Sunday 9 December 2012

ઇન્ડિયન મિસાઈલ પ્રોગ્રામ એટલે... ભારતીય વૈજ્ઞાનિકોની 'અગ્નિ-પરીક્ષા'

પ્રોજેક્ટ ડેવિલ અને કોડનેમ 'અગ્નિ' વચ્ચેનું રેખાંકન

ફ્‌યુચર સાયન્સ - કે.આર ચૌધરી


- અગ્નિ-૫ની રેન્જમાં પાકિસ્તાન, ચીન, એશિયા ખંડનાં અને આફ્રિકાનાં કેટલાંક દેશો આવી જાય છે. ભારતનો મિસાઇલ કાર્યક્રમ ફક્ત આત્મનિભર્ર થવા માટેનો નથી. ભારતીય મિસાઈલને આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસ કરવાની પણ ઇચ્છા છે.

 

તાજેતરમાં ભારતે અગ્નિ-૫ નામનાં ઇન્ટર કોન્ટીનેનટલ બેલાસ્ટીક મિસાઈલનું સફળ પરિક્ષણ કરી બતાવ્યું છે. આ મિસાઈલ પરમાણુ શસ્ત્ર સાથે હુમલો કરવા માટે સક્ષમ છે. પરીક્ષણમાં પગલે પગલે ચિન અને પાકિસ્તાને અલગ અલગ રીતે પોતાનાં પ્રત્યાઘાત આપ્યા છે. ચીને પૃથ્વી મિસાઈલની પ્રહાર મર્યાદાની રેન્જ ભારતે છુપાવી હોવાનો દાવો રજુ કર્યો છે. જ્યારે પાકિસ્તાને 'જેવા સાથે તેવા' સૂત્રને અમલમાં મુકી શક્તિ-૧A નું પરિક્ષણ કરી બતાવ્યું છે. પાકિસ્તાનનું શાહીન મિસાઈલ મધ્યમ પ્રહાર મર્યાદા ધરાવતું બેલાસ્ટીક મિસાઈલ છે. લશ્કરી નિષ્ણાતોનાં અભિપ્રાય પ્રમાણે શાહિનની રેન્જમાં સંપૂર્ણ ભારત આવી જાય છે. સામા છેડે અગ્નિ-૫ની રેન્જમાં સંપૂર્ણ પાકિસ્તાન, ચીન, એશિયા ખંડનાં દેશ ઉપરાંત આફ્રિકાનાં કેટલાંક દેશો આવી જાય છે. ભારતનો મિસાઇલ કાર્યક્રમ ફક્ત આત્મનિભર્ર થવા માટેનો નથી. ભારતીય મિસાઈલને આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસ કરવાની પણ ઇચ્છા છે.
આખરે ભુતકાળમાં કોલ્ડ વોરનાં ગાળામાં અમેરિકા-રશિયા વચ્ચે આધુનિક શસ્ત્રો અને મિસાઈલ વિકસાવવાની જે 'રેસ' શરૃ થઈ હતી. બસ ! કંઈક એવી જ પરિસ્થિતિનું નિર્માણ ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ રહ્યું છે. ચીન મિસાઈલ ટેકનોલોજી વિકસાવવામાં ભારત-પાકિસ્તાન કરતાં આગળ છે. અને એશિયા ખંડની શસ્ત્રોની દોટમાં જ્યાં 'મલાઈ' મળે ત્યાં, હાથ અજમાવી જુએ છે. ઓશો રજનીશે કહ્યું હતું કે બે યુદ્ધ વચ્ચેનાં સમય ગાળાને લોકો 'શાન્તિ'નો સમય કહે છે. જે ખરેખર નવાં શસ્ત્રો વિકસાવી એક નવા યુદ્ધની તૈયારીનો સમય હોય છે.
અત્યાર સુધી ભારત પાકિસ્તાન સાથે બે વાર, અને ચીન સાથે એક વાર યુદ્ધમાં ઉતરી ચુક્યું છે. કદાચ હવે જો યુદ્ધ થાય તો તેની સરખામણી ભુતકાળનાં વોર કે લશ્કરી તાકાત સાથે કરી શકાય તેમ નથી. ભુતકાળનાં યુદ્ધ બાદ હવે, પરિસ્થિતિ સંપૂર્ણ બદલાઈ ચુકી છે. યુદ્ધનાં હાલનાં રાજકિય અને પરમાણુ શસ્ત્રોને લગતાં સમીકરરણો બદલાઈ ચુક્યા છે. ભારત પાકિસ્તાન અને ચીન એ ત્રણેય હવે પરમાણુ શસ્ત્રો ધરાવતા થઈ ગયાં છે. ૧૯૯૫માં પાકિસ્તાને ચીન પાસેથી મેળવેલા M-૧૧ મિસાઈલ ભારતની સીમારેખા નજીક ગોઠવવા માંડયા ત્યારે ભારતને રશિયા પાસેથી જી-૩૦૦ સરફેસ ટુ એર મિસાઈલ ખરીદીને પાટનગર દિલ્હી અને અન્ય શહેરોનું રક્ષણ કરવું પડયું હતું. એ વાત નિર્વિવાદ છે કે જો પાકિસ્તાન અથવા ચીન ગમે તે દેશ સાથે યુદ્ધ થાય તો લશ્કરી મથકો ઉપરાંત ભારતનાં પરમાણુ રિએક્ટર ધરાવતાં કેન્દ્રો યુદ્ધનું પહેલું નિશાન બનશે. જેથી સામેનાં દેશની પરમાણુ તાકાતને ઝટકો આપી શકાય.
નવેમ્બરે ૨૦૦૮માં 'બુલેટીન ઓફ એટમીક સાયન્ટીસ્ટ' દ્વારા મુકવામાં આવેલ અંદાજ પ્રમાણે ભારત પાસે ૭૦ જેટલાં પરમાણુ શસ્ત્રો એટલે કે એટમીક બોમ્બ છે. જેમાંના ૬૦ જેટલાં 'રેડી ટુ યુઝ' અવસ્થામાં છે. પરમાણુ શસ્ત્રોની વોર ડીલીવરી માટે 'મિસાઈલ' એક અનિવાર્ય આવશ્યકતા બની જાય છે. ભારત પાસે મિસાઈલ ઉપરાંત પરમાણુ શસ્ત્રોથી હુમલો કરવા માટે અરીહંત ક્લાસની ન્યુક્લીયર સબમરીન, જેવી ૨૫ સબમરીન છે. સિંધુઘોષ ક્લાસની છ સબમરીન 3M-૫૪ કલબ ક્રુઝ મિસાઈલ વડે પરમાણુ શસ્ત્રોથી હુમલો કરવા સજ્જ છે. ભારતીય હવાઈ દળનાં સુખોઈ SU-૩૦ , દાસોલ્ટ મિરાજ-૨૦૦૦ અને મિગ-૨૯ વડે પણ પરમાણુ શસ્ત્રોનો પ્રયોગ કરી શકાય તેમ છે. છતાં ઓછા સમયમાં ઓછું નુકસાન વેઠીને ઝડપથી હુમલો કરવા માટે 'મિસાઈલ'થી બે મિસાલ શસ્ત્ર બીજું કોઈ નથી. યુદ્ધમાં માત્ર પરમાણુ શસ્ત્રો જ નહીં, પારંપરીક બોમ્બ ડિલીવરી માટે પણ મિસાઈલ બેજોડ ગણાય છે. આ કારણોસર ભારતે પોતાનો મિસાઈલ બનાવવાનો સ્વતંત્ર કાર્યક્રમ 'ઇન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ'ની શરૃઆત ૧૯૮૦નાં દાયકાથી કરી હતી.
ભારતનાં બે સફળ પરમાણુ પરીક્ષણ બાદ, ૧૯૯૯માં 'કારગીલ વોર' વખતે બંને દેશો સીધી ટકરામણમાં આવી ગયાં હતાં. ૩૧ મે ના રોજ પાકિસ્તાની ફોરેન સેક્રેટરી શમશાદ અહેમદે ભારતને ચેતવણી આપતું નિવેદન કર્યું હતું કે 'પાકિસ્તાન તેનાં શસ્ત્રાગાર'માંથી ગમે તે પ્રકારનાં શસ્ત્ર વાપરી શકે છે.' જેમાં પાકિસ્તાન દ્વારા પરમાણુ શસ્ત્ર વાપરવાની ગર્ભીત ચેતવણી હતી. સિમારેખા પારનાં ત્રાસવાદ, સીમારેખાનાં વિવાદ કે અન્ય કોઈપણ કારણોસર પાકિસ્તાન ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ હુમલો કરતાં પહેલાં વિચાર કરે તેમ નથી. આવાં શાન્તિનાં સમયમાં ભારત પોતાનાં શસ્ત્રાગારમાં 'મિસાઈલ' જેવાં બ્રહ્માસ્ત્ર વસાવવાનું ચાલુ રાખે તેમાં કોઈ જોખમ નથી. જે માટે મિસાઈલ સંશોધન અને વિકાસ કાર્યક્રમ ચાલુ છે.
