Monday 4 February 2013

''ધ થિયરી ઓફ ઓરીજીન'' : ચાર્લ્સ ડાર્વિનના પડછાયામાં ઢંકાયેલ વ્યક્તિ...

ફ્યુચર સાયન્સ - કે.આર ચૌધરી

- ૨૦૧૩નું વર્ષ આલ્ફ્રેડ રસેલ વોલેસ વર્ષ તરીકે ઉજવાશે !

 કેપ્ટને આવીને એક જહાજના મુસાફરને કહ્યું કે, ''મને (બીક) લાગે છે કે જહાજમાં આગ લાગી છે ! તમે જાતે જ આવો ને જુઓ કે શું થઈ શકે તેમ છે ?'' ૬ ઓગસ્ટ ૧૮૫૨નો દિવસ હતો. ૨૩૫ ટનના બ્રિગ. મેરી હેલેન જહાજ ઉપર જયા કર્મચારીઓ, કેપ્ટન, નાવિકો અને રસોયો સિવાય એકમાત્ર પેસેન્જર હતો. આ પ્રવાસી બપોરનો નાસ્તો કરીને ઉભો થયો હતો. જહાજ આટલાન્ટિકા મહાસાગરની મધ્યમાં હતું. વિશ્વવિખ્યાત ટાઇટેનિક ટ્રેજેડી થવાને હજુ ૬૦ વર્ષ જેટલી વાર હતી પરંતુ જહાજના એકમાત્ર પેસેન્જર માટે આ સૌથી મોટી દરિયાઈ દુર્ઘટના હતી. કેપ્ટને લાઇફ બોટ તૈયાર કરવાની સૂચના આપી. પ્રવાસી હાંફળોફાંફળો થઈને બચી શકે તેટલો સામાન બચાવવા દોડી ગયો પરંતુ કમનસીબી તેના કરતા થોડા ડગલા આગળ દોડતી હતી. ધુમાડાના ગોટેગોટા અને ગરમીમાં તે માત્ર લોખંડની એક પેટી, કેટલીક નોટબુક્સ અને પોતે ચીતરેલા કેટલાક ડ્રોઇંગ માત્ર બચાવી શક્યો. લાઇફ બોટમાં પોતાનો સામાન લઇ તે ઊતર્યો ત્યારે લાઇફબોટ જીવન બચાવી શકે તેમ લાગતી ન હતી. લાઇફ બોટમાં પડેલા કાણાઓમાં, રસોઈયો, બોટના 'કોર્ક'ના બુચ છોલીને લગાવી રહ્યો હતો. જહાજથી લાઇફ બોટ દ્વારા એકમાત્ર પ્રવાસી દૂર થઈ ગયો ત્યારે...
પ્રવાસીએ છેલ્લા ત્રણ વર્ષથી લખેલાં જર્નલો, ડ્રોઇંગ અને નોંધોની વિશાળ ફાઇલ, બ્રિટિશ મ્યુઝિયમ માટે લીધેલ પામવૃક્ષનું ૧૫ મીટર લાંબુ 'પર્ણ', તેના લખાણ અને જંગલોમાંથી ભેગી કરેલ દુર્લભ સજીવોના નમૂનાઓથી ભરેલી લોખંડની અસંખ્ય પેટીઓ બળતા જહાજમાં 'સ્વાહા' થઈ ચૂક્યું હતું. ૧૮૪૮માં શરુ કરેલ પ્રવાસમાં આ પ્રવાસીએ ઘણું બધું ગુમાવ્યું હતું. આ કમનસીબ યાત્રીનું નામ હતું. આલ્ફ્રેડ રસેલ વોલેસ અને જહાજના કેપ્ટનનું નામ હતું ચાર્લ્સ મેલ્વીલે સ્કાસોન.
વિજ્ઞાાન જગતના બહારના નવા નિશાળીયા માટે 'આલ્ફ્રેડ રસેલ વોલેસ' નવું નામ જરૃર લાગે પરંતુ વિજ્ઞાાનના ઇતિહાસમાં આ પાત્રના ઉલ્લેખ વગર ઉત્ક્રાંતિના ભીષ્મપિતા ગણાતા ચાર્લ્સ ડાર્વિનનું મહાભારત અધૂરું ગણાય. કેટલાક નિષ્ણાતો એવી પણ શંકા સેવે છે કે, ચાર્લ્સ ડાર્વિને ઉત્ક્રાંતિનો આઇડિયા અને 'નેચરલ સિલેક્શન' જેવા સિદ્ધાંતો, આલ્ફ્રેસ રસેલ વોલેસના લખાણોમાંથી ચોરી લીધો હતો. જો કે, રિસર્ચરોએ આ ક્ષેત્રે પણ સંશોધનો કર્યા છે જેમાં 'આ વાતમાં વજૂદ નથી' તેવું તેમનું માનવું છે. ખેર ! એક વાત નિશ્ચિત છે કે પૃથ્વી પર સજીવોની વિવિધ પ્રજાતિઓ કઈ રીતે અસ્તિત્વમાં આવી ? તેનો ઉત્તર સમજાવતા 'ઉત્ક્રાંતિ' એટલે કે ઇવોલ્યુશનનો આઇડિયા ચાર્લ્સ ડાર્વિન અને આલ્ફ્રેડ વાલેસને એક સાથે આવ્યો હતો. ચાર્લ્સ ડાર્વિન પોતાની દરિયાઈ મુસાફરી 'વોયેજ ઓફ બીગલ'માંથી મળેલ જ્ઞાાન અને નમૂનાઓના આધાર ઉપરથી 'ઉત્ક્રાંતિ'ના તારણ પર વહેલા પહોંચી ગયા હતા. આલ્ફ્રેડ વોલેસને સજીવ પ્રજાતિઓ વચ્ચેનો ભેદ અને સર્જનના કારણો સમજાઈ ગયા હોવા છતાં, તેને એક સુરેખ રૃપરેખા હજી આપી ન હોતી.
આગ લાગ્યા પછીના દસ દિવસ સુધી જહાજના સભ્યો અને વોલેસે દસ દિવસ સુધી ખુલ્લી નૌકાઓમાં મધદરિયે પોતાને બચાવી શકે તેવા જહાજની તલાશમાં ગુજારી નાખ્યા. છેવટે બ્રિગ. જોર્ડસન જહાજમાં તેમને બચાવી લેવાયા. અહીં 'બચાવી' લેવો શબ્દ વાપરવો અયોગ્ય છે કારણ કે આલ્ફ્રેડ વોલેસ અને અન્યના માત્ર જીવ બચ્યા હતા. તેમની જિંદગીભરની મહેનત ઉપર 'આગ' ફરી વળી હતી. અપૂરતી ખોરાક સામગ્રી અને અડચણોનો સામનો કરી છેવટે જોર્ડસન જહાજ ૧ ઓક્ટોબર, ૧૮૫૨ના રોજ લંડન પહોંચી ગયું.
લંડન પહોંચી પહેલું કામ તેણે સ્વાદિષ્ટ વાનગીઓની મિજબાની માણવાનું કર્યું. અહીં તેણે બે બાબતે મન મક્કમ કરી લીધું. હવે પછી તે દરિયાઈ મુસાફરી ક્યારેય નહીં કરે. તેનો જે કિંમતી સમય અને સંગ્રહ નાશ પામ્યો છે તે બાબતે દુઃખી થયા વગર ભરપુર આનંદદાયક જીંદગી જીવશે. તેના બેમાંથી એક પણ નિર્ધાર અડગ રહેવાના ન હતા. ખૂબ જ ટૂંકા ગાળામાં તે સંશોધન અર્થે બીજી દરિયાઈ મુસાફરીનું આયોજન કરવાનો હતો. લંડન પહોંચ્યા પછી બ્રિટનના ખ્યાતનામ પ્રકૃતિવિદોમાં તેનું નામ ચર્ચાવા લાગ્યું હતું. કારણ કે...
અનુભવથી તેણે જાણ્યું હતું કે, ચોક્કસ પ્રકારના જીવો ખાસ પ્રકારના પર્યાવરણવાળા ભૌગોલિક ભાગોમાં જ સ્થિર હતા. આ ભૌગોલિક સ્થાનોને નકશા ઉપર આંકીને પૃથ્વીનું જૈવિક વૈવિધ્ય નકશા ઉપર આંકી શકાય તેમ હતું અને અગત્યની બાબત એ હતી કે... સજીવોની વિવિધ જાતિઓ, જૈવિક અને શારીરિક રીતે એકબીજાને મળતી આવતી હતી. આમ છતાં તેમનામાં ક્યાંક ક્યાંક અલગ લક્ષણો પણ દ્રષ્ટિગોચર થતા હતા. આમ બધા જ સજીવોના સમુદાયમાં વૈવિધ્યની સાથે સાથે ભૌગોલિક સીમાઓમાં એકતા દેખાતી હતી. હવે પ્રકૃતિએ સજીવ સૃષ્ટિની વિવિધ જાતિઓનું અસ્તિત્વ કઈ રીતે ઘડવું હતું તેનો જવાબ મેળવી શકાય તેમ હતો. જો કે પૃથ્વી પરની સજીવ સૃષ્ટિનું વૈવિધ્ય નિહાળીને તેમની વચ્ચેના સંબંધો સમજવાની કોશિષ આલ્ફ્રેડ રસેલ વોલેસ પહેલા એક અન્ય બ્રિટિશ યુવાન વ્યક્તિએ કરી હતી. તેનું નામ હતું ચાર્લ્સ ડાર્વિન તેણે પોતાની થિયરીના મૂળિયામાં જઈને ઓરીજીન શોધવાની કોશિષ કરી હતી. જે પ્રમાણે....
ચાર્લ્સ ડાર્વિન જાણી ચૂક્યા હતા કે પૃથ્વી પરના બધા જ સજીવોના પર્વજો કોઈ એક આદિ પ્રજાતિના પૂર્વજમાંથી ઉતરી આવ્યા હતા. જેમ એક વૃક્ષના થડને મુખ્ય પૂર્વજ ગણીએ તો, વિવિધ શાખાઓમાંથી નાની નાની ડાળીઓ ફૂટે તેમ અલગ અલગ પ્રજાતિઓ પેદા થઈ હતી. આ જૈવિક શાખાઓની પેટર્નને હાલમાં આપણે 'ઉત્ક્રાંતિ' તરીકે ઓળખીએ છીએ. આમ થવા પાછળનું મુખ્યકારણ ચાર્લ્સ ડાર્વિન કુદરતના નિયમ એટલે કે કુદરના પ્રાકૃતિક પસંદગીના સિદ્ધાંત એટલે કે નેચરલ સિલેક્શનને માનતા હતા. બસ આવા જ તારણ ઉપર ચાર્લ્સ ડાર્વિન બાદ આલ્ફ્રેડ રસેલ વોલેસ પહોંચ્યા હતા. અહીં નોંધવા જેવી બાબત એ છે કે સજીવ સૃષ્ટિનું બધું જ વૈવિધ્ય કુદરતના નેચરલ સિલેક્શન માનનાર ચાર્લ્સ ડાર્વિન પોતાના મંતવ્ય ઉપર અડગ હતા જ્યારે આલ્ફ્રેડ વોલેસ પોતાની પાછલી જિંદગીમાં વિજ્ઞાાન કરતા અધ્યાત્મવાદ તરફ વધારે ઝૂકી ગયા હતા અને કુદરતના જૈવિક વૈવિધ્ય પાછળના કુદરતી કારણો જાણવા છતાં આ બધું કોઈ અલૌકિક શક્તિ દ્વારા નિર્માણ પામ્યું છે એવું માનવા લાગ્યા હતા. એની વે, આમ છતાં આલ્ફ્રેડ રસેલ વોલેસના વૈજ્ઞાાનિક સંશોધનને તેમના પાછલી જિંદગીના 'સ્પીરીચ્યુઆલીસ્ટ'ના વિચારોના કારણે કોરાણે મૂકી શકાય નહીં. દીવા જેવું વૈજ્ઞાાનિક સત્ય તે સમયના બધા જ પ્રકૃતિવિદ સ્વીકારી ચૂક્યા હતા. છતાં 'ઉત્ક્રાંતિ'ની ઘટના વિશે વાદવિવાદ અને ઉહાપોહ ચાલુ જ હતો અને હજી પણ ચાલુ જ છે. અમેરિકા જેવા શિક્ષિત દેશના નાગરિક મનુષ્યના પૂર્વજો કોઈ મહાકાયી ગ્રેટ એપ્સ હોય તેમ માનવા તૈયાર નથી અને છાશવારે ચાર્લ્સ ડાર્વિનની થિયરી ઓફ ઇવેલ્યુશન સંબંધે બળાપો કાઢે રાખે છે.
આલ્ફ્રેડ રસેલની કમાણીનું મુખ્ય સાધન તેણે વિશ્વના અલગ અલગ ટાપુઓ ફરીને મેળવેલ સજીવોના વિવિધ નમૂનાઓ હતા જે તે વિવિધ નેચરલ સોસાયટી અને રોયલ જ્યોગ્રાફિ સોસાયટી જેવી સંસ્થાઓને અભ્યાસ કર્યા બાદ વેચી નાખતા હતા. એમેઝોનના જંગલોમાં ફરતા ફરતા તેમને હમીંગબર્ડ, વાંદરાઓ અને અન્ય પ્રજાતિઓનું ભૌગોલિક વિતરણ અચંબામાં નાખતું હતું. તેમણે એક આર્ટિકલ પ્રસિદ્ધ કર્યો હતો અને સાદો નિયમ આપ્યો કે, 'દરેક સજીવ સમય અને અવકાશના ચોક્કસ અંતરાલમાં અન્ય પહેલેથી અસ્તિત્વ ધરાવતી જાતિઓ (જેને આપણે કોમન એન્સેન્ટ કહીશું) તેમાંથી વિકસી છે.' આ આર્ટિકલ ચાર્લ્સ ડાર્વિનની પૂર્વ ધારણાને સાચી સાબિત કરતો હતો. પરંતુ હકીકત પણ એ જ છે કે આ તારણ ઉપર આલ્ફ્રેડ વોલેસ સ્વતંત્ર રીતે પહોંચ્યા હતા. ૧૮૫૫માં તેમણે પોતાનો આર્ટિકલ પ્રકાશિત કર્યો હતો.
આર્ટિકલમાં આલ્ફ્રેડ વોલેસે 'ઉત્ક્રાંતિ'ની ભાષા વાપરી ન હતી. નવી જાતિનું સર્જન એટલે 'ઉત્ક્રાંતિ' (ઇવોલ્સ)ના સ્થાને તેમણે ક્રિએટેડ શબ્દ વાપર્યો હતો. યોગાનુયોગે ચાર્લ્સ ડાર્વિન અને આલ્ફ્રેડ રસેલ વોલેસ બંનેએ 'ઉત્ક્રાંતિ'ને લગતા અલગ અલગ પેપર લીનન સોસાયટી ઓફ લંડનની સભામાં રજૂ કર્યા હતા. ૧૮૫૯ના અંત ભાગમાં ચાર્લ્સ ડાર્વિનનું જગવિખ્યાત પુસ્તક 'ઓલ ધ ઓરીજીન ઓફ સ્પીસીસ' પ્રકાશિત થયું અને ચાર્લ્સ ડાર્વિન લાઇમ લાઇટમાં આવી ગયા. અંતે વૈજ્ઞાાનિકોના વૈજ્ઞાાનિક થિયરીના માનસ સર્જનમાં ચાર્લ્સ લ્પેલનો મોટો પ્રભાવ હતો. જેણે 'પ્રિન્સીપલ ઓફ જીઓલોજી' પુસ્તક લખ્યું હતું અને... તેનું બીજું વોલ્યુમ ઉત્ક્રાંતિવાદ ક્ષેત્રે અનોખું પ્રદાન કરનાર એટલે કે તણખો પાડનાર જીન-બાપ્ટીસ્ટ લેમાર્કને અર્પણ કર્યું હતું.
ઉત્ક્રાંતિની દોડમાં ચાર્લ્સ ડાર્વિન શરુઆતથી આગળ હતાં. પોતાના મંતવ્ય અને ઉત્ક્રાંતિની થિયરીને લગતો પત્ર, આલ્ફ્રેડ રસેલ વોલેસ, ચાર્લ્સ ડાર્વિનને લખે તેના છ મહિના પહેલા એટલે કે ૫ સપ્ટેમ્બર ૧૮૫૭ના રોજ પોતાની થિયરીની આઉટલાઇન ચાર્લ્સ ડાર્વિન અમેરિકન વનસ્પતિશાસ્ત્રી આસા ગ્રેને લખી ચૂક્યા હતા. આમે થિયરી ઓફ ઇવોલ્યુશનની ક્રેડિટ છેવટે ચાર્લ્સ ડાર્વિનના ખાતે જમા થાય છે. ૧૮૮૫માં બંને વૈજ્ઞાાનિકના પેપર 'લીનેન સોસાયટી' સામે રજૂ કરવામાં આવે છે. ૧ જુલાઈ ૧૮૫૮ના રોજ પોતાનો પુત્ર સ્કારલેટ ફીવરથી મૃત્યુ પામ્યો હોય છે તેને દફન કરીને ચાર્લ્સ ડાર્વિન સોસાયટીની મીટીંગમાં હાજર રહે છે. આખરે.. આ લેખમાં આલ્ફ્રેડ રસેલ વોલેસને... યાદ કરવાનું કારણ ખરું ?
૨૦૧૩ એ 'વોલેસ યર' છે, ૭ નવેમ્બર ૧૯૧૩ના રોજ વોલેસનું અવસાન થયું હતું એ વાતને આ વર્ષે ૧૦૦ વર્ષ પૂરા થશે. સત્ય એ છે કે વિજ્ઞાાન જગત જાણે છે તે કરતાં વોલેસનું યોગદાન ખૂબ જ વધારે અને મહત્ત્વપૂર્ણ છે. પ્રાકૃતિક પસંદગીના સિદ્ધાંત, કોન્ટીનેન્ટલ ડ્રીફર્ટ અને બાયો-જ્યોગ્રાફીને આકાર આપનાર આલ્ફ્રેડ વોલેસનું સાહિત્ય વાંચવા જેવું છે. એક સર્વેયર તરીકે કારકિર્દી શરુ કરનાર વોલેસ, નિઆથની કાઉન્સિલ બિલ્ડીંગની ડિઝાઇન તૈયાર કરે છે. દક્ષિણ અમેરિકાનો પ્રવાસ કરે છે જ્યાં જંગલોમાં તેના ભાઈ હરબર્ટ વોલેસનું યલો ફીવરથી મૃત્યુ થાય છે. ૧૨ જુલાઈ ૧૮૫૨ના રોજ બિગ હેલેનમાં તે લંડન પાછા ફરવા સમુદ્રી મુસાફરી શરુ કરે છે. મુસાફરીના ૨૬મા દિવસે જહાજમાં આગ લાગે છે અને જહાજ ડૂબી જાય છે. આ બધા દિવસોની વચ્ચે વોલેસ બાયોજ્યોગ્રાફીનું વિજ્ઞાાન વિકસાવે છે. ચાર્લ્સ ડાર્વિન, મિત્રો અને બીજા નિષ્ણાતોની સલાહ માનીને ૧૮૭૬માં વોલેસ નકશો તૈયાર કરે છે, જેમાં વિશ્વના વિવિધ પ્રાણીઓ અને વનસ્પતિની વિવિધ પ્રજાતિઓનું ભૌગોલિક વિસ્તરણ આંકી બતાવે છે. આ વિસ્તરણમાં ક્યાંક અનિયમિતતા પણ દેખાય છે જેને વોલેસ લાઇન કહે છે અને છેવટે 'ધ જીઓગ્રાફિકલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ એનિમલ' પ્રકાશિત થાય છે તેની સિક્વલ જેવી બીજી કિતાબ 'ધ આઇલેન્ડ લાઇફ' ૧૮૮૦માં પ્રકાશિત થાય છે. ૧૮૭૬ના આ નકશામાં સજીવ સૃષ્ટિને છ અલગ અલગ ભૌગોલિક વિસ્તારમાં આવરી લેવામાં આવી હતી.
વોલેસના આ નકશાને ૧૩૭ વર્ષ બાદ ડેન્માર્કના સેન્ટર ફોર મેક્રો-ઇકોલોજીના વરિષ્ઠ વૈજ્ઞાાનિક ડો. બેન હોલ્ટની આગેવાની હેઠળ આધુનિક વૈજ્ઞાાનિકોએ અપડેટ કર્યો છે. આજની તારીખે તેમાં પૃથ્વીને ૧૧ જેટલા ભૌગોલિક વિસ્તારોમાં વહેંચીને, વનસ્પતિ અને પ્રાણીઓનું જૈવિક વિવિધ્ય બતાવવામાં આવ્યું છે. ૧૫ જેટલા વૈજ્ઞાાનિકોની ટીમને વૈજ્ઞાાનિક ડેટા કોમ્પાઇલ કરવામાં ૨૦ વર્ષ લાગ્યા છે. નવા અપડેટેડ નકશામાં ઉત્ક્રાંતિ અને ભૌગોલિક સ્થાનોને લગતી વિગતો છે. ૨૦ હજાર કરતાં વધારે સજીવની પ્રજાતિઓ તેમાં આવરી લેવામાં આવી છે. જેમાં જાણીતા બધા જ સ્તન્યવંશી પ્રાણીઓ, પક્ષીઓ અને ઉભયજીવી સજીવોનો સમાવેશ થાય છે. ડૉ. કાર્સ્ટેન રેહબેક કહ છે કે, આ ફંડામેન્ટલ બાયોલોજી સમજાવતો શીલાલેખ છે.
લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં આ વર્ષે આલ્ફ્રેડ રસેલ વોલેસનું કાંસાનું શિલ્પ મૂકવામાં આવશે. વોલેસ માટે ૫૦,૦૦૦ પાઉન્ડનું મેમોરિયલ ફંડ ઉભું કરવામાં આવનાર છે. આ મ્યુઝિયમમાં ચાર્લ્સ ડાર્વિનનું પૂતળું તો છે જ. ડાર્વિનને લાંબા સમય પછી તેનો મિત્ર સ્ટેચ્યુ તરીકે મળશે. વેલ્સમાં આવેલ વોલેસના જન્મ સ્થળને 'મેમોરિયલ પ્લેસ' બનાવી જાળવી રાખવામાં આવશે. ભૂતકાળમાં બ્રિટિશ સમ્રાટ દ્વારા એક વ્યક્તિને આપવામાં આવતો 'હાઇએસ્ટ ઓનર' જેવો ઓર્ડર ઓફ મેરિટ વોલેસને આપવામાં આવ્યો હતો. આલ્ફ્રેડ વોલેસના રહેઠાણની કિંમત સાડા ત્રણ લાખ પાઉન્ડ કરતાં વધારે છે.
૨૦૦૯ને 'બીગ ડાર્વિન યર' તરીકે ઉજવવામાં આવ્યું હતું. કેમ્બ્રિજ યુનિવર્સિટીએ ડો. વાન વીહેની રાહબરીમાં પ્રોજેક્ટ શરુ કરી ડાર્વિનનું સમગ્ર સર્જન ડાર્વિન ઓનલાઇન સ્વરૃપે ઇન્ટરનેટ ઉપર મૂક્યું હતું. ૨૦૧૩ બિગ વોલેસ યર છે. હવે નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોર, વોલેસ ઓનલાઇન પ્રોજેક્ટ અમલમાં મૂકી રહી છે. ઓનલાઇન ડેટાબેઝમાં ૨૮,૦૦૦ ડોક્યુમેન્ટ હશે. ૨૨,૦૦૦ જેટલા ફોટોગ્રાફ, સ્કેચ વગેરે હશે. ચાર્લ્સ ડાર્વીન માફક વોલેસ પણ એક મહાન સંશોધક- મુસાફર હતા. તેમણે પહેલા બ્રાઝિલમાં (૧૮૪૮- ૧૮૫૩) અને ત્યારબાદ દક્ષિણ- પૂર્વ એશિયામાં (૧૮૫૪- ૧૮૬૨) ૧૮થી ૨૦ વર્ષ ગાળ્યા હતા.
આલ્ફ્રેડ વોલેસે તે સમયના સમકાલીન મહામાનવો જેવા કે, ડેવિડ લોઇડ જ્યોર્જ, વિલિયમ ગ્લેડ સ્ટોન, રડયાર્ડ કિપ્લિંગ, જ્યોર્જ બર્નાર્ડ શૉ, આર્થર કોનન ડાયલ અને ચાર્લ્સ ડાર્વિન સાથે પત્ર વ્યવહાર કર્યો હતો. લંડન નેચરલ હિસ્ટ્રી દ્વારા વોલેસે લખેલા ૪થી ૫ હજાર પત્રો અત્યારે અકબંધ હાલતમાં હોવાની આશા સેવાઈ રહી છે. વોલેસ કોરસપોન્ડન્સ પ્રોજેક્ટ હેઠળ આ બધા પત્રો એકઠા કરવાની કામગીરી પણ લંડનનું નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ કરી રહ્યું છે. ૧૨૦૦ પત્ર વોલેસના કુટુંબીજનો પાસે, બ્રિટીશ લાયબ્રેરીના ૧૭૦૦ પત્રો અને અન્ય પુસ્તકાલયો અને ઇન્સ્ટીટયૂટ પાસે ૨૦૦૦ જેટલા પત્રો એકઠા થવાની સંભાવના છે. આફ્ટર ઓલ લાંબા અંતરાલ બાદ ચાર્લ્સ ડાર્વિનના પડછાયામાંથી વૈજ્ઞાાનિકો આલ્ફ્રેડ રસેલ વોલેસને અલગ તારવી રહ્યા છે.

No comments: