગલી બાળકની વાત આવે છે. તેમાં રોમન દંતકથાનાં રોમુલસ અને રેમસ પ્રખ્યાત છે. ઈલ્બતુફાલનું હાવી, ઈબ્ન અલ નસીફનું કામીલ, રડયાર્ડ કીપલીંગનું મોગલી અને એડગર રાઈસબરોનું 'ટારઝન' નામની સર્જન 'જંગલ બાળ'નું ઉમદા ઉદાહરણ છે.
દંતકથા અને સાહિત્યનાં પાત્રો રૃપે આવતાં કેરેક્ટર્સ સામાન્ય રીતે સુપર પાવર ધરાવતા, અતિશય બુધ્ધિશાળી અને મનુષ્ય કરતાં વધારે નિતીવાન બતાવવામાં આવે છે. હકીકતમાં પ્રાણીઓ વચ્ચે ઉછરેલ બાળક 'જંગલબાળ' સામાજીક રીતે અલ્પ વિકસીત હોય છે. શરૃઆતથી જ ચાર પગે ચાલનારને ત્યાર બાદ બે પગ ચાલવામાં અનેક મુશ્કેલીઓ નડે છે. મુખ્ય સમસ્યા ભાષા શીખવા અને સમજવામાં પડે છે. ભાષાનું વ્યાકરણ તેમને જલ્દી સમજાતું નથી.
કપડાં પહેરવા તેમને ગમતા નથી. ભારતમાં અમલા-કમલા નામની બે સ્ત્રી જંગલબાળનો કિસ્સો ૧૯૧૯-૧૯૨૧માં ખુબજ ચર્ચામાં રહ્યો હતો. કલકત્તાથી પ્રકાશીત થતાં 'ધ સ્ટેટમેન'માં તેમની સ્ટોરી છપાઈ હતી. ૧૯૨૬માં જોસેફ અબ્રિતો લાલસીહ નામનાં અનાથાશ્રમના સંચાલકે આ કીસ્સો રજુ કર્યો હતો. અમલા અને કમલા વરૃઓ વચ્ચે ઉછરી હોવાનું જણાવાયું હતું. તેમની વર્તણુક વરૃ જેવી હતી. તેઓ કપડાં પહેરવા તૈયાર ન થતી. તેની નજીક આવનારને કરડવા દોડતી હતી. રાંધેલો ખોરાક ખાતી ન'હતી. તેઓ તડકામાં જવાનું કે દિવસે બહાર નીકળવાનું રાખતી અને નિશાચર જેવું જીવન જીવતી નથી.
અમલા-કમલાનો કેસ ફ્રેન્ચ સર્જન સર્જ એટોલેસે તપાસ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે અમલા-કમલાનો જંગલી બાળક તરીકે રજુ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જે બનાવટી કીસ્સો હતો. હકીકતમાં કમલાને ચેતાતંત્રના અવિકસીત હોવાનાં કારણે 'રેટ' સિન્ડ્રોમ થયો હતો. અનાથાલયનાં સંચાલક મી. સીંગનાં દાવાને ઘણા સંશોધકોએ ખોટો ઠેરવ્યો હતો.

'જંગલ બુક'ની કલ્પના પહેલાંની 'વાસ્તવિકતા'
ભારત આઝાદ થયું એની એક સદી પહેલાંની વાત છે. હજુ ૧૮૫૭નો આઝાદી માટેનો ભારતીય સંગ્રામ શરૃ થયો ન હતો. જેને આપણે ઈતિહાસમાં ૧૮૫૭નાં વિપ્લવ કે ઈન્ડીયન મ્યુટીની તરીકે જાણી ગયા છીએ. જંગલ બુકનાં લેખકનો હજી જન્મ પણ થયો ન'હતો. સાલ હતી ૧૮૪૮. બંગાળની નદીનાં કિનારેથી બ્રિટીશ ઘોડેસવાર સૈનિક પસાર થઈ રહ્યો હતો. તેણે જોયું કે ભુખરા રેતિયા કલરવાળા વરૃની જોડી તેનાં ત્રણ બચ્ચા સાથે જંગલની આડશમાંથી બહાર આવી રહી હતી. આશ્ચર્ય હવે થવાનું હતું. વરૃના બચ્ચાની પાછળ એક માનવ બાળ, ચાર પગે ચાલતું ચાલતું વરૃના બચ્ચાની સાથે ચાલી રહ્યું હતું. વરૃ માતા ચારેય બચ્ચાને (મનુષ્ય બાળ સહીત) એક સરખી રીતે સાચવીને આગળ વધી રહી હતી. આ ઘટનાની માહિતી બ્રિટીશ કર્નલ વિલીયમ સ્લીમાને આપી હતી. તેને તેના મિત્રએ એક પેમ્ફલેટ લખીને સમગ્ર ઘટના વર્ણવી હતી. સૈનિકને લક્ષ્યમાં લીધા વગર વરૃ અને બચ્ચાંઓ નદી તરફ આગળ વધી રહ્યાં હતાં.
ઘોડા પર બેઠા બેઠા સૈનિક સવાર અદ્ભૂત નજરે જોઈ રહ્યા હતા. વરૃની માફક બાળકે નદીનાં પાણીમાં ઉતર્યું પાણી પીધુ અને પાછું ફર્યું. જાણે કે વરુનું ચોથું સંતાન હોય! ઘોડે સવારે માનવબાળને બચાવવાનું નક્કી કર્યું. પણ જંગલમાં જમીન પથરાળ, વાંકીચૂકી અને ભુલભુલામણી જેવી હતી. તે વરૃ અને બાળક સાથે તાલમેલ સાધી શક્યો નહીં અને ટોળું અચાનક જંગલમાં અદ્રશ્ય થઈ ગયું.
ઘોડે સવાર હિંમત હારે તેવો ન'હતો. થોડા સમય બાદ, હથિયારધારી માણસો સાથે તે જંગલમાં પાછો ફર્યો. લોકો પાસે ખોદકામનાં સાધનો પણ હતાં. વરૃની ગૂફા નજીક પહોંચી લોકોએ ગુફા ખોદી નાખી. આઠ ફુટની ઊંડાઈએ પહોંચતા જ વરૃ, બચ્ચા અને બાળક બહાર નીકળી ભાગવા લાગ્યા. પણ! આ વખતે સૈનિકે માનવ બાળકને પકડી પાડયું. બાળકને બાંધીને ગામમાં લાવવું પડયું કારણ કે જ્યાં જમીનમાં ગુફા કે બખોલ જેવું દેખાતું હતું ત્યાં ભાગીે બાળક સંતાવાની કોશિષ કરતું હતું. ગામમાં લાવીને તેને મનુષ્યની સભ્યતા શીખવવાની કોશિષ કરવામાં આવી જે નિષ્ફળ ગઈ. મોટી વ્યક્તિ તેની નજીક જાય જ્યારે તે ભાગી જવાની કોશિશ કરતું. કોઈ બાળક નજીક આવે ત્યારે કુતરાની માફક ઘુરકીયા કરીને તેમને કરડવા દોડતું હતું. ગામમાં આવ્યાના બે વર્ષ સુધી તે મનુષ્યને છોડીને કુતરાની સોબતમાં વધારે રહેતું હતું. વરૃની માફક કાચુ માંસ ખાતો અને કપડાં પહેરવાની વાતનો ઈન્કાર કર્યો. બે વર્ષ બાદ બાળક (છોકરો) ખુબજ માંદો પડયો અને લોકોએ પૂછ્યું ત્યારે માથા તરફ 'ઈશારો' કરી 'દુખાવા'ની ફરિયાદ કરી. છેવટે તે મૃત્યુ પામ્યો.

રડયાર્ડ કિપ્લીંગ : મોગ્લીનાં દેશમાં
૧૯મી સદીમાં વરૃ દ્વારા બાળકનો ઉઠેર થયો હોય તેવાં અનેક કિસ્સા અને કહાની ભારતમાં નોંધવામાં આવી હતી. આવી ઘટનાઓનો મુખ્ય સુર એ હતો કે બચાવેલ 'બાળક' મનુષ્ય સાથે હળી મળીને રહેવામાં ખુબજ વિરોધ કરતાં હતાં. તેેમને મનુષ્યની ભાષા શીખવવામાં મુશ્કેલી પડે તેમ હતી. ૧૮૮૮માં જંગલમાં પ્રાણીઓ સાથે ઉછરેલ બાળક વિશે 'ધ ઝુલોજીસ્ટ'માં લેખ પ્રકાશિત થયો હતો. જેનો વિષય આગળ વાંચી ગયેલ ઘટનાનાં કર્નલ વિલીયમ સ્લીમાને આપેલ આધારભૂત ઘટનાનું નર-મનુષ્ય બાળક હતું. ૧૯૮૮માં લેખ પ્રકાશીત થયો ત્યારે 'જંગલ બુક'નાં લેખક રડયાર્ડ કિપ્લીંગની ઉંમર ૧૮ વર્ષની હતી. કોલેજનું ભણતર પુરુ કરી તેઓ નવલકથા લખી રહ્યા હતાં. એક વર્ષ બાદ તેઓ તેમની પ્રેમીકા 'ફ્લોરેન્સ જેહાર્ડ'નાં પ્રેમમાં પડવાના હતાં જે તેમની પ્રથમ નવલકથા 'ધ લાઈટ ધેટ ફેઈલ'માં નાયિકાનાં રૃપમાં વર્ણન પામવાની હતી. આ સમયકાળ દરમ્યાન અથવા ભારતમાં તેમનાં નિવાસકાળ દરમ્યાન રડયાર્ડ કિપ્લીંગ, વરૃ દ્વારા ઉછરવામાં આવેલ બાળકનો કિસ્સો સાંભળ્યો, જાણ્યો હોવાનું માનવામાં આવે છે. ૧૮૮૩-૧૮૮૯માં રડયાર્ડ કિપ્લીંગ ભારતમાં હતો. તેમણે લાહોર અને અલ્હાબાદમાં સ્થાનિક ન્યુઝ પેપરમાં કામ કર્યું હતું. ૧૮૯૧માં તેમણે કેરી બાલેસ્ટીઅર સાથે લગ્ન કર્યા હતાં. ૧૮૯૨માં 'બ્લીસ કોટેજ'માં તેમનાં પ્રથમ બાળક જોસેફાઈનનો જન્મ થયો. સાથે સાથે રડયાર્ડનાં  દિમાગમાં 'જંગલ બુક' આકાર લઈ રહી હતી.
રડયાર્ડ કિપ્લીંગનો જન્મ મુંબઈમાં ૧૯૬૫માં થયો હતો તેમનું જન્મસ્થળ, જે.જે. સ્કુલ ઓફ આર્ટ નજીક આવેલ એક કોટેજ હતું. ૧૯૩૦નાં દાયકામાં ભારતની મુલાકાતે આવેલ, રડયાર્ડ કીપ્લીંગે આ વાત તે સમયનાં કોલેજનાં ડિનને કહ્યું હતું. ૧૮૫૭માં જે.જે. સ્કુલ ઓફ આર્ટની સ્થાપના થઈ હતી. ૧૯૬૬માં બ્રીટીશ સરકારે કોલેજનો કબજો લીધો ત્યારે લોકવુડ કિપલીંગ કોલેજનાં પ્રોફેસર અને પ્રથમ ડીન બન્યા હતાં. લોકવુડ કિપલીંગનું પ્રથમ સંતાન એટલે કે 'રડયાર્ડ કિપલીંગ' જેની નવલકથા 'કીમ'ને ભારતનાં ભુતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ પોતાનાં પ્રિય પુસ્તક તરીકે અનેકવાર ઉલ્લેખ કર્યો હતો. ટુંકમાં ભારતનાં બેકગ્રાઉન્ડમાં ઉછરેલાં રડયાર્ડ કિપલીંગને ૪૧ વર્ષની ઉંમરે સાહિત્યનું 'નોબેલ' પ્રાઈઝ મળ્યું હતું.
ડોગ ગર્લ : ઓક્ષાના માલાયા
જંગલબુકનાં મુખ્ય કેરેક્ટર મોગલી જેવાં રીઅલ લાઈફ કેરેક્ટરની વાત કરીએ તો... ઓક્સાના માલાયા ડોગ ગર્લ તરીકે જાણીતી બની હતી. ૧૯૮૩માં તેનો જન્મ યુક્રેઈનમાં નોવા બ્લાગોવિશયેન્કામાં થયો હતો. નાની ઉંમરે તેનાં દારૃડિયા માબાપે ઓક્ષાનાને તરછોડી દીધી હતી. કુતરાઓની વચ્ચે તે સાડા સાત વર્ષની ઉંમર સુધી ઉછરી હતી. તેનું વર્તન કુતરા જેવું રહ્યું હતું. સરકારે તેને માનસિક ક્ષતિવાળા બાળકો સાથે શિક્ષણ અને સુધારા માટે ફોસ્ટર ગૃહમાં મોકલી આપી હતી. અહીં તેની સારવાર વર્ષો સુધી ચાલી ત્યારબાદ, ભાષા ને બોલતા ચાલતાં શીખી. ખેતરમાં કામ કરવા લાગી અને ગાયોનો ઉછેર અને દોરવાનું કામ કરવા લાગી. જોકે વૈજ્ઞાાનિકોનાં મત મુજબ તેનાં માનસિક વિકાસમાં થોડીક ઊણપ રહી ગઈ હતી. જેથી આપણે જેને બુધ્ધિશાળી બાળક ગણીએ તે લેવલે ઓક્ષાનાં પહોચી ન'હતી. ઓક્ષાના ઉપર ચેનલ ૪ની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બની છે. ૨૦૦૧માં તેણે રશિયન ડોક્યુમેન્ટરીમાં દર્શાવાઈ હતી. ૨૦૧૩માં યુક્રેઈનનાં ટીવી શૉમાં તેણે ઈન્ટરવ્યુ પણ આવ્યો હતો. તેનાં વિશે ઘણું બધું લખાયું છે.

ડૉગ બોય : ઈવાન મુસીકોવ
મોસ્કોની સડકો ઉપરથી પોલીસે તેને પકડયો ત્યારથી તેનું નામ 'ડોગ બોય' છપાઈ ગયું હતું. સડકો પર તે બે વર્ષથી ભીખ માંગતો હતો. ઈવાન મુસીકોવ છ વર્ષનો હતો ત્યારથી કુતરાઓની સંગતમાં ઉછર્યો હતો. કુતરાને તે ખોરાક આપતો બદલામાં પુષ્કળ ઠંડીમાં કુતરાઓ વચ્ચે સુઈને તે ઠંડી સામે રક્ષણ મેળવતો હતો. ઓક્ષાના કરતાં 'ઈવાન'નો કીસ્સો થોડો અલગ હશે. તેનામાં પ્રાણીજન્ય લક્ષણો ઓછા હતાં. તે ઓછું બોલતો પણ ઘુરકીયા વધારે કરતો હતો. તેણે છેવટે બહુજ જલ્દી રશીયન ભાષા શીખી લીધી હતી. આખરે તેણે રશિયન આર્મીમાં નોકરી મેળવી લીધી હતી. કુતરા સાથે તેનો સંપર્ક બે એક વર્ષ જેટલો જ રહ્યો હતો. કદાચ આ કારણે તેમણે જંગલી સભ્યતા છોડી બહુ જલ્દી માનવ સંસ્કૃતિ અપનાવી લીધી હતી. ઈવાનનાં કિસ્સામાંથી પ્રેરણા લઈને ઓસ્ટ્રેલીયન લેખીકા ઈવા હોરતુંગે ૨૦૦૯માં નવલકથા પ્રગટ કરી હતી. જેનું નામ છે 'ડોગ બૉય'. આમ ક્યારેક ઉલટું પણ બને છે. વાસ્તવિકતા ઉપરથી કાલ્પનીક નવલકથા પણ સર્જાય છે

Sunday 1 May 2016

એશિયાનું વિશાળ ઓપ્ટીકલ ટેલિસ્કોપ... ભારતમાં...

૦૧.૦૫.૨૦૧૬ 
પ્રસ્તાવના :- ૩૦ માર્ચ ૨૦૧૬નાં રોજ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેલ્જીયમની મુલાકાતે હતાં. બેલ્જીયમનાં પાટનગર બ્રસેલ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બેલ્જીયમનાં વડાપ્રધાન ચાર્લ્સ મિશેલે વિડીયો કનેકશન દ્વારા ભારતમાં, એશિયા ખંડનાં સૌથી વિશાળ ઓપ્ટીકલ ટેલિસ્કોપનું અનાવરણ કર્યું હતું. એશિયા ખંડનું સૌથી વિશાળ ઓપ્ટીકલ ટેલિસ્કોપ ભારત અને બેલ્જીયમનાં સંયુક્ત પ્રયાસો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ ટેલિસ્કોપનાં બાંધકામમાં રશિયન એકેડેમી ઓફ સાયન્સની મદદ લેવામાં આવી હતી. આ યોજના ૨૦૦૭માં કાર્યરત કરવામાં આવી હતી. ભારતનાં વિજ્ઞાાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા એક સ્વતંત્ર સંશોધન વેધશાળા દેવસ્થળમાં ચાલે છે. જેનું નામ 'આર્યભટ્ટ રિસર્ચ ઈન્સ્ટીટયુટ ઓફ ઓબઝરવેશન સાયન્સ' (ARIES) છે. દેવસ્થળ ઉતરાખંડમાં આવેલું છે. અત્યાર સુધી ભારતનાં વિશાળ ટેલિસ્કોપનો રેકોર્ડ કાવાલુર, તમિલનાડુમાં આવેલ વેણુ બાપુ ઓબ્ઝરવેટરીનાં નામે હતો. ઉતરાખંડનાં દેવસ્થળ ખાતે ગોઠવાયેલા એશિયા ખંડનાં સૌથી વિશાળ ટેલિસ્કોપનાં પ્રાયમરી  મિરર / પ્રાથમિક અરીસાનું માપ ૩.૬૦ મિટર છે.
ટેલિસ્કોપની શોધ અને ઇતિહાસ
ટેલિસ્કોપની શોધ નેધરલેન્ડમાં સત્તરમી સદીમાં થઇ હોવાનું માનવામાં આવે છે. સામાન્ય રીતે ટેલિસ્કોપને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. દ્રશ્યમાન પ્રકાશ દ્વારા વિવિધ પ્રકારનાં કાચ (લેન્સ) અને અરીસાઓ વાપરીને પ્રતિબિંબ જીલવામાં આવે તેવાં ઉપકરણને પ્રકાશીય દુરબીન / ઓપ્ટીકલ ટેલિસ્કોપ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત પ્રકાશના અદ્રશ્ય વણપટની વિવિધ ઉર્જા વાપરીને પણ ટેલિસ્કોપ બનાવવામાં આવે છે. જેમાં એક્સ રે ટેલિસ્કોપ, રેડિયો ટેલિસ્કોપ મુખ્ય છે. આ ઉપરાંત અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન, ઈન્ફ્રારેડ રેડિયેશન અને અન્ય ઈલેક્ટ્રોમેગ્નેટીક સ્પેકટ્રમ / વિજચુંબકીય વર્ણયટ આધારીત ટેલિસ્કોપ તૈયાર કરવામાં આવે છે. જે સામાન્ય રીતે ''ડિટેક્ટર'' તરીકે ઓળખાય છે.
૧૬૧૧માં સૌપ્રથમવાર ''ટેલિસ્કોપ'' શબ્દનો ઉપયોગ ગ્રીક ગણીતશાસ્ત્રી ગોવાની ડેમીસીઆનીએ કર્યો હતો. ગ્રીક ભાષામાં 'ટેલિ'નો અર્થ ''દૂર'' અને સ્કોપ એટલે ''જોવું'' ટુંકમાં દૂરની વસ્તુને નજીક બતાવી આપતી રચના ટેલિસ્કોપ તરીકે ઓળખાય છે.

પ્રકાશીય દુરબીન / ઓપ્ટીકલ ટેલિસ્કોપ
''પ્રકાશનાં વક્રીભવનનાં સિધ્ધાંતોનો ઉપયોગ કરીને દુરબીન બનાવવામાં આવે તેને રિફ્રેકટીંગ ટેલિસ્કોપ કહે છે.'' આવા ટેલિસ્કોપમાં માત્ર વિવિધ પ્રકારનાં લેન્સ વપરાય છે. તેમાં અરીસાનો ઉપયોગ થતો નથી. દુરબીનનાં મુખ્ય અંગ બે લેન્સ હોય છે. ઓબજેક્ટ લેન્સ, જે વસ્તુકાચ તરીકે ઓળખાય છે. આઇ પીસ, એ આંખ દ્વારા પ્રતિબીંબ જોવા માટે વપરાતા લેન્સને કહે છે. આ પ્રકારનાં ટેલિસ્કોપનો ઉપયોગ ૧૬૦૮માં હાન્સ લીપર્સેનાં નામે નોંધાયો છે. ટેલિસ્કોપનાં આવિષ્કારનો શ્રેય હાન્સ લિપર્સેને મળવો જોઇએ. આ ઉપરાંત મિડલ બર્ગનાં ચશ્મા બનાવનાર ઝકરીયાસ જાનસેન અને આલ્કમારનાં જેકોસ મેટિયસનો સમાવેશ થાય છે. શરૃઆતના ટેલિસ્કોપમાં વસ્તુકાચ બહીર્ગોળ કાચ અને દ્રશ્યકાચ માટે અંતર્ગોળ કાચ વપરાતો હતો. ગેલેલીઓ ગેલેલીએ અવકાશી અવલોકન માટે વાપરેલા ટેલિસ્કોપ પણ આ પ્રકારનું હતું. કેટલાંય સામાન્ય જ્ઞાાનનાં પુસ્તકોમાં ટેલિસ્કોપનાં આવિષ્કાર કરનાર તરીકે ગેલીલીઓ ગેલેલીનું નામ આપવામાં આવે છે. જે ખોટું છે. ૧૬૧૧માં જોહાનીસ કેપલરે બહીર્ગોળ કાચનો ઉપયોગ ઓબજેક્ટ અને આઇપીસ તરીકે કરીને ટેલિસ્કોપ બની શકે તેવી ડિઝાઇન રજુ કરી હતી. ૧૬૫૫માં આ ડિઝાઇન આધારીત ટેલિસ્કોપ ક્રીશ્ચીઅન હ્યુજેન્સે કરી હતી. ટેલિસ્કોપ માટે પેટન્ટ હક્કની અરજી કરનાર સૌથી પહેલી વ્યક્તિ હાન્સ લિપર્સે હતો.

વિવિધ પ્રકારનાં અંતર્ગોળ અરીસા અને બહીર્ગોળ કાચનો ઉપયોગ કરીને પ્રકાશનાં પરાવર્તનનાં સિધ્ધાંતનો ઉપયોગ કરીને ટેલિસ્કોપ બનાવવામાં આવે છે. તેને ''રિફલેક્ટીવ ટેલિસ્કોપ'' કહે છે. આ પ્રકારનાં ટેલિસ્કોપની શોધનો શ્રેય આઇઝેક ન્યુટનને મળે છે. રિફલેક્ટીવ ટેલિસ્કોપની શોધ ૧૬૬૮માં આઇઝેક ન્યુટને કરી હતી. જેને ન્યુટોનીઅન ટેલિસ્કોપ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ટેલિસ્કોપમાં વધારાનાં નાનાં બહીર્ગોળ અરીસા ગોઠવીને ન્યુટોનીઅન ટેલિસ્કોપમાં નવતર સુધારો વોરેન કેસેગ્રેઇને કર્યો હતો. જે ટેલિસ્કોપ કેસેગ્રેઇન ટેલિસ્કોપ તરીકે ઓળખાય છે.

સામાન્ય રીતે ઓપ્ટીકલ ટેલિસ્કોપ પૃથ્વી પર ઉંચાઇવાળા સ્થળે ગોઠવવામાં આવે છે. જેથી પૃથ્વીની સપાટી નજીક રહેલાં પ્રદુષણને દૂર રાખી શકાય. આમ છતાં પૃથ્વીનાં વાતાવરણમાંથી પ્રકાશ ચળાઇને આવે છે ત્યારે, અવકાશી પીંડની તસવીર સહેજ ધુંધળી મળી છે. આ ખામી દૂર રાખવા વૈજ્ઞાાનિકોને ટેલિસ્કોપને અંતરીક્ષમાં ગોઠવવાનું વિચારબીજ પ્રાપ્ત થયું હતું. જેને સ્પેસ ટેલિસ્કોપ કહે છે. આધુનિક અને વિશ્વવિખ્યાત ''હબલ સ્પેસ ટેલિસ્કોપ'' આ શ્રેણીમાં આવતું ટેલિસ્કોપ છે. જેણે સતત ૨૮ વર્ષ સુધી કાર્યરત રહીને ''સિલ્વર જ્યુબીલી'' ઉજવી છે. હવે તેનું આયુષ્ય પૂર્ણ થવા આવ્યું છે. જેનું સ્થાન લેવા ''જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ''ની રચના આંતરરાષ્ટ્રીય સહયોગથી કરવામાં આવી રહી છે. જે પહેલાં નેક્સ્ટ જનરેશન  સ્પેસ ટેલિસ્કોપ તરીકે ઓળખાતું હતું.

ઓપ્ટીકલ ટેલિસ્કોપ અને ભારત :-

ભારતમાં લેહ, નૈનિતાલ, દિલ્હી, ગુરૃશીખર આબુ, ઉદયપુર, અમદાવાદ, કોલકાતા, મુંબઇ, હૈદરાબાદ, રંગપુર, બેંગ્લોર, ઉટી, મદ્રાસ, કોડાઇકેનાલ અને ગૌહીબીદાનુર સ્થળે વિવિધ પ્રકારના ઓપ્ટીકલ ટેલિસ્કોપ લગાવવામાં આવ્યાં છે. પ્રકાશીય ઉપકરણ તરીકે ઓળખાતું ઓપ્ટીકલ ટેલિસ્કોપ દિવસે સૂર્યના અવલોકન માટે વાપરી શકાય છે જ્યારે રાત્રે અંતરીક્ષમાં આવેલા વિવિધ અવકાશી પીંડો, તારાઓ અને નક્ષત્રો નિહાળવા પણ ઓપ્ટીકલ ટેલિસ્કોપ વપરાય છે. સામાન્ય રીતે ઉંચા સ્થળે રાત્રી દરમ્યાન અવકાશી પીંડો નિહાળવા અને આકાશ દર્શન માટે ઓપ્ટીકલ ટેલિસ્કોપ વપરાય છે. આઝાદી પહેલાં અંગ્રેજો ભારતમાં ઓપ્ટીકલ ટેલિસ્કોપ લાવ્યા હતાં. આ ટેલિસ્કોપ વિદેશી બનાવટનાં હતાં.
૧૮૬૫માં ઈંગ્લેન્ડમાં બનેલ આઠ ઈંચનું સૌથી જૂનું ટેલિસ્કોપ આજની તારીખે કોડાઇકેનાલ ખાતે કાર્યરત છે. જેનું બાંધકામ મેસર્સ ટ્રફટન એન્ડ સિમ્મ કંપનીએ કર્યું હતું. ત્યાર પછીનું સૌથી જુનું ટેલિસ્કોપ ગ્રબ-પાર્સન કેસેગ્રેન પ્રકારનું છે. જે ૧૯૭૮ સુધી કોડાઇકેનાલ ખાતે ગોઠવાયેલું હતું. ત્યારબાદ તેને કાવાસુર ખાતે ખસેડવામાં આવ્યું હતું. ૧૯૮૬-૮૮માં લડાખનાં લેહ ખાતે તેને ગોઠવવામાં આવ્યું હતું. આ દુરબીન ૧૮૯૦નાં દાયકામાં પ્રો. કે.ડી. નેગમવાલાએ પુના ઓબઝરવેટરી માટે મંગાવ્યું હતું. ૧૯૧૨માં તેને કોડાઇકેનાલ ખાતે ખસેડવામાં આવ્યુ ંહતું.
૧૫ ઈંચનું એક અન્ય ટેલીસ્કોપ હૈદ્રાબાદનો નિઝામીયા ઓબ્ઝરવેટરી ખાતે ગોઠવવામાં આવ્યું હતું. ૧૯૧૨-૧૯૩૯ના સમયગાળામાં આઠ ઈંચનું ટેલીસ્કોપ ઓસ્મીનીયા યુનિવર્સિટીમાં ગોઠવવામાં આવ્યું હતું. ૧૯૮૫-૮૬માં આવેલ કોમેટ હેલીનાં દર્શન વખતે તેનો ખૂબ જ ઉપયોગ થયો હતો. ત્યારબાદ, યુપી સ્ટેટ માટે પરદેશથી ટેલીસ્કોપ મંગાવવામાં આવ્યા હતાં. જેમાં સૌથી મોટું ટેલીસ્કોપ ૫૨ સે.મી.નું હતું. ૧૯૬૦નો દાયકામાં એટલે કે ભારત આઝાદ થયા બાદ પણ ભારતીય ખગોળશાસ્ત્રનો સંશોધનો માટે પરદેશથી ટેલીસ્કોપ મંગાવવામાં આવ્યા હતા. જે નીચે મુજબ હતા.
૧. ૧૨૨ સે.મી. રીફલેક્ટર - જાયલરંગાપુર ઓબ્ઝરવેટરી
૨. ૧૦૯ સે.મી. રિફલેક્ટર - યુપી સ્ટેટ ઓબ્ઝરવેટરી
૩. ૧૦૨ સે.મી. રિફલેક્ટર - કાવાલુર ઓબ્ઝરવેટરી
૧૨૨ સે.મી.નું ટેલીસ્કોપ જે.ડબલ્યુ. ફેક્ટ એન્ડ કંપની, અમેરીકાની બનાવટનું હતું. બાકીના બે કાર્લ-જેસીસ જર્મની દ્વારા બનાવવામાં આવ્યા હતાં. ૧૯૭૦નો મધ્યભાગમાં ૬૦ સે.મી. એપચ્ચર વાળું ટેલીસ્કોપ પંજાબી યુનિવર્સિટીમાં ગોઠવવામાં આવ્યું હતું. હવે ભારતમાં ટેલીસ્કોપની માંગ વધી રહી હતી. ભારતનાં ત્રણ ગુ્રપ સંશોધન ક્ષેત્રે આગળ વધી રહ્યો હતો. ફીજીકલ રિસર્ચ લેબોરેટરી એ ગુરૃથી પર , (૨) પોજીશનલ ઓબ્ઝરવેટરી સેન્ટર કલકતા (૩) ઈસરો ગ્રુપ બેંગ્લોર હતો ત્યાં ૧૪ ઈંચના પોર્ટેબલ ટેલીસ્કોપ સીલેસ્ટ્રોન- ૧૪ મોડેલ ગોઠવવામાં આવ્યા હતાં.

સ્વદેશી ટેકનોલોજીથી બનેલ ટેલીસ્કોપ :

સ્વતંત્ર ભારતમાં ટેલીસ્કોપ સંશોધનનો ખરો યુગ ૧૯૫૩ પછી શરૃ થયો. જેને ભારતનો આધુનિક ટેલીસ્કોપ યુગ કહી શકાય. સ્વતંત્ર ભારતની પ્રથમ ઓપ્ટીકલ ઓબ્ઝરવેટરી નૈનિતાલ ખાતે શરૃ થઈ હતી. નૈનિતાલનો માનોરો શિખર પર ડો. વેણુ બાપુના પ્રયત્નોથી આ ઓબ્ઝરવેટરી શરૃ થઈ હતી. આજે તે વેધશાળા, આર્યભટ રિસર્ચ ઈન્સ્ટીટયુટ ઓફ ઓબ્ઝરવેશન સાયન્સ નામે ઓળખાય છે. આઝાદી પહેલાં, એસ.કે. ઘર અને તેના ભાઈઓએ સ્વદેશી ટેલીસ્કોપ બનાવવાનાં પ્રયત્નો કર્યા હતા. પરંતુ નાણાનાં અભાવે તેમનો પ્રોજેક્ટ અધુરો રહ્યો હતો. આઝાદી બાદ, પચાસનાં દાયકામાં દિલ્હી યુની.ના પી.કે. કીચુએ નાના નાના ટેલીસ્કોપ બનાવ્યા હતાં. સૌથી મોટી ચેલેન્જ ભારતીય વૈજ્ઞાાનિક એસ.કે.વી. બાપુએ ઉપાડી અને કોડાઈકેનાલ ખાતે વેધશાળા ઉભી કરી. જેમાં એ.પી. જયરાજનની ટીમ વડે બનાવાયેલ સ્વદેશી ટેલીસ્કોપ ગોઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ ૩૮ સે.મી.નું કેસેગ્રેઈન ટેલીસ્કોપ ગોઠવવામાં આવ્યું હતું.
જેનો મહત્તમ ઉપયોગ વેણુબાબુએ કર્યો. છેવટે ૧૯૬૮માં તેને કાવાલુર ખાતે ખસેડવામાં આવ્યું હતું. હેલીનાં ધુમકેતુનાં આગમન સૌ સાથે વિશાળ ટેલીસ્કોપની માંગ વધવા લાગી હતી. ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ એસ્ટ્રોફીજીક્સ, બેંગ્લોર દ્વારા ૪૦ સે.મી. કેસેગેઈન ટેલીસ્કોપ બાંધવામાં આવ્યું. જેનું બાંધકામ ૧૯૮૩માં પુરૃ થયું. જેના લેન્સ એ.કે. સકસેનાની ટીમે તૈયાર કર્યા હતા. વેણુ બાપુએ ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ એસ્ટ્રોફીજીસ્ટની સ્થાપના બેંગ્લોરમાં કરી હતી. જેના દ્વારા લદ્દાખમાં પણ ઓબ્ઝરવેટરી ચલાવવામાં આવે છે. જ્યાં ૨-૦ મીટર વ્યાસનું 'ચંદ્રા' ટેલીસ્કોપ લાગેલું છે. તામિલનાડુના કાવાલુર નામના ગામમાં ૨-૩૦ મીટરનું ટેલીસ્કોપ છે. આ વેધશાળાને વેણુ બાપુ ઓબ્ઝરવેટરી તરીકે ઓળખવામાં આવે છે. પુનામાં 'આયુકા' દ્વારા ૨-૦ મીટરનું ગીરાવાળી ટેલીસ્કોપ કાર્યરત છે.

ભારતના નૈનિતાલ, ઉત્તરાખંડ ખાતે આવેલ એશીયાના સૌથી વિશાળ ટેલીસ્કોપની વિશેષતાઓ

- ટેલીસ્કોપનું નિર્માણ ભારત, બેલ્જીયમ અને રશિયાનો સંયુક્ત કાર્યક્રમ હેઠળ થયું છે.
- ટેલીસ્કોપનો પ્રાયમરી મીરરનું માપ ૩.૬૦ મીટર છે.
- ટેલીસ્કોપની રચના/ડિઝાઈન રિપ્ચી-ચેરીટીબલ ડિઝાઈન તરીકે ઓળખાય છે. આવી ડિઝાઈન ભારતનો 'એસ્ટ્રોસેટ' ઉપગ્રહમાં પણ વાપરવામાં આવી છે.
- હબલ સ્પેસ ટેલીસ્કોપનાં પ્રાયમરી મીટરનું માપ- ૨.૪૦ મીટર હતું. જ્યારે ભારતીય ટેલીસ્કોપ ૩.૬૦ મીટરનું છે.
- નૈનિતાલથી ૫૦ કી.મી. પશ્ચિમમાં, પશ્ચિમ હીમાલયનો ૨.૬૦ કી.મી. ઉંચાઈવાળા ધર્મસ્થળ ખાતે આવેલ શીખર પર તેને ગોઠવવામાં આવ્યું છે.
- ૨૦ વર્ષના સર્વેક્ષણ બાદ, ધર્મસ્થળને પસંદ કરવામાં આવ્યું હતું.
- ટેલીસ્કોપનું બાંધકામ બેલ્જીયમની કંપનીએ કરેલ છે.
એસ્ટ્રોનોમી ક્ષેત્રે ભારતનું આંતરરાષ્ટ્રીય યોગદાન :
- ૨૦૦૯માં ભારતે એડવાન્સ ગ્રેવીટેશનલ વેવ્ઝ ઓબ્ઝરવેટરીનું આયોજન કર્યું હતું. જને ૨૦૧૬માં મંજુરી મળી છે.
- ડિસે. ૨૦૧૪માં ભારતે થટીમીટર ટેલીસ્કોપ (TMT)માં પુર્ણ કક્ષાની ભાગીદારી નોંધાવી હતી.
- જાન્યુ.- ૨૦૧૫ - તમિલનાડુનાં થેની સ્થળે ખાતે, ન્યુટીનો ઓબ્ઝરવેટરી બાંધવા માટે લીલી ઝંડી બતાવી છે.
- સપ્ટે.- ૨૦૧૫- ખગોળશાસ્ત્ર માટે ઉપયોગી એસ્ટ્રોસ્ટેટ ઉપગ્રહ અંતરીક્ષમાં ગોઠવ્યો છે.
ઉપરોક્ત ચારેય પ્રોજેક્ટ ભારત માટે એસ્ટ્રોનોમીમાં આંતરરાષ્ટ્રીય નામના અપાવે તેવા છે.

સાયકીડેલીક-સાયન્સ : ક્રિએટીવીટી, ઈન્ટેલીજન્સ અને નશીલા પદાર્થ વચ્ચે સીધો સંબંધ છે?

વૈજ્ઞાાનિકોનાં ડ્રગ્સ એક્સપરીમેન્ટનું આલેખન...
24.04.2016

ગુજરાતનાં ઈતિહાસમાં ડ્રગ્સ કૌભાંડનો સૌથી મોટો કેસ પકડાયો છે જેમાં ક્રાઈમ બ્રાન્ચે ૧૩૦૦ કિ.ગ્રા. જેટલો પ્રતિબંધીત ડ્રગ એફીડ્રીનનો જથ્થો પકડી પાડયો છે. એફીડ્રીનને પ્રોસેસ કરીને પાર્ટી ડ્રગ્સ તરીકે ઓળખાતાં મેથાફિટામાઈન બનાવવાનું પ્લાનીંગ હતું. વિશ્વભરનાં ડ્રગ્સ માફિયા એનઆરઆઈ ગુજરાતી વડે ડ્રગ્સ નેટવર્ક સંપર્કમાં રહેતા હતાં. સવાલ એ થાય છે કે લોકો રિક્રીએશન ડ્રગ્સ કે પાર્ટી ડ્રગ્સનો ઉપયોગ શા માટે કરે છે?. તેની સાયકોલોજીકલ એનાલીસીસ અલગ વાત અને વિજ્ઞાાન છે.  સામાન્ય માનવી કે તવંગર બાપની બગડેલી ઓલાદો જ ડ્રગ્સનો શિકાર બને છે એવું નથી. બોલિવૂડમાં પણ કેટલાંક એક્ટર એક્ટ્રેસને ડ્રગ્સની આદત હતી. જેમાં સંજય દત્ત, પરવીન બાબી વગેરે મોખરે હતાં. રજનીશ આશ્રમમાં ગયેલી કેટલીક ફિલ્મી હસ્તીઓએ ડ્રગ્સનો સ્વાદ ચાખ્યો હતો. આજનાં વિજ્ઞાાન અને ટેકનોલોજીને એક હાઈપોથીસીસ રજુ થઈ હતી. જે દર્શાવે છે કે બૌધ્ધિક ક્ષમતા અને રીક્રિએશન ડ્રગ્સ વચ્ચે સીધો સંબંધ છે. ડ્રગ્સ લેવાથી સર્જનશક્તિનો વિકાસ થતો હોવાનો દાવો કરાયો હતો. અહીં એવા સ્વપ્નદ્રષ્ટા વૈજ્ઞાાનિકોની વાત છે. જેમણે ડ્રગ્સનો પાવર ચકાસવા માટે તેનો પોતાની જાત પર અખતરા કર્યા હતા.

વિશ્વ વિખ્યાત એસ્ટ્રો-ફિજીસ્ટ કાર્લ સગાન

૧૯૭૧માં 'મારીજુઆના રિકન્સીડર' નામનું પુસ્તક પ્રકાશિત થયું હતું. જેના લેખક હતાં ડૉ. લેસ્ટર ગ્રીનસ્પુન. આ પુસ્તકમાં એક સુંદર નિબંધ મારીજુઆન વિશે મી. એક્સ દ્વારા લખવામાં આવ્યો હતો. કાર્લ સગાનનાં અવસાન બાદ, મિ. એક્સની ઓળખ પ્રસ્થાપિત થાય છે. મિ. એક્સ એટલે કાર્લ સગાન. કાર્લ સગાને મેન્ટલ કિક મારવા મારીજુઆનાની સંગત કરી હતી. પ્રકાશિત પુસ્તકનો મુખ્ય ઉદ્દેશ્ય, મારીજુઆનાનો મેડિકલ ઉપયોગ કરવામાં વાંધો નથી એવું પ્રસ્થાપિત કરવાનો હતો. જોકે આ મકસદ હજુ પૂર્ણ થયો નથી. વ્યક્તિની સર્જનાત્મકતા, ઈન્ટેલીજન્સ વગેરેને આગળ ધકેલવા મગજ અને ચેતાતંત્ર પર અસર કરતાં સાયકોડેલીક ડ્રગ પર વધારે સંશોધનની જરૃર છે.

સિગમોન્ડ ફ્રોઈડ અને કોકેઈન

કોકેઈન સાથેનો સિગમોન ફ્રોઈડનો સંબંધ વ્યક્તિગત ભોગવિલાસ કરતાં કંઈ અલગ હતો. ફ્રોઈડ માનતા હતા કે કોકેઈન એક 'વન્ડર ડ્રગ્સ' છે. ઘણા વર્ષો સુધી કોકેઈનનો ઉપયોગ, અલગ અલગ હેતુ માટે તેમણે સુચવ્યો હતો. તેમણે તેમની મંગેતરને એક પત્રમાં લખ્યું હતું કે ''જો કોકેઈન પરનાં મારાં પ્રયોગો જો સફળ જશે તો હું કોકેઈન ઉપર નિબંધ લખીશ. મોર્ફીનની સાથે સાથે ઉપચારશાસ્ત્રમાં કોકેઈન લાભદાયી નીવડશે એવો મને વિશ્વાસ છે. મોર્ફીન કરતાં કોકેઈન સુપીરીયર સાબિત થશે. હું ડિપ્રેશન સામે અને અપચો થાય ત્યારે અતિસુક્ષ્મ માત્રામાં કોકેઈનનો ડોઝ લઉં છું. જેમાં મને તેજસ્વી સફળતા મળી છે.''
૧૮૮૪માં ફ્રોઈડે ''ઉબેર કોકા'' તરીકે ડ્રગ્સનો રિવ્યુ પ્રકાશિત કર્યો હતો. વિજ્ઞાાનનાં ઈતિહાસની વાત કરીએ તો, નશીલા પદાર્થનો સારવાર માટે ઉપયોગ સુચવનાર પ્રથમ વૈજ્ઞાાનિક સિગમંડ ફ્રોઈડ હતાં. મોર્ફીનની અવેજીમાં કોકેઈન વાપરવા માટે અનેકવાર પ્રયોગો અને ભલામણ કરવામાં આવી હતી. સાયકો-એનાલીસીસ માટે કોકેઈનનાં પ્રયોગો ફ્રોઈડે કર્યાં હતાં.

DNAનું સ્ટ્રક્ચર  શોધનાર ફ્રાન્સીસ ક્રીક અને LSD

ડિએનએનું માળખું / બંધારણ ઉકેલવા માટે સર ફ્રાન્સીસ ફ્રીક અને તેમનાં વિદ્યાર્થી જેમ્સ વોટસને ખુબજ મહેનત કરવી પડી હતી. ડિએનએનું મોલેક્યુર સ્ટ્રક્ચર ઉકેલવામાં ફ્રાન્સીસ ક્રિક LSDનો સાથ મળ્યો હતો? આવો સવાલ જરૃર થાય. એક જમાનો હતો કે થિકીંગ પ્રોસેસને વધારે ધારદાર કરવા કેટલાંક જીનીયસ લોકો આને અલ્પ માત્રમાં LSDનું સેવન કરતા હતાં. કેટલાંકે LSD સાથેનાં પોતાનાં અનુભવો વિશે પણ લખ્યું છે. ૨૦૦૪માં જેરોડ હાકરે 'ડીક કેમ્પ' નામનાં ક્રિકનાં નજીદીકી મિત્રનો ઇન્ટરવ્યુ કર્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે ફ્રીકે LSDનો ઉપયોગ થિકીંગ ટુલ તરીકે કર્યો હતો. તેમણે તેમનાં સાથી વૈજ્ઞાાનિકને મૃત્યુ પહેલાં કહ્યું હતું કે ''DNAનું સ્ટ્રક્ચર શોધી કાઢ્યું ત્યારે તેઓ LSDની અસર નીચે હતાં. ક્રિક ખ્યાતનામ નોવેલ રાઈટર આલ્ડસ હક્સલીના ચાહક હતા. હક્સલીએ નશીલા પદાર્થોનાં સેવનના અનુભવોને ટુંકી વાર્તામાં વર્ણવ્યા હતાં. તેમની નવલકથામાં એક 'સોમ' નામનાં ડ્રગનો ઉલ્લેખ છે. પોતાની સાઈઠ પછીની ઉંમરમાં 'સોમ' નામનાં ગૃપની સ્થાપના કરનારામાંથી એક હતો. આ ગ્રુપમાં નશીલા ડ્રગ્સનું સેવન થતું હતું.


તા.ક.: મેટ રીડલી નામનાં પ્રખ્યાત વિજ્ઞાન લેખકે ફાન્સીસ ક્રીકની વિધવાનો ઇન્ટરવ્યું લીધો હતો. જેમાં ક્રીકની વિધવા એ જણાવ્યું હતું કે " ફ્રાન્સીસ ક્રિકે LSD નો ઉપયોગ 1965 બાદ શરૂ કર્યો હતો. જયારે DNAનું બંધારણ કરી કે તેનાં એક દાયકા પહેલાં કરી નાખ્યું હતું.DNAનું બંધારણ ૧૯૫૩માં શોધાયું હતું જે માટે તેમને ૧૯૬૨માં તબીબી વિજ્ઞાનનું નોબેલ પ્રાઈઝ આપવા આવ્યું હતું.  આ હિસાબે DNAના  બંધારણ શોધવામાં LડDનું યોગદાન હતું એમ કહેવું ખોટું છે.


ન્યુરોસાયન્ટીસ્ટ જ્હોન લીલી અને કેટામાઈન,LSD

જ્હોન સી. લીલીને વિજ્ઞાાનજગત એક ઉમદા ન્યુરોસાયન્ટીસ્ટ તરીકે યાદ કરે છે. તેમનો મુળ રસનો વિષય મરિન બાયોલોજી હતો. ૧૯૬૦નાં દાયકામાં નાસાએ જ્હોન લીલીને ખાસ મકસદ માટે આર્થિક ભંડોળ આપ્યું હતું. જ્હોન લીલીને, ડોલ્ફીનને વાર્તાલાપ કરવા માટે ભાષા શીખવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. નાસા માનતી હતી કે જો કોઈ પરગ્રહવાસી પૃથ્વી પર આવે તો, ડોલ્ફીનવાળી ભાષા શીખવવાની કસરત કામ લાગે તેવી હતી. જોકે ડોલ્ફીનને ભાષા શીખવવામાં લીલી નિષ્ફળ ગયા હતા. ૧૯૭૧માં તેમને માઈગ્રેનનો સખત દુખાવો શરૃ થયો હતો. તેમના મિત્ર એનરાઈટે પ્રસ્તાવ મુક્યો કે સારવાર માટે કેટામાઈન અને LSDનો ઉપયોગ કરવો જોઈએ. આ રીતે લીલી ડ્રગ્સનાં બંધાણી બની ગયા. એનરાઈટ અને લીલીએ અન્ય સાથે મળીને કેટામાઈન ઉપર જોઈન્ટ રિસર્ચ કરવાનું નક્કી કર્યું હતું. તેઓ ડ્રગ્સ લઈને પાણી ભરેલી ટેંકમાં ઉતરતા હતા. એકવાર તેમને ડુબતા પણ બચાવવામાં આવ્યા હતા. અધ્યાત્મ અને પરમજ્ઞાનની પ્રાપ્તિ માટે તેમણે LSDનો હેવી ડોઝ પણ લીધો હતો. તેમનાં અનુભવો પરથી ૧૯૭૮માં પેડી ચેફસ્કીએ ''ઓલ્ટર સ્ટેટ'' નામની નવલકથા લખી હતી. જેને કેન રસેલે ફિલ્મ તરીકે રજુ કરી હતી. જ્હોન લીલી માનતા હતા કે તેમની મુલાકાત પરગ્રહવાસી સાથે થઈ છે. તેમનાં ગ્રુપને તેઓ 'અર્થ કોઈન્સીડેન્સ કંટ્રોલ ઓફિસ' ecco તરીકે ઓળખતાં હતાં.

પોલીમરેઝ ચેઈન રિએક્શનના આવિષ્કારક-કેટી મુલીસ

તમને કદાચ સવાલ થાય કે એ કેટી મુલીસ કોણ છે? બાયો-કેમીસ્ટ્રીમાં સૌથી વધારે ઉપયોગી પોલીમરેઝ ચેઈન રિએક્શન ટેકનિક તેમણે શોધી છે. જનીનનાં ટુકડાની સંશોધન માટે સેંકડો નકલ તૈયાર કરવાની હોય ત્યારે PCR ટેક્નિક વપરાય છે. જેના માટે તેમને નોબેલ પ્રાઈઝ ૧૯૯૩માં મળ્યું હતું. આ શોધ પાછળનું 'રહસ્ય'. ૧૯૯૪નાં કેલિફોર્નિયા મન્થલીમાં મુલીસ લખે છે કે સાઈઠ અને સિત્તેરનાં દાયકામાં તેમણે પુષ્કળ પ્રમાણમાં LSDનો ડોઝ લીધો હતો. જેણે મુલીસનાં મગજનાં દ્વાર ખોલી નાખ્યા હતાં. LSDનો તેમનો અનુભવ તેઓ 'માઈન્ડ ઓપનીંગ' તરીકે ઓળખાવે છે. BBCનાં ઈન્ટરવ્યુમાં સવાલ પુછવામાં આવ્યો હતો કે તમે LSDનાં ડોઝ લીધા ન હોત તો, PCRની શોધ થઈ હોત ખરી? મુલીસ ઉવાચ : આઈ ડોન્ટ નો, આઈ ડાઉટ, પોતાની આત્મકથા 'ડાન્સીંગ નેકેડ ઈન ધ માઈન્ડ ફિલ્ડ'માં તેઓ એચઆઈવી, જ્યોતિશ શાસ્ત્ર, પેરાસાયકોલોજી, ગ્લોબલ વાર્મિંગ, ઝેરી કરોળીયાથી માંડીને પોતાનાં અનુભવો વિશે વાત કરે છે. જેમાં ડ્રગની વાત પણ સામેલ છે.

ભૌતિકશાસ્ત્રી રિચાર્ડ ફેનમાન અને કેટામાઈન, મારીજુઆના

રિચાર્ડ ફેનમાન વિશ્વ પ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી હતાં. જ્હોન લીલીનાં કેટામાઈન LSDનાં પ્રયોગોથી રિચાર્ડ ફેનમાન આકર્ષાયા હતાં. જોકે તેઓ પોતાનાં માનસીક સ્વાસ્થ્ય પ્રત્યે પણ ખુબજ સજાગ હતા. તેમણે કેટામાઈન અને મારીજુઆના લઈને મગજ પર થતી અસરો ચકાસવા માટે મર્યાદીત પ્રમાણમાં પ્રયોગો કર્યા હતાં. તેમણે ડ્રગનાં શિકાર બની ન જવાય તેની ખાસ તકેદારી રાખી. ડૉ. ફેનમાન યહુદી હતાં. બીજા વિશ્વયુધ્ધ દરમ્યાન પરમાણુ બોમ્બ વિકસાવવામાં મદદ પણ કરી હતી. તેમણે જ્હોન લીલીએ વિકસાવેલ સેન્સરી ડિપ્રીવેશન ટેંકનો અનુભવ પણ લીધો હતો. એકલતા પ્રાપ્ત કરવા માટે ફેનમાન LSD, મારીજુઆના અને  LSDનો પ્રયોગ કરતા હતાં. તેમનાં અનુભવની વાત તેમણે આત્મકથા જેવાં પુસ્તક 'શ્યોરલી યુ આર જોકીંગ મી. ફેનમાન'માં લખી છે. ડ્રગ્સનો ઉપયોગ કરીને તેઓ કુદરતનું સૌથી વધારે 'પ્લીઝર મશીન' મગજ બગડે નહી તેની ચિંતા હતી. તેમ છતાં ડરતા ડરતા તેમણે ભ્રામક-ભ્રમણાનો અનુભવ કરવા માટે ડરતાં ડરતાં LSD લીધું હતું.

થોમસ આલ્વા એડિસન અને કોકેઈન

થોમસ આલ્વા એડિસન એક બહુ પ્રતિભાશાળી વૈજ્ઞાાનિક હતાં. તેમનાં જમાનામા અને કદાચ, હાલમાં પણ સૌથી વધારે વૈજ્ઞાાનિક શોધો માટે પેટન્ટ હક્કો એડિસનનાં નામે બોલે છે. જેને એક રેકોર્ડ ગણી શકાય. એડિસને કોકેઈનનો ઉપયોગ અલગ અંદાજમાં કર્યો હતો. ૧૮૬૩માં ફ્રેન્ચ રસાયણશાસ્ત્રીએ 'વિન મારીઆની' નામનો આ 'વાઈન' રજુ કર્યો હતો. વાઈનને કોકોનાં પાંદડા સાથે રાખીને તૈયાર કરવામાં આવતો હતો. કોકોનાં પાંદડામાંથી નશીલું ડ્રગ્સ કોકેઈન બને છે. એક ઔંસ વાઈનમાં સાત મીલીગ્રામ જેટલું કોકેઈન ભળેલું રહેતું હતું. થોમસ આલ્વા એડિસને તેનાં જીવનનાં ચોક્કસ કાળમાં નિયમિત રીતે કોકેઈનયુક્ત વાઈન વાપર્યો હતો. નશીલા ડ્રગ્સ તરીકે હવે વધારે શુધ્ધ અને સિન્થેટીક ડ્રગ્સ મળવા લાગ્યા છે. પહેલાં કોકેઈન અને હેરોઈનનો યુવાનો ઉપયોગ કરતા હતાં. બાઈબલના ત્રણ હજાર વર્ષ પહેલાં કોકો અને કોકેઈનનાં ઉપયોગની ઐતિહાસિક તવારીખ નોંધાયેલી છે.

એપલનાં સ્થાપક સ્ટીવ જોબ્સ અને LSD

જો સ્ટીવ જોબ્સે LSD સાથે પ્રયોગો ન કર્યા હોત તો 'આઈફોન'નો જન્મ થાત ખરો? આ પ્રકારના સવાલ અમેરિકન પત્રકારોએ કરેલ છે. આ વાતની સાબિતીરૃપ મુદ્દાઓ પણ તેમણે ટાંક્યાં છે. સ્ટીવ જોબ્સે જાતે જ કબુલ્યું હતું કે કોલેજ કાળમાં તેઓએ LSDનું સેવન કર્યું હતું. મગજનાં ચેતાતંત્ર પર અસર કરે તેવાં ડ્રગ્સને જોબ્સે ભરપુર માણ્યું છે. જોબનો મિત્ર કહે છે કે સ્ટીવ જોબ્સ જીવતાં હતાં ત્યારે આ કનેક્શન વિશે વાત કરવાની મારી હિંમત ન હતી. હવે જ્યારે જોબ્સ નથી ત્યારે હું વાત કરી શકું છું. અધ્યાત્મની શોધમાં બંને મિત્રો સાથે ભટક્યા હતા. જે દરમ્યાન LSDનો સંગ તેમણે કર્યો હતો. LSDનાં કારણે દુનિયા તરફનો અભિગમ બદલાઈ ગયો હતો. બંને મિત્રોએ 'બી હીયર નાવ' નામનું પુસ્તક વાંચ્યું હતું. જેમાં અધ્યાત્મ અને ચેતાતંત્રને આકાશમાં ઉડતા હોવાની અનુભૂતી કરાવે તેવા ડ્રગ્સની વાત આલેખાઈ છે. અધ્યાત્મની શોધમાં ભટકતાં સ્ટીવ જોબ્સ અને તેમનાં મિત્ર ડેનિયલ કોટકે ચક્ર અને ઊર્જા ચક્ર, ચાઈનીઝ 'મી' અને કુંડલીની વિશે પુસ્તકો પણ વાંચ્યા હતાં. જે વાંચીને તેઓ ભારત આવ્યા હતા. જ્યાં તેઓએ હિપ્પી જેવું જીવન ગાળ્યું હતું.
આ દરમ્યાન તેઓ એ નશીલા દ્રવ્યોનું સેવન પણ કર્યું હતું.

ચેતવણી : આ લેખનો ઉદ્દેશ્ય માહિતી પુરી પાડવાનો છે. માનવીની સર્જન શક્તિ કે ઈન્ટેલીજન્સને વધારવા સાયકીડેલીક ડ્રગ ઉપયોગી છે એવું માનવું નહી અને ડ્રગનાં જાતઅનુભવ કે અખતરા કરવા પ્રેરાવું નહી.