ભારતીય મિસાઈલ કાર્યક્રમનાં મુખ્ય પાંચ ધ્યેય છે. જે મુજબ પાંચ અલગ અલગ કેટેગરીમાં આવતાં મિસાઈલનો વિકાસ કરવાનો છે. ટુંકા ગાળાનાં સરફેસ ટુ એર મિસાઈલ (SAM) પ્રોજેક્ટનું કોડનેમ ત્રિશુળ છે. જેની રેન્જ ૯ થી ૧૨ કિ.મી. ત્રિજ્યા જેટલી છે. ત્યાર પછી મધ્યમ અંતરનાં સરફેસ ટુ એર મિસાઈલ વિકસાવવાનો પ્રોજેક્ટ જેનું કોડનેમ આકાશ રાખવામાં આવ્યું છે. જેની પ્રહાર મર્યાદા ૩૦ કી.મી. જેટલી છે. કોડનેમ 'નાગ' હેઠળ થર્ડ જનરેશનનાં એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ ભારતની ત્રીજી જરૃરિયાત પુરી કરે છે. જેની પ્રહાર મર્યાદા અત્યંત ટુંકી એટલે કે ૩ થી ૭ કી.મી. જેટલી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય હેલિકોપ્ટર અથવા રણગાડીઓ સાથે 'નાગ' મિસાઈલ સીસ્ટમ ગોઠવીને ભુમિક્ષેત્રનાં યુદ્ધ ક્ષેત્રમાં પ્રહાર કરવાનો છે. ટુંકા ગાળાનાં સરફેસ ટુ સરફેસ મિસાઈલ વિકસાવવાનો પ્રયોગ એટલે કોડનેમ 'પૃથ્વી'. પૃથ્વીની પ્રહાર ક્ષમતા ૩૫૦ થી ૬૦૦ કી.મી. વચ્ચેની છે. તે ૩૫૦ કી.ગ્રાથી ૧ ટન જેટલાં શસ્ત્રોનો બોજ ઉઠાવી શકે છે. અને છેલ્લે લાંબા ગાળાનાં મદ્ય અંતરથી એક ખંડ ઉપરથી બીજા ખંડ ઉપર પ્રહાર કરી શકાય તેવાં ઇન્ટરકોન્ટીનેટલ બેલાસ્ટીક મિસાઈલ કાર્યક્રમ એટલે કોડનેમ 'અગ્નિ.' છેલ્લે ભારતે અગ્નિ-૫નું સફળ પરિક્ષણ કરી પાકિસ્તાન અને ચીન બંનેની ઉંઘ હરામ કરી છે. પૃથ્વી અને અગ્નિ મિસાઈલ યુદ્ધનાં પરિણામ બદલી નાખવાની તાકાત ધરાવે છે. પરદેશથી આયાત કરવામાં આવતાં 'સામ' (SAM) મિસાઈલથી ભારતીય બનાવટનાં ઇન્ટરટોન્ટીનેટલ બેલાસ્ટીક મિસાઈલ જેવાં કે અગ્નિ-૫ સુધી, ભારત કંઈ રીતે પહોંચ્યું છે. ભારતીય વૈજ્ઞાાનિકોની 'અગ્નિપરીક્ષા'નાં દિવસોની ચિત્રાંકન કરેલ એક ઝલક પ્રસ્તુત છે.
ભારતીય મિસાઈલ કાર્યક્રમને રફલી પાંચ તબક્કામાં વહેંચી શકાય. મિસાઈલ વિકાસનો આ તબક્કો ૧૯૫૮-૧૯૭૦ વચ્ચેનો ગણાય છે. જેમાં ભારતની પ્રથમ મહત્વાકાંક્ષા ફર્સ્ટ જનરેશન એન્ટી ટેંક ગાઈડેડ મિસાઈલ (ATGM) વિકસાવવાની હતી. આ સમયે સંશોધનનું કામ ટેકનિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લીશમેન્ટ અને ડિફેન્સ સાયન્સ ઓર્ગેનાઈઝેશન કરતું હતું. ડિફેન્સ ટેકનોલોજી ક્ષેત્રે કામ કરનાર ઉપરનાં બે સંગઠનોને એકત્રીત કરીને ૧૯૫૮માં એક નવું સંગઠન તૈયાર કરવામાં આવ્યું. જેનું નામ રાખવામાં આવ્યું 'ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન' (DRDO) જેમાં હાલમાં ૫૨ જેટલી વિવિધ પ્રયોગશાળાઓ અને ૭,૦૦૦ જેટલાં વૈજ્ઞાાનિકો કામ કરે છે.
ભારત નિઅર અર્થ ઓરબીટમાં (NEO) સેટેલાઈટ ગોઠવવા માટે SLV-૩ રોકેટ પર પ્રયોગો અજમાવી રહ્યું હતું. આ સમયગાળામાં ડૉ. અબ્દુલ કલામનાં નેતૃત્વ હેઠળ ISRO માં SLV-૩ નો પ્રોજેક્ટ ચાલતો હતો. તેમને રાતોરાત મિસાઈલ પ્રોગ્રામમાં ગોઠવી દેવામાં આવ્યા અને ૧૯૮૩માં ખરા અર્થમાં મિસાઈલ કાર્યક્રમ શરૃ થયો. જે ભારતિય મિસાઈલ ટેકનોલોજીનો ત્રીજો તબક્કો હતો. સરકારે ઇન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ શરૃ કર્યો અને ડૉ. અબ્દુલ કલામની સફળતાએ તેમને ભારતનાં 'મિસાઈલ મેન'નું બિરૃદ અપાવ્યું. ૧૯૮૦-૧૯૯૪ નો ત્રીજો તબક્કો ભારતીય મિસાઈલ કાર્યક્રમ માટે ટર્નિંગ પોઈન્ટ સાબીત થયો છે. જેનાં કારણે ૧૯૯૬-૯૭માં ભારત પૃથ્વી મિસાઈલનાં પરિક્ષણ કરવા માટે સક્ષમ બની ગયું અને પરીણામે ભારતીય લશ્કર અને વાયુદળને નવાં મિસાઈલ મળ્યા. ૨૦૦૯માં ભારતીય લશ્કરમાં ૫૦ જેટલાં પૃથ્વી-૧ મિસાઈલ સામેલ કરવામાં આવ્યાં ત્યારે તેમની જરૃરિયાત ૭૫ મિસાઈલની હતી. ભારતીય હવાઈ દળને પૃથ્વી-૨ મિસાઈલ મળ્યાં જેના કારણે બે મિસાઈલ સ્ક્રોડ્રન ઉભી કરવામાં આવી હતી. જેનું નામ રાખવામાં આવ્યું '૨૨૦૩ સ્કોડ્રન'. જેનો બેઝ આંધ્રપ્રદેશનાં હૈદરાબાદમાં છે. ભારતીય વાયુદળની ૬૩ મિસાઈલની જરૃરિયાત સામે પૃથ્વી-૨ મિસાઈલની સંખ્યા ઓછી છે.
પૃથ્વી-૩ મિસાઈલને ભારતીય લશ્કરી દળો માટે જરૃરિયાત પ્રમાણે આકાર આપવામાં આવ્યો છે. જેના ત્રણ અલગ અલગ ડિઝાઈન વર્ઝન ધનુષ, સાગરીકા અને K-૧૫ તરીકે ઓળખાય છે. ભારતીય મિસાઈલનાં પાંચમા તબક્કામાં ભારતે, સુપરસોનિક મિસાઈલ 'બ્રહ્મોસ' માટે રશિયા સાથે કરાર કર્યા હતા. એન્ટી-ટેકટીકલ બેલાસ્ટીક મિસાઈલ (ATBM) માટે અમેરિકા, રશિયા અને ઇઝરાયેલનો ટેકનોલોજીકલ લાભ પણ લીધો છે. પાંચમા તબક્કામાં મિસાઈલોને ટેકનીકલી એટલાં સુપર્બ બનાવવામાં આવ્યા છે કે તેને 'હિટ ટુ કિલ'નું બિરૃદ આપવામાં આવ્યું છે. અગ્નિ-શ્રેણીનાં પાંચ મિસાઈલોનું અત્યાર સુધી સફળ પરીક્ષણ થઈ ચુક્યું છે. ભારતીય મિસાઈલનું ચાવીરૃપ મિસાઈલ 'બ્રહ્મોસ' પણ છે. ભારતે રશિયાની કંપની NPO મોસીનોસ્ત્રોનીયે સાથે કરાર કરીને ૧૯૯૫માં બ્રહ્મોસ એરોસ્પેસની સ્થાપના કરી હતી. બ્રહ્મોસ અવાજ કરતાં પણ ખુબ જ વધારે ઝડપથી ૨૬૦ થી ૩૦૦ કી.મી.ની રેન્જમાં ત્રાટકી શકે તેવું ક્રુઝ મિસાઈલ છે એટલે કે ઘડીનાં છઠ્ઠા ભાગમાં તે દુશ્મન લક્ષ્યને તહસ નહસ કરી નાખે તેમ છે. બ્રહ્મોસની ડિઝાઈન રશિયન એન્ટીશીપ મિસાઈલ 'યાખોન્ત' ઉપરથી કરવામાં આવી છે. બ્રહ્મોસને શરૃઆતમાં વસાવવાનું કારણ ભારતીય જળ સીમારેખાને સુરક્ષિત રાખવા માટેનું હતું. તેનો વિકાસ 'લેન્ડ ટુ શિપ' મિસાઈલ તરીકે કરાવાનો હતો. હાલનાં તબક્કે તેને એક કરતાં વધારે ઉદ્દેશ્ય માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેનાં કારણે ભુમી દળ, નૌકાદળ અને વાયુદળ ત્રણેયની જરૃરિયાત પ્રમાણેનાં મિસાઈલ પુરા પાડી શકાય. ૨૦૦૭માં ભારતીય ભુમીદળને બ્રહ્મોસ મિસાઈલની ડીલીવરી આપી દેવામાં આવી છે. ભુમીદળની બે રેજીમેન્ટ બ્રહ્મોસની 'બ્લોક-૧' આવૃત્તિથી સજ્જ છે.
ભારત અને રશિયા 'બ્રહ્મોસ'નું હાઈપર સોનિક વર્ઝન ૨૦૧૫ સુધીમાં તૈયાર કરવા કરારબદ્ધ થઈ ચુક્યા છે. આ મિસાઈલમાં સ્ક્રેમજેટ એન્જીનનો ઉપયોગ થશે. જેની ઝડપ સેકન્ડ કરતાં પણ વધારે હશે. બ્રહ્મોસનાં આ નવા પ્રોજેક્ટનું નામ હાઈપર સોનિક ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન વેહિકલ (HSTDV) રાખવામાં આવ્યું છે. બ્રહ્મોસ-૨ એ લાંબા ગાળા સુધી પ્રહાર કરી શકે તેવું ક્રુઝ મિસાઈલ બનશે. આ પ્રોજેક્ટમાં ઇઝરાયલી એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીનો સહયોગ પણ લેવામાં આવશે.
ભારત અને રશિયા એકબીજાની સહમતીથી બ્રહ્મોસ મિસાઈલને 'ત્રીજા દેશો'ને વેચવા માટે પણ તૈયાર છે. બ્રહ્મોસ ને ખરીદવા માટે લગભગ ૧૪ જેટલાં દેશોને રસ છે. ભારતે ૧૦૦૦ કી.મી.ની રેન્જવાળા 'નિર્ભય' મિસાઈલ વિકસાવવાની જાહેરાત પણ ભુતકાળમાં કરી ચુક્યું છે. જેનાં વિકાસનાં મધ્ય માર્ગે ભારત પહોંચી ચુક્યું છે. જે ૦.૭૦ મેકની ઝડપે ભાગતું સબસોનીક ક્રુઝ મિસાઈલ છે. ભુતકાળમાં ભારત (૨૦૦૮માં) K-૧૫ સબમરીન લોંચ બેલાસ્ટીક મિસાઈલનું પરીક્ષણ બંગાળની ખાડીમાં કર્યું હતું. આ મિસાઇલનાં આ પહેલાં પણ ચાર પરીક્ષણ થઈ ચુક્યાં હતાં. તેને મીડીયા અને પબ્લીસીટીથી દુર રાખવામાં આવ્યું છે. પહેલાં જે 'સાગરીકા' તરીકે ઓળખાતું હતું તે મિસાઈલ K-૧૫ બની આઈએનએસ અરીહંત ઉપરથી પણ પરીક્ષણ પામી ચુક્યું છે. K-૧૫ સાગરીકાનાં ભુમી ઉપરથી ઉપયોગ થઈ શકે તે માટે K-૧૫ ની આધુનિક આવૃત્તિ 'શૌર્ય' નામે વિકસાવવામાં આવી રહી છે. જેની પ્રહાર મર્યાદા ૬૦૦ કી.મી. જેટલી છે. ભારતનાં આધુનિક મિસાઈલમાં પ્રવાહી બળતણનાં સ્થાને સોલીડ દહનશીલ પદાર્થ વાપરવામાં આવી રહ્યો છે. પૃથ્વી મિસાઈલમાં પ્રવાહી બળતણ વાપરવામાં આવે છે. ત્યાં અગ્નિ મિસાઈલ માટે 'સોલીડ ફ્યુઅલ' વિકસાવવામાં આવ્યું છે.
યુદ્ધ અને મિસાઈલોની વાત નીકળે ત્યારે, પરમાણુ શસ્ત્રોને અવશ્ય યાદ કરવા જ પડે. ભારત પાસે પરમાણુ શસ્ત્રો છે અને તેને મિસાઈલ કે અન્ય સ્ત્રોત દ્વારા વાપરવામાં આવે ત્યારે, અને તે પહેલાં તેનાં ઉપર કોનું નિયંત્રણ કે જવાબદારી ગણાય. પરમાણુ શસ્ત્ર વાપરવાનો નિર્ણય છેવટે લે કોણ ? ભારતીય પરમાણુ શસ્ત્રોને એસેમ્બલ કરેલ સદા સજ્જ અવસ્થામાં રાખવામાં આવતાં નથી. ન્યુક્લીયર કેપેબલ મિસાઇલ, નોન-ન્યુક્લીયર વિસ્ફોટક વોર હેડ અને પરમાણુ બોમ્બ જેમાંથી ફાટે તે 'ફિઆઈલ કોર' 'ડી-એલર્ટ' સ્ટેટમાં અલગ અલગ રાખવામાં આવે છે. તેની માલીકી જે તે લશ્કરી દળની ગણાય છે. જ્યારે કટોકટી પેદા થાય ત્યારે અથવા રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો હોય ત્યારે, DRDO અને ડિપાર્ટમેન્ટ ઓફ એટમીક એનર્જીનાં (DAE) નાં વૈજ્ઞાાનિકો મિસાઈલ અને પરમાણુ શસ્ત્રોને ઝડપથી એસેમ્બલ કરીને તૈયાર કરી આપે છે. પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરવા બાબતે બે કમિટી સંયુક્ત નિર્ણય કરે છે. એક કમીટી લશ્કરી દળનાં સલાહકારોની અને બીજી કમીટી નાગરીક સ્તરે બનાવવામાં આવી છે. જેને ન્યુક્લીઅર કમાન્ડ ઓથોરીટી (NCA) કહે છે. NCA પરમાણુ શસ્ત્રો ધરાવતાં દળોનાં સંચાલનને લગતાં અને ઉપયોગને લગતા નિર્ણય લેશે. NCA ભારતિય સંસદ માફક બે સ્તરની હશે. એક ઃ પોલીટીકલ કાઉન્સીલ (PC) અને બીજી એક્ઝીક્યુટીવ કાઉન્સીલ (EC), પોલીટીકલ કાઉન્સીલનાં મુખ્ય વ્યક્તિ વડાપ્રધાન રહેશે, જ્યારે એક્ઝીક્યુટીવ કાઉન્સીલનાં મુખ્ય વ્યક્તિ તરીકે વડાપ્રધાનનાં નેશનલ સિક્યોરીટી એડવાઈઝર રહેશે.
લશ્કરનાં ત્રણેય દળોની મળેલ સંયુક્ત કમીટી, સ્ટ્રેટેજીક ફોર્સ કમાન્ડ (SFC) ગણાશે. તેનાં વડા તરીકે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) રહેશે. પરમાણુ શસ્ત્રનાં ઉપયોગની સુચના, PC નાં આદેશ પ્રમાણે, એક્ઝીક્યુટીવ કાઉન્સીલ, SFC ને આપશે. SFC સુચનાઓ પ્રમાણે લશ્કરી તાકાત વાપરી પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી બતાવશે. ખેર, વિશ્વમાં કોઈ રાષ્ટ્રને ફરીવાર પરમાણુ શસ્ત્ર વાપરવાની જરૃર ન પડે. યુદ્ધમાં લશ્કરી પોશાક પહેરીને મરનાર તો છેવટે રાષ્ટ્રનો સામાન્ય નાગરીક જ હોય છે. પરમાણુ શસ્ત્ર છેવટે તો નાગરીકોનાં સમુહને જ તબાહ કરે છે. એટલે શાણા માણસો 'નો-વોર'નાં કરાર કરતાં આવ્યાં છે.


 

No comments: