Showing posts with label Genetics. Show all posts
Showing posts with label Genetics. Show all posts

Saturday, 20 May 2023

ડિઝાઇનર્સ બેબી / જીનેટીકલી મોડીફાઇડ બેબી: અમર્યાદિત શક્યતાઓ સામે મર્યાદિત વૈજ્ઞાનિક સંશોધનો.

                
કોરોનાવાયરસ છે દુનિયાના દરેક માનવીનું જીવવાનું હરામ કરી નાખ્યું છે. આપણી પાસે જૈવિક ક્ષેત્રે વિશ્વની ટોપ ક્લાસ ટેકનોલોજી હોવા છતાં, માનવી એક સૂક્ષ્મ વાયરસ સામે ઝૂકી ગયો છે. આવા કપરા કાળમાં કેટલાક વૈજ્ઞાનિકો દલીલ કરી રહ્યા છેકે માનવીનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો, આપણે એવા બાળકો પેદા કરવા જોઈએ, જે સૂક્ષ્મ વાયરસ સામે લડવાની ક્ષમતા પહેલેથી જ મેળવી ચુક્યા હોય. શું ટેકનોલોજીનો ઉપયોગ, મનુષ્ય પ્રજાતિને સુધારવા માટે કરવો જોઈએ ખરો? ટેકનોલોજી વડે મનુષ્ય બાળકને સુધારવામાં આવે તો, આવા સંતાનોને, વિજ્ઞાન જગત જીનેટીકલી મોડીફાઇડ બેબી, ટૂંકમાં જીએમ બેબી, ડિઝાઇનર બેબી,સુપર હ્યુમન જેવા નામથી ઓળખે છે. તાજેતરમાં ખ્યાતનામ વિજ્ઞાન જર્નલ "સાયન્સ"માં એક લેખ પ્રકાશિત થયો છે. જેમાં લેખક/વૈજ્ઞાનિકે રજૂઆત કરી છેકે લેટેસ્ટ ટેકનોલોજી અને વિજ્ઞાનને માત્ર તેના ક્ષેત્ર સાથે સંકળાયેલ ઇજનેરો તબીબો કે વૈજ્ઞાનિકો પુરતું સિમિત રાખવુ જોઈએ નહીં. સામાન્ય માનવી જેવાકે પ્લમ્બર, શિક્ષક, બેકરીવાળા અને અન્ય ધંધા સાથે સંકળાયેલા લોકોનો અભિપ્રાય જિનેટિકલ મોડીફાઇડ બેબી કેવા હોવા જોઈએ તે માટે લેવો જોઈએ. 2017ના અંતભાગમાં બે જોડિયા બહેનોને જન્મ આવ્યો હતો. તેમનો જેનોમ તેમના જન્મ પહેલા જ એડીટ કરવામાં આવ્યો હતો. એટલે બંને જીનેટીકલી મોડીફાઇડ બેબી હતી. મનુષ્યના કટોકટી વાળો સમયગાળો તેને જીનેટીકલી મોડીફાઇડ બેબી તરફ લઇ જશે. મનુષ્ય પ્રજાતિ એક નવી “brave New World” ના કિનારે આવીને ઊભી રહી છે?

Brave New World: સાહિત્યથી વિજ્ઞાન સુધીની અસર

                

1920 ના દાયકામાં,જેબીએસ હાલ્ડેને દ્વારા પ્રજનન તકનીકના ભાવિ વિશેની આગાહીઓ કરવામાં આવી હતી. વૈજ્ઞાનિક જુલિયન હક્સલીના ભાઈઍ આગાહીને ધ્યાનમાં રાખીને એક વ્યંગ્યાત્મક નવલકથા લખી હતી. જેનું નામ હતું "બ્રેવ ન્યુ વલ્ડ". 1932મા પુસ્તક પ્રકાશિત સાથે જ આલ્ડસ હક્સલી પ્રસિદ્ધ વ્યક્તિ બની ગયા. નવલકથામાં સમયકાળ ભવિષ્યનો ઈસવીસન 2540નો હતો. જેમાં એક કેન્દ્રીય પ્રયોગશાળામાં કુત્રિમ રીતે માનવ ગર્ભનો વિકાસ કરવામાં આવતો હતો, તેમા અલગ અલગ પ્રકારના બૌદ્ધિક ક્ષમતા માટે, અલગ-અલગ પાંચ પ્રકારના પાડવામાં આવ્યા હતા. આ બાળકોના કોઈ માતા-પિતા ન હતા. બાળકોને પ્રયોગશાળામાં રહેલ કામદારો ઉછેર કરતા હતા. ટૂંકમાં એમ કહી શકાય કે ભવિષ્યના જિનેટિકલ મોડીફાઇડ બાળકોને આલેખતી આ નવલકથા હતી.
                ૧૯૭૮માં ઈન્ વિટ્રો ફર્ટીલઈઝેસન દ્વારાલુઈસ બ્રાઉન નામની ટેસ્ટ ટ્યુબ બેબી જન્મ થતા, વિશ્વ પ્રસિદ્ધ સમાચાર પત્રિકા ન્યુઝવીકમા લેખ પ્રકાશિત થયો. ત્યારે "બ્રેવ ન્યુ વલ્ડ" નવલકથાને ફરીવાર યાદ કરાવવામાં આવી. 2014માં પ્રથમવાર ૩ માતા-પિતા દ્વારા “સરોગેટ મધર” નો પ્રયોગ સફળ રહ્યો, ત્યારે પણ, "બ્રેવ ન્યુ વલ્ડ" પુસ્તકનો સંદર્ભ આપીને ન્યૂયોર્ક ટાઈમ્સ લખ્યુ કે “સરોગેટ મધર "બ્રેવ ન્યુ વલ્ડ" ની શરુઆત થઈ ચુકી છે. સાહિત્યની દુનિયા આગળ વધે છે. નવલકથાકાર કાઝુઓ ઇશિગુરો, જેની 2005ની નવલકથા 'નેવર લેટ મી ગો' નવલકથામાં જીનેટિકલી મોડીફાઇડ બાળકોને , પ્રયોગશાળામાં જ મનુષ્યના વિવિધ અંગોનો ઉપયોગ કરવામાં આવતો હોય, એમ વિકાસ કરતા દર્શાવવામાં આવ્યા હતા. કાઝુઓ ઇશિગુરો નામના લેખકે, બાળકોનો અંગ દાન કરનારા તરીકે ઉત્પાદિત અને ઉછેર થતો હોય તેવુ વર્ણન કર્યુ છે.ચાઈનીઝ વૈજ્ઞાનિક દ્વારા બે જોડિયા બહેનોને જિનેટિકલ ટેકનોલોજી વાપરીને જન્મ આપવામાં આવ્યો, ત્યારે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી કે જનીન સંપાદનમાં આગળ વધવા બદલ આભાર, "અમે એક એવા બિંદુની નજીક આવી રહ્યા છીએ, જ્યાં આપણે આપણે બાયોલોજીકલ પસંદગીના બાળકો પેદા કરી શકીએ છીએ, એવા લોકોને બનાવી શકીએ જેઓ બીજા કરતા શ્રેષ્ઠ હોય.

ડિઝાઇનર્સ બેબી / જીનેટીકલી મોડીફાઇડ બેબી

              
 
”કોરોના વાયરસના ખતરાએ, વૈજ્ઞાનિકોને ફરીવાર વિચારવા અને જીનેટિકલ એન્જિનિયરિંગના નવા અખતરા કરવા માટે મજબૂર બનાવ્યા છે. આજની તારીખ ભૂતકાળમાં થયેલા આગાહી સાચી પાડી શકાય તેવી ટેકનોલોજીનો વિકાસ થઈ ચૂક્યો છે. શ્રેષ્ઠ મનુષ્ય પેદા કરવા માટે, વૈજ્ઞાનિકો કઈ ટેક્નોલોજી વાપરે છે? જીનેટીકલી મોડીફાઇડ બાળકો એટલે શું? આવા અનેક સવાલો, સામાન્ય માનવીને પેદા થતા હોય છે. જેને અહીં સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ.
                જિનેટિક એન્જિનિયરિંગનો ઉપયોગ કરીને, ગર્ભનો વિકાસ થાય તે પહેલાં જ સ્ત્રીના ઈંડા અથવા પુરુષના શુક્રાણુમાં રહેલા જનીનોને સુધારીને કુત્રિમ અથવા કુદરતી ગર્ભાવસ્થા દરમિયાન બાળકને જન્મ આપવામાં આવે તો, સુધારેલા જનીનવાળા આવા બાળકો, ડિઝાઇનર બેબી અથવા જીનેટીકલી મોડીફાઇડ બેબી તરીકે ઓળખાય છે. હાલના તબક્કે ગર્ભાવસ્થા દરમિયાન માલુમ પડે કે વિકસી રહેલ બાળકના ગર્ભમાં ભવિષ્યમાં કોઈ પ્રાણઘાતક રોગ જેવા કે, કેન્સર હૃદય કિડની કે મગજ ને લગતા રોગ થઈ શકે તેમ છે તો, આ રોગ માટે જવાબદાર જનીનોને વૈજ્ઞાનિકો ગર્ભાવસ્થાના શરૂઆતના તબક્કે અથવા ગર્ભાવસ્થા શરૂ થાય તે પહેલા, જિનેટિક એન્જિનિયરિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને, જન્મનાર બાળકના જેનોમમાં સુધારા વધારા કરી શકે છે. ખાસ રોગ પ્રત્યે જનીનોના બદલાવને કેટલાક દેશોએ માન્યતા આપી છે. મનુષ્ય શરીરમાં રહેલા બધા જ જનીનોના સમૂહને જેનોમ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે જનીનમાં ખાસ પ્રકારનો બદલાવ, ઉમેરો કરવામાં આવેકે રોગ માટે જવાબદાર જનીન દૂર કરવામાં આવે તો આ પ્રક્રિયાને, “જિનેટિક એડિટિંગ” તરીકે ઓળખવામાં આવેછે. આ પ્રક્રિયા દરમ્યાન ડીએનએ ટુકડામાં, નવો ડીએનએ ટુકડો ઉમેરવામાં આવેછે. અથવા દૂર કરવામાં આવેછે. મનુષ્ય જનીનમાં એડિટિંગ કરવું એક મોટો વિવાદાસ્પદ મુદ્દો છે. કેવા પ્રકારનું એડિટિંગ કરી શકાય અને કેવા પ્રકારનું એડિટિંગ ન થઈ શકે એ બાબતે પણ વૈજ્ઞાનિકો અથવા સરકાર હજી સ્પષ્ટ નથી. આમ છતાં વિજ્ઞાન જગતમાં એક આછી પાતળી રૂપરેખાઓ તૈયાર કરવામાં આવી છે.

જિનેટિક એન્જિનિયરિંગ અને અમર્યાદિત શક્યતાઓ

                
જેનેટિક એન્જિનિયરિંગનો ઉપયોગ કરીને સારા પ્રકારની ખેતી ઉપર જ મેળવી શકાય છે, સારા પ્રકારના પશુઓની પ્રજાતિ તૈયાર કરી શકાય છે. જે વધારે અને સારી ગુણવત્તાવાળુ દૂધ આપે. વનસ્પતિ પોતે જ ઉપદ્રવ પેદા કરનારી જીવાતોને અંકુશમાં લઇ શકે, તે પ્રકારના જનીનો ધરાવી શકેછે.આમ જેનેટિક એડિટિંગની ટેક્નિકના ઉપયોગની શક્યતા અમર્યાદિત છે. પરંતુ દરેક ક્ષેત્રમાં તેનો ઉપયોગ આડેધડ રીતે થઈ શકતો નથી. જેનેટિકલી મોડીફાઈડ અનાજ, માસ તથા અન્ય ઉત્પાદનો હવે સહેલાઈથી બજારમાં ઉપલબ્ધ થવા લાગ્યા છે. ભારતમાં પણ જેનેટિકલી મોડીફાઈડ રીંગણ એટલે કે બીટી રીંગણનો કેસ વિવાદાસ્પદ બન્યો હતો. ગર્ભનો વિકાસ થતો હોય ત્યારે, એક તબક્કો એવો આવે છે, જ્યારે શરીરના કોષ વિવિધ પ્રકારના કોષ જેવા કે આંખ, યકૃત, ફેફસા, કિડની, મગજ જેવા 200 કરતાં વધારે પ્રકારના કોષોમાં પરિવર્તિત થઇ ચુક્યા હોય છે. પરિવર્તિત થયેલા કોષ “સોમેટીક સેલ” તરીકે ઓળખાય છે. વૈજ્ઞાનિક દ્વારા રોગની સારવાર માટે “સોમેટીક સેલ”માં બદલાવ કરવામાં આવે તો, તે વધારે વિવાદાસ્પદ બાબત બનતી નથી.“સોમેટીક સેલ” ઉપર જિનેટિક એડિટિંગ કરવામાં આવે તો, તેમાં કરવામાં આવેલ ફેરફાર વારસાગત લક્ષણો તરીકે તેમના બાળકોમાં ઉતરતા નથી.
              
 
જ્યારે જર્મલાઈન સેલ એટલે અંડકોષ અથવા શુક્રાણુ ઉપર જેનેટિક એડીટીંગ કરવામાં આવે તો તે વિવાદાસ્પદ બનેછે, કારણકે આવા કોઈપણ કોષો કરવામાં આવેલ, જનીનના બદલાવ, વારસાગત લક્ષણો તરીકે આવનારી પેઢીમાં પણ ઉતરે છે. આ કારણે ભવિષ્યની આવનારી પેઢી માટે, વારસાગત લક્ષણો સ્વરૂપે કેટલાક જનીનીક ફેરફારો ઉતરી શકે એવું કરવું હોય તો. ગર્ભાવસ્થાના શરૂઆતના તબક્કામાં જિનેટિક એડિટિંગ કરવું પડે છે. જ્યારે વિકસતા કોષોનું સ્વરૂપ સ્ટેમ સેલ પ્રકારનું હોય છે. સ્ટેમસેલ એવા કોષ છેજે વિકાસ પામીને, શરીરના કોઈપણ પ્રકારના અંગોનાં કોષોમાં ફેરવાઈ જવાની ક્ષમતા ધરાવે છે.

CRISPR CS-9 ટેકનોલોજીની ચાઈનીઝ કમાલ.

              
 
હાલમાં CRISPR CS-9 નામની ટેકનોલોજી વાપરીને વૈજ્ઞાનિકો આસાનીથી જનીનોને એડિટ કરી શકે છે. 2018માં ચાઈનીઝ વૈજ્ઞાનિક હે જિંયાન કુઇએ CRISPR CS-9 નામની ટેકનોલોજી ઉપયોગ કરીને CCR5 નામના જનીનમાં બદલાવ કર્યો હતો. જ્યારે માતા પિતા બેમાંથી એકને એઈડ્સનો રોગ થયો હોય ત્યારે, જન્મનાર બાળકને એચઆઇવી વાયરસ સામે રક્ષણ આપવા માટે CCR5 ફેરફાર કર્યો હતો. એની વૈજ્ઞાનિકે ચીનના હોંગકોંગમાં નવેમ્બર 2018 માં યોજાયેલી આંતરરાષ્ટ્રીય જિનોમ-એડિટિંગ સમિટમાં આ પ્રયોગમાં કરેલ ડેટાનું એનાલિસિસ કરી વૈજ્ઞાનિકો સમક્ષ પોતાની સિદ્ધિ રજૂ કરી હતી.આ પ્રયોગ વિવાદાસ્પદ બન્યા બાદ સરકારે, વૈજ્ઞાનિક સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેમાં વૈજ્ઞાનિક અને અન્ય ત્રણ વ્યક્તિ દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. વૈજ્ઞાનિક સહિત ત્રણેય વ્યક્તિ ને ત્રણ વર્ષની જેલ કરવામાં આવી હતી. કારણકે તેણે કરેલા પ્રયોગ જેનેટિકલી મોડીફાઈડ બેબી એટલે કે ડિઝાઇનર બેબીની કક્ષામાં આવતા હતા. આ ઉપરાંત તબીબી જગતની નૈતિક રૂપરેખા અને નીતિ-નિયમોનો તેમણે ભંગ કર્યો હતો.
              
 
આ પ્રયોગના પરિણામ જાહેર થતા અન્ય વૈજ્ઞાનિકોએ પણ ઉંદર ઉપર,CCR5 જમીનને એડિટ કરીને પ્રયોગો કર્યા હતા. ત્યારે જોવા મળ્યુંકે ઉંદરની નવી વસ્તુ શીખવાની અને યાદદાસ્ત માં વધારો થયેલો જોવા મળ્યો હતો. વૈજ્ઞાનિકો માને છે કે ચાઈનીઝ વૈજ્ઞાનિક દ્વારા બાળકની બુદ્ધિ ક્ષમતામાં વધારો કરવા માટે, ખોટું કારણ આગળ ધરીને CCR5 જનીનમાં બદલાવ કર્યો શક્યતા પણ રહેલી છે. યુનિવર્સિટી કેલિફોર્નિયાના વૈજ્ઞાનિકે કરેલ પ્રયોગમાં એવું પણ જાણવા મળ્યું કે, CCR5 જમી જમીનના બદલાવથી બાળક સ્માર્ટ બને છે એટલું જ નહીં, ભવિષ્યમાં તેને બ્રેઈન સ્ટ્રોક થવાની શક્યતામાં પણ ઘટાડો થાય છે. અને બ્રેઈન સ્ટ્રોક માંથી તેના રિકવરીની તકો પણ વધી જાય છે. ઈન્ટરનેટ ઉપર કરવામાં આવેલા એક સર્વેમાં મોટાભાગના લોકોએ જેનેટિકલી મોડીફાઈડ બાળક પેદા કરવા ઉપર પોતાની સંમતિ દર્શાવી હતી. લાગે છે કોરોનાવાયરસના કપરાકાળમાં મનુષ્ય અસ્તિત્વ ટકાવી રાખવા અને વાયરસ સામે લડવા માટે લોકો જિનેટિકલ મોડીફાઇડ બાળકો ની પસંદગી તરફ આગળ વધે તો નવાઈ લાગશે નહીં.

Monday, 27 November 2017

ચાર્લ્સ ડાર્વિનનાં પગલે પગલે...

Pub-Date:19.11.2017

આધુનિક સંશોધન સાબિતી આપે છે...

ભૌતિક શાસ્ત્ર જેમ આલ્બર્ટ આઈનસ્ટાઈનનાં ઉલ્લેખ વગર અધુરુ છે. એ રીતે જીવવિજ્ઞાાન એટલે કે બાયોલોજી ચાર્લ્સ ડાર્વીનનાં ઉલ્લેખ વગર અધુરૃં ગણાય. ચાલ્સ ડાર્વીનની થિયરી ઓફ ઈવોલ્યુશન એટલે કે ''ઉત્ક્રાંતિવાદ'' એ ધર્મ દ્વારા આપેલ સજીવ ઉત્પતિની સંકલ્પનાને ખોટી પાડે છે. આજે બે સદી બાદ પણ, ધર્મ અને ચાર્લ્સ ડાર્વીનની થીયરી વચ્ચેનો વિગ્રહ દૂર થાય તેમ નથી. આમ છતાં ચાર્લ્સ ડાર્વિને ''બિગલ'' નામનાં જ્હાજમાં દરીયાઈ મુસાફરી કરીને, વિવિધ ટાપુઓ ઉપર રહેલાં સજીવોનાં નમુના એકઠા કર્યા. આ ઉપરાંત અનુભવજન્ય અને અવલોકનજન્ય તારણોનો સમન્વય કરીને એક ક્રાન્તિકારી, ઉત્ક્રાંતિની થિયરી આપીને દુનિયાને આશ્ચર્યચકિત કરી હતી. આ પ્રકારની થિયરી આલ્ફેડ વોલેસ રસેલે પણ શોધી કાઢી હતી. ચાર્લ્સ ડાર્વીને રસેલનું સંશોધન પણ વાંચ્યું હતું. જોકે પોતાનાં સંશોધનને પહેલાં રજુ કરીને ઉત્ક્રાંતિવાદની ક્રેડીટ પોતાના નામે કરવામાં ચાર્લ્સ ડાર્વીન સફળ રહ્યાં હતાં. આજનાં આધુનિક સંશોધન પણ ચાર્લ્સ ડાર્વિન સાચા હોવાની સાબીતી આપે છે. ચાર્લ્સ ડાર્વિનનું વિરાટ કદ જોઈને, યુનિ. ઓફ કનેક્ટીક્ટ દ્વારા, મિ. ડાર્વિન - બિગ મેન ઓન કેમ્ચસ નામનું લેકચર ગયા ઓક્ટોબર મહિનાની ૨૮ તારીખે ગોઠવાઈ ગયું હતું. 

ચાર્લ્સ ડાર્વિન : અધૂરી કહાની... 

ચાર્લ્સ ડાર્વિન વિશે લખીએ તો, પુસ્તકો ભરાઈ જાય. અને સાચે જ... ચાર્લ્સ ડાર્વિને લખેલ સાહીત્ય કરતાં, ચાર્લ્સ ડાર્વિન વિશે વધારે પુસ્તકો લખાયા છે. ૧૮૩૧માં ચાર્લ્સ ડાર્વિન યુની. ઓફ કેમ્બ્રીજમાંથી ગ્રેજ્યુએટ થયા હતાં. સામાન્ય ડિગ્રી મેળવનારાં ૧૭૮ વિદ્યાર્થીઓમાં ચાર્લ્સ ડાર્વિન દસમા ક્રમે હતો. એમણે પોતાના વક્તવ્યમાં એક વાર કહ્યું પણ ખરૃં કે, ''મારો અભ્યાસકાળ એ સમયની બરબાદી હતો.'' આવો સામાન્ય વિદ્યાર્થી આખરે તેના યુગનો મહાન વૈજ્ઞાાનિક કઈ રીતે બની ગયો ? વૈજ્ઞાાનિક તરીકેની કારકીર્દીને તેમણે કઈ રીતે વ્યવસાય બનાવી લીધો ? તે સમયે શાળા-કોલેજો અને યુનિવર્સીટીઓ તો ચાર્લ્સ ડાર્વિન વિશે શું અભિપ્રાય હતો ? આ બધા સવાલોનાં જવાબ મેળવવા માટે ચાર્લ્સ ડાર્વિન વિશે ખૂબ વાંચવું પડે. તેમણે ખેડેલી HMS  ''બિગલ''ની દરિયાઈ સફરે તેનાં જીવનમાં આમુલ પરીવર્તન લાવી દીધું હતું. ૧૮૫૯માં તેમણે લખેલ ''ઓન ધ ઓરીજીન ઓફ સ્પીસીઝ'' મુખત્વે પ્રાણીઓ અને પક્ષીઓની વાત કરે છે. જ્યાં ઈવોલ્યુશન એટલે ઉત્ક્રાંતિ માટે ''ટ્રાન્સમ્યુટેશન'' જેવો શબ્દ વપરાયો છે. ૧૮૩૮માં તેમણે જાહેર કર્યું હતું કે ''મનુષ્યનું મૂળ/ઉત્પતિ રહસ્ય હવે પકડાઈ ગયું છે. 
૧૭૫૮માં વૈજ્ઞાાનિક નામોની વિશિષ્ટ પ્રણાલી આપનાર કાર્લ લીનસ દ્વારા ''પ્રાઈમેટ'' (અથવા પ્રિમેટ) શબ્દ વપરાયો હતો. લેટીન ભાષામાં તેનો અર્થ થાય ''પ્રથમ ક્રમાંક દરજ્જાનું'' જેમાં વાનરથી માંડી નર મનુષ્ય સુધીનો સમાવેશ થતો હતો. ચાર્લ્સ ડાર્વિને ''પ્રિમેટ''ને પણ પોતાનાં અભ્યાસનું સાધન બનાવ્યા હતાં.'' મનુષ્યનાં હાવભાવ, લાગણીઓની સાથે સાથે મુખાકૃતિ કઈ રીતે બદલાય છે તેનું દસ્તાવેજી કરણ કઈ રીતે કરવું ? આ સવાલનો જવાબ મેળવવા માટે નવજાત શિશુનું અધ્યઅન કરવું જરૃરી હતું. પોતાના સાળા હેન્સલે વેડવુડનાં તાજા જન્મેલાં સંતાન અર્નેસ્ટ પર તેમણે અધ્યન ચાલુ કર્યું હતું. જેનો જન્મ ૧૮૩૮માં થયો હતો. ૨૯ જાન્યુઆરી ૧૮૩૯માં ચાર્લ્સ ડાર્વિનનાં ઘરે પારણું બંધાયું અને વિલીયમ ઈરાસ્મસનો જન્મ થયો. જે ડાર્વિનનાં દસ સંતાનોમાં પ્રથમ હતો. અને ''આંખનું રતન'' પણ તેનાં ઉપર ડાર્વિને અભ્યાસ શરૃ કર્યો. ઈરાસ્મસ ડાર્વિન પણ આગળ જતાં બેન્કીંગ ધંધામાં ઝંપલાવે છે. પરંતુ ચાર્લ્સ ડાર્વિન માટે તે ઈન્ફત્ટ સાયકોલોજી સમજવા માટેનું હથિયાર હતો. તેનાં શરૃઆતનાં ત્રણ વર્ષનાં તેના ચહેરાના હાવભાવ અને શારીરિક હલન ચલનની ડાયરી ડાર્વિને રાખી હતી. 

પક્ષીઓનો પાંખોનો ફફડાટ 

૧૫૦ વર્ષ પહેલાં ચાર્લ્સ ડાર્વિન કહી ગયા હતાં કે, પક્ષીઓ તેની પાંખોનો ઉપયોગ માત્ર ઉડવા માટે કરતાં નથી. સંદેશાવ્યવહાર માટે પણ પાંખોનો ફફડાટ ઉપયોગમાં લે છે. આ વાત તે સમયે કોઈએ માની ન હતી કારણ કે દરેક પક્ષી પાસે વિશિષ્ટ પ્રકારનો પોતાનો ગળાનો અવાજ હોય છે. શા માટે પછી પંખી બીજી પ્રકારનાં કોમ્યુનીકેશનને ઉપયોગમાં લે ? જોકે આધુનિક સંશોધને ચાર્લ્સ ડાર્વિનને સાચો ઠેરાયો છે. રોબર્ટ મેગાર્થ નામનાં સંશોધકે પોતાનું સંશોધન કબુતર પર સ્થીર કર્યું છે. સંશોધન દરમ્યાન જાણવા મળ્યુંછે કે કલગીવાળા કબુતર, તેની ઉડવાની મુખ્ય પાંખોનાં પીછાનો ઉપયોગ, હાઈ પીચ વોર્નીગ સાઉન્ડ આપવા માટે કરે છે. જેથી કરીને તેની સાથે ઉડનારા અન્ય કબુતરને ખતરાની જાણ થાય અને ખતરાવાળા સ્થાનથી તેઓ દુર ચાલ્યા જાય. શરૃઆતમાં વૈજ્ઞાાનિકોને લાગ્યું કે પાંખોનાં ફફડાટનો તીણો અવાજ એ એક સાઈડ ઈફેક્ટ છે. પરંતુ ઉડાં ઉતરતાં જાણવા મળ્યું કે ''ઉડવા માટેનો અલગ અલગ પ્રકારનાં પીંછા જ્યારે ખતરો જોવા મળે ત્યારે જ, આઠમું નાનું પીછુ કબુતર વાપરે છે.'' 
અત્યારનું પક્ષીઓનાં સંદેશાવ્યવહારનું વિજ્ઞાાન મોટા ભાગે પક્ષીઓનાં અવાજને કેન્દ્રમાં રાખીને ફોક્સ થયેલું હતું. જેમાં ગળાનાં અવાજને વધારે મહત્વ આપવામાં આવ્યું હતું. સંશોધકોએ જોયું કે પક્ષીઓ તેમની પાંખોનો ઉપયોગ સંગીત પેદા કરવા માટે પણ કરે છે. જેમાં કબુતર મોખરે છે. કબુતરની પાંખોનો અવાજ, જ્યારે ખતરો હોય ત્યારે વધારે તીણો બની જાય છે. હાઈ સ્પીડ વિડિયોમાં કબુતરની પાંખોનાં પીછા અલગ કરીને પણ સંશોધન કરવામાં આવ્યું હતું. ત્યારે ખતરાની સીટી વાગી ન'હતી. જેમ જેમ પક્ષી વધારે ઝડપથી પાંખો વિઝે છે તેમ તેમ વધારે અલગ પ્રકારનો અવાજ પેદા થાય છે. પક્ષીનું આઠમુ પીછું. ''હાઈ નોટ'' અવાજ પેદા કરે છે. જ્યારે નવમું પીછું ''લો નોટ'' અવાજ પેદા કરે છે. શાંત બેઠેલા પક્ષીઓ પાસે આ અવાજનું રેકોર્ડીંગ વગાડતા, પક્ષીઓ ભયના માર્યા ઉડી જતાં હતાં. જે પક્ષીનું આઠમું પીછું દુર કરી નાખ્યું હોય તેવાં કબુતરનો અવાજ અન્ય શાંત કબુતરને સંભળાવવામાં આવ્યો ત્યારે કબુતર ભયનાં માર્યા ઉડવાને બદલે શાંત બેસીને, આમતેમ માત્ર જોતા રહે છે. ચાર્લ્સ ડાર્વિનના પગલે પગલે ચાલતાં, વૈજ્ઞાાનિકોને અનોખુ રહસ્ય જાણવા મળ્યું હતું. 

પરગ્રહવાસી ''એલીયન્સ''નાં આકાર વિશે... 

સ્ટાર ટ્રેક જેવી સીરીઅલ્સ શરૃ થઈ અને લોકોનાં મનમાં વિચિત્ર પ્રકારનાં ''એલીયન્સ''નો આકાર ઉભરતો રહ્યો હતો. માની લો કે સુર્યમાળાની બહાર કોઈ ગ્રહ પર સજીવ સૃષ્ટિની શરૃઆત થઈ ગઈ છે ! તો તેમનો દેખાવ કેવો હોઈ શકે ? આ સવાલનો જવાબ યુનિ. ઓફ ઓક્સફોર્ડનાં પ્રાણીશાસ્ત્રનાં વૈજ્ઞાાનિકો આપે છે ! પરગ્રહવાસીઓનો દેખાવ જોવો હોય તો, પૃથ્વી પર વિકસેલાં સજીવો તેનાં આકાર અને અંગો, જેવા કે ચહેરો, આંખ, હાથપગ વગેરેને લક્ષમાં રાખીને કલ્પના કરશો નહીં. ગ્રહની કેમેસ્ટ્રી ઉપર પણ આધાર રાખશો નહીં. અહીં તમને માત્ર એક થિયરી કામ લાગશે. ચાર્લ્સ ડાર્વિનની થિયરી ઓફ ઈવોલ્યુશન અને નેચરલ સિલેકશન એટલે કે પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત. વૈજ્ઞાાનિકો માને છે કે ચાર્લ્સ ડાર્વિનની થિયરી માત્ર પૃથ્વી ગ્રહ પુરતી જ નહીં અન્ય ગ્રહનાં સજીવો માટે પણ વાપરી શકાય તેમ છે. જેમ જેમ સમય વિતતો જાય છે તેમ તેમ સજીવ તેનો પર્યાવરણને વધારે અનુકૂળ થવાની કોશીશ કરે છે. જેમાંથી તેનાં અંગોને ઉત્ક્રાંન્તિનાં માર્ગે પસાર થવું પડે છે. 
જે કુદરતી પરીબળોનો સામનો કરી ટકી જાય છે તે વધારે લાંબુ જીવે છે અને વધારે સંતાનો પેદા કરે છે. પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત, સજીવથી માંડી વ્યક્તિગત સેલ એટલે કે પ્રારંભીક કોષ લેવલ સુધી લાગુ પડે છે. ટીમ લીડર સેમ્યુઅલ લેવીન કહે છે કે ''ડાર્વિનનો ઉત્ક્રાંન્તિવાદ જટીલ કોષો, મલ્ટીસેલ્યુલર સજીવ, પ્રાણી અને છેવટે સામાજીક માળખું પેદા કરે છે.'' આ હિસાબે લીલા રંગનો માનવી, વધારે મોટા દાંત જેવી કલ્પનાઓ કરવી વ્યાજબી નથી. વૈજ્ઞાાનિકો અલગ અલગ પ્રકારનાં સજીવોની મુખ્ય ખાસીયત રિપ્રોડકશન એટલે કે સંતાનોત્પતિ છે. માત્ર સંતાન ઉત્પન્ન કરતાં સજીવો જ જીવી શકે તે વ્યાખ્યા ખોટી છે. ઘોડા અને ગધેડાનાં મિશ્રણ જેવી પ્રજાતિ ''ખચ્ચર'', જૈવિક રીતે સ્ટરાઈલ એટલે કે સંતાન પેદા કરવા લાયક નથી છતાં પોતાની જીંદગી તો જીવે જ છે. કાર્બન આધારીત 'ડિએનએ'ની કલ્પના કરી નવા ગ્રહનાં સજીવોની કલ્પના કરવી પણ વ્યાજબી નથી. સીલીકોન પણ કાર્બન જેવી કેટલીક ખાસીયતો ધરાવે છે. આમ સીલીકોન આધારીત જીવન સંભાવના પણ વિચારવી જોઈએ. 

ગાલાપેગોસ ટાપુની જીવ સૃષ્ટી, જીનેટીક એન્જીન્યરીંગ વડે બચાવી શકાશે ? 

૨૫ સપ્ટેમ્બર ૧૮૩૫નાં રોજ HMS બીગલનો કાફલો ગાલાપેગોસ આર્કીપેલાગોએ પહોંચ્યો હતો. જ્યાં ચાર્લ્સ ડાર્વિને પ્રથમવાર પગ મુક્યો તે ટાપુ ''ચાર્લ્સ'' ટાપુ તરીકે ઓળખાય છે. અહીં ૨૦૦ થી ૩૦૦ લોકોની વસ્તી દ્વારા મનુષ્યએ પ્રકૃતિને ખરાબ કરવાનું કામ શરૃ કર્યું હતું. આ ટાપુ પર ઈકવેડોરમાં બળવો પોકારનાર લોકોને ચાર્લ્સ ટાપુ પર કાળા પાણીની સજારૃપે ધકેલવામાં આવ્યા હતાં. નિચાણવાળો ભાગ ચાર્લ્સ ડાર્વિનને આકર્ષી શક્યો ન'હતો. ૨૫ ઓગસ્ટ ૨૦૧૭માં કાર્લ કેસ્પબેલ નામનો જીવવિજ્ઞાાની ટ્વીન એન્જીનવાળી બોટ દ્વારા આ ટાપુ પર પહોંચે છે જેનું નામ ''ફલોરીના'' છે. તે પહોંચ્યો ત્યારે અહીં માત્ર ૧૪૪ માણસો હતો. ચાર્લ્સ ડાર્વિનનાં સમય કરતાં માત્ર અડધા. 
છેલ્લા ૨૦ વર્ષથી કાર્લ કેમ્પબેલ ગાલાપેગોસ ટાપુઓ પર વસવાટ કરતો રહ્યો છે. જેનો મુખ્ય મકસદ અહીંની જીવસૃષ્ટિનું નિકંદન નિકળી ન જાય અને ભવિષ્ય માટે સજીવ પ્રજાતીઓને બચાવી લેવાનો રહ્યો છે. ફલોરીનાની પ્રજાતિ નિકંદનનો દર ખૂબ ઉંચો છે. અહીં એન્ડેન્નર સ્પીસીઝની સંખ્યા પણ ખૂબ વધારે છે. અહીં ઉંદરોની સંખ્યા પુષ્કળ વધી ગઈ છે. જેને મારવા માટે ૪૦૦ ટન ઉંદર મારવાનું ઝેર લોકો વાપરી ચુક્યા છે. જેની અસર સ્થાનિક પક્ષીઓ અને સરીસૃપ પ્રાણીની વસ્તી ઉપર થઈ રહી છે. ઉંદર મારવાની દવાની અસર એ થઈ છે કે બાકીનાં ઉંદર પણ ઝેર સામે પ્રતિરક્ષા કેળવી રહ્યાં છે. આમ લુપ્ત થતી પ્રજાને હવે માત્ર જીનેટીક એન્જીન્યરીંગ વડે જ બચાવી શકાય તેમ છે. ઉંદરો માત્ર નર પેદા કઈ રીતે કરે છે તે માહિતી ઉંદરનાં તાજેતરમાં થયેલ જીનેટીક મ્યુટેશનથી જાણી શકાય તેમ છે. આધુનિક ''ક્રિસ્પર'' ટેકનીક વાપરીને સજીવોનું સંરક્ષણ વધારી શકાય તેમ છે. ઉંદરોની પ્રજાતિને નિયંત્રણમાં લેવા માત્ર પુરૃષ ઉંદર પેદા થાય તેવી જીનટેકનીક વાપરવાથી સરવાળે માદા રહીત ટાપુ પરથી ઉંદરોની પ્રજાતી ખતમ કરી શકાય તેમ છે. આમ ઝેર કે બુલેટ કરતાં રામબાણ ઈલાજ સાબીત થાય તેમ છે. ચાર્લ્સ ડાર્વિને જોયેલા વિશાળકાય કાચબા પણ હવે લુપ્ત થવાની અણી પર આવી ગયા છે. ફલોરીના ટાપુ પર તેમની વસતી ખતમ થઈ જવાથી બે ડઝન કાચબા અન્ય ટાપુ પરથી અહીં લાવવામાં આવ્યાં છે.

Sunday, 28 August 2016

ઓલિમ્પિક રમતોત્સવમાં સુપર સ્પોર્ટસ વુમન : સ્ત્રી-પુરૃષ વચ્ચેની જૈવિક ભેદ રેખા સમસ્યા બને ત્યારે !


Pub. date : 28.08.2016.

કેટલીક વાર કુદરત ભુલ કરે છે અને ભોગ બને છે સ્ત્રી ખેલાડી. સામાન્ય રીતે આપણે કોઈ સ્ત્રીને મજબૂત, ખડતલ શરીરવાળી, સ્નાયુબદ્ધ અને પુરૃષ જેવાં શરીરની જોઈએ છીએ ત્યારે, વિજેતા સ્ત્રી, આપણા દીમાગમાં પુરૃષ જેમ છવાઈ જાય છે.

રિઓડી જાનેરોમાં ઓલિમ્પિક ઉત્સવ પૂરો થયો છે. ભારતની બે વિરાંગનાઓએ હિંદુસ્તાનનું નાક બચાવી રાખ્યું છે. સાક્ષી મલીક કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતી લાવી છે. જ્યારે પી.વી. સિધ્ધુએ બેડમિન્ટનમાં રજત ચંદ્રક જીતીને ભારતની આબરૃ સાચવી છે. મેડલ ટેલીમાં ભારત ૬૭માં છે. ભારતનો કોઈપણ પુરૃષ ખેલાડી મેડલ મેળવવામાં સફળ રહ્યો નથી.  સ્મીથસોનીઅન મેગઝીને એક સ્ટોરી કરી છે. જેનું ટાઇટલ છે. ''ધ રાઇઝ ઓફ મોર્ડન સુપર વુમન.'' હાલ ઓલિમ્પિકમાં લગભગ અગીયાર હજાર ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. જેમાંથી ૪૫% સ્ત્રીઓ છે. પરંતુ....વર્ષો પહેલાં પરિસ્થિતિ કંઇક અલગ હતી. ગ્રીસનાં એથેન્સ શહેરમાં વિશ્વનો પ્રથમ આધુનિક ઓલિમ્પિક ખેલ શરૃ થયો ત્યારે ૨૧૪ ખેલાડીઓએ (૧૪ દેશનાં) ભાગ લીધો હતો. બધાં જ ખેલાડી પુરૃષો હતા. પ્રવેશ દ્વાર પર નોટીસ લાગેલી હતી કે, ''નો ગર્લ્સ એલાઉડ.'' મતલબ સ્ત્રીઓનો પ્રવેશ વર્જ્ય છે. એક સ્ત્રી તરીકે રમતગમતમાં 'ટોપ' પર પહોંચવું કેટલું અઘરૃ છે. આપણે સ્ત્રી-પુરૃષ સમાનતાની આઇડીયોલોજીકલ વાત કરીએ છીએ. પણ જ્યારે કોઈ વિજેતા સ્ત્રીને એમ કહે કે ''તું સ્ત્રી નથી ! પુરૃષ છે. અને....પુરૃષ હોવા છતાં 'સ્ત્રી' તરીકે ખેલમાં ભાગ લઇને વિજેતા બની છે. ત્યારે શું હાલત થાય ? કોને આ બાબતે જવાબદાર ગણવા ?''

રમત-જગત સ્ત્રીઓનું સ્થાન

કહેવાય છે કે ૧૯૩૬ની ઓલિમ્પિક ગેમ્સ વખતે, અધિકારીઓએ, અમેરિકન ગોલ્ડ મેડલ વિજેતા સ્ત્રી ખેલાડી હેલન સ્ટીફન્સ મહીલા છે કે પુરૃષ તેવી તપાસ કરવા ''સેક્સ ચેક'' પ્રક્રિયા કરેલી હતી. આ ઓલિમ્પિક ગેમમાં હેલન સ્ટીફન્સે, પોલેન્ડની મહીલા રનર સ્ટેલા વોલ્સને પરાજીત કરી હતી. હવે વિરોધાભાસ જુઓ....સ્ટેલા વોલ્સે ૧૯૩૨માં લોસ એન્જલસની સમર ઓલિમ્પિકમાં ૧૦૦મી દોડમાં ગોલ્ડ મેડલ જીતેલો અને ૧૯૩૬ની ઓલિમ્પિકમાં ૧૦૦ મીટર દોડમાં સિલ્વર મેડલ જીતેલો. ૧૯૮૦માં સશસ્ત્ર લૂંટની ઘટના બની હતી. જેમાં લૂંટારૃની ગોળીઓએ સ્ટેલા વોલ્સને ઘટનાસ્થળે જ મોતને ઘાટ ઉતારી નાખી હતી. જ્યારે પોસ્ટમોર્ટમ માટે શરીર વિચ્છેદન (ઓટોપ્સી) કરવામાં આવી ત્યારે ખબર પડી કે સ્ટેલા વોલ્સ પુરૃષ ગુપ્તાંગ ધરાવતી હતી.

૧૯૦૦માં પેરીસમાં રમાયેલ ઓલિમ્પિકમાં સ્ત્રીઓને માત્ર ગોલ્ફ, રેનીસ અને ક્રોકેવટ જેવી ભાગ લેવાની છૂટ આપવામાં આવી હતી. જો કે ટ્રેક એન્ડ ફિલ્ડની રમતોમાં તેમને પ્રવેશ મળતો ન'હતો. એથ્લેટીક ખેલમાં સ્ત્રીઓને ભાગ લેવા મળે તે માટે એલીસ મિલશેન નામની મહીલાએ અથાગ પ્રયત્નો કર્યા હતાં. જેમાં તેને સફળતા ન મળતાં, તેણે એક ફેડરેશનની રચના કરીને, ૧૯૨૨માં પેરીસમાં ખાસ સ્ત્રીઓ માટેની વુમનેસ ઓલિમ્પિક ગેમ્સ શરૃ કરી હતી. જેમાં ૧૦૦ મીટરની દોડ પણ સામેલ હતી. છેવટે ૧૯૨૬માં સમાધાન થયું અને આમસ્ટરડેમ ખાતે રમાયેલી ઓલિમ્પિકમાં સ્ત્રીઓ માટે પ્રથમવાર એથ્લેટીક્સ-ટ્રેક એન્ડ ફિલ્ડની રમતોમાં ભાગ લેવાનું શક્ય બન્યું હતું. જોકે ૮૦૦ મીટર દોડ જેવી રમત, સ્ત્રીઓ માટે એક દાયકા બાદ ઉમેરવામાં આવી હતી. હવે અમેરિકામાં કોલેજ અને યુનિવર્સિટીમાં સ્ત્રીઓ માટેનાં ખાસ એથ્લેટીક પ્રોગ્રામ શરૃ થવા લાગ્યા હતાં. ૧૯૧૨માં સ્ત્રીઓને પાણીની રમતમાં પણ ભાગ લેવાની છૂટ આપવામાં આવી હતી.

૧૯૪૦નાં દાયકામાં સ્ત્રી અને પુરૃષ વચ્ચેની ભેદરેખા દોરવાની અધિકારીઓને જરૃર જણાઈ હતી. ૧૯૬૬માં પ્રથમવાર પ્રયોગાત્મક ધોરણે સ્ત્રી-પુરૃષની ઓળખ કરવાની શરૃઆત થઈ. જેને 'ન્યુડ પરેડ' કહેવામાં આવી આ પરેડમાં સ્ત્રીઓને તેમનાં ગુપ્તાંગ દેખાય તે રીતે પરેડમાં નગ્ન ચાલવું પડતું હતું. જેનો વિરોધ થતાં, ૧૯૬૬માં સ્ત્રીઓ માટે રંગસૂત્ર-ગુણસૂત્ર આધારિત ક્રોમોસોમલ ટેસ્ટ શરૃ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટ પણ આધારભૂત ન ગણવામાં આવ્યો, કારણ કે જીનેટીક ખામીઓનાં કારણે, સ્ત્રી-પુરૃષ વચ્ચે દોરવામાં આવતી ભેદરેખા પાડવી મુશ્કેલ બની હતી. ૧૯૯૬માં જેન્ડર વેરીફીકેશનને તિલાંજલી આપવામાં આવી. જોકે તાજેતરમાં કાસ્ટર સિમેન્યા અને દુત્તીચંદ જેવી મહિલા ખેલાડી વિશે પ્રશ્નાર્થ ચિન્હ ઉભું થતાં ઇન્ટર સેક્સ કે ટ્રાન્સ જેન્ડર માટે ખાસ ગાઇડ લાઇન નક્કી કરવામાં આવી છે.

સ્ત્રી એટલે માત્ર 'XX’ રંગસૂત્ર ?

વિશ્વની ખેલ જગતની દુનિયામાં તેમનાં નામ જાણીતાં છે. તેઓ સ્ટેલાં વોલ્સ, ડોરા રાજેન, ફોકજે ડિલેમા, તમારા અને આઇટીના પ્રેસ બહેનોની જોડી, ઇવા કોબુકોવાસ્કા અને એરિક સ્નીગર. આ યાદીમાં નવાં નામોનો ઉમેરો થયો છે. દક્ષિણ આફ્રિકાની એથ્લીટ કાસ્ટર સિમેન્યા અને ભારતની દુતીચંદ  (કે ચાંદ ?) તેમનાં ક્ષેત્રોમાં વિજેતા રહેલી આ સ્ત્રીઓ પર સ્ત્રી ન હોવાનાં આરોપ લાગેલાં છે. આવું કેમ ?

કેટલીક વાર કુદરત ભુલ કરે છે અને ભોગ બને છે. સ્ત્રી ખેલાડી. સામાન્ય રીતે આપણે કોઈ સ્ત્રીને મજબૂત ખડતલ શરીરવાળી, સ્નાયુબદ્ધ અને પુરૃષ જેવાં શરીરની જોઈએ છીએ ત્યારે, વિજેતા સ્ત્રી, આપણા દીમાગમાં પુરૃષ જેમ છવાઈ જાય છે. આપણાં ત્યારે ઉદગાર હોય છે. 'જો ને ભાયડા જેવી લાગે છે ને !' . સ્ત્રી વિશેની આપણી કલ્પના અને હકીકત દર્શાવે છે કે 'સ્ત્રીનું શરીર નાજુક બાંધો નમણો અને નબળો, વિકસીત સ્તનપ્રદેશ, સુવાળો મખમલી અવાજ.' 'બાયોલોજીકલ ફિમેલ'ની બેઝીક જરૃરીયાત દર્શાવે છે. બેશક ! આવું જ હોય ! જો કુદરતે કોઈ 'જીનેટીક ગેમ' ખેલી ન હોય તો સ્ત્રીનું શારીરિક બંધારણ આવું જ હોય પરંતુ, કેટલીક વાર તમને વિજેતા બનતાં રોકવા માટે જીનેટીક ડિફેક્ટ બહું મોટી 'ગેમ' રમી જાય છે.

વિજ્ઞાાન અને જીનેટીક્સનાં સંદર્ભમાં વાત કરીએ તો, રમતજગતમાં સ્ત્રી અને પુરૃષ વચ્ચે 'ભેદરેખા' ખેંચવી એ લક્ષ્મણ રેખા ખેચવા બરાબર દુષ્કર કાર્ય છે. જો માત્ર બાયોલોજીને ધ્યાનમાં રાખીને સ્ત્રી-પુરૃષ વચ્ચે ભેદ રેખા દોરવામાં આવે તો, ઘણી બધી મહીલા ખેલાડીઓ સામે પ્રશ્નાર્થ ઉભા થાય !

ખેલ જગતમાં માત્ર  ગુણસૂત્રમાં "Y" હાજરીને પુરૃષની નિશાની ગણી લેવું ખોટું પગથિયું છે. ખેલ જગતમાં સ્ત્રી-પુરૃષ વચ્ચે મુખ્ય ભેદરેખા ખેંચનાર પદાર્થ છે. ''સેક્સ હોમોન્સ''. પુરૃષોમાં ટેસ્ટોસ્ટેરોન અને એન્ડ્રોજેન. પુરૃષોમાં વિજેતા પ્રદર્શનમાં મહત્તમ ભૂમિકા ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ ભજવે છે. આ કારણે તેને ડોપીંગ એજન્ટ પણ ગણવામાં આવે છે. ખેલ વખતે ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઊંચું હોય તો, ખેલાડીને જીત મેળવવી આસાન થઈ પડે છે. આવો ખેલાડી પુરૃષ હોય તો વાત બરાબર છે. કારણ કે 'ટેસ્ટોસ્ટેગેન' પુરૃષ શરીરમાં પેદા થતો ''સેક્સ હોર્મોન'' છે. માની લો કે....ટેસ્ટોસ્ટેરોનનું ઊંચું લેવલ સ્ત્રી ખેલાડીમાં જોવા મળે તો ? બે શક્યતા છે. એક અવૈધ ડ્રગ એટલે 'ડોપીંગ' વડે સ્ત્રીએ સામર્થ્ય મેળવ્યું છે. અથવા બે : તેનાં શરીરમાં પુરૃષનાં ગુણસૂત્ર છે. જેનાં કારણે ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઊંચું ગયું છે. આવાં ઊંચા ટેસ્ટોસ્ટેરોન વાળી મહિલા ખેલાડીને પુરૃષ ગણીશું ?

દુતિચંદ : ઓલિમ્પિકની નિષ્ફળતા પાછળનું કારણ ?

પશ્ચિમ ભારતનાં ગોપાલપુર ગામમાં દુતિચંદ નામની મહિલા ખેલાડીનો ઉછેર થયો હતો. ૨૦૧૨માં ૧૬ વર્ષની ઉંમરે, દુતિચંદને નેશનલ લેવલ એથ્લેટીક ટ્રેનીંગ પ્રોગ્રામમાં સામેલ કરવામાં આવી હતી. જેને તેણે સાર્થક કરી બતાવી હતી. ૧૬ વર્ષની ઉંમરે તે, અન્ડર ૧૮ કેટેગરીમાં ૧૦૦ મીટર દોડમાં વિજેતા બની હતી. તે પછીના વર્ષે તેણે ૧૦૦ અને ૨૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતી ગઈ. જૂન ૨૦૧૪માં તાઇપેઇમાં રમાયેલ એશીયન ચેમ્પિયનશીપમાં દુતિચંદ ગોલ્ડ મેડલ જીતી લાવી, ત્યાર બાદ દુતિચંદ આરામ ફરમાવી રહી હતી.

અચાનક, ડિરેક્ટર ઓફ એથ્લેટીક ફેડરેશન ઓફ ઇન્ડિયાએ, દુતિચંદને દિલ્હી બોલાવી. દુતિચંદ ગ્લાસગોમાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે તૈયારી કરી રહી હતી. દિલ્હીમાં પહોંચતા જ તેને, ફેડરેશનનાં તબીબોને મળવાનું કહેવામાં આવ્યું હતું. અહીં તેનો યુરીન, બ્લડ અને અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેણે સવાલ પૂછ્યો તો જાણવા મળ્યું કે આ રૃટીન ચેકઅપ છે. તેને અંદાજ પણ ન હતો કે તેનાં 'ગોલ્ડ-મેડલ' પ્રદર્શનને શંકાની નજરે જોવામાં આવશે . તેનાં શારીરિક બંધારણ વિશે નિષ્ણાંતો વિમાસણમાં હતાં. ટેસ્ટનાં ત્રણ દિવસ બાદ, ફેડરેશને ભારત સરકારને 'જેન્ડર વેરીફીકેશન રીપોર્ટ' સુપ્રત કર્યો. જેમાં તેની સેક્સ/જાતીભેદ બાબતે શંકા ઉભી કરવામાં આવી હતી. ત્યારબાદ, દુતિચંદને બેંગ્લોરની ખાનગી હોસ્પિટલમાં તપાસ માટે મોકલવામાં આવી હતી. જ્યાં તબીબોએ તેનાં રક્તમાં રહેલા ટેસ્ટોસ્ટેરોનનાં પ્રમાણ ચકાસવા માટે બ્લડ ટેસ્ટ કર્યા. દુતિચંદ હજી સમજી ન શકી હતી કે શું થઇ રહ્યું છે. અહીં તેનો ક્રોમોસેમ્પલ ટેસ્ટ, MRI અને ગાયનોકોલોજીકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. એસોસીએશનનાં પ્રોટોકોલ મુજબ, દુતિચંદનાં ગુપ્તાંગનાં માપ લેવામાં આવ્યા હતાં. યોની માર્ગ, મંદનાકુરની લંબાઈ (કલીટોરીસ) જેવાં ભાગોના જીણવટભર્યા માપ લેવામાં આવ્યા. ઉપરાંત ગુપ્તાંગ પર આવેલ વાળનું પણ પૃથ્થકરણ કરવામાં આવ્યું હતું. જે તબીબ ભાષામાં "ડિફરન્સ ઓફ સેક્સ ડેવલપમેન્ટ" માટેનાં પરીક્ષણો હતાં. જ્યારે સ્ત્રીનાં ગુણસૂત્ર XX હોવા છતાં ઘણીવાર તેમનાં ગુપ્તાંગને સ્ત્રી કે પુરૃષ એમ અલગ તારવી શકાય તેવું હોતું નથી. કેટલીક વાર સ્ત્રીઓનાં ક્રોમોસોમમાં વધારાનો Y  ક્રોમોસોમ હોય છે એટલે કે ૪૭માં ગુણસૂત્ર "XXY" હોય છે. જેને કલીનફેલ્ટર સિન્ડ્રોમ કહે છે. સામાન્ય સ્ત્રીમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ અંદાજે ૧.૦ થી ૩.૩૦ નેનો મોલ પ્રતિ લીટર લોહી હોય છે. એથ્લેટીક્સની રમતો માટે બોર્ડર લાઇન પર આવતાં જીનેટીક ખામીવાળા કેસોની ઊંડી તપાસ થાય છે.

ટેસ્ટોસ્ટેરોન : ગેમ પોઈન્ટ ?

૨૦૧૨થી ઓલમ્પિક રમતોમાં, સ્ત્રી-પુરૃષો વચ્ચેનો ભેદ પાડવા માટે, ટેસ્ટોસ્ટેરોનનો માપદંડ ઉભો કરવામાં આવ્યો છે. ૨૦૧૨ પહેલાંનાં દરેક ટેસ્ટમાંથી મહિલા ખેલાડીએ પસાર થવું ફરજીયાત હતું. હવે 'ટેસ્ટોસ્ટેરોન' લેવલ માટેનો ટેસ્ટ, નેશનલ ઓલમ્પિક કમિટીનાં મુખ્ય તબીબ ભલામણ કરે તો જ કરવાનો હોય છે. પુરૃષોમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ, પ્રતિ લિટરે ૭ થી ૩૦ નેનો મોલ્સ હોય છે. જો કોઈ મહિલા ખેલાડીમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ, ઉપરોક્ત રેંન્જમાં જોવા મળે તો તેને, સ્પર્ધામાં ભાગ લેવા દેવામાં આવતો નથી. સ્ત્રીઓ માટે ટેસ્ટોસ્ટેરોનની મહત્તમ મર્યાદા ૩ નેનો મોલ પ્રતિ લીટર જેટલી રાખવામાં આવી છે. ટેસ્ટોસ્ટેરોનની માત્રા રક્તમાંથી માપવામાં આવે છે.

૨૦૦૩થી ટ્રાન્સસેક્સ્યુઅલ (જેણે પુરૃષથી સ્ત્રી જાતિમાં પરીવર્તનની સર્જરી કરાવી હોય) ને ઓલિમ્પિક રમતોમાં ભાગ લેવા દેવામાં આવતો હતો. જોકે ખેલાડીએ સર્જરી બાદ, બે વર્ષ સુધી 'હોર્મોન થેરાપી' લીધી હોવી જોઇએ તેવી આકરી શરત રાખવામાં આવી હતી. આ નીતિમાં ઓલિમ્પિક કમિટીએ ૨૦૧૬માં ફેરફાર કર્યાં છે. હવે ટ્રાન્સજેન્ડર વ્યક્તિ ''સેક્સ ચેન્જ''ની સર્જરી કરાવ્યા સિવાય પણ રમતોમાં ભાગ લઈ શકે છે. શરત માત્ર એટલી કે પ્રથમ સ્પર્ધાથી એક વર્ષ પહેલાં, તેનાં રક્તમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ પ્રતિ લીટરે ૧૦ નેનો મોલ કરતાં ઓછું હોવું જોઈએ. રમતમાં ખેલાડીનાં દેખાવ સંદર્ભમાં ટેસ્ટોસ્ટેરોનનાં માપદંડ રાખવા પાછળનું લોજીક ઉચિત લાગતું હોવા છતાં ઘણીવાર તેનાં દ્વારા મળતાં જૈવિક લાભો વ્યક્તિદીઠ અલગ અલગ હોઈ શકે છે. ટેસ્ટોસ્ટેરોનની માત્રા, સ્ત્રીપુરૃષ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરી શકે છે. છતાં, હજી સંશોધનો થયા નથી કે, ટેસ્ટોસ્ટેરોનનું વધુ પ્રમાણ હોય તો મહિલાને રમતમાં વિજેતા બનવા માટે વધારાનાં જૈવિક લાભ મળતાં હોય ! સામાન્ય રીતે શરીર જો ટેસ્ટોસ્ટેરોન પ્રતિ સકારાત્મક રીતે સંવેદનશીલતાં ધરાવતું હોય તો જ વિજેતા બનવામાં ટેસ્ટોસ્ટેરોન ઉપયોગી બને. ટેસ્ટોસ્ટેરોન પુરૃષ હોર્મોન્સ તરીકે પ્રભાવક છે તેટલો સ્ત્રીઓ માટે પણ પ્રભાવક છે કે નહીં? તે બાબતે વધારે સંશોધન થવા જોઈએ.

ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ અને ક્રિયા-કાર્યદક્ષતા માપવી એ સહેલું કામ નથી. ઓલમ્પિક અને એથ્લેટીક સ્પર્ધા માટે સ્ત્રી-પુરૃષની ભેદરેખા પાડવા ટેસ્ટોસ્ટેરોનનો માર્ગ સાચો છે પરંતુ, પરફેક્ટ નથી.